Home Blog Page 91

બિહારમાં વંદે ભારત સહિત ત્રણ ટ્રેનો પર પથ્થરમારો, કોચના કાચ તૂટતા મુસાફરોમાં નાસભાગ

0

બિહારના મુઝફ્ફરપુરમાં રવિવારની સાંજે રેલવે સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા કરતી એક મોટી ઘટના સામે આવી છે. સોનપુર મંડળના મુઝફ્ફરપુર જંક્શન અને રામદયાલુ નગર સ્ટેશન વચ્ચે માત્ર દોઢ કલાકના ટૂંકા ગાળામાં વંદે ભારત એક્સપ્રેસ સહિત ત્રણ ટ્રેનો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ અચાનક થયેલા હુમલાથી મુસાફરોમાં ભારે નાસભાગ અને અફરાતફરી મચી ગઈ હતી અને અનેક લોકો ડરના માર્યા પોતાની સીટો છોડીને અહીં-તહીં ભાગવા લાગ્યા હતા.

પથ્થરમારામાં હાઇસ્પીડ ટ્રેનના 3 કોચને નુકસાન
પાટલિપુત્ર-ગોરખપુર વંદે ભારત એક્સપ્રેસને મઝૌલિયા અને ખબરા વિસ્તાર પાસે નિશાન બનાવવામાં આવી હતી. પથ્થર લાગવાના કારણે આ હાઇસ્પીડ ટ્રેનના ત્રણ કોચની બારીઓના કાચ આંશિક રીતે તૂટી ગયા હતા. આ ઘટના બનતાની સાથે જ ડરેલા મુસાફરોએ તાત્કાલિક રેલવે પ્રશાસન અને આરપીએફ (RPF)ને જાણ કરી હતી.

વંદે ભારત બાદ અન્ય બે ટ્રેનો પર પણ હુમલો
વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારાની આ ઘટનાના ગણતરીના સમયમાં જ આ જ રેલવે લાઇન પરથી પસાર થઈ રહેલી ટ્રેન નંબર 15550 પટના-જયનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ અને ટ્રેન નંબર 14006 લિચ્છવી એક્સપ્રેસ પર પણ ઉપરાઉપરી પથ્થરો ફેંકવામાં આવ્યા હતા. આ બંને ટ્રેનોના પણ અનેક કોચની બારીઓના કાચ તૂટી ગયા હોવાના અહેવાલો છે.

સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ
એક જ રેલખંડ પર માત્ર દોઢ કલાકમાં સતત ત્રણ ટ્રેનો પર પથ્થરમારાના સમાચાર મળતાં જ સોનપુર મંડળ અને રેલવે સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ હતી. આરપીએફ અને જીઆરપીની ટીમોએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને તપાસના ધમધમાટ શરૂ કર્યા છે. રેલવે સુરક્ષા બળના અધિકારીઓના જણાવ્યા અનુસાર, પથ્થરમારો કરનારા તત્ત્વોને પકડવા માટે વંદે ભારત એક્સપ્રેસમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ઝીણવટપૂર્વક ખંગાળવામાં આવી રહ્યા છે.

પ્રાથમિક તપાસમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે રેલવે ટ્રેક નજીક રમી રહેલા બાળકોએ તોફાનમાં આ પથ્થરો ફેંક્યા હોઈ શકે છે. જોકે, રેલવે પોલીસ આમાં કોઈ અસામાજિક તત્ત્વોની સંડોવણી હોવાની શક્યતાને પણ નકારી રહી નથી. પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે આ ઘટના માત્ર બાળકોની કોઈ શરારત હતી કે પછી કોઈ મોટા કાવતરાના ભાગરૂપે ટ્રેનોને નિશાન બનાવવામાં આવી છે.

દોષિતોને બક્ષવામાં નહીં આવે: રેલ એસપી
આ મામલે રેલવે એસપી વીણા કુમારીએ જણાવ્યું કે, વંદે ભારત એક્સપ્રેસ સહિત અન્ય ટ્રેનો પર પણ પથ્થરમારો થયો હોવાની માહિતી મળી છે. જે અંતર્ગત ગુનો નોંધીને તપાસ શરૂ કરી દેવામાં આવી છે. પ્રાથમિક વિગતો મુજબ કેટલાક લોકો રેલવે લાઇન કિનારે ઊભા હતા અને ટ્રેન પસાર થતી વખતે તેમણે પથ્થરો ફેંક્યા હતા. રેલ એસપીએ કડક શબ્દોમાં ચેતવણી આપતાં સાફ કહ્યું છે કે, ટ્રેનો પર પથ્થરમારો કરનારા અસામાજિક તત્ત્વોને કોઈ પણ કિંમતે બક્ષવામાં આવશે નહીં અને સીસીટીવી ફૂટેજના આધારે તેમની ઓળખ કરી કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.

