અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ભાણમેર ગામમાં વરઘોડા દરમિયાન ફાયરિંગની ગંભીર ઘટના સામે આવી છે. નિવૃત્ત પીએસઆઇ કનૈયાલાલ બરંડા અને તેમના પુત્ર વૈભવે સર્વિસ રિવોલ્વરથી 5-6 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
ઘટનામાં એક 9 વર્ષની બાળકી, એક આધેડ અને એક યુવક ઘાયલ થયા છે. વરઘોડામાંથી પરત ફરી રહેલા લોકો પર અચાનક ફાયરિંગ થતાં નાસભાગ મચી ગઈ હતી. ઘાયલોને પ્રથમ ભિલોડા અને ત્યાર બાદ વધુ સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, હાલ બંને પિતા-પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ ગઇ છે. ફાયરિંગનું કારણ જૂની અદાવત હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.