ગુજરાતમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. તેના માટે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. રાજ્ય ચૂંટણી આયોગ પણ હવે પૂર્ણપણે એક્શન મોડમાં આવીને ચૂંટણી પ્રક્રિયાને નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ રીતે પાર પાડવા માટે મોટો નિર્ણય લીધો છે.
રાજ્યના 34 જેટલા વરિષ્ઠ IAS અધિકારીઓને વિવિધ જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓમાં ચૂંટણી નિરીક્ષક તરીકેની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.
આ નિમણૂકોમાં અનુભવી અધિકારીઓને પ્રાથમિકતા આપવામાં આવી છે. સિનિયર અધિકારી અવંતિકા સિંઘને અમદાવાદ મહાનગરપાલિકા સહિત અમદાવાદ જિલ્લા અને તાલુકા પંચાયતની મોટી જવાબદારી સોંપાઈ છે. જ્યારે સુરત મહાનગરપાલિકાના ચૂંટણી નિરીક્ષક તરીકે વિનોદ રાવની પસંદગી કરવામાં આવી છે. વડોદરાના મોરચે લોચન સેહરાને કમાન સોંપાઈ છે, તો રાજકોટ મહાનગરપાલિકાના નિરીક્ષક તરીકે આલોક પાંડે ફરજ બજાવશે.
અન્ય મહત્વના જિલ્લાઓની વાત કરીએ તો, આદ્રા અગ્રવાલને ભાવનગર અને બોટાદ જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે. અનિલ પ્રજાપતિ અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયા પર દેખરેખ રાખશે. આ તમામ અધિકારીઓ આદર્શ આચારસંહિતાના પાલનથી લઈને સમગ્ર મતદાન પ્રક્રિયાની પારદર્શિતા સુનિશ્ચિત કરશે.
નિરીક્ષકોની આ નિમણૂક સૂચવે છે કે ચૂંટણી આયોગ કોઈપણ ક્ષતિ વિના ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે કટિબદ્ધ છે. આગામી દિવસોમાં આ અધિકારીઓ પોતપોતાના ક્ષેત્રોમાં જઈને ચૂંટણી તૈયારીઓની સમીક્ષા શરૂ કરશે.