સુરતના વરાછા વિસ્તારમાં આવેલી SBI બેંકમાં થયેલી રૂ. 50 લાખની લૂંટના કેસમાં વરાછા પોલીસે વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે. આ સાથે સમગ્ર કેસમાં અત્યાર સુધી કુલ 7 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે.
ગત 27 એપ્રિલ, 2026ના રોજ લાંબે હનુમાન રોડ પર આવેલી SBI બેંકમાં પિસ્તોલ સહિતના હથિયારો સાથે લૂંટારુઓની ટોળકી ઘૂસી આવી હતી. આરોપીઓએ બેંકના સ્ટાફ અને ગ્રાહકોને બંધક બનાવી ગણતરીની મિનિટોમાં રૂ. 50 લાખની રોકડ લૂંટી ફરાર થઈ ગયા હતા.
ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો હતો કે આ સમગ્ર લૂંટનો માસ્ટરમાઇન્ડ બિહારની જેલમાં બંધ હતો અને તેણે જ જેલમાંથી બેઠા બેઠા લૂંટની યોજના બનાવી હતી. આ કેસમાં અગાઉ શુભમ ઠાકુર, વિક્રમજીત સિંહ રાજપૂત અને મિથેશકુમાર ઉર્ફે મહેશકુમાર લખેન્દ્ર રાય સહિતના આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે કુંદન ભગત નામના આરોપીએ બિહારની જેલમાંથી સમગ્ર કાવતરું રચ્યું હતું.
પોલીસે આરોપીઓ પાસેથી મહત્વના પુરાવા અને રોકડ રકમ કબજે કરી છે. હાલ પણ કેસમાં વધુ તપાસ ચાલુ છે અને અન્ય સંડોવાયેલા લોકોની ભૂમિકા અંગે તપાસ કરવામાં આવી રહી છે.