ગાંધીનગરમાં ACBનો મોટો ટ્રેપ: ક્લાસ-2 અધિકારી 50 હજારની લાંચ લેતા ઝડપાયો

ગાંધીનગરના સરકારી કચેરીઓમાં ચાલતા ભ્રષ્ટાચાર પર એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા વધુ એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગાંધીનગર ઉદ્યોગ ભવનમાં છઠ્ઠા માળે ફરજ બજાવતા વર્ગ-2ના ઉચ્ચ અધિકારી અને આસિસ્ટન્ટ ઈલેક્ટ્રીકલ ઈન્સપેક્ટર મનિષકુમાર નવિનચન્દ્ર રાવલ બાંધકામ પ્રોજેક્ટના ફાયર એન.ઓ.સી. અને સર્ટિફિકેટ માન્ય રાખવાના અવેજ પેટે રૂ. 5 લાખની મસમોટી લાંચ માંગતા એસીબીના સકંજામાં આવી ગયા છે.

અમદાવાદ શહેર એસીબીની ટીમે આજે 18 મે, સોમવારે ગાંધીનગરના ઘ-2 સર્કલ પાસે જાહેર રોડ ઉપર સફળ ટ્રેપ ગોઠવી આ લાંચિયા અધિકારીને પ્રથમ હપ્તા તરીકે રૂ. 50 હજારની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ ચકચારી કેસની વિગત મુજબ, ફરિયાદી એક જાગૃત નાગરિક છે અને તેઓ વિવિધ બાંધકામ પ્રોજેક્ટોમાં પેસિવ ફાયર સિસ્ટમ ફિટ કરવાનું વ્યવસાયિક કામકાજ કરે છે. પેસિવ ફાયર સિસ્ટમ લગાવ્યા બાદ તેના સર્ટિફિકેટ્સ સંબંધિત પ્રોજેક્ટના માલિક મારફતે ગાંધીનગર ખાતે આસિસ્ટન્ટ ઈલેક્ટ્રીકલ ઈન્સપેક્ટર સમક્ષ મંજૂરી માટે રજૂ કરવામાં આવતા હોય છે.

આ રજૂ થયેલા પ્રમાણપત્રોને માન્ય રાખવા તેમજ પ્રોજેક્ટ માટે ઈશ્યુ કરવામાં આવેલી ફાયર એનઓસીના સંદર્ભમાં આક્ષેપિત અધિકારી મનિષકુમાર રાવલે ફરિયાદી પાસે રૂ. 5 લાખની લાંચની માંગણી કરી હતી. ફરિયાદીએ એકસાથે આટલી મોટી રકમ ચૂકવવામાં અસમર્થતા દર્શાવતા નાણાં ટુકડે-ટુકડે આપવાની વાત કરી હતી. તે અંતર્ગત આજ રોજ પ્રથમ હપ્તા તરીકે રૂ. 50 હજાર ચૂકવવાનો વાયદો કરવામાં આવ્યો હતો.

જો કે, ફરિયાદી આ લાંચિયા અધિકારીને ભ્રષ્ટાચારના નાણાં આપવા માંગતા ન હોવાથી તેમણે એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કરી અધિકારી વિરુદ્ધ વિગતવાર ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે અમદાવાદ એકમના મદદનિશ નિયામક એમ.એચ. પુવારના સુપરવિઝન હેઠળ અમદાવાદ શહેર એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર ડી.બી. વાળા તથા તેમની ટીમે ગાંધીનગરમાં ઘ-2 સર્કલ પટેલ આઈસ્ક્રીમ પાસે આવેલા 102 નંબરના AMTS બસ સ્ટેન્ડ આગળ જાહેર રોડ પર લાંચનું છટકું ગોઠવ્યું હતું.

ટ્રેપ દરમિયાન ફરિયાદી જ્યારે નિયત સ્થળે પહોંચ્યા ત્યારે આક્ષેપિત અધિકારી મનિષકુમાર રાવલે તેમની સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમની ખાતરી કરી હતી. જેવી ફરિયાદીએ રૂ. 50 હજારની રોકડ રકમ આપી કે તરત જ છુપાઈને ઉભેલી ACBની ટીમે ત્રાટકી આરોપીને સ્થળ પર જ લાંચની રકમ સાથે દબોચી લીધો હતો.

હાલ ગુજરાત રાજ્ય એસીબીના નાયબ નિયામક હરેશ મેવાડાના માર્ગદર્શન હેઠળ ક્લાસ-2ના આ અધિકારી વિરુદ્ધ ગુનો નોંધીને તેના ભ્રષ્ટાચારના નેટવર્ક અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

Ahmedabad: નિકોલમાં 1.66 કરોડની જ્વેલરીની ચોરી કરનાર સેલ્સ ગર્લ આખરે ઝડપાઈ

અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલ આભૂષણ જ્વેલર્સમાં કરોડોની ચોરીનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. દુકાનમાં કામ કરતી સેલ્સ ગર્લે જ કરોડો રૂપિયાના દાગીનાની ચોરી કરતા સમગ્ર મામલે ખળભળાટ મચી ગયો હતો. જે બાદ સેલ્સ ગર્લ કેટલાય દિવસથી ફરાર હતી, જોકે ક્રાઈમબ્રાન્ચે આજે તેની ધરપકડ કરી છે.

