Friday, Apr 25, 2025

હૉસ્પિટલમાંથી બાળકોની ચોરી મુદ્દે સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્ત્વનો આદેશ, જાણો

2 Min Read

સુપ્રીમ કોર્ટે બાળ તસ્કરીના વધતા કેસોને નિયંત્રિત કરવા માટે મહત્વનો ચુકાદો આપ્યો છે. તેમજ અનેક અવલોકનો કર્યા છે. રાજ્ય સરકારોને તેનો અમલ કરવા આદેશ આપ્યો છે. કોર્ટે રાજ્ય સરકારોને નવજાત શિશુઓની ચોરી સંબંધિત કેસોમાં કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે. જેમાં કહ્યું છે કે સૌ પ્રથમ જે હોસ્પિટલમાંથી નવજાત બાળકની ચોરી થાય છે તેનું લાઇસન્સ રદ કરવું જોઈએ.

આ સમગ્ર કેસની વિગત મુજબ વારાણસી અને તેની આસપાસની હોસ્પિટલોમાં બાળકોની ચોરીના કેસોના આરોપીઓને 2024 માં અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા હતા. બાળકોના પરિવારોએ આની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આ કેસની સુનાવણી કરતી વખતે, સુપ્રીમ કોર્ટે પોતાનો વ્યાપ વધાર્યો હતો. કોર્ટે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ અને ભારતીય વિકાસ સંસ્થા પાસેથી રિપોર્ટ માંગ્યો હતો.

તાજેતરના ચુકાદામાં, સુપ્રીમ કોર્ટના જસ્ટિસની આગેવાની હેઠળની બેન્ચે આરોપીના જામીન રદ કર્યા છે. કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે આ એક દેશવ્યાપી ગેંગ હતી. તેના ચોરાયેલા બાળકો પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને રાજસ્થાનમાંથી પણ મળી આવ્યા છે. સુપ્રીમ કોર્ટે આરોપીઓને સમાજ માટે ખતરો ગણાવ્યો છે. સુપ્રીમ કોર્ટે જામીનના આદેશને પડકાર ન આપવા બદલ ઉત્તર પ્રદેશ સરકારની પણ ટીકા કરી છે.

સુપ્રીમ કોર્ટે બાળ તસ્કરીના કેસમાં ભારતીય સંસ્થા દ્વારા આપવામાં આવેલા સૂચનોને પોતાના નિર્ણયમાં સામેલ કર્યા છે અને તમામ રાજ્ય સરકારોને તેને વાંચવા અને અમલમાં મૂકવા કહ્યું છે. કોર્ટે એક મહત્વપૂર્ણ નિર્દેશ આપતા કહ્યું છે કે જો કોઈ મહિલા બાળકને જન્મ આપવા માટે હોસ્પિટલમાં આવે છે અને ત્યાંથી નવજાત બાળક ચોરાઈ જાય છે, તો સૌ પ્રથમ સરકારે હોસ્પિટલનું લાઇસન્સ રદ કરવું જોઈએ. આનાથી બાળકોની ચોરીની ઘટનાઓને અમુક હદ સુધી નિયંત્રિત કરવામાં મદદ મળશે.

Share This Article