આંતરરાષ્ટ્રીય જળસીમામાં વધી રહેલા તણાવની અસર હવે ગુજરાતના શિપિંગ ઉદ્યોગ પર પણ જોવા મળી રહી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા બંદરનું વધુ એક માલવાહક જહાજ ‘હાજી અલી’ (MSV HAJI ALI BDI 1492) ઓમાનના દરિયામાં દુર્ઘટનાનો ભોગ બની ગરકાવ થઈ ગયું છે. પ્રાથમિક માહિતી મુજબ, હોર્મુઝ સ્ટ્રેટ વિસ્તારમાં ઈરાન અને અમેરિકા વચ્ચે સર્જાયેલી યુદ્ધ જેવી સ્થિતિના કારણે આ ઘટના બની હોવાનું મનાઈ રહ્યું છે.
માહિતી અનુસાર, MSV HAJI ALI જહાજ બરબરા બંદરથી શારજાહ તરફ લાઈવ સ્ટોક લઈને જઈ રહ્યું હતું. 13 મેના રોજ વહેલી સવારે અંદાજે 3:30 વાગ્યે ઓમાનના લિમાહ નજીકથી પસાર થતી વખતે અચાનક કોઈ અજાણ્યો વિસ્ફોટક પદાર્થ, સંભવતઃ ડ્રોન અથવા મિસાઈલ, જહાજ સાથે અથડાયો હતો. અથડામણ બાદ જહાજમાં વિકરાળ આગ ફાટી નીકળી હતી અને થોડી જ વારમાં જહાજ દરિયામાં ડૂબવા લાગ્યું હતું.
જહાજ પર સવાર 1 ટંડેલ અને 13 ખલાસીઓ સહિત કુલ 14 સભ્યોએ સમયસૂચકતા દાખવી હતી. તમામ લોકોએ તાત્કાલિક લાઈફબોટનો સહારો લઈને પોતાનો જીવ બચાવ્યો હતો. બાદમાં ઓમાન કોસ્ટગાર્ડે ઝડપી કાર્યવાહી કરીને તમામ ખલાસીઓને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી ડીબા બંદર સુધી પહોંચાડ્યા હતા.
સલાયામાં ઇન્ડિયન સેલિંગ વેસલ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી આદમ ભાયાએ જણાવ્યું હતું કે આ દુર્ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. તમામ 14 ખલાસીઓ સુરક્ષિત છે અને તેમના જરૂરી દસ્તાવેજો પણ સલામત હોવાનું જાણવા મળ્યું છે. ખલાસીઓને પરત લાવવા માટે ભારત સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.
માત્ર એક અઠવાડિયાના ટૂંકા ગાળામાં સલાયા બંદરનું આ બીજું જહાજ આંતરરાષ્ટ્રીય જળસીમામાં અકસ્માતનો ભોગ બન્યું છે. સતત બની રહેલી આવી ઘટનાઓને કારણે સલાયા સાથે જોડાયેલા શિપિંગ વ્યવસાયકારોમાં ચિંતા અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ ઓમાન પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે અને આ હુમલો કોના દ્વારા કરવામાં આવ્યો હતો તે જાણવા પ્રયાસ ચાલી રહ્યો છે.