Home Blog Page 94

CJI સૂર્યકાંતની ‘કોકરોચ’ ટિપ્પણી પર વિવાદ, કહ્યું- યુવાઓ નહીં, નકલી ડિગ્રીધારકો પર નિશાન હતું

0

સૂર્યકાંત દ્વારા યુવા પેઢીને લઈને કરાયેલા એક નિવેદન પર વિવાદ ઊભો થયા બાદ આજે તેમણે સમગ્ર મામલે સ્પષ્ટતા કરી છે. મીડિયાના એક વર્ગ પર પોતાના મૌખિક નિવેદનને ખોટી રીતે રજૂ કરવાનો આરોપ લગાવતા CJIએ દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે જણાવ્યું કે તેમની ટિપ્પણી દેશના યુવાઓ વિરુદ્ધ નહોતી, પરંતુ નકલી ડિગ્રીના સહારે સિસ્ટમમાં ઘૂસી જનાર પરજીવીઓ વિરુદ્ધ હતી.

મુખ્ય ન્યાયાધીશે પોતાના સત્તાવાર નિવેદનમાં કહ્યું કે, “ગઈકાલે એક સામાન્ય કેસની સુનાવણી દરમિયાન કરેલી મારી મૌખિક ટિપ્પણીઓને મીડિયાના એક વર્ગે ખોટી રીતે રજૂ કરી તે વાંચીને મને ખૂબ દુઃખ થયું છે. મેં ખાસ કરીને એવા લોકોની ટીકા કરી હતી, જેઓ નકલી અને બનાવટી ડિગ્રીના આધારે વકીલાત જેવા ક્ષેત્રોમાં પ્રવેશી ગયા છે. આવા કેટલાક લોકો મીડિયા, સોશિયલ મીડિયા અને અન્ય પ્રતિષ્ઠિત વ્યવસાયોમાં પણ ઘૂસણખોરી કરી ચૂક્યા છે, તેથી જ તેઓ પરજીવી જેવા છે.”

CJIએ યુવાઓની ટીકા કરવાના દાવાઓને સંપૂર્ણપણે બિનઆધારભૂત અને મનગમતા ગણાવ્યા હતા. દેશની યુવા શક્તિની પ્રશંસા કરતા તેમણે કહ્યું કે, “એવું સૂચવવું સંપૂર્ણપણે ખોટું છે કે મેં દેશના યુવાઓની ટીકા કરી હતી. મને માત્ર આપણા વર્તમાન અને ભવિષ્યના માનવ સંસાધન પર જ ગર્વ નથી, પરંતુ ભારતનો દરેક યુવાન મને પ્રેરણા આપે છે. આ કહેવું અતિશયોક્તિ નહીં ગણાય કે ભારતીય યુવાઓના મનમાં મારા માટે ખૂબ સન્માન છે અને હું તેમને વિકસિત ભારતના મજબૂત સ્તંભ તરીકે જોઉં છું.”

ઉલ્લેખનીય છે કે અગાઉ સુનાવણી દરમિયાન CJI સૂર્યકાંતે વકીલાત અને અન્ય વ્યવસાયોમાં આવી રહેલા ગિરાવટ અંગે ચિંતા વ્યક્ત કરતાં કડક શબ્દો વાપર્યા હતા. કોર્ટરૂમમાં તેમણે કહ્યું હતું કે, “સમાજમાં પહેલેથી જ આવા પરજીવીઓ છે, જે સિસ્ટમ પર હુમલો કરે છે અને તમે તેમની સાથે હાથ મિલાવવા માંગો છો? ઘણા યુવાઓ કોકરોચ જેવા છે, જેમને ન તો નોકરી મળે છે અને ન તો વ્યવસાયમાં સ્થાન. તેમાંના કેટલાક મીડિયા તરફ વળી જાય છે, કેટલાક સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટ બની જાય છે, કેટલાક RTI કાર્યકર બની દરેક પર હુમલો કરવા લાગે છે.”

NEET પેપર લીક કેસમાં મોટો ખુલાસો, NTA સાથે જોડાયેલ બીજો માસ્ટરમાઇન્ડ દિલ્હીથી ઝડપાયો

0

NEET-UG 2026 પેપર લીક મામલે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગ (CBI)ને મોટી સફળતા મળી છે. એજન્સીએ બાયોલોજીના પ્રશ્નો લીક કરનાર વધુ એક કથિત માસ્ટરમાઇન્ડની ધરપકડ કરી છે. ઝડપાયેલી આરોપીની ઓળખ પુણેની સિનિયર બોટની શિક્ષિકા મનીષા ગુરુનાથ માંઢરે તરીકે થઈ છે.

CBI મુજબ મનીષા માંઢરેને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા NEET-UG 2026 પરીક્ષા પ્રક્રિયામાં એક્સપર્ટ તરીકે નિયુક્ત કરવામાં આવી હતી. જેના કારણે તેને બોટની અને ઝૂલોજીના પ્રશ્નપત્રો સુધી સંપૂર્ણ ઍક્સેસ હતી. તપાસમાં સામે આવ્યું છે કે એપ્રિલ 2026 દરમિયાન તેણે પુણેની મનીષા વાઘમારે મારફતે અનેક NEET ઉમેદવારોને જોડ્યા હતા. મનીષા વાઘમારેની અગાઉ 14 મેના રોજ ધરપકડ કરવામાં આવી ચૂકી છે.

