વકફ સુધારા બિલ લોકસભામાં બહુમતીથી પસાર થઈ ગયું છે. બિલના પક્ષમાં 288 મત પડ્યા હતા, જ્યારે તેની વિરુદ્ધમાં 232 મત પડ્યા હતા. ગૃહે વિપક્ષના તમામ સુધારાઓને ધ્વનિ મતથી નકારી કાઢ્યા હતા. લોકસભામાં આ બિલ પર 12 કલાકથી વધુ સમય સુધી ચર્ચા થઈ હતી અને આ મહત્વપૂર્ણ બિલ પસાર કરવા માટે ગૃહની બેઠક રાત્રે લગભગ 2 વાગ્યા સુધી ચાલુ રહી હતી. હવે આ બિલને આજે રાજ્યસભામાં રજૂ કરવામાં આવી શકે છે.
વકફ સુધારા બિલ લોકસભામાં પસાર થઈ ગયું છે. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ મોડી રાત્રે 1.56 વાગ્યે આ જાહેરાત કરી હતી. બિલના સમર્થનમાં 288 મત પડ્યા હતા, જ્યારે તેની વિરુદ્ધમાં 232 મત પડ્યા હતા. હવે તેને રાજ્યસભામાં મોકલવામાં રજૂ કરવામાં આવશે. સૌથી મોટું રાહસે ગણાતા NDAનાં સાથી પક્ષોએ આ બિલને ટેકો આપ્યો હતો. આ બિલની ચર્ચા દરમિયાન વિપક્ષે બિલનાં વિરોધમાં જોરદાર હંગામો કર્યો હતો.
વક્ફ બિલમાં કયા સુધારા થશે?
- જિલ્લા કલેક્ટર પાસે વક્ફ મિલકતોની નોંધણી કરાવવી, જેથી તેની સાચી કિંમત અને સ્થિતિનું મૂલ્યાંકન કરી શકાય તથા મિલકતોના સંચાલનમાં પારદર્શકતા અને કાર્યક્ષમતા આવે.
- વક્ફ બોર્ડના સભ્યોની પસંદગી ચૂંટણી દ્વારા કરવાને બદલે સરકાર દ્વારા નિમણૂક થશે. પ્રત્યેક બોર્ડમાં ઓછામાં ઓછા બે સભ્યો બિન-મુસ્લિમ હશે. બિન-મુસ્લિમને પણ બોર્ડના સીઈઓ બનવાની તક મળશે.
- સામુદાયિક સમાનતા લાવવા માટે વક્ફ બોર્ડમાં મહિલાઓને પણ સભ્યપદ અપાશે.
વિપક્ષ અને મુસ્લિમ સમાજ શા માટે વિરોધમાં?
સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા વક્ફ બિલના સુધારાનો મુસ્લિમ સમુદાય અને વિપક્ષ વિરોધ કરી રહ્યા છે. આ બાબતે તેમણે નીચે મુજબના મુદ્દા આગળ કર્યા છે.
- પ્રસ્તાવિત સુધારા લાગુ કરવાથી વક્ફ બોર્ડના કામકાજમાં સરકારની દખલગીરી વધશે, જેને લીધે મુસ્લિમોની ધાર્મિક બાબતો પ્રભાવિત થશે.
- મુસ્લિમ સમુદાયની સ્વતંત્રતા પર પણ અસર થશે અને તેમના અધિકારો નબળા પડશે. પોતાની સંપત્તિ સ્વેચ્છાએ વક્ફને દાન કરવાના મુસ્લિમ વ્યક્તિના હક પર પ્રતિકૂળ અસર પડશે.
- વક્ફ બોર્ડમાં સત્તાનું કેન્દ્રીકરણ થશે, જેનાથી લોકતાંત્રિક મૂલ્યોને નુકસાન થશે.
- હિન્દુ મંદિરો અને ટ્રસ્ટોના બોર્ડમાં બિન-હિંદુઓને સ્થાન નથી મળતું, તો પછી વક્ફમાં બિન-મુસ્લિમોને પ્રવેશ આપવાનો આગ્રહ કેમ? – એવો પ્રશ્ન મુસ્લિમો કરી રહ્યા છે.
- વક્ફ પ્રોપર્ટીને સરકારી મેનેજમેન્ટ દ્વારા નિયંત્રિત કરીને સરકાર લાંબે ગાળે અમુકતમુક મિલકતો પોતાને હસ્તક લઈ લેશે.
