પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાના જગદલમાં રવિવારે રાત્રે પીએમ મોદીની રેલી પહેલા ભાજપ અને ટીએમસીના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. પથ્થરમારો, ફાયરિંગ અને દેશી બોમ્બ પણ ફેંકવામાં આવ્યા હતા. ત્રણ લોકો ઘાયલ થયા હતા, જ્યારે એક CISF જવાનને પગમાં ગોળી વાગી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલી જગદલના જલેબી મઠ મેદાનમાં થવાની છે. ભાજપના કાર્યકરોનો આરોપ છે કે રેલી માટે લગાવવામાં આવેલા પોસ્ટરો અને ધ્વજ ફાડી નાખવામાં આવ્યા હતા. જ્યારે તેઓ ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન ગયા ત્યારે ટીએમસીના સમર્થકો ત્યાં પહોંચ્યા. પોલીસ સ્ટેશનની સામે દલીલ થઈ અને ઝપાઝપી થઈ.
ભાટપારા મતવિસ્તારના ભાજપના ઉમેદવાર પવન કુમાર સિંહના ઘર પર પણ એક દેશી બોમ્બ ફેંકવામાં આવ્યો હતો.આજે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ છે. બીજા તબક્કાનું મતદાન 29 એપ્રિલે થશે.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે બે રોડ શો કરશે. પહેલો રોડ શો બેહાલા થાણાથી મંથન સુધીનો હશે.
બીજો રોડ શો હુગલીના ચંદનનગર બાગબજારમાં હશે.
મુખ્યમંત્રી મમતા બેનર્જી આજે જાધવપુરના સુકાંત સેતુથી જાધવપુર અને ટોલીગંજ મતવિસ્તારના પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં એક જાહેર રેલીમાં જોડાશે. ત્યારબાદ તેઓ પોતાનો કાર્યક્રમ યોજશે.તેઓ ભવાનીપુર મતવિસ્તારમાં એક જાહેર સભાને સંબોધન કરશે.
વડાપ્રધાન મોદીએ રવિવારે કોલકાતામાં તેમના રોડ શો પહેલા ‘મા સિદ્ધેશ્વરી’ નામથી ઓળખાતા મુખ્ય મંદિર થંથાનિયા કાલીબારીમાં મા કાલીના દર્શન કરીને આશાર્વાદ લીધા.