Monday, Jan 19, 2026

સુરતના સચિન SEZમાં ભાગેડુ નિરવ મોદીની બંધ જવેલરી કંપનીની ઓફિસમાં શંકાસ્પદ આગ ભભૂકી

2 Min Read

સુરતના સચિન રોડ પર આવેલી સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ)માં ભાગેડુ નિરવ મોદીની બંધ હાલતમાં રહેલી જવેલરી કંપનીની ઓફિસમાં શંકાસ્પદ આગ લાગવાની ઘટના સામે આવી છે. ગ્રાઉન્ડ ફ્લોર પર લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા પહેલા માળને પણ ઝપેટમાં લીધો હતો. ફાયર બ્રિગેડની ટીમે સતત 6 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગની ઘટનામાં મહત્વના દસ્તાવેજો સહિત ઓફિસમાં રહેલી તમામ સામગ્રી બળીને ખાખ થઈ ગઈ છે. જો કે આગ લાગવાને લઇને ઘણી શંકા-કુશંકા જોવા મળી રહી છે.

આ કંપનીને અગાઉ EDના દરોડા બાદ સીલ કરવામાં આવી હતી અને પાવર કનેક્શન પણ કટ કરી દેવામાં આવ્યા હતા, છતાં આગ લાગતા અનેક તર્ક-વિતર્કો ઉભા થયા છે. કંપનીમાં આગ સ્વયં લાગી કે કોઈએ આગ લગાડી તે બાબતે મોટો સવાલ ઉભો થયો છે. કંપનીમાં મોંઘી મશીનરી અને જવેલરી હોવાને કારણે ચોરીની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે, તેમજ ચોરીને છુપાવવા માટે આગ લગાડવામાં આવી હોવાની ચર્ચા પણ તેજ બની છે. ઘટનાને લઈને પોલીસ અને સંબંધિત એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

શુક્રવાર ફરી આગ લાગતાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ધુમાડાના ગોટાગોટા નીકળવા માંડ્યા હતા, જેના લીધે ત્યાંના હાજર લોકોમાં ભય ફેલાતાં અફરાતફરી અને દોડધામ થઈ જવા પામી હતી, જોકે પાલિકાના ફાયરબિગ્રેડને કોલ મળતાં લાશ્કરોનો કાફલો ઘટનાસ્થળે ધસી જઈને સતત પાણીનો છંટકાવ કરતાં છ કલાક સુધી ભારે જહેમત ઉઠાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.

જર્વેલરીની કંપનીમાં ગુરુવારે રાતે આગ ફાટી નીકળી હતી, જેથી સચિન નોટિફાઇડ ફાયર જવાનો ત્યાં પહોચીને કામગીરી કરતાં આગ કાબૂમાં આવી હતી. બાદમાં શુક્રવારે ફરી ત્યાં આગ લાગતાં ત્યાંથી ફાયર ટીમ આગ બુઝાવી શક્યા નહીં, જેથી પાલિકાના ફાયર કાફલો ત્યાં પહોચીને છ કલાક સુધી કામગીરી કરતાં આગ કાબૂમાં આવી હતી.

Share This Article