કમલમના ઘેરાવ પહેલા કરણી સેનાના નેતા રાજ શેખાવતની અમદાવાદ એરપોર્ટ પર અટકાયત

Share this story

કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવત દ્વારા આજે બપોરે ગાંધીનગર કમલમનો ઘેરાવ કરવાની ચીમકી આપી હતી. આ બાદ, રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પોલીસને એલર્ટ મોડ પર મૂકવામાં આવી છે અને મોડી રાત્રે રાજ શેખાવતની અટકાયતના આદેશ કરવામાં આવ્યા હતો. જેને લઈને અમદાવાદ એરપોર્ટ ખાતેથી તેમની અટકાયત કરવામાં આવી છે.

રાજકોટથી ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈને ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર-ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે ગુજરાત કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે બપોરે કમલમ ખાતે કેસરિયા ઝંડા અને દંડા સાથે ક્ષત્રિયોને વિરોધ પ્રદર્શનમાં જોડાવવા હુંકાર કર્યો હતો. આ માટે તેઓ જયપુરથી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. જોકે અમદાવાદ એરપોર્ટ પરથી જ તેમની પોલીસે અટકાયત કરી લીધી હતી અને તેમને નજરકેદ કરીને લઈ જવામાં આવ્યા હતા.

અરપોર્ટ પર ઉતર્યા બાદ રાજ શેખાવતે એક વીડિયો પણ બનાવ્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે, હું જયપુરથી અમદાવાદ એરપોર્ટ પર બેઠો છું. બહાર પોલીસનો બંદોબસ્ત ગોઠવી દીધો છે. મને આત્મવિલોપન માટે મજબૂર ન કરો. મેં કહ્યું હતું સરકાર અને પ્રશાસનને કે મને અમા મારા ક્ષત્રિયોને કમલમ સુધી પહોંચવા માટે તમે રૂકાવટ બનશો તો હું આત્મદાહ કરી લઈશ. એટલે મને મજબૂર ન કરો.