લોકસભા ચૂંટણી વચ્ચે બિહારથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ભાજપે ભોજપુરી સુપરસ્ટાર પવન સિંહને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. વિગતો મુજબ પવનસિંહ કારાકાટ લોકસભા બેઠક પરથી NDA ઉમેદવાર ઉપેન્દ્ર કુશવાહ સામે અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે. પવન સિંહ વિરુદ્ધ અનુશાસનહીનતા અને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે. બિહાર BJP અધ્યક્ષ સમ્રાટ ચૌધરીના આદેશ પર તેમને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે.
બિહાર ભાજપ અધ્યક્ષ સમ્રાટ ચૌધરીના નિર્દેશ પર આ કાર્યવાહી કરવામાં આવી છે. ભાજપ સામે બળવો કર્યા બાદ પવન સિંહે કારાકાટ બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. જેના કારણે એનડીએ ઉમેદવાર ઉપેન્દ્ર કુશવાહાની મુશ્કેલીઓ વધી ગઈ છે. ભાજપે પશ્ચિમ બંગાળની આસનસોલ બેઠક પરથી ભાજપે અગાઉ પવન સિંહને લોકસભાની ટિકિટ આપી હતી. પરંતુ પવને તે બેઠક પરથી ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો હતો. તેની બાદ પવન સિંહે કારાકાટ લોકસભા બેઠક પરથી સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી.
આ પહેલાં લોકસભા ચૂંટણી ૨૦૨૪ માટે જાહેર કરાયેલા ઉમેદવારોની પ્રથમ યાદીમાં ભાજપે પશ્ચિમ બંગાળના આસનસોલથી પવન સિંહને ટિકિટ આપી હતી. ભોજપુરી સ્ટારે ટિકિટ મેળવવા પર ભાજપ અને ટોચના નેતૃત્વનો આભાર વ્યક્ત કર્યો હતો અને આસનસોલ સાથેના તેમના લોહી-પસીના અને આજીવિકાના સંબંધ વિશે જણાવ્યું હતું, પરંતુ એક દિવસ પછી તેમણે બંગાળમાંથી ચૂંટણી લડવાની અસમર્થતા વ્યક્ત કરી. ત્યાર પછી ભાજપે તેમના સ્થાને એસએસ અહલુવાલિયાને આસનસોલથી ઉમેદવાર બનાવ્યા. TMCએ આ સીટ પરથી અભિનેતા શત્રુઘ્ન સિંહાને મેદાનમાં ઉતાર્યા છે.
પવન સિંહે થોડા દિવસો પછી જાહેરાત કરી કે તેઓ કરકટથી ચૂંટણી લડશે. તેણે X પર એક પોસ્ટમાં લખ્યું, ‘માતા ગુરુતારા ભૂમેરુ. મતલબ કે માતા આ ભૂમિ કરતાં ઘણી ભારે છે અને મેં મારી માતાને વચન આપ્યું હતું કે હું આ વખતે ચૂંટણી લડીશ. મેં નક્કી કર્યું છે કે હું ૨૦૨૪ની લોકસભા ચૂંટણી બિહારના કારાકાટથી લડીશ. જય માતા દી.’ રાષ્ટ્રીય લોક મોરચાના પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહા કારાકાટથી NDAના અધિકૃત ઉમેદવાર છે. પવન સિંહ ચૂંટણી લડવાથી કારાકાટ બેઠક પરની હરીફાઈ ત્રિકોણીય બની ગઈ છે. CPIMLના રાજારામ સિંહ કુશવાહા અહીંથી INDIA મહાગઠબંધન વતી ચૂંટણી લડી રહ્યા છે. આ સીટ પર સાતમા અને અંતિમ તબક્કામાં 1 જૂને મતદાન થવાનું છે. લોકસભા ચૂંટણી ૨૦૨૪ના પરિણામો ૪ જૂને જાહેર થશે.
આ પણ વાંચો :-