Home Blog Page 80

કર્ણાટકમાં નેતૃત્વ બદલાવની અટકળો તેજ, સિદ્ધારમૈયાના રાજીનામાની ચર્ચા વચ્ચે ડી.કે. શિવકુમાર આગળ?

0

કર્ણાટકના રાજકારણમાંથી આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયા આજે પોતાના પદ પરથી રાજીનામું આપવા જઈ રહ્યા છે, જ્યારે તેમના સ્થાને હવે ડી.કે. શિવકુમાર કર્ણાટકના નવા મુખ્યમંત્રી બનશે. સિદ્ધારમૈયાએ આજે સવારે પોતાના નિવાસસ્થાને કેબિનેટ મંત્રીઓ સાથે બ્રેકફાસ્ટ મીટિંગ યોજીને સરકારના ત્રણ વર્ષના કામકાજનો રિપોર્ટ કાર્ડ રજૂ કર્યો હતો અને તમામ સહયોગીઓનો આભાર માનીને રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી હતી. તેમણે આગામી મુખ્યમંત્રી તરીકે ડી.કે. શિવકુમારના નામનો પ્રસ્તાવ પણ મૂક્યો છે. સિદ્ધારમૈયા આજે બપોરે 3 વાગ્યે રાજભવન (લોકભવન) પહોંચીને પોતાનું રાજીનામું સોંપશે.

આ બેઠક નિર્ધારિત સમય કરતાં એક કલાક મોડી શરૂ થઈ હતી. ડેપ્યુટી સીએમ ડી. કે. શિવકુમાર દિલ્હીથી સીધા જ એરપોર્ટથી સીએમ આવાસ પહોંચ્યા હતા. સીએમ હાઉસમાં સિદ્ધારામૈયા અને ડી.કે. શિવકુમારે એકબીજાને ગળે લગાવીને પાર્ટીમાં એકતાનો મોટો સંદેશ આપ્યો હતો. આ દરમિયાન શિવકુમારે સિદ્ધારામૈયાના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ પણ લીધા હતા. બેઠકમાં સંતોષ લાડ, બી. સુરેશ, એમ.બી. પાટીલ અને રામલિંગા રેડ્ડી સહિતના તમામ દિગ્ગજ મંત્રીઓ અને ધારાસભ્યો હાજર રહ્યા હતા.

સિદ્ધારામૈયા સવારે 11 વાગ્યે રાજભવન જઈને રાજીનામું સોંપવાના હતા, પરંતુ આ દરમિયાન એક નવો વળાંક આવ્યો છે. રાજ્યપાલ થાવરચંદ ગેહલોત પરિવારમાં મેડિકલ ઈમરજન્સીના કારણે અચાનક બેંગલુરુ છોડીને ઈન્દોર રવાના થઈ ગયા છે. રાજ્યપાલની ગેરહાજરીને કારણે થોડીવાર માટે અસમંજસ ઊભી થઈ હતી કે રાજીનામું કોણ સ્વીકારશે?

મુખ્યમંત્રીના રાજીનામાની જાહેરાત બાદ હવે કર્ણાટક કોંગ્રેસમાં આંતરિક રાજકારણ ગરમાયું છે. ધારાસભ્યોના એક મોટા જૂથે સિદ્ધારમૈયાના અનુગામીની પસંદગી કરવા માટે કોંગ્રેસ વિધાયક દળ (CLP) ની બેઠક બોલાવવાની માંગ કરી છે. જોકે જો આ બેઠક બોલાવવામાં ડી કે શિવકુમારને નુકસાન થઇ શકે એવી અટકળો છે. ધારાસભ્યોનું એક મોટું જુથ ડી કે શિવકુમારને સીએમ તરીકે જોવા નથી ઇચ્છતું.

