Tuesday, Mar 24, 2026

ગુજરાતમાં બદલાતું હવામાન: દરિયામાં બનશે ખતરનાક વાવાઝોડું, પવનની ગતિ રહેશે તેજ

3 Min Read

બંગાળની ખાડીના વિસ્તારમાં હાલમાં મોંથા નામનું વાવાઝોડું આકાર લઈ રહ્યું છે. આ વાવાઝોડાને કારણે ભારતના પૂર્વ દરિયાકિનારે હવામાનમાં નોંધપાત્ર ફેરફાર થયો છે અને તેની અસર ગુજરાત સુધી પહોંચવાની શક્યતા હવામાન નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.

હવામાન વિભાગના અહેવાલ મુજબ, હાલની પરિસ્થિતિને જોતા આંધ્ર પ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકિનારે ભારે પવન સાથે વાવાઝોડું આવવાની શક્યતા છે. 28 ઑક્ટોબર, મંગળવારની રાત્રે આંધ્ર પ્રદેશના કાકીનાડા દરિયાકિનારે મોંથા વાવાઝોડું ટકરાઈ શકે છે તેવી આગાહી કરવામાં આવી છે.

‘મોંથા’નો અર્થ “સુંદર ફૂલ” એવો થાય છે અને આ નામ થાઇલેન્ડ દ્વારા સૂચવવામાં આવ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, બંગાળની ખાડીમાં હાલ એક ડિપ્રેશન રચાયું છે, જે સોમવારે સાયક્લોનમાં રૂપાંતરિત થઈ શકે છે. ત્યારબાદ તે વધુ તીવ્ર બની સિવિયર સાયક્લોનનું સ્વરૂપ ધારણ કરી શકે છે અને મછલીપટ્ટનમ તથા કાકીનાડા વચ્ચે લૅન્ડફોલ કરવાની શક્યતા છે.

આ વાવાઝોડા દરમિયાન પવનની ગતિ 90થી 100 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં તેની ઝડપ વધીને 110 કિમી પ્રતિ કલાક સુધી પણ પહોંચી શકે છે. હવામાન વિભાગે દરિયાકાંઠાના વિસ્તારોમાં ચેતવણી જાહેર કરી છે અને માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપી છે.

આજે સવારના 6થી 10 વાગ્યા સુધીનો રાજ્યના 137 તાલુકામાં માવઠું વરસ્યું છે. ચાર કલાકમાં સૌથી વધુ વરસાદ અમરેલીના રાજુલામાં 6.22 ઈંચ તો સૌથી ઓછો છોટા ઉદેપુરના પાવી જેતપુરમાં 1 મિમી વરસાદ નોંધાયો છે. અમરેલી પંથકમાં ભારે વરસાદની પગલે ચોમાસા જેવી કપરી સ્થિતિ જોવા મળી રહી છે. અમરેલી, રાજુલા અને જાફરાબાદ પંથકમાં ભારે વરસાદને પગલે સોમનાથ-ભાવનગર નેશનલ હાઈવે પર પાણી ફરી વળતાં વાહનચાલકોને ભારે હાલાકી થઈ રહી છે.

રાજુલાના ધાતરવાડી ડેમ-2ના પાણી ગામોમાં પ્રવેશતા ધારાનાનેસ ગામ સંપર્ક વિહોણું બન્યું છે. ધરારાનાનેશમાં પૂરના કારણે વીજપોલ ધરાશયી થયો છે, જેનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે. તમામ ખેતરો જાણે સરોવર હોય તેવા દૃશ્યો જોવા મળી રહ્યા છે.

પંચમહાલ જિલ્લામાં ડાંગરના તૈયાર પાક પલળી ગયો, ખેડૂતે ખોબાથી પાણી કાઢ્યું
સમગ્ર ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસી રહેલા કમોસમી વરસાદને કારણે જગતનો તાત જાણે આભ તૂટી પડ્યું હોય તેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે. ખાસ કરીને પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ગામોમાં ખેડૂતોના તૈયાર પાકને ભારે નુકસાન થયું છે. ગોધરા તાલુકાના કાંકણપુર, પઢીયાર, વિંઝોલ, વેલવડ, મોર્યો, નદીસર, ધાનિત્રા, વેગનપુર જેવા અનેક ગામોના ખેડૂતો માટે આ કમોસમી માવઠું આફત બનીને આવ્યું છે.

Share This Article