ભાજપ નેતા અને પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકીને આજે મોટી રાહત મળી છે, આજે હાઇકોર્ટમાં થયેલી સુનાવણીમાં દિનુ બોઘા સોલંકીને અમિત જેઠવા હત્યાકાંડ કેસ મામલે મોટી રાહત મળી છે. આ કેસમાં પકડાયેલા દિનુ બોધા સોલંકી સહિત તમામ આરોપીઓનો છૂટકારો થયો છે.
ગુજરાત હાઈકોર્ટમાં ભાજપના નેતા અને ભૂતપૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકીને મોટી રાહત મળી છે. અમિત જેઠવા હત્યા કેસમાં પકડાયેલા દીનુ બોઘા સોલંકી સહિત તમામ આરોપીઓનો છૂટકારો થયો છે. અન્ય આરોપીઓમાં શૈલેષ પંડ્યા, ઉદાજી ઠાકોર, શિવા પચાણ, શિવા સોલંકી, બહાદુરસિંહ વાઢેર (પોલીસ કોન્સ્ટેબલ) અને સંજય ચૌહાણ સામેલ હતા.
આખા કેસની વાત કરીએ તો ૨૦ જુલાઈ ૨૦૧૦ના રોજ હાઈકોર્ટ સામે લગભગ સાડા આઠ વાગ્યે અમિત જેઠવાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જેઠવા તે દિવસે હાઇકોર્ટમાં એફિડેવિટ કરવા માટે આવ્યા હતા કે ભાજપના નેતા દીનું બોઘાથી તેમના જીવને જોખમ છે. હત્યા બાદ અમિત જેઠવાના પિતા ભીખાભાઈ જેઠવાએ ગીર સોમનાથના પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકી સહિત ૭ લોકો સામે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.
આ મામલો એટલો વિવાદાસ્પદ હતો કે તેમાં તપાસ કરવા SITની રચના થઈ હતી અને સુરેન્દ્રનગરના તત્કાલીન SPને તપાસની જવાબદારી સોંપવામાં આવી. ત્યાર બાદ ભીખાભાઇ જેઠવાએ આ કેસની તાપસ CBIને સોંપવાની માગણી કરી. કોર્ટે તેને માન્ય રાખી હતી અને ૨૦૧૦થી કેસની તપાસ CBIને સોંપવામાં આવી હતી.