સુરતના લસકાણા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના પ્રવક્તા કાળુ વઘાસિયા સામે દુષ્કર્મ અને ધમકીની ફરિયાદ નોંધાતા રાજકીય માહોલ ગરમાયો છે. ‘પત્નીને છૂટાછેડા આપી તારી સાથે લગ્ન કરીશ’ એવી લાલચ આપી પરિણીત મહિલાનું શારીરિક શોષણ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે. અંતે લગ્નનો ઇનકાર કરીને મહિલાને ‘તુષાર ઘેલાણી’ જેવી ઘટના કરવાની ધમકી આપતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે.
સોશિયલ મીડિયા દ્વારા મિત્રતા કરી વિશ્વાસ જીત્યો
લસકાણા વિસ્તારમાં રહેતી પીડિત મહિલાનો સંપર્ક કાળુ ચતુરભાઈ વઘાસિયાએ ડિસેમ્બર 2024માં સોશિયલ મીડિયા દ્વારા કર્યો હતો. શરૂઆતમાં સામાન્ય વાતચીતથી શરૂ થયેલો સંપર્ક ધીમે ધીમે નજીકતામાં બદલાયો હતો. રાજકીય ઓળખનો ઉપયોગ કરીને કાળુએ મહિલાનો વિશ્વાસ જીત્યો હતો.
લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવ્યું
કાળુ વઘાસિયાએ પોતાના અંગત જીવનની વાતો જણાવી મહિલાને કહ્યું હતું કે તેનું પત્ની સાથે બનતું નથી અને ટૂંક સમયમાં છૂટાછેડા લઈને તે મહિલાને લગ્ન કરશે. આ વાતોમાં વિશ્વાસ રાખીને મહિલા તેના પ્રેમજાળમાં ફસાઈ ગઈ હતી.
ઘરે અને હોટેલોમાં વારંવાર શોષણનો આક્ષેપ
લગ્નના વાયદા પર વિશ્વાસ કરીને મહિલા આરોપી સાથે સંબંધમાં રહી હતી. આરોપી તેને પોતાના ઘરે તેમજ શહેરની વિવિધ હોટેલોમાં લઈ જતો હતો, જ્યાં તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધવાનો આક્ષેપ છે. લાંબા સમય સુધી શોષણ કર્યા બાદ જ્યારે મહિલાએ લગ્ન માટે દબાણ કર્યું, ત્યારે આરોપીએ વલણ બદલી દીધું.
મહિલાએ લગ્નની વાત કરતાં જ કાળુ વઘાસિયા ઉશ્કેરાઈ ગયો અને ગાળો આપી લગ્ન કરવાનો ઇનકાર કર્યો. તેણે મહિલાને ધમકી આપી કે જો પોલીસમાં ફરિયાદ કરશે તો તે તુષાર ઘેલાણીની જેમ આત્મહત્યા કરશે અને મહિલાને તેમજ તેના દીકરાને જીવવું મુશ્કેલ બનાવી દેશે.
આખરે ત્રાસથી કંટાળીને મહિલાએ લસકાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસે કાળુ વઘાસિયા વિરુદ્ધ દુષ્કર્મ અને જાનથી મારી નાખવાની ધમકી હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. રાજકીય વ્યક્તિ સામે ગંભીર આરોપોને ધ્યાનમાં રાખીને પોલીસ પુરાવાઓ એકત્રિત કરવામાં લાગી છે.