CBIના જણાવ્યા અનુસાર મનીષા માંઢરેએ પોતાના પુણે સ્થિત ઘરે વિદ્યાર્થીઓ માટે ખાસ કોચિંગ ક્લાસીસ ચલાવી હતી. આ ક્લાસીસમાં તેણે બોટની અને ઝૂલોજીના અનેક સંભવિત પ્રશ્નો વિદ્યાર્થીઓને જણાવ્યા હતા, નોટબુકમાં લખાવ્યા હતા અને પુસ્તકોમાં માર્ક પણ કરાવ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું છે કે આમાંથી મોટા ભાગના પ્રશ્નો 3 મે 2026ના રોજ યોજાયેલી અસલી NEET-UG પરીક્ષાના પ્રશ્નપત્ર સાથે મેળ ખાતા હતા.

તપાસ એજન્સીઓનું કહેવું છે કે અત્યાર સુધીની તપાસમાં કેમિસ્ટ્રી અને બાયોલોજી પેપર લીકના મૂળ સ્ત્રોત સુધી પહોંચવામાં સફળતા મળી છે. સાથે જ એવા દલાલોની પણ ઓળખ થઈ છે, જેમણે લાખો રૂપિયા લઈને વિદ્યાર્થીઓને એવી “સ્પેશિયલ ક્લાસીસ” સુધી પહોંચાડ્યા હતા જ્યાં પરીક્ષામાં આવનારા પ્રશ્નો અગાઉથી જણાવવામાં આવતા હતા. CBIએ જણાવ્યું છે કે મામલાની તપાસ સંપૂર્ણ નિષ્પક્ષતા અને વ્યાવસાયિક રીતે આગળ વધારવામાં આવી રહી છે.

કેમિસ્ટ્રી લેક્ચરર પીવી કુલકર્ણી અને બોટની શિક્ષિકા મનીષા ગુરુનાથ બંનેને NTA દ્વારા NEET-UG 2026 પરીક્ષા પ્રક્રિયામાં એક્સપર્ટ તરીકે સામેલ કરવામાં આવ્યા હતા. બંનેએ પેપર લીક કરવા માટે પુણેની જ રહેવાસી મનીષા વાઘમારેનો સહારો લીધો હતો. મનીષા વાઘમારેએ NEETની તૈયારી કરતા પૈસાદાર પરિવારોના વિદ્યાર્થીઓને એકત્ર કર્યા હતા. ત્યારબાદ પીવી કુલકર્ણી માટે એક અને મનીષા ગુરુનાથ માટે એક ખાસ ક્લાસ ચલાવવામાં આવ્યો હતો અને એ જ ક્લાસમાં પેપર લીક કરવામાં આવ્યું હતું.

હાલ મનીષા વાઘમારે આ પેપર લીક કેસની એક મહત્વપૂર્ણ કડી બની ગઈ છે. તેનું બેંક એકાઉન્ટ પણ સીઝ કરવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ કેસમાં હજુ વધુ એક મોટી ધરપકડ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

CBIએ જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 6 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. આ દરમિયાન અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજો, લેપટોપ, બેંક સ્ટેટમેન્ટ અને મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. હવે આ તમામ ઇલેક્ટ્રોનિક અને દસ્તાવેજી પુરાવાઓની વિગતવાર તપાસ ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે શિક્ષણ મંત્રાલયના ઉચ્ચ શિક્ષણ વિભાગની ફરિયાદ બાદ 12 મે 2026ના રોજ CBIએ આ કેસ નોંધ્યો હતો. કેસ નોંધાયા બાદ અનેક વિશેષ ટીમો બનાવવામાં આવી હતી અને દેશભરમાં દરોડાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

હાલ સુધીમાં દિલ્હી, જયપુર, ગુરુગ્રામ, નાસિક, પુણે અને અહિલ્યાનગરમાંથી કુલ 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. જેમાંથી 5 આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને 7 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. જ્યારે ગઈકાલે ઝડપાયેલા 2 આરોપીઓને પુણેની કોર્ટમાં રજૂ કર્યા બાદ ટ્રાન્ઝિટ રિમાન્ડ પર દિલ્હી લાવવામાં આવ્યા છે.

આફ્રિકામાં ઇબોલા વાયરસનો કહેર! કોંગોમાં 65નાં મોત બાદ પડોશી દેશોમાં ભયનો માહોલ

કિન્શાસા: આફ્રિકા ખંડના સૌથી મોટા જાહેર આરોગ્ય સંગઠન ‘આફ્રિકા સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન’ (Africa CDC) એ સત્તાવાર પુષ્ટિ કરી છે કે, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (DRC) ના ઇતુરી (Ituri) પ્રાંતમાં ઇબોલા વાયરસનો એક નવો અને અત્યંત ખતરનાક પ્રકોપ ફાટી નીકળ્યો છે. વર્ષ 1976માં આ જીવલેણ બીમારીની ઓળખ થયા બાદ કોંગોમાં આ 17મો મોટો પ્રકોપ માનવામાં આવી રહ્યો છે. આ નવા આઉટબ્રેકને કારણે સમગ્ર આફ્રિકામાં હેલ્થ ઈમરજન્સી જેવી સ્થિતિ સર્જાઈ છે.