કર્ણાટક મુખ્યમંત્રી કાર્યાલય (CMO) એ સત્તાવાર પુષ્ટિ કરી છે કે, “મુખ્યમંત્રી સિદ્ધારામૈયા આજે જ પોતાના પદ પરથી રાજીનામું આપશે. જો રાજ્યપાલ બેંગલુરુમાં ઉપલબ્ધ નહીં હોય, તો પણ મુખ્યમંત્રીનું રાજીનામું સીધું જ રાજ્યપાલના કાર્યાલય (રાજભવનના વિશેષ સચિવ) ને સોંપી દેવામાં આવશે.” કોંગ્રેસ હાઈકમાન્ડના આદેશ બાદ હવે સિદ્ધારામૈયા દિલ્હી જશે અને આગામી સમયમાં રાજ્યસભાના સાંસદ બને તેવી પૂરેપૂરી સંભાવના છે. જ્યારે શુક્રવારે મળનારી વિધાનસભ્ય પક્ષની બેઠકમાં નવા મુખ્યમંત્રી તરીકે ડી.કે. શિવકુમારના નામની સત્તાવાર જાહેરાત થઈ શકે છે.

કર્ણાટક પોલિટિક્સ: ટૂંકી પણ મહત્વની ટાઈમલાઇન

  • મે 2023 (સત્તાની ફોર્મ્યુલા): કર્ણાટકમાં કોંગ્રેસની જીત બાદ સિદ્ધારમૈયા સીએમ અને ડી.કે. શિવકુમાર ડેપ્યુટી સીએમ બન્યા. પક્ષમાં ‘અઢી-અઢી વર્ષ’ ની સત્તા વહેંચણીની ગુપ્ત ફોર્મ્યુલા નક્કી થઈ હતી.
  • મે 2026 (દિલ્હીનું દબાણ): નિર્ધારિત સમયગાળો પૂરો થતાં રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેએ પક્ષના જૂના વચનનું સન્માન કરવા માટે સિદ્ધારમૈયા પર પદ છોડવા દબાણ કર્યું.
  • 28 મે 2026 (સવારે ભાવુક ક્ષણો): બેંગલુરુમાં નાસ્તાની બેઠક દરમિયાન ડેપ્યુટી સીએમ ડી.કે. શિવકુમારે સીએમ સિદ્ધારમૈયાના ચરણસ્પર્શ કરી આશીર્વાદ લીધા.
  • 28 મે 2026 (બપોરે રાજીનામું): મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સત્તાવાર રીતે રાજ્યપાલને મળીને પોતાનું રાજીનામું સોંપશે.
  • આગામી વળાંક (નવા સીએમની રેસ): સીએમ પદ માટે ડી.કે. શિવકુમારનું નામ રેસમાં છે, પરંતુ સિદ્ધારમૈયા જૂથ દ્વારા ગૃહમંત્રી જી. પરમેશ્વરન નું નામ આગળ ધરાતા નવો વળાંક આવ્યો છે.

ગુજરાતના વહીવટી તંત્રમાં મોટો ફેરફાર, 36 સેક્શન અધિકારીઓની બદલી અને 81 DySOને બઢતી

ગુજરાત રાજ્ય સરકારના વહીવટી તંત્રમાં ફરી એકવાર મોટાપાયે ફેરબદલ કરવામાં આવ્યો છે. તાજેતરમાં આઈએએસ અધિકારીઓની બદલી બાદ હવે સામાન્ય વહીવટી વિભાગ (GAD) દ્વારા સેક્શન અધિકારીઓ અને નાયબ સેક્શન અધિકારીઓને લઈને મહત્વપૂર્ણ આદેશો જાહેર કરવામાં આવ્યા છે.

સરકાર દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આદેશ મુજબ વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા કુલ 36 સેક્શન અધિકારીઓ (SO)ની બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત સચિવાલય કેડરના 81 નાયબ સેક્શન અધિકારીઓ (DySO)ને બઢતી આપીને સેક્શન અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને તેમને અલગ-અલગ વિભાગોમાં નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે.

27 મે, 2026ના રોજ મોડીરાત્રે જાહેર કરાયેલા આ આદેશ હેઠળ સચિવાલયના અનેક મહત્વપૂર્ણ અને સંવેદનશીલ વિભાગોમાં અધિકારીઓની જવાબદારીઓમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના ઉચ્ચ સ્તરે લેવામાં આવેલા આ નિર્ણય પાછળ વહીવટી કામગીરીમાં વધુ ઝડપ લાવવી અને વિભાગીય કાર્યક્ષમતામાં વધારો કરવાનો મુખ્ય હેતુ માનવામાં આવી રહ્યો છે.

