પાંચ વર્ષના વિલંબ બાદ ભારતમાં વસ્તી ગણતરીની પ્રક્રિયા શરૂ થઈ છે, પરંતુ દેશના અનેક વિસ્તારોમાં હીટવેવની તીવ્ર અસર વચ્ચે ચિંતાજનક ઘટનાઓ સામે આવી રહી છે. ઓડિશામાં માત્ર બે દિવસમાં વસ્તી ગણતરીની ફરજ પર રહેલા બે શિક્ષકોના મોત થયાના અહેવાલો સામે આવ્યા છે, જેમના મોતનું મુખ્ય કારણ સનસ્ટ્રોક માનવામાં આવી રહ્યું છે. મયુરભંજ અને સુંદરગઢ જિલ્લામાં આ દુઃખદ બનાવો નોંધાયા છે, જ્યારે રાજ્યમાં આ પ્રકારના કુલ ત્રણ મોત નોંધાઈ ચૂક્યા છે.
મયુરભંજ જિલ્લાના બેટનોટી બ્લોક હેઠળ આવેલી વૈદ્યનાથ હાઇસ્કૂલના શિક્ષક રાજકપુર હેમ્બ્રમ ઘર-ઘર જઈને વસ્તી ગણતરીનું કામ કરી રહ્યા હતા. દિવસભરનું કામ પૂર્ણ કર્યા બાદ તેઓ ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે અચાનક બેભાન થઈ ગયા. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, પરંતુ રવિવારે સાંજે બારીપાડાની હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે તેમની તબિયત ખરાબ હોવા છતાં અધિકારીઓ દ્વારા ફરજ પર હાજર રહેવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું.
સુંદરગઢ જિલ્લામાં પણ આવી જ એક ઘટના બની હતી, જ્યાં ગુરુંડિયા બ્લોકના જરાડા સરકારી હાઇસ્કૂલના શિક્ષક અનુરાગ એક્કા વસ્તી ગણતરી દરમિયાન બેભાન થઈ ગયા હતા. તેમને પહેલા ગુરુંડિયા કમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં લઈ જવાયા અને ત્યારબાદ હાલત ગંભીર બનતા જિલ્લા મુખ્યાલયની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં શનિવારે સાંજે તેમનું અવસાન થયું હતું.
આ બંને ઘટનાઓ બાદ જિલ્લા કલેક્ટરોએ તપાસ શરૂ કરી છે અને અધિકારીઓ પાસેથી અહેવાલો મળ્યા પછી મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ 21 એપ્રિલે સોનેપુર જિલ્લામાં પણ વસ્તી ગણતરી દરમિયાન ફરજ પર રહેલા એક અધિકારીનું હૃદયરોગના હુમલાથી મોત થયું હતું, જેનાથી સમગ્ર પ્રક્રીયા પર પ્રશ્નચિન્હ ઉભું થયું છે.