Tuesday, Nov 11, 2025

સસ્તું, સરળ અને કુદરતી રીતે વજન નિયંત્રણ કરવાનું શસ્ત્ર એટલે પાણી

2 Min Read

આજના સમયમાં લોકો તંદુરસ્ત જીવનશૈલીથી દૂર જઈ રહ્યા છે. તળેલું ખાવું, બહારના પેકેટ્સ, કોલ્ડ્રીંકસ જેવી ચીજવસ્તુઓનું વધતું સેવન અને શારીરિક પ્રવૃત્તિમાં ઘટાડો આ બધું મળીને મેદસ્વિતાને આમંત્રણ આપે છે. મેદસ્વિતા ઘટાડવા લોકો દવાઓ, ડાયટ પ્લાન, અને મોંઘા-મોંઘા ફિટનેસ ટૂલ્સનો સહારો લે છે, પરંતુ મોટા ભાગના લોકો પાણીના પાવરથી અજાણ છે. શરીરના દરેક કાર્યમાં પાચનથી લઇ દિમાગી ચેતના સુધી પાણીનું ખૂબ મહત્વ છે.

હાલનાં માર્કેટિંગ યુગમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધી બધાને કોલ્ડ્રીંક, સ્પોર્ટ્સ ડ્રિંક, ફ્રુટ ફ્લેવર્ડ વોટર વગેરે તરફ આકર્ષિત કરવામાં આવે છે. આવી ડ્રિંક્સમાં ખાંડ, કેલરી અને આર્ટિફિશિયલ કેમીકલ ભરપૂર હોય છે. આ પીણાઓ માત્ર મેદસ્વિતા નહિ, પરંતુ ડાયાબિટીસ અને હ્રદય રોગ જેવી ગંભીર બીમારીઓનું જોખમ પણ વધારતી હોય છે. તેથી જરૂરી છે કે આવા માઠા વિકલ્પોને પાણી જેવા સાદા, કુદરતી અને આરોગ્યદાયક વિકલ્પથી બદલવામાં આવે.

પાણી માત્ર તરસ બુઝાવવાનું સ્ત્રોત નથી તે એક એવું તત્ત્વ છે, જે શરીરના અનેક કાર્ય માટે મહત્વપૂર્ણ છે અને ખાસ કરીને વજન ઘટાડવા માટે તો અત્યંત અસરકારક છે. નિયમિત પણે પાણી પીવાથી ભૂખ ઘટે છે. ઘણી વાર આપણે જેને ભૂખ માનીએ છીએ, તે ખરેખર તરસ હોય છે. પાણી પીવાથી મગજને સંકેત મળે છે કે પેટ ભરેલું છે. પાણી ખોરાકને પચાવવામાં મદદરૂપ થાય છે. યોગ્ય રીતે પચેલા ખોરાકમાંથી શરીરને પૂરતું પોષણ મળે છે અને ચરબીના રૂપમાં બાકી ઘટકો જમા થતાં અટકે છે. વ્યાયામ કરતાં પહેલાં અને પછી પાણી પીવાથી શરીરની ઉર્જા સ્તર જળવાઈ રહે છે અને શરીર વધુ કાર્યક્ષમ રહે છે. જેથી વધારાની કેલરી બળી જાય છે.

દરેક વ્યક્તિની જરૂરિયાત અલગ હોઈ શકે છે, પણ સામાન્ય રીતે દિનચર્યા મુજબ ૮ થી ૧૦ ગ્લાસ (૨.૫ થી ૩ લિટર) પાણી પીવું જોઈએ. ઊનાળામાં, કસરત કર્યા પછી, અથવા વધુ આઉટડોર કામ હોય ત્યારે વધુ પાણી પીવુ જરૂરી છે. દરેક ૧ કલાકે થોડું પાણી પીવાથી શરીરનું હાઈડ્રેશન જળવાઈ રહે છે. 

Share This Article