બઢતી મેળવનારા તેમજ બદલી કરાયેલા તમામ અધિકારીઓને તાત્કાલિક અસરથી પોતાના નવા વિભાગોમાં ચાર્જ સંભાળી લેવા સૂચના આપવામાં આવી છે.

બિહારમાં ગંગા નદીમાં હોડી ડૂબી જતાં 2 લોકોના મોત, 5 લોકો લાપતા

0

બિહારના બાઢ જિલ્લાના પ્રસિદ્ધ ઉમાનાથ ગંગા ઘાટ પર આજે વહેલી સવારે એક મોટી અને દર્દનાક હોડી દુર્ઘટના સર્જાઈ છે. ઉમાનાથ ઘાટથી દિયારા વિસ્તાર તરફ જઈ રહેલી એક હોડી અચાનક ગંગા નદીમાં ડૂબી ગઈ હતી. આ હોડી પર કુલ 14 લોકો સવાર હતા, જેમાંથી અત્યાર સુધીમાં 7 લોકોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા છે, જ્યારે 2 લોકોના મોત થયા છે અને તેમના મૃતદેહ પણ મળી આવ્યા છે. બાકીના 5 લાપતા લોકોની શોધખોળ માટે નદીમાં યુદ્ધના ધોરણે રેસ્કયૂ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

મળતી માહિતી મુજબ, આજે વહેલી સવારે લોકો ખેતીકામ કે અન્ય કામ અર્થે ઉમાનાથ ગંગા ઘાટ પરથી હોડીમાં સવાર થઈને દિયારા વિસ્તાર તરફ જવા નીકળ્યા હતા. હોડી હજુ નદીની વચ્ચે પહોંચી જ હતી કે અચાનક સંતુલન બગડવાના કારણે તે પલટી ગઈ. જોતજોતામાં હોડી પર સવાર તમામ 14 લોકો ગંગા નદીના પાણીમાં ડૂબવા લાગ્યા અને ઘાટ પર બુમરાણ મચી ગઈ હતી. નદી કિનારે હાજર કેટલાક લોકોએ તાત્કાલિક પાણીમાં કૂદીને 7 લોકોને તરત જ બહાર કાઢી લીધા, જેના કારણે તેમનો જીવ બચી ગયો હતો.

મૃતકોની ઓળખ
નીલમ કુમારી (૩૦) બારહ પોલીસ સ્ટેશન
કાશી કુમાર (૧૫) બારહ પોલીસ સ્ટેશન

આ ઘટનાની ગંભીરતાને જોતાં સ્થાનિક વહીવટીતંત્ર તાત્કાલિક એક્શનમાં આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ બાઢના એસડીઓ (SDO) ગરિમા લોહિયા અને એસડીપીઓ (SDPO) રામકૃષ્ણ ભારે પોલીસ કાફલા સાથે ઉમાનાથ ગંગા ઘાટ પર પહોંચી ગયા છે અને ત્યાં જ કેમ્પ કરીને રાહત કામગીરી પર નજર રાખી રહ્યા છે.

સ્થાનિક ડાઇવર્સ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો નદીમાં સતત સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. જેથી બાકીના 5 લોકોને વહેલી તકે શોધી શકાય. હાલમાં ગંગા ઘાટ પર સ્થાનિક લોકો અને પીડિતોના પરિવારોની ભારે ભીડ એકઠી થઈ ગઈ છે, અને પરિજનોનું રોઈ-રોઈને ખરાબ હાલત છે.

અજમેરમાં ભયાનક કાર અકસ્માત, 2 પૂર્વ સરપંચ સહિત 4 લોકો જીવતા ભુંજાયા

0

રાજસ્થાનના અજમેર જિલ્લામાં આજે ગુરુવારે સવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. બોરાડા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા શ્રીરામપુરા ગામ પાસે એક ચાલતી કારમાં અચાનક આગ લાગી હતી. આ અકસ્માતમાં ભૂતપૂર્વ સરપંચ સહિત ચાર લોકોના દુઃખદ મોત થયા છે. જિલ્લા પરિષદ સભ્ય પૂસી દેવી ગંભીર રીતે દાઝી ગયા હતા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ બાદમાં તેમનું મોત નીપજ્યું. આ ઘટના સવારે 5:30 કલાકની આસપાસ બની હોવાનું જાણવા મળે છે.

