દિલ્હીમાં રહેતા લોકો માટે સારા સમાચાર છે. આજથી ગરીબોને આયુષ્માન યોજનાનો લાભ મળશે. આ સુવિધા હેઠળ નોંધાયેલા વ્યક્તિઓ દિલ્હી સહિત દેશભરની ખાનગી હોસ્પિટલોમાં 10 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મેળવી શકશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેરાત કરી હતી કે દિલ્હી સરકાર રાષ્ટ્રીય રાજધાનીમાં આયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના લાગુ કરવા માટે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સાથે શનિવારે એક એમઓયુ પર હસ્તાક્ષર કરશે.
કેન્દ્ર સરકારની આયુષ્માન યોજના ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને સારી સારવાર આપવા માટે છે. આ લોકોને દિલ્હીમાં પણ આ યોજનાનો લાભ મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જેની પાસે AAY કાર્ડ છે તેમના કાર્ડ પહેલા બનાવવામાં આવશે. આ પછી બીપીએલ કાર્ડ ધારકોનો વારો આવશે. 10 એપ્રિલ સુધીમાં ઓછામાં ઓછા 1 લાખ લોકો માટે આયુષ્માન યોજના બનાવવાનું લક્ષ્ય છે.
તાજેતરની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં, ભાજપે AB-PMJAY લાગુ કરવાનું વચન આપ્યું હતું. આ મામલે અધિકારીઓએ માહિતી આપતાં જણાવ્યું હતું કે AB-PMJAY સાથે આ યોજનાઓને મર્જ કરવાની વિચારણા ચાલી રહી છે. સંભવત આગામી સમયમાં લોકોને વધુ સુવિધા આપતી આ યોજનાઓને AB-PMJAYમાં સમાવેશ કરવામાં આવી શકે છે.
CM રેખા ગુપ્તાએ સત્તામાં આવ્યા પછી તેમની પહેલી કેબિનેટ બેઠકમાં AB-PMJAYનો સમાવેશ કર્યો હતો. આ મહિનાની શરૂઆતમાં તેમના પહેલા બજેટ ભાષણમાં ગુપ્તાએ જાહેરાત કરી હતી કે દિલ્હી સરકાર ફક્ત આ યોજના લાગુ કરશે નહીં, પરંતુ દરેક પાત્ર પરિવારને પાંચ લાખ રૂપિયાનું વધારાનું ટોપ-અપ પણ આપશે. આ પછી પરિવારદીઠ વીમા કવચ 10 લાખ રૂપિયા હશે. દિલ્હીમાં સત્તામાં આવ્યા બાદ તેમણે જણાવ્યું અમે નાગરિકોને વધુ સુવિધા આપવા તેમના હિતમાં અનેક નિર્ણયો લીધા છે તેમ જ નવી યોજનાઓ પણ શરૂ કરીશું.