મળતી માહિતી મુજબ, સેલ્સ ગર્લ હર્ષિદા શેટ્ટીએ દુકાનમાંથી અંદાજે ₹1.66 કરોડના દાગીના ચોરી કર્યા હતા. ઘટનાની જાણ થતાં નિકોલ પોલીસે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન અનેક સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ પુરાવાના આધારે ક્રાઈમ બ્રાન્ચે આરોપી હર્ષિદા શેટ્ટીની અમદાવાદમાંથી ધરપકડ કરી છે.

પોલીસ તપાસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. ચોરીના સમગ્ર કાવતરામાં હર્ષિદાના પ્રેમીની સંડોવણી પણ સામે આવી છે. પોલીસે પ્રેમીની પણ અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે. પ્રાથમિક તપાસ મુજબ, બંનેએ મળીને આયોજનબદ્ધ રીતે દાગીના ગાયબ કર્યા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ પોલીસે ચોરાયેલા દાગીનાની પુનઃપ્રાપ્તિ અને અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલ છે કે નહીં તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપીઓએ ચોરી બાદ દાગીનાને અલગ-અલગ જગ્યાએ છુપાવવાનો પ્રયાસ કર્યો હતો જેથી શંકા ન જાય. દુકાનના હિસાબમાં ગડબડ દેખાતા માલિકને શંકા ગઈ હતી, જેના આધારે આંતરિક તપાસ શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ મામલો પોલીસ સુધી પહોંચતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. હાલ નિકોલ પોલીસ આરોપીઓના બેંક ટ્રાન્ઝેક્શન, મોબાઈલ કોલ રેકોર્ડ અને દાગીનાના વેચાણ સંબંધિત કડીઓની પણ તપાસ કરી રહી છે.

અમૂલ દૂધના ભાવમાં વધારો: 19 મેથી લાગુ થશે નવા દર, જાણો હવે કેટલું મોંઘું મળશે દૂધ

0

અમૂલ ડેરીએ દૂધના ભાવમાં ફરી વધારો જાહેર કર્યો છે. કંપની દ્વારા વિવિધ દૂધના પેકેટના ભાવમાં રૂ.1 થી રૂ.3 સુધીનો વધારો કરવામાં આવ્યો છે. નવા ભાવ 19 મે 2026 એટલે કે આવતીકાલથી સમગ્ર દેશમાં અમલમાં આવશે. અગાઉ પણ અમૂલે દૂધના ભાવમાં વધારો કર્યો હતો અને હવે ફરી એકવાર ગ્રાહકોને મોંઘવારીનો સામનો કરવો પડશે.

અમૂલ દ્વારા જાહેર કરાયેલા નિવેદન મુજબ ટ્રાન્સપોર્ટેશન ખર્ચ, પેકેજિંગ ફિલ્મ, ઇનપુટ ખર્ચ અને ડીઝલના ભાવોમાં સતત વધારો થવાને કારણે ડેરી ઉદ્યોગ પર આર્થિક બોજ વધી રહ્યો છે. ઉત્પાદનથી લઈને વિતરણ સુધીના તમામ ખર્ચમાં નોંધપાત્ર વધારો નોંધાતા કંપનીએ દૂધના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો હોવાનું જણાવ્યું છે.

કયા દૂધના કેટલા વધ્યા ભાવ?
નવી જાહેર થયેલી કિંમત મુજબ અમૂલ ગોલ્ડ (Amul Gold) 500 મિલીનો ભાવ રૂ.35થી વધીને રૂ.36 થયો છે. અમૂલ તાજા (Amul Taaza) 500 મિલી હવે રૂ.28ના બદલે રૂ.29માં મળશે. અમૂલ શક્તિ (Amul Shakti) 500 મિલીનો ભાવ રૂ.32થી વધીને રૂ.33 થયો છે.

સુમુલ ગાય દૂધ 500 મિલીનો ભાવ રૂ.29થી વધીને રૂ.30 કરવામાં આવ્યો છે. અમૂલ સ્લિમ એન્ડ ટ્રિમ 500 મિલી હવે રૂ.25ના બદલે રૂ.26માં મળશે.

અમૂલ ભેંસ દૂધ 1 લીટર પેકેટમાં સૌથી મોટો વધારો નોંધાયો છે, જેનો ભાવ રૂ.75થી વધીને રૂ.78 થયો છે. જ્યારે સુમુલ છાશ 500 મિલીનો ભાવ રૂ.16થી વધીને રૂ.17 કરવામાં આવ્યો છે.

