Thursday, Jul 2, 2026

અમેરિકામાં હોટેલમાં આગ લાગતા નડિયાદના પરિવારના ત્રણનાં મોત

4 Min Read

અમેરિકાના મેસેચ્યુસેટ્સ રાજ્યના વુસ્ટર શહેરમાં આવેલી ઈકોનો હોટલમાં અચાનક ફાટી નીકળેલી ભીષણ આગમાં મૂળ ગુજરાતના નડિયાદના એક જ પરિવારના ત્રણ સભ્યોના ગૂંગળામણના કારણે કરુણ મોત નીપજ્યા હતા. છેલ્લા 2 વર્ષથી ઉજ્જવળ ભવિષ્યની આશા સાથે અમેરિકામાં સ્થાયી થયેલા હિતેશ સુથાર, તેમના પત્ની હિનાબેન અને 20 વર્ષની પુત્રી ઈશાનીનું આ અકસ્માતમાં ઘટનાસ્થળે જ મોત થયું હતું. આગથી બચવા માટે પરિવારે બાથરૂમનો આશરો લીધો હતો, પરંતુ ઝેરી ધુમાડો ફેલાઈ જતાં સમયસર બહાર ન નીકળી શકવાના કારણે સમગ્ર હસતો-ખેલતો પરિવાર કાળનો કોળિયો બની ગયો હતો.

આ દુર્ઘટનાને પગલે નડિયાદમાં વસતા તેમના સ્નેહીજનોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે.મૂળ નડિયાદના વતની હિતેશ સુથાર પોતાના પરિવાર સાથે પ્રગતિના પંથે આગળ વધવા માટે માત્ર 2 વર્ષ પહેલાં જ અમેરિકા આવ્યા હતા. તેઓ ઓહાયોના વુસ્ટર ખાતે આવેલી ઈકોનો લોજમાં રહીને પોતાના નવા જીવનની શરૂઆત કરી રહ્યા હતા. 20 વર્ષની દીકરી ઈશાનીના ભવિષ્ય અને પરિવારની આર્થિક સધ્ધરતા માટે લીધેલો આ નિર્ણય આટલો ઘાતક સાબિત થશે તેની કોઈએ કલ્પના પણ કરી ન હતી. સુથાર પરિવાર જે હોટલમાં રોકાયો હતો, ત્યાં અચાનક જ અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી.

આગ એટલી ઝડપથી ફેલાઈ કે જોતજોતામાં આખી ઇમારતને લપેટમાં લઈ લીધી હતી. ચારેય તરફ કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા ફેલાઈ જતાં રૂમની બહાર નીકળવાના તમામ રસ્તાઓ બંધ થઈ ગયા હતા અને લોજમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.બહાર નીકળવાનો કોઈ માર્ગ ન દેખાતાં હિતેશભાઈ, હિનાબેન અને દીકરી ઈશાનીએ જીવ બચાવવા માટે પોતાના રૂમના બાથરૂમમાં ભરાઈ જવાનું નક્કી કર્યું હતું. તેમણે સુરક્ષાના ભાગરૂપે બાથરૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. જો કે, આ નિર્ણય તેમના માટે કાળ સાબિત થયો, કારણ કે આગની તીવ્રતા વધતાં ઝેરી ધુમાડો વેન્ટિલેશન અને તિરાડો વાટે બાથરૂમની અંદર પણ પહોંચી ગયો હતો.ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પ્રશાસન અને ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી.

ફાયર ફાઈટર્સે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે, આગ એટલી ભયાનક હતી કે બચાવ ટૂકડીને સુથાર પરિવારના રૂમ સુધી પહોંચવામાં ઘણો સમય લાગી ગયો હતો. જ્યારે ફાયર વિભાગના જવાનો બાથરૂમનો દરવાજો તોડીને અંદર પ્રવેશ્યા, ત્યારે ત્રણેય સભ્યો મૃત હાલતમાં મળી આવ્યા હતા. લાંબા સમય સુધી ઝેરી ધુમાડા શ્વાસમાં જવાથી ત્રણેયનું ગૂંગળામણના કારણે કરુણ મોત નીપજ્યું હતું.મોટેલના કર્મચારી એપ્રિલ ગ્રેસરે તે ભયાનક રાત વિશે જણાવ્યું હતું કે, મોડી રાત્રે 1:30 વાગ્યાની આસપાસ અચાનક ફાયર એલાર્મ વાગવા લાગ્યા હતા. રૂમ નંબર 121માં રોકાયેલા એક ગેસ્ટે આવીને જણાવ્યું હતું કે મોટેલમાં આગ લાગી છે અને તુરંત 911 પર કોલ કરવા કહ્યું હતું. એપ્રિલે જ્યારે સિક્યોરિટી કેમેરામાં જોયું તો બિલ્ડિંગના સાઉથ-વેસ્ટ ખૂણામાંથી આગની ભયાનક જ્વાળાઓ નીકળી રહી હતી. એ જ ક્ષણે ફ્રન્ટ ડેસ્ક પર ફોનની ઘંટડી વાગી. આ ફોન આગમાં ફસાયેલા એ જ કમનસીબ ગુજરાતી પરિવારનો હતો, જેઓ અંદર બાથરૂમમાં જ ફસાઈ ગયા હતા અને મદદ માટે આજીજી કરી રહ્યા હતા. પરંતુ આગ એટલી ઝડપથી ફેલાઈ કે તેમને બચાવી શકાયા નહીં. વુસ્ટર ટાઉનશિપના ફાયર ચીફ ડાલાસ ટેરેલે જણાવ્યું કે, જ્યારે ફાયર ફાઈટર્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે આગની જ્વાળાઓ મોટેલની છત સુધી પહોંચી ગઈ હતી. ભારે ધુમાડા અને અસહ્ય ગરમી વચ્ચે પણ મોટેલના અન્ય રૂમો ખાલી કરાવવાનું શરૂ કરવામાં હતું. આ ભીષણ આગ પર કાબૂ મેળવતી વખતે એક ફાયર ફાઈટર પણ સામાન્ય દાઝી જતાં ઘાયલ થયો હતો, જેને સારવાર આપવામાં આવી છે. હાલ આ મોટેલને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે અને ત્યાં રોકાયેલા લોકો ગભરાયેલા છે. રેડ ક્રોસ સંસ્થા દ્વારા તેમને રહેવા અને જમવાની મદદ પૂરી પાડવામાં આવી રહી છે.

ફાયર વિભાગ અને સ્થાનિક પોલીસ આગ કયા કારણોસર લાગી તેની સઘન તપાસ કરી રહી છે. આ કરુણ સમાચાર નડિયાદ અને ખેડા જિલ્લામાં પહોંચતાં જ મૃતકોના સગાં-સંબંધીઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે, આ તરફ મૃતકોના સંબંધીઓ મૃતકોના પાર્થિવ દેહ ભારતમાં લાવવા માટે અધિકારીઓના સંપર્કમાં છે.

Share This Article