- ગત મોડી રાત્રે આબુ-અંબાજી હાઈવે પર બસ પર પથ્થરમારો થતા ખળભળાટ મચી ગયો હતો. જોકે સદનશીને કોઈને મોટી ઈજા ન થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
કરોડો લોકોની આસ્થાના અખૂટ સાગર સમાન મા અંબાના દર્શન કરવા માટે ભક્તો દૂર-દૂરથી આવતા હોય છે. અમુક ખાનગી વાહન લઈને તો ઘણા સાર્વજનિક વાહનોમાં મુસાફરી કરીને અંબાજી પહોંચે છે. ત્યારે ગઈકાલે મોડી રાત્રે પથ્થરમારાની ચકચારી ઘટના સામે આવી હતી. આબુ રોડ પર રાજસ્થાન તરફથી આવતી ગુજરાત ટ્રાવલેસની ખાનગી બસ અમદાવાદ તરફ જઈ રહી હતી તે દરમિયાન અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો.
ડ્રાઈવરને નાનીમોટી ઈજા પહોંચી :
મુસાફર ભરેલી બસ અંબાજી આબુરોડ હાઇવે માર્ગ પરથી પસાર થઈ રહી હતી. જેને નિશાન બનાવી પથ્થરમારો કરતા બસના આગળના કાચનો કડુસલો બોલી ગયો હતો. જોકે ડ્રાઈવરની સૂઝબૂજના લીધે તમામ મુસાફરોને સહી સલામત અંબાજી લવાયા હતા. ત્યાર બાદ બસ આગળના સફર માટે પ્રસ્થાન કરી હતી. જોકે આ પથ્થરમારા દરમિયાન ઘા લાગતા ડ્રાઈવરને નાનીમોટી ઈજા પહોંચી હતી.
મુસાફરોને વધુ ઈજા ન પહોંચતા લોકોએ રાહતનો શ્વાસ લીધો :
આ ઘટનાને લઈને બસમાં સવાર મોટી સંખ્યામાં મુસાફરોમાં દેકારો બોલી ગયો હતો. વધુમાં મુસાફરોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બીજી બાજુ અજાણ્યા લોકોએ છુટ્ટા પથ્થરોના ઘા ઝીંકતા બસને નુકસાન પહોંચ્યું હતું. જોકે ડ્રાઈવરની સમય સૂચકતાને કારણે મોટી દુર્ઘટના થતાં સહેજમાં અટકી હતી. બીજી બાજુ કોઈ મુસાફરોને વધુ ઈજા ન પહોંચતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
આ પણ વાંચો :-