ડેરી સંચાલકોનું શું કહેવું?
ડેરી સંચાલકોના જણાવ્યા અનુસાર વધતા ટ્રાન્સપોર્ટેશન અને ડીઝલ ખર્ચ વચ્ચે ગુણવત્તા જાળવી રાખવા તેમજ ગ્રાહકો સુધી નિયમિત સપ્લાય પહોંચાડવા માટે ભાવ વધારો જરૂરી બન્યો હતો. છેલ્લા ઘણા મહિનાથી કાચા માલ અને પેકેજિંગના ખર્ચમાં સતત વધારો થતો હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

લખીમપુરથી બહરાઈચ સુધી હાહાકાર: ઉત્તર પ્રદેશમાં બે અકસ્માતોમાં 12ના મોત, અનેક ઘાયલ

0

ઉત્તર પ્રદેશમાં સોમવારે બે અલગ-અલગ સ્થળોએ થયેલા ભયાનક માર્ગ અકસ્માતોએ ભારે ચકચાર મચાવી દીધી છે. લખીમપુર ખિરી અને બહરાઈચ જિલ્લામાં બનેલી આ દુર્ઘટનાઓમાં કુલ 12 લોકોનાં મોત થયા છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા છે. બંને અકસ્માતો બાદ સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ તાત્કાલિક બચાવ કામગીરીમાં લાગી ગઈ હતી.

માહિતી મુજબ લખીમપુર ખિરી જિલ્લાના ધૌરહરા વિસ્તારમાં સિસૈયા-લખીમપુર નેશનલ હાઈવે-730 પર મેજિક વાન અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ઘટનાસ્થળે જ આઠ લોકોનાં મોત થયા હતા, જ્યારે બે અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટના ઇસાનગર અને ધૌરહરા પોલીસ સ્ટેશન વિસ્તારની સરહદ પર આવેલા ઊંચગાંવ અને ભરેહતા ગામ વચ્ચે બની હતી.

પોલીસના જણાવ્યા અનુસાર લખીમપુર તરફથી સિસૈયા જઈ રહેલી મેજિક વાન સામે આવી રહેલા ટ્રક સાથે અથડાઈ ગઈ હતી. અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને બચાવ ટીમો સ્થળ પર પહોંચી હતી અને ઘાયલોને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ધૌરહરાના સીઓ શમશેર બહાદુર સિંહે સમગ્ર ઘટનાની પુષ્ટિ કરી હતી.

બીજી તરફ બહરાઈચ જિલ્લામાં પણ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. બહરાઈચના પોલીસ અધિક્ષક વિશ્વજીત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે એક કાર બહરાઈચ તરફ જઈ રહી હતી ત્યારે બાજુના રસ્તા પરથી આવી રહેલા કમ્બાઈન હાર્વેસ્ટર સાથે તેની ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે બે લોકોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

બંને દુર્ઘટનાઓ બાદ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પોલીસે અકસ્માતના કારણોની તપાસ શરૂ કરી છે અને પ્રાથમિક તપાસમાં વધુ ઝડપ તથા બેદરકારી અકસ્માત પાછળનું કારણ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

પૂર્વ મિસ પુણે ટ્વિશા શર્માનું લગ્નના પાંચ મહિનામાં શંકાસ્પદ મોત

0

ભોપાલમાં શંકાસ્પદ પરિસ્થિતિમાં મોતને ભેટેલી ટ્વિશા શર્મા માત્ર એક સામાન્ય ગૃહિણી નહોતી, પરંતુ ખૂબ જ પ્રતિભાશાળી અને મહત્ત્વાકાંક્ષી યુવતી હતી. MBA સુધી અભ્યાસ કરનાર ટ્વિશાએ માર્કેટિંગ અને કમ્યુનિકેશન ક્ષેત્રમાં કામ કર્યું હતું, તેલુગુ ફિલ્મોમાં અભિનય કર્યો હતો, પૂર્વ મિસ પુણે રહી ચૂકી હતી અને યોગ ટ્રેનર તરીકે પણ પોતાની ઓળખ બનાવી હતી. ડેટિંગ એપથી શરૂ થયેલી લવ સ્ટોરી લગ્ન સુધી પહોંચી હતી, પરંતુ લગ્નના માત્ર પાંચ મહિનામાં જ તેનું જીવન દુઃખદ અંત સુધી પહોંચી ગયું. મોત પહેલા માતા અને મિત્રોને મોકલેલા ભાવુક મેસેજોએ અનેક સવાલો ઉભા કર્યા છે કે શું ટ્વિશા ખરેખર માનસિક રીતે પરેશાન હતી કે પછી આ મામલે કોઈ મોટું રહસ્ય છુપાયેલું છે?

