સુરત મહાનગરપાલિકા માટે રસ્તાના પ્રશ્ન બાબતે એક સાંધે તો તેર તૂટે જેવી સ્થિતિ સર્જાય છે. છેલ્લા દોઢ મહિનામાં સુરતીઓ સૌથી વધારે ત્રસ્ત ખરાબ રસ્તાના કારણે થયા છે. વરાછાના ધારાસભ્યએ વધુ એક પત્ર લખ્યો છે. શહેરની જનતાને ખાડારાજના ત્રાસથી મુક્ત કરાવવા પત્ર લખ્યો છે. કુમાર કાનાણીએ સુરત મહાનગર પાલિકાના કમિશનરને પત્ર લખ્યો છે. પત્ર લખી તંત્રના કાન આમળવાનો ફરી પ્રયાસ કર્યો છે. ખાડાઓથી લોકો ત્રાહિમામ, છતાં મનપાનું તંત્ર મૂર્છા અવસ્થામાં હોવાનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે. યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધરવામાં આવે અને ખાડા રાજમાંથી શહેરીજનોને મુક્ત કરાવવા તેમણે પત્રમાં માગ કરી છે.
એક તરફ શહેરભરમાં ટ્રાફિક સિગ્નલ લગાડી દેવામાં આવ્યા છે, જેમાં અલગ-અલગ ટાઈમ પ્રમાણે ત્યાંથી પસાર થવાનું હોય છે. પરંતુ રસ્તાઓની સ્થિતિ એટલી ખરાબ છે કે બમણો સમય પસાર કરવામાં થઈ રહ્યો છે. જેના કારણે ટ્રાફિક સિગ્નલ ઉપરથી ખૂબ ઓછા વાહનો પ્રસાર થાય છે. જેને કારણે ટ્રાફિકની સમસ્યા વધુ વક્રી રહી છે. વરાછા વિધાનસભાના ધારાસભ્યએ મ્યુનિસિપલ કમિશનરને ખખડધજ રસ્તા બાબતે પત્ર લખ્યો છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા ચોમાસા દરમિયાન શહેરના તૂટેલા રસ્તાને યુદ્ધના ધોરણે રિપેર કરવાની વાત કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કમિશનર દ્વારા સાત દિવસમાં જ રસ્તા રિપેરિંગ કામ પૂર્ણ કરવા માટેની તાકીદ કરી દેવામાં આવી હતી. પરંતુ હજી સુધી શહેરના મોટાભાગના રસ્તાઓ રિપેર થયા નથી. મેયર દ્વારા પર આ બાબતે વારંવાર મ્યુનિસિપલ કમિશનરનું ધ્યાન દોરવામાં આવ્યું હતું, પરંતુ શહેરના રસ્તાઓ બિસ્માર સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. છેલ્લા એક સપ્તાહમાં જે રીતે ધોધમાર વરસાદ શહેરમાં વરસી રહ્યો છે, તેના કારણે હતા એના કરતાં પણ વધારે ખરાબ સ્થિતિમાં શહેરના રસ્તાઓ થઈ ગયા છે.
આ પણ વાંચો :-