Wednesday, Apr 22, 2026

8મા પગાર પંચમાં લઘુતમ બેઝિક વેતન રૂ. 69,000 કરવાની માંગ તેજ

2 Min Read

કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર માળખામાં મોટા ફેરફાર કરવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આઠમા પગાર પંચને લઈને નેશનલ કાઉન્સિલની સ્ટાફ સાઈડ દ્વારા સરકારને એક મહત્વપૂર્ણ મેમોરેન્ડમ સુપ્રત કરવામાં આવ્યું છે.

આ મેમોરેન્ડમમાં સરકારી કર્મચારીઓનો લઘુત્તમ બેઝિક પગાર વધારીને 69 હજાર રૂપિયા કરવાની મજબૂત ભલામણ કરવામાં આવી છે.આ દરખાસ્ત સરકારને સોંપવામાં આવી છે, જેનો ઉદ્દેશ્ય કર્મચારીઓના વર્તમાન આર્થિક ભારણને હળવો કરવાનો અને જીવનધોરણમાં સુધારો લાવવાનો છે.

આ મેમોરેન્ડમની સૌથી મહત્વની બાબત એ છે કે, તેમાં કર્મચારીના પરિવારની ગણતરીના માળખામાં ફેરફાર કરવાની માંગ કરવામાં આવી છે. અત્યાર સુધીની સિસ્ટમમાં પરિવારને 3 યુનિટ ગણવામાં આવતા હતા, પરંતુ હવે તેને વધારીને 5 યુનિટ કરવાની ભલામણ કરવામાં આવી છે.

આ નવા માળખા મુજબ, કર્મચારી પોતે 1 યુનિટ, પતિ કે પત્ની 1 યુનિટ અને બાળકો તેમજ આશ્રિત માતા-પિતાને પણ યુનિટમાં ગણતરીમાં લેવામાં આવ્યા છે. આ ફેરફાર પાછળનો તર્ક એ છે કે, અનેક સરકારી કર્મચારીઓ પોતાના જીવનસાથી અને બાળકોની સાથે પોતાના વૃદ્ધ માતા-પિતાની જવાબદારી પણ નિભાવતા હોય છે, જેમને અત્યાર સુધી ગણતરીમાં લેવામાં આવતા નહોતા.

નેશનલ કાઉન્સિલે ભારપૂર્વક જણાવ્યું છે કે લઘુત્તમ પગાર ‘સાયન્ટિફિક લિવિંગ વેજ’ ફોમ્ર્યુલા પર આધારિત હોવો જોઈએ. જેમાં ખોરાક, ઘર, ભણતર, હેલ્થકેર, ટ્રાન્સપોર્ટ અને ડિજિટલ જરૂરિયાતોનો સમાવેશ થાય છે.

આ પ્રસ્તાવમાં મેન્ટેનન્સ એન્ડ વેલફેર ઓફ પેરેન્ટ્સ એન્ડ સિનિયર સિટિઝન એક્ટ જેવા કાયદાકીય પાસાઓને પણ ટાંકવામાં આવ્યા છે. હાલમાં આઠમા પગાર પંચે પોતાના ઓફિશિયલ પોર્ટલ અને MyGov પ્લેટફોર્મ પર એક સ્ટ્રક્ચર્ડ ક્વેશ્ચનરી હોસ્ટ કરી છે, જેના દ્વારા કર્મચારીઓ અને પેન્શનરો પાસેથી અભિપ્રાયો માંગવામાં આવ્યા છે.

Share This Article