દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે કરાવલ નગરમાં બે ફેક્ટરીઓ પર દરોડા પાડી સડેલા ચોખા, લાકડાનો વેર, અને કેમિકલયુક્ત મસાલાઓ જપ્ત કર્યા છે. આ બંને ફેક્ટરીમાં ભેળસેળયુક્ત જોખમી ખાદ્ય ચીજોનું ઉત્પાદન થઈ રહ્યું હતું. પોલીસે કરાવલ નગરમાં ૧૫ ટન બનાવટી મસાલા અને કાચો માલ જપ્ત કર્યો છે. આરોપી ખારી બાવલી, સધર્ન બજાર, લોની સહિત સમગ્ર એનસીઆર તથા અન્ય રાજ્યોમાં આ ભેળસેળવાળા મસાલા અને ખાદ્ય ચીજોનો સપ્લાય કરતો હતો. પોલીસની સૂચનાના આધારે ફૂડ સેફ્ટી વિભાગે મસાલાઓના સેમ્પલ લીધા છે.
પોલીસના જણાવ્યા મુજબ આ મસાલામાં સડેલા ચોખા, લાકડાનું ભૂસું અને કેમિકલ ભેળવવામાં આવતા હતા. જે લોકોની પોલીસે ધરપકડ કરી છે, એમાં કરાવલ નગરમાં દિલીપ સિંહ, મુસ્તફાબાદના સરફરાઝ અને લોનીના ખુરશીદ મલિક છે.
આ મસાલાને ૫૦-૫૦ કિલોની મોટી બોરીઓમાં ભરીને બજારોમાં મોકલવામાં આવતા હતા. પોલીસની સૂચના પર ફૂડ એન્ડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ નિરીક્ષણ કરીને તપાસ શરૂ કરી દીધી છે. પોલીસે ઘટનાસ્થેળેથી ૧૦૫૦ કિલો સડેલા ચોખા, ૨૦૦ કિલો સડેલો બાજરો, છ કિલો સડેલા નારિયલ, ૭૨૦ કિલો ખરાબ જાંબુ, ૨૪ કિલો સાઇટ્રિક એસિડ, ૪૦૦ કિલો લાકડાનું ભૂસું, ૨૧૫૦ કિલો પશુઓને ખવડાવવામાં આવતો ખોળ, ૪૪૦ કિલો ખરાબ લાલ મરચું, ૧૫૦ કિલો મર્ચાની દાંડીઓ અને પાંચ કિલો કેમિકલવાળો રંગ વગેરે જપ્ત કર્યો છે.
દિલ્હીની ક્રાઇમ બ્રાન્ચે બે ફેક્ટરીમાલિકો અને એક સપ્લાયરની ધરપકડ કરી છે. પોલીસ કમિશનર (ક્રાઇમ બ્રાન્ચ) રાકેશ પવારિયાએ કહ્યું હતું કે આ વ્યક્તિઓની પૂછપરછમાં માલૂમ પડ્યું હતું કે એક વધુ ફેક્ટરી કરાવલ નગરમાં કાલી ઘટા રોડ પર પણ ચાલી રહી છે. અને ત્યાં પણ દરોડા દરમ્યાન સરફરાઝને મિલાવટી મસાલા બનાવતા પકડવામાં આવ્યો હતો.