અત્યાર સુધીમાં 246 કેસ અને 65ના મોત
મળતા અહેવાલો અનુસાર, આ પ્રકોપમાં અત્યાર સુધીમાં 246 શંકાસ્પદ કેસ નોંધાયા છે અને 65 લોકોએ જીવ ગુમાવ્યા છે. જોકે, મેડિકલ લેબોરેટરીમાં અત્યાર સુધી માત્ર 4 મોતમાં જ ઇબોલાની સત્તાવાર પુષ્ટિ થઈ છે, જ્યારે બાકીના અન્ય શંકાસ્પદ કેસો અને મૃત્યુના સેમ્પલની તપાસ હજુ ચાલી રહી છે. પરંતુ અત્યારે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં ફેલાયેલા વાઈરસના કારણે સ્વાસ્થ્ય વિભાગ સતર્ક થઈ ગયો છે.

સરહદી વિસ્તારોમાં સંક્રમણ ફેલાવવાનો મોટો ખતરો
આ સંક્રમણ મુખ્યત્વે ઇતુરી પ્રાંતના મોંગવાાલુ અને રવામપારા આરોગ્ય ક્ષેત્રોમાં જોવા મળ્યું છે, જ્યારે કેટલાક કેસ પ્રાંતીય રાજધાની બુનિયામાં પણ સામે આવ્યા છે. દૂરના વિસ્તારો અને ખરાબ રસ્તાઓ પણ અસર કરી રહ્યાં છે. આ પ્રભાવિત વિસ્તાર દેશના પૂર્વી ભાગમાં આવેલો છે, જે મુખ્ય રાજધાની કિન્શાસાથી 1000 કિલોમીટર દૂર છે. અહીં રસ્તાઓ ખૂબ જ ખરાબ હોવાથી રાહત સામગ્રી અને તબીબી સેવાઓ પહોંચાડવામાં ભારે મુશ્કેલી પડી રહી છે.

આંતરરાષ્ટ્રીય સરહદો પણ ચિંતાનો વિષય બની
સૌથી મોટી ચિંતા એ છે કે, આ પ્રભાવિત વિસ્તારો યુગાન્ડા અને સાઉથ સુદાનની આંતરરાષ્ટ્રીય સરહદોની ખૂબ જ નજીક છે. હિંસા અને સશસ્ત્ર જૂથોના ડરથી હજારો લોકો વિસ્થાપિત થઈને અવરજવર કરી રહ્યા છે, જેથી સંક્રમણ અન્ય દેશોમાં ફેલાવવાનો ભય વધી ગયો છે. યુગાન્ડામાં પણ કોંગોથી આવેલા એક વ્યક્તિનું ઇબોલાથી મોત થતાં ત્યાં પણ તમામ સંપર્કોને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.

વાયરસના સ્ટ્રેનની પુષ્ટિ કરવી કેમ જરૂરી?
પ્રારંભિક તપાસમાં આ કેસ ‘ઇબોલા ઝૈરે’ (Ebola Zaire) પ્રકારનો હોવાનું અનુમાન છે, પરંતુ તેની ચોક્કસ પુષ્ટિ કરવા માટે જિનોમ સિક્વન્સિંગ (Gene Sequencing) કરવામાં આવી રહ્યું છે. ઇબોલા વાયરસના મુખ્ય 3 પ્રકાર છે. જેમાં ઇબોલા વાયરસ (ઝૈરે સ્ટ્રેન), સુદાન વાયરસ અને બુંડીબુગ્યો વાયરસનો સમાવેશ થાય છે.

ઇબોલા એક અત્યંત ચેપી અને જીવલેણ વાયરસ છે.
જંગલી પ્રાણીઓથી મનુષ્યમાં સંક્રમણ થયા છે અને માનવથી માનવ સંક્રમણ શરીરના પ્રવાહી કે લોહી દ્વારા થાય છે. આ વાયરસ સૌપ્રથમ જંગલી પ્રાણીઓમાંથી માણસોમાં આવે છે. ત્યારબાદ સંક્રમિત વ્યક્તિના લોહી, ઉલટી, પરસેવો અથવા અન્ય શારીરિક પ્રવાહીના (Body Fluids) સીધા સંપર્કમાં આવવાથી બીજા માણસોમાં ફેલાય છે. દર્દીના કપડાં કે પથારીનો ઉપયોગ કરવાથી પણ ચેપ લાગી શકે છે.

કેવી રીતે ફેલાય છે આ ઘાતક ઇબોલા વાયરસ?
જીવલેણ વાયરસ ઇબોલાના મુખ્ય લક્ષણોની વાત કરવામાં આવે તો, અચાનક તેજ તાવ આવવો, શરીરમાં અને સ્નાયુઓમાં અસહ્ય દુખાવો, ઉલટી, ડાયરિયા (ઝાડા-ઉલટી), નબળાઈ અને ગંભીર સ્થિતિમાં શરીરના આંતરિક કે બાહ્ય ભાગોમાંથી રક્તસ્ત્રાવ થવો તેવા લક્ષણો જોવા મળે છે. આ ગંભીર કટોકટીને જોતા આફ્રિકા CDC એ કોંગો, યુગાન્ડા અને દક્ષિણ સુદાનના આરોગ્ય અધિકારીઓ સાથે એક હાઈ-લેવલ ઈમરજન્સી બેઠક બોલાવી છે જેથી આ વાયરસને આફ્રિકાની બહાર જતા રોકી શકાય.