ઉત્તર પ્રદેશના નોઈડાની રહેવાસી ટ્વિશા શર્માએ MBA સુધી અભ્યાસ કર્યો હતો અને લગ્ન પહેલાં દિલ્હીમાં ઘણા વર્ષો સુધી કામ કર્યું હતું. તેણે તેલુગુ ફિલ્મ ‘મુગ્ગુરુ મોનાગલ્લુ’માં પણ અભિનય કર્યો હતો.

ટ્વિશાનો કારકિર્દી માર્કેટિંગ, કમ્યુનિકેશન અને ક્રિએટિવ ક્ષેત્ર સાથે જોડાયેલો હતો. એક કથિત LinkedIn પ્રોફાઈલ મુજબ તેણે પોતાને ડાયનેમિક પ્રોફેશનલ તરીકે રજૂ કરી હતી, જેને માર્કેટિંગ સાથે અભિનય અને ફિલ્મ નિર્માણમાં પણ રસ હતો. પ્રોફાઈલમાં ઉલ્લેખ હતો કે તેણે મુંબઈની કંપની ફ્લેવર પોટ ફૂડ્સમાં માર્કેટિંગ મેનેજર તરીકે કામ કર્યું હતું. પછી તે જર્મન એકેડમી ઓફ ડિજિટલ એજ્યુકેશન (DADB)માં કમ્યુનિકેશન અને ઓનબોર્ડિંગ મેનેજર તરીકે પણ રહી હતી. ઉપરાંત તે પ્રમાણિત યોગ ટ્રેનર અને વિપશ્યના મેડિટેશનની સાધિકા પણ હતી.

માતાને મોકલ્યા હતા ભાવુક મેસેજ
મોત પહેલા ટ્વિશાએ પોતાની માતા અને મિત્રોને કેટલાક ભાવુક વોટ્સએપ મેસેજ મોકલ્યા હતા. આ મેસેજોમાં તેણે પોતાની માનસિક પરેશાની અને લગ્નજીવનમાં “ફસાઈ ગઈ” હોવાની લાગણી વ્યક્ત કરી હતી.

એક મેસેજમાં તેણે પોતાની માતાને લખ્યું હતું, “મને અહીં શા માટે મોકલી? આ વ્યક્તિ મારી સાથે વાત પણ કરતો નથી.” બીજા મેસેજમાં તેણે લખ્યું હતું, “મમ્મી, મારું જીવન નરક બની ગયું છે.” મિત્ર સાથેની વાતચીતમાં ટ્વિશાએ કહ્યું હતું કે ઘરે બેસી રહેવાના કારણે તે ચિંતામાં હતી અને જીવનમાં કંઈક કરવું માંગતી હતી.

પરિવારની ફરી પોસ્ટમોર્ટમ કરવાની માંગ
ટ્વિશાના મોત બાદ તેના પરિવારજનોએ ભોપાલમાં મુખ્યમંત્રી નિવાસ બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને AIIMS દિલ્હી ખાતે ફરી પોસ્ટમોર્ટમ કરવાની માંગ ઉઠાવી હતી. પરિવારનો આરોપ છે કે ન્યાય મેળવવા માટે તેમને સતત અધિકારીઓના ચક્કર લગાવવા પડી રહ્યા છે. ટ્વિશાના પિતા નવનિધિ શર્મા અને તેના કઝિન આશિષ શર્માએ આરોપ લગાવ્યો હતો કે શરૂઆતમાં પોલીસ FIR નોંધવામાં પણ આનાકાની કરી રહી હતી.

SIT કરશે સમગ્ર મામલાની તપાસ
દહેજ હેરાનગતિના આરોપોની તપાસ માટે પોલીસે વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરી છે. પરિવારજનોએ ટ્વિશાના પતિ સમર્થ સિંહ અને તેમની માતા ગિરીબાલા સિંહ પર હત્યાનો આરોપ લગાવ્યો છે. પરિવારને આશંકા છે કે આરોપીઓનો પ્રભાવ તપાસને અસર કરી શકે છે. હાલ પોલીસ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહી છે.

મેગી બાદ હવે કિટકેટે કર્યો કમાલ: ભારત બન્યું વિશ્વનું નંબર-1 માર્કેટ, નેસ્લેને મોટી સફળતા

0

ભારતના ચોકલેટ પ્રેમીઓએ એક નવો વૈશ્વિક રેકોર્ડ બનાવ્યો છે. સ્વિટ્ઝર્લૅન્ડની અગ્રણી ફૂડ અને કન્ફેક્શનરી કંપની નેસ્લેની પ્રખ્યાત ચોકલેટ બ્રાન્ડ, કિટકેટ, હવે વિશ્વની સૌથી વધુ વેચાતી ચોકલેટ બ્રાન્ડ છે. કંપનીના જણાવ્યા અનુસાર, મજબૂત ગ્રાહક પહોંચ, નવીન સ્વાદ અને આક્રમક માર્કેટિંગ દ્વારા ભારત કિટકેટ માટે વિશ્વનું નંબર વન બજાર બની ગયું છે.

