સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરાને પોલીસે પાઠવેલા સમન્સ બાદ મુશ્કેલીમાં વધારો થયો છે. જેમાં હવે કુણાલ કામરાએ બોમ્બે હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. કામરાએ કોર્ટને ખાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી પોલીસ ફરિયાદ રદ કરવાની વિનંતી કરી છે. કુણાલ કામરાએ મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હતી.આ અંગે કુણાલ કામરાના વકીલ નવરોઝ સીરવઈ અને એડવોકેટ અશ્વિન થૂલ દ્વારા આજે બોમ્બે હાઈકોર્ટના જસ્ટિસ સારંગ કોટવાલ અને એસએમ મોડકની બેન્ચ સમક્ષ આ અરજી દાખલ કરવામા આવશે.
કુણાલ કામરા અને એકનાથ શિંદે વચ્ચેનો વિવાદ ગયા મહિને શરૂ થયો હતો, જ્યારે સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરાએ તેમના શોમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર કટાક્ષ કર્યો હતો. કામરાએ બોલિવૂડના એક ગીતનું પેરોડી કરીને શિંદેના રાજકીય કારકિર્દી પર વ્યંગ કર્યો હતો. કામરાની ટિપ્પણી 2022 માં ઉદ્ધવ ઠાકરે સામે શિંદેના બળવો અને મહા વિકાસ આઘાડી સરકારના પતન સાથે સંબંધિત હતી.
23 માર્ચ, 2025 ના રોજ કામરાએ આ વિડિઓ તેની યુટ્યુબ ચેનલ અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો, જે ઝડપથી વાયરલ થયો. આ પછી 24 માર્ચે, શિંદે જૂથના શિવસૈનિકોએ મુંબઈના ખાર વિસ્તારમાં હેબિટેટ કોમેડી ક્લબ અને હોટેલ યુનિકોન્ટિનેન્ટલમાં તોડફોડ કરી, જ્યાં આ શો રેકોર્ડ કરવામાં આવ્યો હતો.
શિવસેનાના કાર્યકરોએ દાવો કર્યો હતો કે કામરાએ શિંદેનું અપમાન કર્યું હતું, અને તેમની ધરપકડની માંગ કરી હતી. મુંબઈના ખાર પોલીસ સ્ટેશનમાં FIR પણ દાખલ કરવામાં આવી હતી.
પોલીસે કામરાને સમન્સ પાઠવ્યું
ખાર પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 356(2) (માનહાનિ) હેઠળ કેસ નોંધ્યો અને તેમને ત્રણ સમન્સ જારી કર્યા. કામરા 5 એપ્રિલે પૂછપરછ માટે હાજર થયા ન હતા. આ ઉપરાંત જલગાંવના મેયર, નાસિકના એક હોટેલિયર અને એક ઉદ્યોગપતિએ પણ તેમની વિરુદ્ધ ફરિયાદો નોંધાવી હતી.