અમદાવાદમાં ફૂડ સેફ્ટી પર સવાલ! ડીમાર્ટ નજીક પકોડીમાંથી હાડકું નીકળ્યાનો વીડિયો વાયરલ

અમદાવામાં ખાણી-પીણી બાબતે લોકોના સ્વાસ્થ્ય સાથે સતત ચેડા થઈ રહ્યાં છે, પરંતુ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. કાર્યવાહી પણ માત્ર નામ પૂરતી જ કરવામાં આવે છે. જો કડક કાર્યવાહી કરવામાં આવી હોય તો ફરીવાર કોઈ અન્ય વ્યક્તિ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા પહેલા સો વખત વિચાર કરે! રાણીપ વિસ્તારમાં આવેલા ડીમાર્ટ પાસે ઊભા રહેતા પકોડીવાળાને ત્યાં પકોડીમાંથી હાડકું નીકળ્યું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

ઘટનાની વાત કરવામાં આવે તો, એક યુવતી અહીં પાણીપુરી ખાવા માટે જાય છે. પહેલી પકોડી ખાધી ત્યારે તેમાથી વાળ નીકળ્યો હતો. પરંતુ તેણે વાતને ધ્યાને લીધી નહીં. બાદમાં જ્યારે પકોડીમાંથી હાડકું નીકળ્યું ત્યારે તેનો આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. આ સમગ્ર ઘટનાનો તેણે વીડિયો ઉતાર્યો અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. હવે અમદાવાદ મનતા દ્વારા વીડિયોની ખરાઈ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

આ સમગ્ર ઘટના ગત 15મી મે એટલે કે શુક્રવારે સાંજે બની હતી. અહીં એક યુવતી તેની માતા સાથે પકોડી ખાવા માટે આવી હતી. ત્યારે તેની પકોડીમાંથી હાડકું નીકળ્યું હતું. પહેલા તો યુવતીને તે લાકડું લાગ્યું પરંતુ ત્યારે અન્ય લોકોને બતાવ્યું ત્યારે જાણ થઈ કે આ લાકડું નહીં પરંતુ હાડકું છે. પહેલા તો પકોડીવાળો માનવા માટે તૈયાર નહોતો પરંતુ પછી તેણે માન્યું કે, આ હાડકું છે અમને માફ કરી દો. પકોડીવાળાએ એવું કહ્યું કે, આ હાડકું ઉડીને આવ્યું હશે. પ્રશ્ન એ થાય કે હાડકું ઉડીને કેવી રીતે આવી શકે?

આ પકોડીમાં માંસ નહીં હોય તેની શું ખાતરી?
પકોડીમાં હાડકું નીકળું એ નાની વાત નથી. કારણે કે, પકોડીખાવા માટે આવતા લોકો મોટાભાગે શાકાહારી હોય છે. પકોડીમાં હાડકું કેવી રીતે આવ્યું? પ્રશ્ન એ થાય છે કે, જો હાડકું નીકળ્યું છે તો પછી તેમાં બીજુ પણ ઘણું બધું હોઈ શકે છે. આ પકોડીમાં માંસ નહીં હોય તેની પણ ખાતરી આપી શકાય નહી! કારણ કે, હાડકું નીકળ્યું છે તો માંસ હોવાની પણ સંપૂર્ણ શક્યતા રહેલી છે.

NEET પેપર લીક બાદ NTAને ભંગ કરવાની માંગ, સુપ્રીમ કોર્ટમાં દાખલ થઈ અરજી

0

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ને લઈને મોટી ખબર સામે આવી છે. NEET પેપર લીક મામલા વચ્ચે યુનાઈટેડ ડોકટર્સ ફ્રન્ટ દ્વારા સુપ્રીમ કોર્ટ માં અરજી દાખલ કરીને NTAને ભંગ કરવાની માંગ કરવામાં આવી છે. અરજીમાં જણાવાયું છે કે હાલની નેશનલ ટેસ્ટિંગ એજન્સી, જે સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ 1860 હેઠળ બનાવવામાં આવી છે, તેને રદ કરીને સંસદના કાયદા દ્વારા નવી વૈધાનિક રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા બનાવવી જોઈએ.

અરજીમાં કેન્દ્ર સરકારને નિર્દેશ આપવા માંગ કરવામાં આવી છે કે સંસદમાં કાયદો લાવી એવી નવી રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા બનાવવામાં આવે, જેના પાસે સ્પષ્ટ કાનૂની અધિકારો હોય, પારદર્શિતાના કડક નિયમો હોય અને જે સીધી સંસદ પ્રત્યે જવાબદાર હોય. અરજદારોનું કહેવું છે કે દેશની સૌથી મોટી પરીક્ષાઓ યોજતી સંસ્થા માટે મજબૂત કાનૂની માળખું અને જવાબદારી વ્યવસ્થા હોવી જરૂરી છે. આ અરજી એવા સમયે દાખલ કરવામાં આવી છે જ્યારે NEET પેપર લીક કેસની તપાસમાં સતત નવા ખુલાસા થઈ રહ્યા છે.

