કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી ને જાનથી મારી નાખવાની ધમકી આપી અને ખંડણી માંગનાર જયેશ પુજારીને કોર્ટે 5 વર્ષની સજા ફટકારી છે. કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી પાસેથી ફોન પર 100 કરોડ રૂપિયાની ખંડણી માંગવાના કેસમાં દોષિત ઠરેલા જયેશ પુજારીને નાગપુર જિલ્લા સત્ર ન્યાયાલયે 5 વર્ષની સજા સંભળાવી છે.
કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીને જાનથી મારી નાખવાની ધમકી આપનાર આતંકી જયેશ પુજારીને નાગપુર જિલ્લા સત્ર ન્યાયાલયે પાંચ વર્ષની સજા ફટકારી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરીના કાર્યાલયમાં ફોન કરીને જયેશ પુજારીએ 100 કરોડ અને 10 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. ખંડણી નહીં આપવાની સ્થિતિમાં નિતિન ગડકરીને બોમ્બ વિસ્ફોટ દ્વારા મારી નાખવાની ધમકી પણ જયેશ પુજારીએ આપી હતી.
હત્યાના એક કેસમાં જયેશ પુજારી હાલમાં કર્ણાટકની જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે. સજા દરમિયાન જ તેણે જેલમાંથી મોબાઇલ ફોન મારફતે ગડકરીના કાર્યાલયમાં ફોન કર્યો હતો. વિવિધ કલમો હેઠળ જયેશ પુજારીને પાંચ વર્ષની સજા ફટકારવામાં આવી છે.
નિતિન ગડકરી ભારતીય જનતા પાર્ટી ના વરિષ્ઠ નેતા છે અને તેઓ પોતાના નિવેદનોને કારણે અવારનવાર ચર્ચામાં રહેતા હોય છે. તાજેતરમાં તેમણે પુણે માં જણાવ્યું હતું કે તેમના 90 ટકા કામ સમાજસેવા સાથે જોડાયેલા છે, તેથી તેમને ચૂંટણી પ્રચાર કરવાની જરૂરિયાત અનુભવાતી નથી.
નિતિન ગડકરીએ પુણ્ય ભૂષણ ફાઉન્ડેશન દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, “હું રાજકારણી છું, પરંતુ મારું 90 ટકા કામ સામાજિક સેવા સાથે જોડાયેલું છે. તેથી મને ચૂંટણી પ્રચાર કરવાની જરૂરિયાત લાગતી નથી.”
તમને જણાવી દઈએ કે નિતિન ગડકરીએ પોતાના રાજકીય જીવનની શરૂઆત અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)થી કરી હતી. તેમને ‘ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેન’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ વર્ષ 2014થી સતત કેન્દ્ર સરકારમાં મંત્રી તરીકે કાર્યરત છે અને પોતાની કાર્યશૈલી તથા વ્યવહારને કારણે વિરોધીઓ તરફથી પણ સન્માન મેળવે છે.