મોરબીના ઝૂલતો બ્રિજ તૂટતા ૧૩૫ લોકોના મૃત્યુ થયા હતાં. જેમાં પોલીસે ૧૦ આરોપીઓ સામે FIR નોંધી હતી. પુલ દુર્ઘટના મામલે આરોપી જયસુખ પટેલને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા હતા. ત્યારે હવે જયસુખ પટેલને હાઈકોર્ટથી પણ મોટી રાહત મળી છે. ગુજરાત હાઈકોર્ટમાં મોરબીના ઝૂલતા પુલ દુર્ઘટનાના પીડિતોના પુનર્વસનને લઈને સુનાવણી ચાલી રહી છે. પુલ દુર્ઘટના મામલે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરૂદ્ધ પી.માયીની ખંડપીઠે ઓરેવા કંપની અને તેના MD જયસુખ પટેલની ઝાટકણી કાઢી હતી. આ સુનાવણી દરમિયાન ઓરેવા કંપનીએ બિનશરતી માફી માગી હતી.
કોર્ટે કહ્યું હતું કે ઓરેવા કંપનીએ આ PILમાં પીડિતોને વળતર ચૂકવણી અંગે સહકાર આપવાની વાત કરી હતી. શું તમે મુંબઈમાં ખાનગી કંપનીમાં કામ કરતી અને આ દુર્ઘટનામાં ૪૦ ટકા દિવ્યાંગ બનેલી ૨૦૨૩-૨૦૨૪ વર્ષની યુવતી વિશે વિચાર્યું છે? તેનું આ સમાજમાં શું થશે? તેને હવે જીવનમાં સપોર્ટ મળશે કે કેમ? કોર્ટ આ યુવતીને જીવનમાં કોઈની જરૂર ના રહે તેવી વ્યવસ્થા કરવા વિચારે છે.દિવ્યાંગોને દયા દ્રષ્ટિથી જોવામાં આવે છે.
હાઇકોર્ટે પૂછ્યું કે, કંપનીએ કાયમી વળતર અંગે શું વિચાયું છે? કંપનીની CSR જવાબદારીઓનું શું? કંપની આ દુર્ઘટનામાં દોષિત છે, જે દોષ ક્ષમા યોગ્ય નથી ત્યારે કંપનીએ પીડિતો માટે કંઇક વધારે કરવું પડે, આ સામાન્ય અકસ્માત કે એક્ટ ઓફ ગોડ નથી. કંપનીએ જ્યારે બ્રિજનો કોન્ટ્રાક્ટ લીધો ત્યારે તેણે શ્રેષ્ઠ કામ કરવાની જરૂર હતી તે તમારી જવાબદારી બને છે. કંપની તમામ જવાબદારીમાં નિષ્ફળ નીવડી છે. તમને બેનિફિટ ઓફ ડાઉટ મળી શકે તેમ નથી. તમે જાહેર મિલકત સાથે રમત રમી છે, પીડિતોને વધારે આપવાની તમારી જવાબદારી છે.