આંદામાન સમુદ્રમાં રોહિંગ્યા શરણાર્થીઓ અને બાંગ્લાદેશી નાગરિકોને લઈ જતી એક હોડી પલટી જતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે, જેમાં આશરે 250 લોકો લાપતા હોવાનું કહેવાય છે, જ્યારે અત્યાર સુધીમાં 9 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. મલેશિયા તરફ જઈ રહેલી આ હોડીમાં અનેક લોકો ગેરકાયદેસર રીતે સવાર હતા. ઘટનાને પગલે સંયુક્ત રાષ્ટ્રના સંગઠનો UNHCR અને IOMએ બાંગ્લાદેશમાં રહેલા રોહિંગ્યા શરણાર્થીઓ માટે વધુ સહાય ઉપલબ્ધ કરાવવા આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરી છે.
માહિતી મુજબ, આ હોડી દક્ષિણ બાંગ્લાદેશના ટેકનાફથી મલેશિયા તરફ રવાના થઈ હતી. ભારે પવન અને વધુ ભીડને કારણે હોડી આંદામાન સાગરમાં પલટી ગઈ હોવાનું જણાવાયું છે. આ ઘટના 9 એપ્રિલના રોજ બની હતી, જોકે હજુ સુધી તમામ વિગતો સંપૂર્ણ રીતે સ્પષ્ટ થઈ નથી. બાંગ્લાદેશ કોસ્ટ ગાર્ડે જણાવ્યું છે કે બચાવ કામગીરી ચાલુ છે અને બચાવાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, બચાવાયેલા કેટલાક લોકો માનવ તસ્કરી સાથે સંકળાયેલા હોવાની શંકા છે, જેને લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.