NEET કેસમાં ધરપકડ કરાયેલા માસ્ટરમાઇન્ડ ગણાતા લેક્ચરર પીવી કુલકર્ણીની પૂછપરછ દરમિયાન અનેક મહત્વપૂર્ણ જાણકારીઓ સામે આવી છે. તપાસ એજન્સીઓ અનુસાર આ સમગ્ર નેટવર્કમાં પીવી કુલકર્ણી સિવાય અન્ય લોકોની પણ મોટી ભૂમિકા રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પીવી કુલકર્ણી અને મનીષા વાઘમારે સાથે અન્ય બે લેક્ચરર પણ પેપર લીક કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા હતા. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) હાલમાં પુણે અને લાતુરમાં સતત દરોડા પાડી આ બંનેની શોધખોળ કરી રહી છે.

તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આ બંને લેક્ચરર NTA સાથે NEET પરીક્ષા સંચાલન સંબંધિત કામગીરીમાં જોડાયેલા હતા અને પીવી કુલકર્ણી સાથે મળીને કામ કરતા હતા. આરોપ છે કે પુણે ની એક સંસ્થામાં પીવી કુલકર્ણી, મનીષા વાઘમારે અને તેમના બે સાથી લેક્ચરરોએ વિદ્યાર્થીઓને અલગ-અલગ પ્રશ્નો અને તેના સાચા જવાબ નોટબુકમાં લખાવ્યા હતા.

CBI તપાસમાં વધુ એક મોટો ખુલાસો થયો છે. તપાસ એજન્સીઓ મુજબ મનીષા વાઘમારેના નામે નવું બેંક ખાતું ખોલવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયા ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા. આ બેંક ખાતાને હાલ CBI દ્વારા સીઝ કરવામાં આવ્યું છે અને નાણાંકીય લેવડદેવડની તપાસ ચાલી રહી છે. હાલ CBI પીવી કુલકર્ણીના બંને ફરાર સાથીદારોની શોધમાં લાગી છે.

NCBનું મોટું ઓપરેશન: દેશમાં પહેલીવાર 182 કરોડની ‘કૅપ્ટાગન’ ડ્રગ્સ જપ્ત

0

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શા એ આજે માહિતી આપી હતી કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા દેશમાં પહેલીવાર ‘કૅપ્ટાગન’ નામની ડ્રગ્સની મોટી ખેપ જપ્ત કરવામાં આવી છે, જેની કિંમત અંદાજે 182 કરોડ રૂપિયા હોવાનું જણાવાયું છે.

ગૃહમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી શેર કરતા જણાવ્યું કે કેન્દ્ર સરકાર ડ્રગ-ફ્રી ઈન્ડિયાના સંકલ્પ સાથે સતત કાર્યવાહી કરી રહી છે. તેમણે જણાવ્યું કે ‘ઓપરેશન રેજપિલ’ હેઠળ એજન્સીઓએ આ કાર્યવાહી સફળ બનાવી છે.

અમિત શાહે જણાવ્યું કે મધ્ય પૂર્વ મોકલવામાં આવી રહેલી આ ડ્રગ્સની ખેપ જપ્ત કરવી અને એક વિદેશી નાગરિકની ધરપકડ કરવી, નશા સામે સરકારની ઝીરો ટોલરન્સ નીતિનું મોટું ઉદાહરણ છે.

તેમણે વધુમાં કહ્યું કે ભારત સરકાર દેશમાં આવતી અથવા ભારતની જમીનનો ટ્રાન્ઝિટ રૂટ તરીકે ઉપયોગ કરીને બહાર મોકલાતી દરેક પ્રકારની નશીલી વસ્તુઓ સામે કડક કાર્યવાહી ચાલુ રાખશે.

ગૃહમંત્રીએ આ ઓપરેશનને સફળ બનાવનાર NCBના અધિકારીઓ અને જવાનોની સતર્કતા અને બહાદુરીની પણ પ્રશંસા કરી હતી.

‘ઓપરેશન રેજપિલ’ને NCB દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે ચલાવવામાં આવેલું મોટું અભિયાન માનવામાં આવી રહ્યું છે, જેનો મુખ્ય હેતુ ગેરકાયદેસર ડ્રગ્સ નેટવર્કને તોડવાનો છે.

‘કૅપ્ટાગન’ હકીકતમાં ફેનેથિલિન નામની એમ્ફેટામિન આધારિત ડ્રગ્સનું સ્વરૂપ છે. મધ્ય પૂર્વના યુદ્ધગ્રસ્ત વિસ્તારો અને આતંકી સંગઠનોના લડવૈયાઓ વચ્ચે તેના ઉપયોગને કારણે તેને ‘જેહાદી ડ્રગ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

માહિતી અનુસાર આ ડ્રગ્સના સેવન બાદ વ્યક્તિને દુખાવો, ડર અથવા થાકનો અનુભવ ઓછો થાય છે. આ કારણે તેનો ઉપયોગ યુદ્ધ અને હિંસક પ્રવૃત્તિઓમાં થતો રહ્યો છે. સુરક્ષા એજન્સીઓનું માનવું છે કે આવી પ્રકારની ડ્રગ્સ માત્ર યુવાઓને બરબાદ કરતી નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય ગુનાખોરી અને આતંકી નેટવર્કને પણ પ્રોત્સાહન આપે છે.

