ગુજરાતમાં શહેરી વિસ્તારમાં ભાજપનો ગઢ સલામત રહ્યો છે અને વધુ મજબૂત બન્યો છે. બપોરે 2 વાગ્યા સુધીમાં 15માંથી 12 મનપા પર ભાજપનો ભગવો લહેરાયો છે. આપના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાએ સુરતમાં તો રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર RJ આભા અને રવીન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાએ હારનો સામનો કરવો પડ્યો છે.
સુરત મહાનગરપાલિકામાં છેલ્લા 30 વર્ષથી ભાજપનું એકહથ્થું શાસન છે. આગામી પાંચ વર્ષ માટે પણ સુરતીઓએ ભાજપને સત્તા સોંપી છે. મનપાની 120 બેઠકમાંથી ભાજપે 115 બેઠક કબજે કરી છે. જ્યારે 2021માં સુરતમાં 27 બેઠક જીતનાર આપ 4 બેઠક પર જ સમેટાઈ ગઈ છે. તો 2021માં 0 પર રહેલી કોંગ્રેસ આ વખતે નામ માત્રની એક બેઠક જીતી છે.
નવસારી મનપાની પ્રથમ ચૂંટણીમાં ભગવો લહેરાયો છે. 52માંથી 50 બેઠક પર ભાજપે કબજો કર્યો છે. કોંગ્રેસે માત્ર 2 બેઠકથી સંતોષ માનવો પડ્યો છે.