Wednesday, Jan 28, 2026

ઘરે થી ચા પીવા નીકળ્યો અને પછી  પાછો જ ના આવ્યો એવું તે શું થયું યુવક સાથે….

2 Min Read
  • સુરતના પાંડેસરા વિસ્તારમાં વધુ એક યુવાનનું ઢીમ ઢાળી દેવામાં આવતા હડકંપ મચી ગયો છે. બીજી બાજુ કંધોતરના મોતને પગલે પરિવારજનો કાળો કલ્પાંત ફેલાયો છે.

સુરતના પાંડેસરા વિસ્તારમાં ચપ્પુના ઘા ઝીંકી યુવાનને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હોવાની ઘટના સામે આવતા સનસનાટી મચી જવા પામી છે. વધુમાં તેમના સાથી મિત્રને પણ ચપ્પુના ઘા મારતા તેમની ગંભીર હાલત થઇ છે. મહત્વનું છે કે મૃતક યુવાન અને તેનો મિત્ર રાત્રિના સમયગાળા દરમિયાન ચા પીવા ગયા હતા. જ્યાં ઝઘડો થતા પરત ફરતી વેળાએ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં સારવાર દરમિયાન યુવાને દમ તોડી દેતા પરિવારજનોમાં અરેરાટી મચી છે.

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ પ્રિયંકા ચોકડી પર ૨૩ વર્ષીય સનાતન ઉર્ફે રાજ અભિમન્યુ નામના યુવકની હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં રાત્રીના સમયગાળા દરમિયાન ચાની દુકાન ચલાવતો યુવક મિત્રો સાથે ચા પીવા ગયો હતો. જ્યા ચાની લારી નજીક ઝઘડો થતો હોવાથી આ દ્રશ્યો જોઈ પરત ફરતા ફરી રહ્યા હતા.

ત્યારે બે બાઈક ચાલકોએ પીછો કર્યો હતો અને યુવાનના બાઈકને ટક્કર મારી પછાડી દીધા હતા. બાદમાં અજાણ્યાં શખ્સો રાજ સહીત બે મિત્રોને ચપ્પુના ઘા માર્યા હતા. જેમાં રાજનું સારવાર દરમિયાન મોત થયું છે. જ્યારે એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે હુમલાખોરને જોઈ અન્ય એક મિત્ર ભાગી જતાં તેમનો બચાવ થયો છે.

આરોપીઓએ રાજને છરાના ઘા ઝીંક્યા હતા જ્યારે તેના મિત્ર પર પણ છરા વડે હુમલો કર્યો હતો. જેથી બન્નેને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બનાવની જાણ થતા યુવાનના પરિવારજનો પણ દોડી આવ્યા હતા. જોકે દીકરાનું મોત થયું હોવાનું સામે આવતા પરિવાર શોકના સાગરમાં ડૂબી ગયો છે. હાલ આ પ્રકરણની પાંડેસરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :-

Share This Article