છેલ્લા 2-3 વર્ષથી, ભારત આ બાબતમાં બીજા સ્થાને હતું, પરંતુ હવે તેણે વિશ્વના 85 અન્ય દેશોને પાછળ છોડીને ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

૧૦ વર્ષમાં નંબર ૧૦ થી નંબર ૧ સુધીની સફર
નેસ્લે ઇન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મનીષ તિવારીએ તાજેતરમાં મીડિયા સાથે આ ઐતિહાસિક સિદ્ધિ શેર કરી હતી. તેમણે સમજાવ્યું કે માત્ર એક દાયકા પહેલા, ભારત વૈશ્વિક કિટકેટ વેચાણમાં 10મા ક્રમે હતું.

કિટકેટ હવે નેસ્લે ઇન્ડિયાના પોર્ટફોલિયોમાં બીજી બ્રાન્ડ બની ગઈ છે જે ભારતને વૈશ્વિક સ્તરે તેનું સૌથી મોટું બજાર બનાવે છે, જે અગાઉ ફક્ત મેગીના નામે જ રેકોર્ડ હતો.

નાણાકીય વર્ષ 2025-26 માં નેસ્લેના કન્ફેક્શનરી સેગમેન્ટમાં મૂલ્ય અને વોલ્યુમ બંનેમાં પ્રભાવશાળી બે-અંકી વૃદ્ધિ નોંધાઈ હતી. ભારત પહેલાં, જાપાન, બ્રાઝિલ અને યુરોપિયન દેશો કિટકેટના સૌથી મોટા ખરીદદારો માનવામાં આવતા હતા.

આ 4 મોટા ફેરફારોએ રમતને બદલી નાખી
નેસ્લે ઇન્ડિયાના કન્ફેક્શનરી અને અનાજના ડિરેક્ટર જગદીશન ગોપીચંદરના જણાવ્યા અનુસાર, કિટકેટનું પ્રથમ સ્થાન તેના મુખ્ય બજારમાં પ્રવેશને મજબૂત બનાવવા અને નવા ક્ષેત્રોમાં પ્રવેશવાથી પ્રેરિત થયું છે:

પ્રીમિયમ અને નવા સ્વાદ રજૂ કર્યા: કંપનીએ ફક્ત ક્લાસિક કિટકેટ પર આધાર રાખ્યો નહીં, પરંતુ ભારતીય યુવાનોને આકર્ષવા માટે “સોલ્ટેડ કારમેલ” અને “હેઝલનટ” જેવા પ્રીમિયમ કિટકેટ ડિલાઇટ્સ વેરિયન્ટ્સ લોન્ચ કર્યા. તેણે “કિટકેટ ડ્યુઓ” અને “કિટકેટ લેમન અને લાઇમ” જેવા નવીન સ્વાદ પણ રજૂ કર્યા.

ભેટ આપવા અને નિબલિંગ સેગમેન્ટ: તહેવારોની ભેટ આપવા માટે કિટકેટ સેલેબ્રેક અને સફરમાં ખાવા માટે કિટકેટ પોપ્સ રજૂ કરવામાં આવ્યા હતા.

વિઝીકૂલર પ્રોગ્રામ: ભારતીય ઉનાળામાં ચોકલેટ પીગળવી એ એક મોટી સમસ્યા છે. નેસ્લેએ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં સ્ટોર્સમાં મોટા પાયે ગ્લાસ-ડોર કોમર્શિયલ રેફ્રિજરેટર્સ સ્થાપિત કર્યા, જેનાથી નાના શહેરો સુધી પહોંચવું સરળ બન્યું.

માર્કેટિંગ પર ભારે ખર્ચ: કંપનીએ ભારતમાં તેની પહોંચ વધારવા માટે જાહેરાત અને ડિજિટલ ઝુંબેશમાં તેના રોકાણમાં નોંધપાત્ર વધારો કર્યો છે.

ભારતીયો વાર્ષિક ₹395 કરોડની આંગળીઓ ચાવે છે
નેસ્લે ઇન્ડિયાના વાર્ષિક અહેવાલ (FY25) મુજબ, ભારતીયોએ ₹395 કરોડની કિટકેટ ખરીદી હતી કારણ કે કિટકેટે ભારતમાં તેનો બજાર હિસ્સો બમણો કર્યો હતો, જેના કારણે તે દેશમાં ચોકલેટ શ્રેણીમાં સૌથી ઝડપથી વિકસતી બ્રાન્ડ બની હતી. ભારતમાં નેસ્લેનો મેગીનો વ્યવસાય પણ વિશ્વમાં સૌથી મોટો છે, જે વાર્ષિક ₹500 કરોડથી વધુ મૂલ્યના સર્વિંગનું વેચાણ કરે છે.