શ્રીરામપુરા ગામના રહેવાસી ભૂતપૂર્વ સરપંચ રામ સિંહ ચૌધરી તેમની માતા, જિલ્લા પરિષદ સભ્ય પૂસી દેવીને છાતીમાં દુ:ખાવાની ફરિયાદ બાદ હોસ્પિટલ લઈ જઈ રહ્યા હતા. તેમની પત્ની, ભૂતપૂર્વ સરપંચ સૂર્યન દેવી અને ભત્રીજી મહિમા પણ કારમાં હતા. એવું કહેવાય છે કે, બધા ઝડપથી હોસ્પિટલ પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે અચાનક કારમાંથી ધુમાડો નીકળવા લાગ્યો અને થોડી જ વારમાં વાહન આગના ગોળામાં ફેરવાઈ ગયું.

થોડી જ વારમાં આખી કાર આગની લપેટમાં આવી ગઈ. આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ કે કારમાં સવાર લોકોને સ્વસ્થ થવાનો મોકો પણ ન મળ્યો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આખી કાર આગમાં લપેટાઈ ગઈ હતી. અકસ્માતમાં રામ સિંહ ચૌધરી, તેમની પત્ની સૂર્યજ્ઞાન દેવી અને ભત્રીજી મહિમા કારમાંથી બહાર નીકળી શક્યા ન હતા અને જીવતા બળી ગયા હતા. સ્થાનિક લોકોએ કોઈક રીતે પૂસી દેવીને બહાર કાઢ્યા, પરંતુ તે ગંભીર રીતે દાઝી ગઈ. સારવાર દરમિયાન તેણીનું પણ મૃત્યુ થયું.

ઘટનાની માહિતી મળતાં, બોરાડા પોલીસ સ્ટેશનની પોલીસ અને વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા. સ્થાનિક ગ્રામજનોની મદદથી આગ પર કાબુ મેળવ્યો. પોલીસે તમામ મૃતદેહોનો કબજો લીધો અને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા. અકસ્માત બાદ ઘટનાસ્થળે મોટી ભીડ એકઠી થઈ ગઈ અને સમગ્ર ગામમાં શોક ફેલાયો.

ફોરેન્સિક ટીમ પહોંચી ઘટનાસ્થળે
પ્રારંભિક તપાસમાં એવું લાગી રહ્યું છે કે, આગ શોર્ટ સર્કિટ અથવા કારમાં ટેકનિકલ ખામીને કારણે લાગી હતી. જોકે, પોલીસ તમામ દ્રષ્ટિકોણથી આ મામલાની તપાસ કરી રહી છે. આગનું ચોક્કસ કારણ જાણવા માટે ફોરેન્સિક ટીમને પણ ઘટનાસ્થળે બોલાવવામાં આવી છે. અજમેરના પોલીસ અધિક્ષક હર્ષવર્ધન અગ્રવાલા પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે અકસ્માતના કારણની તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટના બાદ શ્રીરામપુરા ગામ સહિત આસપાસના વિસ્તારોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

China AI: AI ટેલેન્ટ પર ચીનનો કડક કંટ્રોલ, હવે વિદેશ જવા પહેલાં લેવી પડશે સરકારની મંજૂરી

ચીનની AI રેસ હવે માત્ર અન્ય દેશોથી આગળ નીકળવાની જ રહી નથી. હવે ચીન એવા લોકો પર પણ નિયંત્રણ વધારી રહ્યું છે, જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. Metaને Manus AI ખરીદતા રોક્યા બાદ હવે ચીન પોતાના ટોચના AI ટેલેન્ટ પર પકડ વધુ મજબૂત બનાવી રહ્યું છે. Bloombergની એક રિપોર્ટ અનુસાર, ચીની અધિકારીઓ હવે Alibaba Group અને DeepSeek જેવી ખાનગી કંપનીઓમાં કામ કરતા જાણીતા AI પ્રોફેશનલ્સને વિદેશ પ્રવાસ કરતા રોકી રહ્યા છે.

