વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતની મુલાકાત દરમિયાન ₹18,800 કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરીને સુરતવાસીઓને વિકાસની મોટી ભેટ આપી હતી. ભવ્ય જનસભાને સંબોધતા તેમણે પોતાના પ્રવચનની શરૂઆત ગગનભેદી “ભારત માતા કી જય”ના નારા સાથે કરી હતી. કાર્યક્રમ દરમિયાન તેમણે તાજેતરમાં અવસાન પામેલા અગ્રણી ઉદ્યોગપતિ અને સમાજસેવક કનુભાઈ માવાણીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
સભા દરમિયાન જનમેદનીમાં એક અનોખું અને આકર્ષક પોસ્ટર જોઈને વડાપ્રધાને તે પોસ્ટર પોતાની પાસે મંગાવ્યું હતું. પોસ્ટર બનાવનાર વ્યક્તિના તેમણે ખુલ્લા દિલે વખાણ કર્યા હતા, જેના કારણે ઉપસ્થિત લોકોમાં ઉત્સાહનો માહોલ સર્જાયો હતો.
સ્વચ્છતા સુરતની સૌથી મોટી ભેટ: PM મોદી
પોતાના સંબોધનમાં વડાપ્રધાને સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે સ્વચ્છતા માત્ર અભિયાન નહીં પરંતુ આપણા જીવનના સંસ્કાર બનવા જોઈએ. સુરતના આશરે એક લાખ નાગરિકોએ સતત પાંચ દિવસ સુધી ચલાવેલા વિશેષ સફાઈ અભિયાનની પ્રશંસા કરતાં તેમણે કહ્યું કે આ તેમના માટે સૌથી મોટી અને અમૂલ્ય ભેટ સમાન છે. તેમણે તમામ સુરતવાસીઓનો આ અભિયાન માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
પ્રાકૃતિક ખેતી અને ગ્રીન એનર્જી પર ભાર
વડાપ્રધાને બદલાતા વૈશ્વિક વાતાવરણ અને પર્યાવરણ સંબંધિત પડકારોને ધ્યાનમાં રાખીને દેશના ખેડૂતોને વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી અપનાવવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે ગ્રીન એનર્જી અને પર્યાવરણમૈત્રી વિકાસ જ ભવિષ્યનો માર્ગ છે. ગુજરાતે વર્ષો પહેલાં ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં જે પહેલ કરી હતી, તે આજે સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ બની છે.
પંચાયત ચૂંટણીની જીત બદલ ગુજરાતનો આભાર
પીએમ મોદીએ ગુજરાત પંચાયત ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને મળેલા ભવ્ય જનસમર્થન બદલ ગુજરાતની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે આ જીતને જનતાના આશીર્વાદ ગણાવી હતી અને કહ્યું હતું કે વિકસિત ગુજરાત દ્વારા વિકસિત ભારતનું સ્વપ્ન હવે વધુ ઝડપથી સાકાર થશે.
કોંગ્રેસ પર પ્રહાર
પોતાના સંબોધન દરમિયાન વડાપ્રધાને કોંગ્રેસ પર પણ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે દેશની જનતા અરાજકતા, અનિશ્ચિતતા અને નકારાત્મક રાજકારણને સ્વીકારતી નથી. ગુજરાતમાં કોંગ્રેસ લગભગ નામશેષ થઈ ગઈ છે, જ્યારે હિમાચલ પ્રદેશ, હરિયાણા અને પંજાબ જેવા રાજ્યોમાં પણ જનતાએ કોંગ્રેસને નકારી કાઢી છે. તેમણે દાવો કર્યો કે કર્ણાટકમાં પણ કોંગ્રેસ સરકાર સામે લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. ભારત હવે નકારાત્મકતાથી આગળ વધીને વિકાસ અને આત્મનિર્ભરતાના માર્ગે આગળ વધી રહ્યું છે.