SBIના કરોડો ગ્રાહકો માટે એલર્ટ! સતત 6 દિવસ બેંક બંધ રહેવાની શક્યતા

0

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના કરોડો ગ્રાહકો માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ચાલુ મહિનામાં સતત 6 દિવસ સુધી બેંકની શાખાઓ બંધ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ પરિસ્થિતિ પાછળ કર્મચારી યુનિયન દ્વારા જાહેર કરાયેલા વિરોધ કાર્યક્રમ અને સંભવિત હડતાળને મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ SBI કર્મચારી યુનિયન 25 અને 26 મે 2026ના રોજ હડતાળ પર જઈ શકે છે. આ પહેલા 23 મેના રોજ ચોથો શનિવાર અને 24 મેના રોજ રવિવાર હોવાથી બેંકો નિયમિત રીતે બંધ રહેશે. ત્યારબાદ 27 અને 28 મે દરમિયાન બકરીદ નિમિત્તે અનેક રાજ્યોમાં જાહેર રજા હોવાથી બેંકિંગ સેવાઓ પર અસર પડી શકે છે. આવી સ્થિતિમાં અનેક સ્થળોએ SBIની શાખાઓ સતત 6 દિવસ સુધી બંધ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

હડતાળ પાછળના મુખ્ય કારણો
ઓલ ઈન્ડિયા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સ્ટાફ ફેડરેશન (AISBISF) દ્વારા બેંક મેનેજમેન્ટ સમક્ષ કુલ 16 માંગણીઓ રજૂ કરવામાં આવી છે. યુનિયનનું કહેવું છે કે અનેક શાખાઓમાં સ્ટાફની ભારે અછત છે અને વર્ષોથી કેટલાક પદો પર ભરતી કરવામાં આવી નથી. પરિણામે હાલના કર્મચારીઓ પર કામનો બોજ સતત વધી રહ્યો છે.

યૂનિયને આક્ષેપ કર્યો છે કે નિયમિત કામો માટે આઉટસોર્સ કર્મચારીઓનો ઉપયોગ થઈ રહ્યો છે, પરંતુ તેમને યોગ્ય વેતન અને જરૂરી સુવિધાઓ મળતી નથી. કર્મચારીઓના મતે આ પરિસ્થિતિ બેંકિંગ સેવાઓની ગુણવત્તા અને કર્મચારીઓની સુરક્ષા બંને માટે ગંભીર ચિંતાનો વિષય બની છે.

કર્મચારીઓની મુખ્ય માંગણીઓ
કર્મચારીઓએ શાખાઓમાં સ્ટાફની અછત દૂર કરવાની, વધતા વર્કલોડમાં રાહત આપવાની, પેન્શન પેરિટી લાગુ કરવાની અને સેવા શરતોમાં સુધારો કરવાની માંગ કરી છે. સાથે જ પ્રમોશન અને ટ્રાન્સફર નીતિને વધુ પારદર્શક બનાવવા તથા કર્મચારીઓ માટે વધુ સારા વેલફેર અને સુરક્ષા ઉપાયો અમલમાં મૂકવાની માંગ પણ ઉઠાવવામાં આવી છે.

યુનિયનનું કહેવું છે કે NPS હેઠળ કર્મચારીઓને પોતાની પસંદનો પેન્શન ફંડ મેનેજર પસંદ કરવાની છૂટ મળવી જોઈએ. ઉપરાંત છેલ્લા લગભગ 30 વર્ષથી ‘મેસેન્જર’ જેવા પદો પર ભરતી ન થતાં કર્મચારી માળખું કમજોર બન્યું છે. કર્મચારીઓએ આઉટસોર્સિંગ ઘટાડવાની પણ માંગ કરી છે.

સાથે જ 12th દ્વિપક્ષીય સમાધાન હેઠળ 17 ટકા સેલેરી વધારો નક્કી થયો હોવા છતાં SBI અધિકારીઓને સ્પેશિયલ પે સાથે આશરે 22 ટકા સુધીનો લાભ મળ્યો હોવાનું યુનિયનનું કહેવું છે, જ્યારે વર્કમેન સ્ટાફને હજુ માત્ર 17 ટકા જ સેલેરી વધારો મળ્યો છે.

આખો મહિનો ચાલશે વિરોધ કાર્યક્રમ
હડતાળ પહેલા સમગ્ર મે મહિનામાં તબક્કાવાર વિરોધ કાર્યક્રમ યોજવાની યોજના બનાવવામાં આવી છે. જેમાં લંચ ટાઈમ પ્રોટેસ્ટ, સોશિયલ મીડિયા અભિયાન, ધરણા, શાંતિપૂર્ણ રેલી અને સરકાર તથા સાંસદોને રજૂઆતો સામેલ રહેશે.