રિપોર્ટ અનુસાર, સરકારી એજન્સીઓએ એડવાન્સ્ડ AI રિસર્ચ અને ડેવલપમેન્ટ સાથે જોડાયેલા લોકો માટે મુસાફરી પર પ્રતિબંધ લગાવવાની પ્રક્રિયા શરૂ કરી છે. દેશ સ્ટાર્ટઅપ ફાઉન્ડર, રિસર્ચર અને એક્ઝિક્યુટિવ્સને વિદેશ જતાં રોકી રહ્યું છે. હવે આ લોકોને વિદેશ જવા પહેલાં અધિકારીઓ પાસેથી મંજૂરી લેવી ફરજિયાત બનશે.

આ પહેલાં પણ ચીનમાં કેટલાક AI એન્જિનિયરોને વિદેશ જતાં પહેલાં પોતાની મુસાફરીની યોજના અંગે અધિકારીઓને જાણ કરવી પડતી હતી. પરંતુ નવા નિર્ણય હેઠળ હવે AI પ્રોફેશનલ્સની મુસાફરી પર વધુ સીધું નિયંત્રણ લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

રિસર્ચરો પર પણ અધિકારીઓની નજર
ખાસ વાત એ છે કે આ પ્રતિબંધો માત્ર હોદ્દા કે સિનિયરિટી આધારે લગાવવામાં આવી રહ્યા નથી. Bloombergની રિપોર્ટ મુજબ, ચીની અધિકારીઓ એવા લોકોને પણ ઓળખી રહ્યા છે, જે દેશની ટેક્નોલોજીકલ મહત્ત્વાકાંક્ષાઓ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સરળ શબ્દોમાં કહીએ તો, શક્તિશાળી અને ગંભીર AI પ્રોજેક્ટ્સ પર કામ કરતા રિસર્ચરો પણ હવે સરકારની નજર હેઠળ આવી શકે છે.

ચીન માટે આ કોઈ નવી વાત નથી. અહેવાલો મુજબ, અધિકારીઓ અમેરિકી રોકાણકારોને રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલી ટેક્નોલોજીમાં ભાગીદારી લેતા રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે. એટલું જ નહીં, ચીને મોટા AI સ્ટાર્ટઅપ્સને સરકારની મંજૂરી વગર અમેરિકી ફંડિંગ સ્વીકારતા પણ રોકી દીધા છે.

ચીન માટે આ રીત નવી નથી
ચીન અગાઉ પણ મહત્વપૂર્ણ વ્યક્તિઓ પર મુસાફરી પ્રતિબંધ મૂકી ચૂક્યું છે, જેમાં પરમાણુ વૈજ્ઞાનિકો અને મોટી યુનિવર્સિટીના સંશોધકોનો સમાવેશ થાય છે. Bloombergની રિપોર્ટમાં જણાવાયું છે કે ચીનની કેટલીક સરકારી કંપનીઓ પોતાના વરિષ્ઠ અધિકારીઓ અને કમ્યુનિસ્ટ પાર્ટીના નેતાઓના પાસપોર્ટ પણ પોતાની પાસે જ રાખે છે।

ફ્રાન્સ-બ્રિટનમાં કાળઝાળ ગરમીનો કહેર, હીટવેવથી 7 લોકોના મોત

પશ્ચિમી યુરોપ હાલમાં તેજ હીટવેવની ઝપેટમાં છે. ફ્રાન્સ અને યુકેમાં મે મહિનામાં અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગે પણ ચેતવણી આપી છે અને ફ્રાન્સમાં તો ગરમીના લીધે સાતના મોત થયા છે. અહેવાલ મુજબ ઉત્તર આફ્રિકાથી યુરોપ તરફ આવેલી ગરમ હવાના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. તેના કારણે કેટલાય સ્થળે તાપમાન એટલું વધ્યું છે કે હીટડોમ કહેવાય છે.

બ્રિટનમાં વિક્રમજનક ગરમી પડી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ સોમવારે દક્ષિણ-પશ્ચિમ લંડનમાં તાપમાન 34.8 ડિગ્રી સુધી પહોંચ્યું હતું. આ મે મહિનાનું અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન છે. જૂના રેકોર્ડથી બે ડિગ્રી વધારે છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે આટલી ગરમી સામાન્ય રીતે ઉનાળાના દિવસો દરમિયાન જોવા મળે છે. જ્યારે મેમાં લંડનનું સરેરાશ તાપમાન ૧૭થી ૧૮ ડિગ્રી સેલ્સિયસ રહે છે.હવામાન વિભાગે એમ પણ જણાવ્યું કે મંગળવારની રાત મે મહિનાની સૌથી ગરમ રાત તરીકે રેકોર્ડ કરવામાં આવી.

