Sunday, Nov 2, 2025

પંજાબના તમામ 23 જિલ્લાઓને પૂરગ્રસ્ત જાહેર, 3.5 લાખ લોકો પ્રભાવિત

2 Min Read

દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદના પગલે જનજીવનને વ્યાપક અસર થઈ છે. જેમાં સૌથી વધુ અસર ગ્રસ્ત રાજ્ય પંજાબમાં ભારે વરસાદ અને પૂરના લીધે હાલત કફોડી બની છે. રાજ્યના 23 જીલ્લામાં 1400 થી વધુ ગામો પૂરની ચપેટમાં છે. જેના પગલે રાજ્ય સરકારે રાજ્યને આપત્તિગ્રસ્ત જાહેર કર્યું છે. આ અંગે મુખ્ય સચિવ કેએપી સિન્હાએ આદેશ જાહેર કર્યો છે. તેમજ તમામ વિભાગોને એલર્ટ કર્યા છે. આપદા પ્રબંધન અધિનિયમ 2025 અંતર્ગત તમામ જીલ્લા ક્લેકટરોને રાહત કાર્યમાં તેજી લાવવા આદેશ આપ્યા છે.

કેબિનેટ મંત્રી હરદીપ સિંહ મુન્ડિયને જણાવ્યું હતું 1400 ગામોને અસરગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે, જેમાં અત્યાર સુધીમાં 3,54,626 લોકો અસરગ્રસ્ત થયા છે. અત્યાર સુધીમાં અંદાજે 20,000 લોકોને પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. 1,48,590 હેક્ટર ઊભો પાક બરબાદ થઈ ગયા છે. સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં ગુરદાસપુર, માનસા, અમૃતસર, કપૂરથલા, ફિરોઝપુર, તરણતારન અને હોશિયારપુરનો સમાવેશ થાય છે.

તમામ સ્કૂલો, કોલેજ, યુનિવર્સીટીઓ બંધ રાખવા આદેશ
રાજ્યના પૂરની ગંભીર સ્થિતિને જોતા રાજય સરકારે તમામ સ્કૂલો, કોલેજ, યુનિવર્સીટી અને પોલિટેકનીકો ને 7 સપ્ટેબર સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો છે. આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે રાજ્ય અત્યારે ભીષણ પૂરનો સામનો કરી રહ્યો છે. ભારે વરસાદ અને બંધમાંથી છોડવામાં આવતા પાણીના લીધે અનેક જીલ્લામાં પૂરની સ્થિતિ છે. તેમજ હાલત વધુ બગડી રહી છે. તેમજ આગામી દિવસોમાં સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે.

6 વર્ષમાં પંજાબમાં ત્રીજી વાર પૂરની સ્થિતિ
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 6 વર્ષમાં પંજાબમાં પૂરની સ્થિતી સર્જાવાની આ ત્રીજી ઘટના છે. અગાઉ 2023માં 1,500થી વધુ ગામો અસરગ્રસ્ત થયા હતા અને 2 લાખ હેક્ટર જમીન પરની પાકને વ્યાપક નુકસાન થયું હતું. વર્ષ 2019માં પણ 300થી વધુ ગામોને અસર થઈ હતી. આ વર્ષે પણ રાજ્યમાં સિઝનનો રેકોર્ડ બ્રેક વરસાદ નોંધાયો છે. તેમજ હજુ પણ ભારે વરસાદની આગાહી છે.

Share This Article