જો હડતાળ અમલમાં આવશે તો દેશભરમાં બેંકિંગ સેવાઓ પર અસર પડી શકે છે. ગ્રાહકોને ચેક ક્લિયરન્સ, બ્રાન્ચ ટ્રાન્ઝેક્શન અને અન્ય ઓફલાઇન સેવાઓમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જોકે Online Banking, UPI અને ATM જેવી ડિજિટલ સેવાઓ સામાન્ય રીતે ચાલુ રહેવાની શક્યતા છે.

સુરત નવી સિવિલના સુપ્રિટેન્ડેન્ટ ડો. પારુલ વડગામાની નિયુક્તિ

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં વહીવટી સ્તરે સામે આવેલી ગંભીર બેદરકારીઓ બાદ રાજ્ય સરકાર દ્વારા કડક અને તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે. હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવતા ડૉ. ધારીત્રી પરમારની વડોદરા સિવિલ હોસ્પિટલમાં બદલી કરવામાં આવી છે. હવે સુરત સિવિલ હોસ્પિટલની જવાબદારી ડૉ. પારુલ વડગામાને ઇન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટ તરીકે સોંપવામાં આવી છે.

આ કાર્યવાહી પાછળ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાની તાજેતરની સુરત સિવિલ હોસ્પિટલની ઓચિંતી મુલાકાત મુખ્ય કારણ બની છે. મંત્રીની સરપ્રાઈઝ વિઝિટ દરમિયાન હોસ્પિટલની કામગીરીની વાસ્તવિક સ્થિતિ બહાર આવી હતી. વિવિધ વોર્ડ, ઓપીડી વિભાગો અને અન્ય સેવાઓમાં ગંદકી, અયોગ્ય વ્યવસ્થા, દર્દીઓને લાંબી રાહ તેમજ સુવિધાઓની અછત જેવી અનેક ગંભીર ખામીઓ મંત્રીએ નજરે જોઈ હતી.

ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે બનાવવામાં આવેલી આ મોટી સરકારી હોસ્પિટલમાં આવી પરિસ્થિતિ જોવા મળતા મંત્રીએ તંત્રની કામગીરી પર ગંભીર નારાજગી વ્યક્ત કરી હતી. દર્દીઓ અને તેમના પરિવારજનોને પડતી મુશ્કેલીઓ અંગે પણ મંત્રીને અનેક ફરિયાદો મળી હતી. સમગ્ર મામલે તેમણે સ્થળ પર જ અધિકારીઓને કડક શબ્દોમાં જવાબદારી યાદ અપાવી હતી અને તાત્કાલિક સુધારા લાવવાના નિર્દેશ આપ્યા હતા.

મંત્રીની મુલાકાત બાદ આરોગ્ય વિભાગે સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ઉચ્ચ સ્તરે ચર્ચા કરી હતી. અંતે નિર્ણય લેવાયો કે વહીવટી શિથિલતા અને દેખરેખમાં થયેલી ખામીઓને ધ્યાનમાં રાખીને જવાબદાર અધિકારી સામે કાર્યવાહી જરૂરી છે. તેના પરિણામે ડૉ. ધારીત્રી પરમારને સુરત સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ પદેથી હટાવી વડોદરા સરકારી મેડિકલ કોલેજમાં ડીન તરીકે બદલી કરવામાં આવી છે.

સાથે જ સુરત સિવિલ હોસ્પિટલમાં નવી વ્યવસ્થાને ગતિ આપવા માટે ડૉ. પારુલ વડગામાને તાત્કાલિક અસરથી ઇન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટની જવાબદારી સોંપવામાં આવી છે. આરોગ્ય વિભાગે આશા વ્યક્ત કરી છે કે નવા વહીવટ હેઠળ હોસ્પિટલની કામગીરીમાં ઝડપથી સુધારો આવશે અને દર્દીઓને વધુ સારી સુવિધાઓ મળી રહેશે.

આ ઘટનાને કારણે રાજ્યની અન્ય સરકારી હોસ્પિટલોમાં પણ ચેતવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. વહીવટી તંત્રમાં કાર્યરત અધિકારીઓ હવે વધુ સજાગ બન્યા છે અને હોસ્પિટલ વ્યવસ્થામાં સુધારા લાવવા માટે દબાણ વધ્યું છે. આરોગ્ય વિભાગે પણ સ્પષ્ટ કર્યું છે કે દર્દી સેવા અને હોસ્પિટલ મેનેજમેન્ટમાં કોઈપણ પ્રકારની બેદરકારી હવે સહન કરવામાં આવશે નહીં.

હવે સૌની નજર નવી નિમણૂક પામેલા ઇન્ચાર્જ ડૉ. પારુલ વડગામા પર રહેશે કે તેઓ સુરત સિવિલ હોસ્પિટલની હાલની ખામીઓને કેટલી ઝડપથી સુધારીને વ્યવસ્થાને ફરીથી મજબૂત બનાવી શકે છે.

