સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં આવતીકાલથી વિશ્વવિખ્યાત તરણેતર મેળાનો પ્રારંભ થવાનો છે. ઐતિહાસિક, પૌરાણિક અને ધાર્મિક મહત્ત્વ ધરાવતા આ લોકમેળાનો આરંભ 26 ઓગસ્ટથી થઈ 29 ઓગસ્ટ સુધી વિવિધ ધાર્મિક, સાંસ્કૃતિક અને લોકકલાના કાર્યક્રમોથી રંગે ચંગે ઉજવાશે. મેળામાં લોકનૃત્ય, સંતવાણી, ગ્રામીણ રમતોત્સવ, પારંપરિક સ્પર્ધાઓ અને ભવ્ય લોકડાયરા જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
કાર્યક્રમોની ઝલક: 26 ઓગસ્ટ (ભાદરવા સુદ ત્રીજ): સવારે 9.30 વાગ્યે ત્રિનેત્રેશ્વર મહાદેવનું પૂજન-અર્ચન અને જલાભિષેક, ત્યારબાદ પશુ મેળો, ગ્રામીણ રમતોત્સવ તથા પારંપરિક સ્પર્ધાઓનું ઉદ્ઘાટન. રાત્રે 9.30 વાગ્યે ભક્તજનોની સંતવાણીનો કાર્યક્રમ.27 ઓગસ્ટ (ગણેશ ચતુર્થી): સાંજે 5.30 વાગ્યે ધ્વજારોહણ તથા રાત્રે 9 વાગ્યે લોકડાયરાનું આયોજન.28 ઓગસ્ટ (પાંચમ): સવારે ગંગા અવતરણ આરતી, ધ્વજારોહણ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં શિવપૂજન, ગ્રામીણ રમતોત્સવ અને અભિવાદન સમારોહ. રાત્રે 9.30 વાગ્યે ભવ્ય લોકડાયરો.29 ઓગસ્ટ (છઠ્ઠ): સવારે 7 વાગ્યે ગંગા વિદાય આરતી તથા બપોરે 12 વાગ્યે જિલ્લા તંત્ર દ્વારા ધ્વજારોહણ સાથે મેળાની પૂર્ણાહુતિ.આ મેળો માત્ર ધાર્મિક નહીં પરંતુ સાંસ્કૃતિક વારસાનું જીવંત પ્રતિક છે, જ્યાં ભક્તિ, લોકકલાઓ અને ગ્રામ્ય પરંપરાઓનું અનોખું સંમિશ્રણ જોવા મળે છે.
તરણેતર નામ કઈ રીતે પડ્યું?
તરણેતર ગામ અને મેળાનું નામ તેના સમૃદ્ધ ઇતિહાસ અને પૌરાણિક કથાઓ સાથે ગાઢ રીતે જોડાયેલું છે. સ્કંદપુરાણમાં વર્ણન છે કે, ભગવાન વિષ્ણુએ શિવજીને પ્રસન્ન કરવા માટે આ ભૂમિ પર તપસ્યા કરી હતી. એક હજાર કમળની પૂજામાં એક કમળ ઓછું પડતાં, ભગવાને પોતાનું જમણું નેત્ર શિવલિંગ પર અર્પણ કર્યું હતું. વિષ્ણુની આ અજોડ ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન શિવ પ્રગટ થયા અને તેમનું નેત્ર પોતાના કપાળ પર ધારણ કર્યું. ત્યારથી તેઓ ત્રિનેત્રેશ્વર મહાદેવ તરીકે ઓળખાયા અને આ પવિત્ર સ્થાનનું નામ અપભ્રંશ થઈને તરણેતર પડ્યું.
તરણેતર નામ કઈ રીતે પડ્યું?
પ્રાગ ઐતિહાસિક કાળમાં સૌરાષ્ટ્ર વિસ્તાર “દ્વિપકલ્પ” તરીકે ઓળખાતો હતો. એ વખતે ધીરે-ધીરે જે જમીન સમુદ્રમાંથી સૌથી પહેલા બહાર નીકળી અને હજારો વર્ષ કે લાખો વર્ષ સુધી ટકી રહી. એ જે ટોચનો વિસ્તાર છે તે, સૌરાષ્ટ્રનો “પાંચાળ” વિસ્તાર છે. પાંચાળનો ઘેરાવો બહુ મોટો નથી, પણ એનું સાંસ્કૃતિક, ઐતિહાસિક, ધાર્મિક સંદર્ભમાં બહુ મોટુ મહત્ત્વ છે. સ્કંદપુરાણમાં એવો ઉલ્લેખ છે કે, ભગવાન વિષ્ણુએ શિવજીને પ્રસન્ન કરવા માટે આ ભૂમિ પર તપસ્યા કરી હતી. ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે શ્રી વિષ્ણુએ ૧૦૦૧ કમળ ચડાવવાના હતા. મૂર્તિ ઉપર ૧૦૦૦ કમળ થઈ ગયા અને છેલ્લું ૧ કમળ ખૂટ્યું ત્યારે તેમણે પોતાનું જમણું નેત્ર શિવજી ઉપર ચડાવ્યું ત્યારે ભગવાન શંકર લીંગમાંથી પ્રગટ થયાં અને નેત્ર લઈને પોતાના કપાળે લગાવી દીધું. ત્યારથી તેઓ ત્રિનેત્રેશ્ર્વર મહાદેવ કહેવાયા. આથી આ પવિત્ર સ્થાનનું નામ ત્રિનેત્રેશ્ર્વર પડ્યું. તેના પરથી અપભ્રંશ થતાં ગામનું નામ “તરણેતર” પડ્યું. વાયકા મુજબ, બીજી વખત કણ્વ મુનિનાં ભક્તિનાં પ્રભાવથી શિવલીંગમાંથી ભોળાનાથ પ્રકટ થયા. જેમને પાંચમુખ, દશભૂજા અને ત્રણ નેત્ર હતા. તે શિવની મૂર્તિ આજે પણ ત્રિનેત્રેશ્ર્વર મંદિરમાં સ્થાપિત છે.
અર્જુને પાણીમાં માછલીની આંખ વીંધી
પાંચાળ એટલે પૌરાણિક કથાઓનું ઘર. પૌરાણિક કથા અનુસાર, આ મેળો પ્રાચીનકાળથી અહીં ભરાય છે. તેની ઉત્પત્તિ દ્રૌપદીના સ્વયંવરની કથા સાથે જોડાયેલી છે. દ્રૌપદીનો સ્વયંવર આ જ સ્થાને યોજાયો હતો. આ કુંડનાં પાણીમાં પ્રતિબિંબ જોઈ મહાન તીરંદાજ અર્જુને માછલીની આંખ વીંધવાનું મુશ્કેલ કાર્ય માત્ર પાણીમાં તેના પ્રતિબિંબને જોઈને કર્યું હતું. આ પરાક્રમ દ્વારા દ્રૌપદીને પામીને વિવાહ કર્યા હતા. દ્રૌપદી એટલે કે પાંચાલીના નામે આ ભૂમિ “પાંચાલભૂમિ” તરીકે ઓળખાયાની લોકવાયકા પણ છે.