Thursday, Aug 13, 2026

મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં ચઢાવાને લઈને મોટો આરોપ, કરોડોની હેરાફેરી પર તપાસ

2 Min Read

જ્યારે એક બાજુ રામ મંદિરમાં દાન ચોરીનો વિવવાદ શમતો નથી, ત્યાં એક એવા મંદિરનું સત્ય સામે આવી રહ્યું છે જે વર્ષોથી લોકોની શ્રદ્ધા અને વિશ્વાસનું કેન્દ્રબિંદુ રહ્યું છે. મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરમાં ભક્તો જે શ્રદ્ધાથી દાનપેટીમાં ચઢાવો મૂકે છે, એ જ રકમના હિસાબને લઈને હવે મોટો સવાલ ઊભો થયો છે. દર વર્ષે અંદાજે ₹18 કરોડની હેરાફેરી થતી હોવાના આરોપ બાદ મહારાષ્ટ્ર સરકારે મામલાની તપાસનો આદેશ આપ્યો છે.

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ દાવો કર્યો હતો કે સિદ્ધિવિનાયક મંદિરમાં મળતા ચઢાવામાંથી દર વર્ષે લગભગ ₹18 કરોડની રકમ ગેરરીતિ બહાર આવી છે. આ આરોપો બાદ ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદેએ પણ તપાસની માંગ કરી હતી. ત્યારબાદ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મંદિરના નાણાકીય રેકોર્ડની વિગતવાર તપાસના નિર્દેશ આપ્યા હતા. તપાસમાં છેલ્લા પાંચ વર્ષના રેકોર્ડને પણ ધ્યાને લેવાની વાત સામે આવી છે.

આ મામલો માત્ર રાજકીય આરોપો સુધી સીમિત નથી. માર્ચ 2026માં મંદિરના એક કર્મચારી પર દાનપેટીમાંથી રોકડ ચોરી કરવાનો આરોપ લાગ્યો હતો અને દાદર પોલીસે તેની ધરપકડ કરી હતી. CCTV તપાસ દરમિયાન દાનની રકમ કાઢવાની ગતિવિધિઓ સામે આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

મંદિર ટ્રસ્ટના જણાવ્યા મુજબ સાપ્તાહિક ચઢાવો અગાઉ આશરે ₹40-45 લાખ હતો, જે તાજેતરમાં વધીને ₹95-98 લાખ સુધી પહોંચ્યો છે. ટ્રસ્ટના નાણાકીય આંકડા મુજબ 2025-26માં મંદિરની આવક ₹182 કરોડ રહી, જે અગાઉના વર્ષની સરખામણીએ નોંધપાત્ર વધારો છે. ટ્રસ્ટનું કહેવું છે કે દાનની ગણતરી દર બુધવારે કરવામાં આવે છે અને તે જ દિવસે બેંકમાં જમા થાય છે.

હવે સરકારની તપાસથી સૌથી મોટો સવાલ એ છે કે ₹18 કરોડની હેરાફેરીનો આરોપ માત્ર શંકા છે કે ખરેખર લાંબા સમયથી નાણાકીય ગેરરીતિ ચાલી રહી હતી? તેનો જવાબ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.

Share This Article