સુરતના લસકાણા સ્વામિનારાયણ મિશનમાં શોક, પ્રિયદર્શન સ્વામીનું સારવાર દરમિયાન નિધન

સુરત ના લસકાણા સ્થિત સ્વામિનારાયણ મિશન મંદિરમાંથી દુઃખદ ઘટના સામે આવી છે. મંદિરના પ્રિયદર્શન સ્વામીએ આપઘાતનો પ્રયાસ કર્યા બાદ સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા. 26 એપ્રિલ 2026ના રોજ તેમણે ઊંઘની ગોળીઓનું સેવન કર્યું હતું, ત્યારબાદ તેમની તબિયત બગડતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. લાંબી સારવાર બાદ 15 મે 2026ના રોજ તેમનું અવસાન થયું હતું. આ ઘટનાથી સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાય અને હરિભક્તોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

આ મામલે લસકાણા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં આપઘાતનો મામલો હોવાનું સામે આવ્યું છે, પરંતુ મૃત્યુ પાછળ કોઈ વ્યક્તિની સંડોવણી હતી કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.

આ દરમિયાન શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત હિત રક્ષક સમિતિ એ સમગ્ર ઘટનાની પારદર્શક તપાસ કરવાની માંગ ઉઠાવી છે. સમિતિએ જણાવ્યું છે કે ઘટનાસ્થળની સંપૂર્ણ તપાસ થવી જોઈએ તેમજ મોબાઈલ કોલ ડિટેઈલ્સ, મેસેજ, સીસીટીવી ફૂટેજ અને મંદિરના સંતો તથા ટ્રસ્ટીઓના નિવેદનો લેવામાં આવે. જો કોઈ વ્યક્તિ દ્વારા માનસિક ત્રાસ, ધમકી, દબાણ અથવા બ્લેકમેઈલ કરવામાં આવ્યું હોય તો તેની સામે કડક કાર્યવાહી થવી જોઈએ.

પ્રિયદર્શન સ્વામી લાંબા સમયથી મંદિરમાં સેવા આપતા હતા અને હરિભક્તોમાં તેમની વિશેષ ઓળખ હતી. તેમના નિધનથી ભક્તોમાં ભારે દુઃખની લાગણી વ્યાપી ગઈ છે. હાલ પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે અને આ ઘટના સંપ્રદાયના સંતો તથા ભક્તોમાં ચિંતાનો વિષય બની છે.

નિતિન ગડકરીને ધમકી અને 100 કરોડની ખંડણી માંગનાર જયેશ પુજારીને 5 વર્ષની સજા

0

કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી ને જાનથી મારી નાખવાની ધમકી આપી અને ખંડણી માંગનાર જયેશ પુજારીને કોર્ટે 5 વર્ષની સજા ફટકારી છે. કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી પાસેથી ફોન પર 100 કરોડ રૂપિયાની ખંડણી માંગવાના કેસમાં દોષિત ઠરેલા જયેશ પુજારીને નાગપુર જિલ્લા સત્ર ન્યાયાલયે 5 વર્ષની સજા સંભળાવી છે.

કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીને જાનથી મારી નાખવાની ધમકી આપનાર આતંકી જયેશ પુજારીને નાગપુર જિલ્લા સત્ર ન્યાયાલયે પાંચ વર્ષની સજા ફટકારી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરીના કાર્યાલયમાં ફોન કરીને જયેશ પુજારીએ 100 કરોડ અને 10 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. ખંડણી નહીં આપવાની સ્થિતિમાં નિતિન ગડકરીને બોમ્બ વિસ્ફોટ દ્વારા મારી નાખવાની ધમકી પણ જયેશ પુજારીએ આપી હતી.

હત્યાના એક કેસમાં જયેશ પુજારી હાલમાં કર્ણાટકની જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે. સજા દરમિયાન જ તેણે જેલમાંથી મોબાઇલ ફોન મારફતે ગડકરીના કાર્યાલયમાં ફોન કર્યો હતો. વિવિધ કલમો હેઠળ જયેશ પુજારીને પાંચ વર્ષની સજા ફટકારવામાં આવી છે.

નિતિન ગડકરી ભારતીય જનતા પાર્ટી ના વરિષ્ઠ નેતા છે અને તેઓ પોતાના નિવેદનોને કારણે અવારનવાર ચર્ચામાં રહેતા હોય છે. તાજેતરમાં તેમણે પુણે માં જણાવ્યું હતું કે તેમના 90 ટકા કામ સમાજસેવા સાથે જોડાયેલા છે, તેથી તેમને ચૂંટણી પ્રચાર કરવાની જરૂરિયાત અનુભવાતી નથી.

નિતિન ગડકરીએ પુણ્ય ભૂષણ ફાઉન્ડેશન દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, “હું રાજકારણી છું, પરંતુ મારું 90 ટકા કામ સામાજિક સેવા સાથે જોડાયેલું છે. તેથી મને ચૂંટણી પ્રચાર કરવાની જરૂરિયાત લાગતી નથી.”

તમને જણાવી દઈએ કે નિતિન ગડકરીએ પોતાના રાજકીય જીવનની શરૂઆત અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)થી કરી હતી. તેમને ‘ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેન’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ વર્ષ 2014થી સતત કેન્દ્ર સરકારમાં મંત્રી તરીકે કાર્યરત છે અને પોતાની કાર્યશૈલી તથા વ્યવહારને કારણે વિરોધીઓ તરફથી પણ સન્માન મેળવે છે.