આ યાત્રા બ્રિટનમાં શરૂ થઈ હતી, અને હર્શી યુએસમાં કમાન્ડમાં છે.
કિટકેટનો ઇતિહાસ રસપ્રદ છે. તેને 1930 ના દાયકામાં બ્રિટીશ કન્ફેક્શનરી કંપની રાઉનટ્રી દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. 1988 માં, સ્વિસ બહુરાષ્ટ્રીય કંપની નેસ્લેએ રાઉનટ્રીનું હસ્તાંતરણ કર્યું, જેનાથી કિટકેટ નેસ્લેનો ભાગ બન્યો. જો કે, એક અનોખા લાઇસન્સિંગ કરાર હેઠળ, કિટકેટનું ઉત્પાદન અને વેચાણ યુનાઇટેડ સ્ટેટ્સમાં નેસ્લે દ્વારા નહીં, પરંતુ તેના હરીફ, હર્શી દ્વારા કરવામાં આવે છે.

પશ્ચિમ બંગાળમાં આશ્રમ બહાર બોમ્બબાજી બાદ મુંબઈમાં છુપાયેલા બે આરોપી ઝડપાયા

0

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ક્રાઈમ ઇન્ટેલિજન્સ યુનિટ (CIU) એ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં આવેલા એક આશ્રમ બહાર બોમ્બ ફેંકવાના મામલે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. બંને આરોપીઓને બોરીવલી રેલવે સ્ટેશન પરથી ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટના થોડા દિવસો અગાઉની હોવાનું સામે આવ્યું છે, જ્યારે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ બોમ્બ ફેંકવાની ઘટના બની હતી. આ મામલે બહેરામપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. હાલ બંને આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.

આરોપીઓને બંગાળ પોલીસને સોંપાશે
માહિતી અનુસાર ઝડપાયેલા આરોપીઓની ઓળખ 24 વર્ષીય રોકી ખાન અને 25 વર્ષીય સહાદત સરકાર તરીકે થઈ છે. રોકી ખાન કાંદી હોટેલ પારા વિસ્તારનો રહેવાસી છે અને વ્યવસાયે ડ્રાઈવર છે. જ્યારે સહાદત સરકાર નતુન પુરા ગામનો રહેવાસી છે અને મજૂરી કામ કરે છે. બંનેની ધરપકડ બાદ ક્રાઈમ બ્રાન્ચે કોર્ટની કાર્યવાહી પૂર્ણ કરી તેમને પશ્ચિમ બંગાળ પોલીસને સોંપવા માટે બે દિવસની ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી છે.

કયા મામલે થઈ ધરપકડ?
માજીહેરપારા વિસ્તારના કરિયાણાની દુકાનના માલિક પશુપતિનાથ સાહાની ફરિયાદના આધારે આ કેસ નોંધાયો હતો. ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે અલી હુસૈન ઉર્ફે લાદેન, હસન SK અને તેમના ત્રણ અજાણ્યા સાથીદારો આ ઘટનામાં સામેલ હતા અને હાલ ફરાર છે.

ફરિયાદ મુજબ 12 મેના રોજ અજાણ્યા શખ્સોએ આશ્રમ નજીક આવેલા માં દુર્ગા મંદિર સામેના વીજ થાંભલા પર લગાવેલા ફોટા ફાડી નાખ્યા હતા. ત્યારબાદ 13 મેની રાત્રે લગભગ 10:45 વાગ્યે આરોપીઓ અને તેમના સાથીદારો દ્વારા આશ્રમ પાસે આવેલા ખાલી મેદાનમાં સોકેટ બોમ્બ ફેંકવામાં આવ્યા હતા.

ફરિયાદ કરશો તો વધુ બોમ્બ હુમલાની ધમકી
આટલું જ નહીં, 14 મેની સવારે લગભગ 10:30 વાગ્યે આરોપીઓ બાઈક પર આવી ફરિયાદીની કરિયાણાની દુકાને પહોંચ્યા હતા અને ધમકી આપી હતી કે જો મામલાની ફરિયાદ અધિકારીઓ સુધી પહોંચાડવામાં આવશે તો આગળ પણ બોમ્બ હુમલા કરવામાં આવશે.

પોલીસ તપાસ દરમિયાન 15 મેના રોજ ખુલાસો થયો હતો કે આરોપીઓ ધરપકડથી બચવા માટે ગીતાંજલી એક્સપ્રેસ મારફતે મુંબઈ ભાગી આવ્યા હતા. ત્યારબાદ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી કરીને બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

સુરત પોલીસ કમિશનરનો કડક એક્શન: પુણા PI સસ્પેન્ડ, પોલીસ બેડામાં ખળભળાટ

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત હાલમાં એક્શન મૂડમાં જોવા મળી રહ્યા છે. પુણા પોલીસ મથકની હદમાં સ્થાનિક પોલીસની નજર સામે જ ચાલી રહેલા જુગારના અડ્ડા પર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા બે વખત સફળ રેડ કરવામાં આવી હતી. આ મામલાને ગંભીર બેદરકારી ગણાવી પોલીસ કમિશનરે પુણા પોલીસ મથકના PI વી.એમ. દેસાઈને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે.

પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલી નવી નિમણૂક મુજબ, હવે પુણા પોલીસ મથકનો ચાર્જ ટ્રાફિક શાખાના PI સી.બી. ચૌધરીને સોંપવામાં આવ્યો છે. સ્થાનિક પોલીસની નાક નીચે ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલી રહી હોવા છતાં યોગ્ય કાર્યવાહી ન થતાં આ કડક પગલું લેવામાં આવ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

મહત્વનું છે કે અનુપમસિંહ ગેહલોત છેલ્લા બે વર્ષથી સુરત પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યા છે. જોકે તેમના કાર્યકાળ દરમિયાન કોઈ ઉચ્ચ પોલીસ અધિકારીને સીધા સસ્પેન્ડ કરવામાં આવ્યો હોય એવો આ પહેલો કિસ્સો છે. સામાન્ય રીતે આવી બેદરકારીના કેસોમાં માત્ર બદલીની કાર્યવાહી કરવામાં આવતી હોય છે, પરંતુ આ વખતે સીધા સસ્પેન્શનના નિર્ણયથી પોલીસ બેડામાં ફફડાટ ફેલાઈ ગયો છે.

પોલીસ કમિશનરના આકરા વલણ બાદ સુરત પોલીસ વિભાગમાં હાલ ભારે ચર્ચાનો માહોલ છે. લાંચિયા અને બેદરકાર અધિકારીઓ માટે આ કાર્યવાહી ચેતવણીરૂપ માનવામાં આવી રહી છે.

કાશ્મીરમાં ફરવા ગયેલા અમદાવાદીઓને નડ્યો અકસ્માત, કાર ખીણમાં ખાબકતા 2નાં મોત

0

કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં ગુજરાતના પ્રવાસીઓ સાથે ગંભીર માર્ગ અકસ્માત સર્જાતા બે લોકોનાં મોત થયા છે, જ્યારે ચાર લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. મૃતકોમાં અમદાવાદના ઘાટલોડિયા અને ભીમજીપુરા વિસ્તારના રહેવાસીઓનો સમાવેશ થાય છે. અકસ્માત બાદ સમગ્ર પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

માહિતી અનુસાર અમદાવાદના નવા વાડજ, ઘાટલોડિયા અને આસપાસના વિસ્તારોના કેટલાક દંપતિઓ કાશ્મીર પ્રવાસે ગયા હતા. આ દરમિયાન તેઓ પહેલગામથી એડ વેલી તરફ JK21A-0379 નંબરની ટવેરા ટેક્સીમાં જઈ રહ્યા હતા. વાહન સ્થાનિક ડ્રાઇવર રઈસ અહેમદ બટ્ટ ચલાવી રહ્યો હતો.

પહેલગામથી લગભગ ચાર કિલોમીટર દૂર આવેલા એક વળાંક પાસે ડ્રાઇવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર સીધી રસ્તા પરથી ઉતરી ઊંડી ખીણમાં ખાબકી ગઈ હતી. અકસ્માત જોતા આસપાસથી પસાર થતા લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા હતા.

ઘટનાની જાણ થતાં જ પોલીસ અને CRPFની ટીમો સ્થળ પર પહોંચી હતી. બચાવ કામગીરી હાથ ધરીને ખીણમાં પડેલી કારમાંથી તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા અને સારવાર માટે અનંતનાગની સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ દુર્ઘટનામાં ઘાટલોડિયાના કે.કે. નગર રોડ પર આવેલા વાસુકાનન ટાવરમાં રહેતા ભાવિનભાઈ ભાવસારનું મોત થયું હતું. તેમની પત્ની અવનીબહેન ગંભીર રીતે ઘાયલ થતાં હાલ શ્રીનગરની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સદનસીબે તેમની સાથે રહેલો 12 વર્ષનો બાળક સુરક્ષિત બચી ગયો હતો.

આ ઉપરાંત ભીમજીપુરાના વિરનગર વિસ્તારમાં રહેતા નયનાબહેન ભાવસારનું પણ અકસ્માતમાં મોત થયું છે. તેમના પતિ અશોકભાઈ ભાવસાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં શ્રીનગરમાં તેમનું ઓપરેશન કરવામાં આવ્યું છે. અકસ્માતમાં ટેક્સી ચાલકને પણ ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.

પહેલગામ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી અકસ્માતના કારણોની તપાસ શરૂ કરી છે. પ્રાથમિક માહિતી મુજબ વાહનની ઝડપ વધુ હોવાના કારણે ડ્રાઇવરે કાબુ ગુમાવ્યો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે પોલીસનું કહેવું છે કે તપાસ પૂર્ણ થયા બાદ જ અકસ્માતનું ચોક્કસ કારણ બહાર આવશે.