સુરતના પુણા-ડુંભાલ રોડ પર આવેલ લેન્ડમાર્ક ચાર રસ્તા પાસે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો, જેમાં એક ટ્રક ચાલકે બાઈક સવાર દંપતીને અડફેટે લીધું હતું. આ અકસ્માતમાં ટ્રકનું ટાયર માથા પરથી ફરી વળતા પતિનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે પત્નીને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. પોતાની નજર સામે જ જીવનસાથીને ગુમાવતા પત્ની આઘાતમાં સરી પડ્યા હતા.
ઘટનાની વિગત મુજબ, મૂળ બિહારના બકસર જિલ્લાના વતની અને હાલ પલસાણાની ઊર્મિલાનગર સોસાયટીમાં રહેતા 46 વર્ષીય કમલેશકુમાર રામાશંકર પરમાર તેઓ ચાની કેન્ટીન ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ગુરુવારે બપોરે તેઓ 40 વર્ષીય પત્ની ચિંતાદેવી સાથે બાઈક પર પરવટ પાટિયા વિસ્તારની એક ખાનગી હોસ્પિટલમાં દવા લેવા માટે ગયા હતા. દવા લઈને પરત ઘરે ફરી રહ્યા હતા, તે દરમિયાન પુણા-ડુંભાલ લેન્ડમાર્ક ચાર રસ્તા પાસેથી પસાર થતી વખતે એક ટ્રક ચાલકે તેમની બાઈકને જોરદાર ટક્કર મારી હતી.
ટક્કર વાગતાની સાથે જ દંપતી રોડ પર પટકાયું હતું, આ દરમિયાન કમલેશકુમારના માથાના ભાગે ટ્રકનું ટાયર ફરી વળતા તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. પત્ની ચિંતાદેવીને હાથ અને કમરના ભાગે ઈજાઓ પહોંચી હતી, પરંતુ પતિને લોહીલુહાણ હાલતમાં મૃત જોતા તેઓ આઘાતને કારણે બેભાન થઈ ગયા હતા. અકસ્માતને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત મહિલાને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતા પુણા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આ મામલે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે અને અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરી છે. દંપતીને બે સંતાનો હોવાનું જાણવા મળ્યું છે, પિતાના અકાળે અવસાનથી પરિવાર પર આભ ફાટી પડ્યું છે.