દેશભરમાં 3 મેના રોજ લેવામાં આવેલી NEET-UG પરીક્ષા બાદ પેપર લીક મામલો સામે આવતા ભારે વિવાદ ઉભો થયો હતો. જેના પગલે પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે NEET-UG પરીક્ષા ફરીથી 21 જૂન, 2026ના રોજ યોજાશે. આ અંગેની તૈયારીઓ ફરી શરૂ થઈ ગઈ છે. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનએ પ્રેસ કોન્ફરન્સ કરીને પરીક્ષાની તૈયારીઓ તેમજ પેપર લીક મામલે ચાલી રહેલી તપાસ વિશે માહિતી આપી હતી.
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનએ સ્વીકાર્યું હતું કે પેપર લીક મામલે પ્રણાલીગત ભૂલ થઈ હતી અને તેની જવાબદારી પણ લીધી હતી. સાથે જ NEET પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે 6 મહત્વપૂર્ણ જાહેરાતો પણ કરવામાં આવી હતી.
સરકાર દ્વારા કરવામાં આવેલી મુખ્ય જાહેરાતો મુજબ, તમામ ઉમેદવારોને 14 જૂન સુધીમાં તેમના એડમિટ કાર્ડ આપવામાં આવશે. વિદ્યાર્થીઓને પોતાની પસંદગીનું શહેર પસંદ કરવા માટે એક અઠવાડિયાનો સમય આપવામાં આવશે. ઉમેદવારો માટે ખાસ પરિવહન વ્યવસ્થા પણ કરવામાં આવશે જેથી તેઓ સરળતાથી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે.
સરકારે વિદ્યાર્થીઓને વધારાનો સમય આપવાનો પણ નિર્ણય લીધો છે. પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને વધારાના મિનિટનો સમય મળશે. સાથે જ ઉમેદવારો પર કોઈપણ પ્રકારનો વધારાનો નાણાકીય બોજ ન પડે તેની પણ ખાતરી આપવામાં આવી છે.
સૌથી મોટી જાહેરાત તરીકે સરકારે જણાવ્યું છે કે આવતા વર્ષથી NEET-UG પરીક્ષા સંપૂર્ણપણે કમ્પ્યુટર આધારિત ઓનલાઈન મોડમાં લેવામાં આવશે. આ નિર્ણય પરીક્ષા પ્રક્રિયામાં પારદર્શિતા અને સુરક્ષા વધારવાના હેતુથી લેવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.
નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા શુક્રવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને પુનઃ પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી હતી. NTAએ જણાવ્યું હતું કે ભારત સરકારની મંજૂરી બાદ NEET (UG) પરીક્ષા હવે રવિવાર, 21 જૂન 2026ના રોજ યોજાશે.
નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ ઉમેદવારો અને વાલીઓને અપીલ કરી છે કે તેઓ ફક્ત સત્તાવાર NTA ચેનલો પરથી જ માહિતી મેળવે. સાથે જ હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે. ઉમેદવારો વધુ માહિતી માટે 011-40759000 અથવા 011-69227700 નંબર પર સંપર્ક કરી શકે છે. ઉપરાંત neet-ug@nta.ac.in પર ઈમેલ દ્વારા પણ માહિતી મેળવી શકાશે.