કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કોવિડ-૧૯ વેક્સિન સર્ટિફિકેટમાં મોટા બદલાવો કર્યા છે. સરકારે કોવિન સર્ટિફિકેટમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો હટાવી દીધો છે. ભારતમાં વિપક્ષોએ મોદી સરકાર પર પ્રહારો કરવાનું શરૂ કર્યું છે. આ પ્રમાણપત્રોમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો અને નામ હટાવી દેવામાં આવ્યા છે. ટ્વિટર પરના ઘણા વપરાશકર્તાઓએ એવું પણ અનુમાન કર્યું હતું કે રસીના પ્રમાણપત્રમાં ફેરફાર Covishield ની આડઅસરોને કારણે થયો હતો
હવે સર્ટિફિકેટમાં પણ પીએમ મોદીને ફોટો હટાવી દેવાયો છે અને હવે ત્યાં QR કોડ છે. સોશિયલ મીડિયા પર પણ લોકો આ વિશે વિવિધ બાબતોની ચર્ચા કરી રહ્યા છે આ મામલે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનું નિવેદન સામે આવ્યું છે. વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે ચાલી રહેલી લોકસભા ચૂંટણી માટે જારી કરાયેલી આદર્શ આચારસંહિતાના અમલને કારણે વેક્સિન સર્ટિફિકેટમાંથી વડાપ્રધાન મોદીનો ફોટો હટાવી દીધો છે.
AstraZeneca કંપની જેણે કોવિડશિલ્ડ વેક્સિન બનાવી છે, તેણે યુકે કોર્ટમાં એક કેસની સુનાવણી સમયે સ્વીકાર્યું હતું કે કોરોનાની વેક્સિનની આડઅસર તરીકે (ટીટીએસ) એટલે કે શરીરમાં લોહીના ગંઠા જામી જવાની સંભાવના છે. આ અહેવાલો આવ્યા બાદ ભારતના લોકોમાં પણ ભય ફેલાયો હતો. જોકે તબીબી નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આ પ્રકારે કોઈ ગભરાટ રાખવાની જરૂર નથી.
આ પહેલા વર્ષ ૨૦૨૨માં ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, મણિપુર અને ગોવામાં યોજાનારી વિધાનસભા ચૂંટણી દરમિયાન પણ તેમની તસવીર હટાવી દેવામાં આવી હતી. ચૂંટણી પંચના આદેશ પર આ પગલું લેવામાં આવ્યું છે. ૨૦૨૧માં વેક્સિન સર્ટિફિકેટ પર પીએમ મોદીનો ફોટો છાપવાને લઈને વિવાદ થયો હતો. આ મામલો કેરળ હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. તેના વિરોધમાં કહેવામાં આવ્યું હતું કે પીએમનો ફોટો અન્ય દેશોમાં છપાયો નથી. તેના જવાબમાં જસ્ટિસ પીવી કુન્હિક્રિષ્નને કહ્યું હતું કે, “તેઓ આપણા વડાપ્રધાન પર ગર્વ ન કરી શકે, આપણે આપણા વડાપ્રધાન પર ગર્વ કરી શકીએ.