દેશવાસીઓ માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસાના આગમન તરફ હવે આખા દેશની નજર મંડાયેલી છે. ભારતની કૃષિ, જળ પુરવઠા અને વીજળીની માંગ માટે કરોડરજ્જુ સમાન ગણાતું આ ચોમાસું દેશના વાર્ષિક વરસાદમાં આશરે 70% હિસ્સો ધરાવે છે.
ભારતીય હવામાન વિભાગ (IMD) ના જણાવ્યા અનુસાર, સામાન્ય રીતે ચોમાસું જૂનની શરૂઆતમાં કેરળના દરિયાકાંઠે પહોંચતું હોય છે. જોકે, આ વર્ષે વિવિધ વૈશ્વિક હવામાન મોડેલો અને વર્તમાન વાતાવરણીય પરિસ્થિતિઓ સૂચવે છે કે ચોમાસું 2026 નિર્ધારિત સમય કરતા વહેલું આવી શકે છે.
હવામાન વિભાગની તાજેતરની આગાહી મુજબ, બંગાળની ખાડીમાં એક શક્તિશાળી ‘સાયક્લોનિક સર્ક્યુલેશન આકાર લઈ રહ્યું છે. આ સિસ્ટમ આગામી દિવસોમાં ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થવાની સંભાવના છે. હાલમાં આ સર્ક્યુલેશન દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી નજીક સ્થિત છે, જે દક્ષિણ ભારતમાં ભારે વરસાદ લાવી શકે છે. આ કુદરતી હિલચાલને કારણે ચોમાસાની ગતિમાં પણ મોટો ફેરફાર જોવા મળી શકે છે.
હવામાનશાસ્ત્રીઓના મતે, 12-13 મે, 2026 ના રોજ બંગાળની ખાડીના વિષુવવૃત્તીય ક્ષેત્રમાં લો-પ્રેશર સર્જાવાની પ્રબળ શક્યતા છે. હાલમાં એક વ્યાપક ચક્રવાતી પરિભ્રમણ દક્ષિણ શ્રીલંકા, કોમોરિન પ્રદેશ અને માલદીવ્સને આવરી રહ્યું છે. વધુમાં, દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રથી બંગાળની ખાડી સુધી ફેલાયેલો એક લાંબો પૂર્વ-પશ્ચિમ ટ્રફ આ સિસ્ટમને વધુ બળ પૂરું પાડી રહ્યો છે.
આગામી 48 કલાકમાં લો-પ્રેશર ક્ષેત્ર રચાયા બાદ આ સિસ્ટમ ડિપ્રેશન અથવા ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. જો આ સિસ્ટમ ચક્રવાતી તોફાનનું સ્વરૂપ ધારણ કરશે, તો તે આ વર્ષની પ્રી-મોન્સૂન સીઝનનું પ્રથમ મોટું વાવાઝોડું હશે.
સામાન્ય સંજોગોમાં ચોમાસું 20 મેની આસપાસ આંદામાન સમુદ્રમાં પ્રવેશતું હોય છે. પરંતુ બંગાળની ખાડીમાં સર્જાયેલા આ વિક્ષેપને કારણે ચોમાસાના પવનો વધુ વેગવંતા બનશે. હવામાન વિભાગના અંદાજ મુજબ, 15 મે પછી ચોમાસાની પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર વધારો થશે અને 16 થી 17 મેની વચ્ચે વાવાઝોડા અને ભારે વરસાદ સાથે ચોમાસું આગળ વધશે. જો આ સાયક્લોનિક સિસ્ટમની મજબૂતી યથાવત રહેશે, તો ચોમાસું 1 જૂનની તેની સામાન્ય તારીખ પહેલા જ કેરળમાં લેન્ડફોલ કરી શકે છે.