કયા કારણસર વક્ફ બિલ લાવી સરકાર?
- 1995ના કાયદામાં વક્ફ પ્રોપર્ટી, ટાઈટલ વિવાદો અને વક્ફ જમીનના ગેરકાયદે કબજાના નિયમન સંબંધિત કેટલીક છટકબારી છે. આ છટકબારી સુધારીને વક્ફ પ્રોપર્ટીના સંચાલનમાં પારદર્શકતા લાવીને તેના સંચાલનને વધુ અસરકારક બનાવવું જરૂરી છે.
- વક્ફ પ્રોપર્ટીની કોઈ ન્યાયિક દેખરેખ નથી, વ્યવસ્થિત મૂલ્યાંકન થતું નથી.
- વક્ફ બોર્ડના બંધારણમાં મર્યાદિત વિવિધતા છે.
- બોર્ડના વર્તમાન નિયમો સત્તાનો દુરુપયોગ કરવાની તક આપે છે.
- વક્ફ બોર્ડ અને સ્થાનિક મહેસૂલ સત્તાવાળાઓ વચ્ચે અસરકારક સંકલનનો અભાવ છે.
- મિલકત પર દાવો કરવા માટે વક્ફ બોર્ડને વ્યાપક સત્તા અપાઈ છે, જે વિવાદો અને કોર્ટ કેસની સ્થિતિમાં પરિણમે છે.
વકફ સુધારા બિલની ચર્ચા દરમિયાન AIMIM પાર્ટીના વડા અસદુદ્દીન ઓવૈસીનાં આકરા રૂપમાં જોવા મળ હતા. તેમણે લોકસભામાં કહ્યું કે – આ બિલમાં વકફ અલ ઔલાદ નિયમ કલમ 25 નું ઉલ્લંઘન છે. આ કાયદો દેશમાં હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે વિવાદ પેદા કરવા માટે લાવવામાં આવ્યો છે. તેમણે કહ્યું આ બિલનો હેતુ ફક્ત મુસ્લિમોને અપમાનિત અને બદનામ કરવાનો અને તેમને બીજા વર્ગના નાગરિક બનાવવાનો છે. મહાત્મા ગાંધીએ દક્ષિણ આફ્રિકાના કાયદાને ફાડી નાખ્યો હતો, તેથી હું આ બિલને ફાડી નાખું છું.
વિવાદાસ્પદ વક્ફ મિલકતોનો કબજો સરકાર લેશે?
અત્યાર સુધી એવું થતું આવ્યું છે કે, કોઈ પ્રોપર્ટી અમુક સમયગાળા માટે ધાર્મિક હેતુસર મુસ્લિમો દ્વારા ઉપયોગમાં લેવામાં આવી હોય તો વક્ફ તે પ્રોપર્ટીને પોતાને હસ્તક લઈ લેતું હતું. આ રીતે સરકારી જમીનો પણ વક્ફ હસ્તક જતી રહી છે. નવું બિલ આ મુદ્દે તપાસ કરવાની છૂટ આપશે. એના અંતર્ગત કાયદેસર વક્ફ સંપત્તિ તો વક્ફ પાસે જ રહેશે, પણ જે સંપત્તિ ફક્ત વપરાશને કારણે વક્ફ હસ્તક લઈ લેવાઈ છે, એ સરકાર પાછી લઈ શકશે.
સરકારના ઈરાદા સામે શંકા
વક્ફ બિલ મુદ્દે સરકારના ઈરાદા પર શંકા કરતો નિષ્ણાતોનો એક વર્ગ એમ પણ કહે છે કે, દેશના અન્ય વધુ જરૂરી મુદ્દા પરથી પ્રજા અને મિડીયાનું ધ્યાન હટાવવા માટે આ સમગ્ર ખેલ રચાયો છે. મોંઘવારી, બેરોજગારી, સતત તૂટતો રૂપિયો તેમજ અમેરિકા સાથેનું ટેરિફ યુદ્ધ જેવી બાબતો પરથી ધ્યાન હટાવવા માટે અને બિહારની ચૂંટણીમાં મતોનું ધ્રુવીકરણ કરવા સરકારે આ મુદ્દો ઉઠાવ્યો છે.