ફ્રાન્સમાં પણ સ્થિતિ ગંભીર છે. દેશની હવામાન એજન્સી મેટિયો ફ્રાન્સે જણાવ્યું હતું કે સોમવારનો દિવસ મે મહિનાનો સૌથી ગરમ દિવસ રહ્યો હતો. ઉત્તર-પશ્ચિમ ફ્રાન્સ માટે ઓરેન્જ હીટવેવ એલર્ટ જારી કરવામાં આવ્યું હતું, જે ચેતવણીનું બીજા નંબરનું સ્તર છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ કેટલાય વિસ્તારોમાં તાપમાન ૩૬ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. પેરિસમાં શનિવારનું તાપમાન ૩૧.૯ ડિગ્રી નોંધાયું હતું.

આ વર્ષે પેરિસમાં પહેલી વખત તાપમાન 30 ડિગ્રીના ઉપર ગયું. હીટવેવથી જર્મની, સ્પેન અને ઇટાલી પણ બાકાત રહી શક્યા ન હતા. જર્મનીમાં આ વર્ષે પહેલી વખત તાપમાન 30 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં તાપમાન વધી શકે છે. સ્પેનમાં પણ સ્થિતિ ગંભીર છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ સ્પેનમાં આગામી દિવસોમાં તાપમાન 40 ડિગ્રીને સ્પર્શી શકે છે. ઇટાલીમાં તો ગરમીના લીધે કેટલાય વિસ્તારોમાં ખુલ્લામાં કામ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગયા વર્ષે પણ આવો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હાતો, પરંતુ આ વર્ષે ગરમી વહેલા શરૂ થઈ ગઈ છે.

ભારતમાં ઇબોલાનો ખતરો? યુગાન્ડાથી આવેલી મહિલામાં શંકાસ્પદ લક્ષણો બાદ એલર્ટ

0

વૈશ્વિક સ્તરે અને ખાસ કરીને આફ્રિકન દેશોમાં ભારે ઉત્પાત મચાવ્યા બાદ હવે ખતરનાક ઇબોલા વાઈરસે ભારતમાં દસ્તક દીધી છે. અહેવાલો અનુસાર, આફ્રિકન દેશ યુગાન્ડાથી ભારત આવેલી એક મહિલામાં ઇબોલા વાઈરસના અત્યંત ગંભીર લક્ષણો જોવા મળ્યા છે. સંક્રમણની આશંકાને પગલે તબીબી તંત્ર દ્વારા મહિલાને બેંગલુરુની ખાસ મેડિકલ ફેસિલિટીમાં ક્વોરન્ટાઇન કરી દેવામાં આવી છે અને તેના સેમ્પલ તપાસ અર્થે મોકલાયા છે.

ઇબોલા વાઈરસને તબીબી જગતમાં કોરોના કરતાં પણ વધુ ઘાતક અને જીવલેણ ગણવામાં આવે છે. ઇબોલાથી સંક્રમિત દર્દીઓમાં મૃત્યુદર 50% થી લઈને 90% સુધી પહોંચી શકે છે. આ એક અત્યંત ચેપી વાયરલ બીમારી છે, જેના કારણે શરીરમાં આંતરિક તેમજ બાહ્ય રક્તસ્રાવ, હેમોરેજિક તાવ અને માનવ શરીરના મહત્ત્વના અંગો ફેલ થઈ જાય છે.

આ વાઈરસ કોઈ પણ સંક્રમિત વ્યક્તિના શરીરના પ્રવાહી પદાર્થો જેવા કે લોહી, લાળ, પરસેવો અથવા યુરિનના સીધા સંપર્કમાં આવવાથી ખૂબ જ ઝડપથી ફેલાય છે. ચિંતાની વાત એ છે કે આ વાઈરસ સામે લડવા માટે હજુ સુધી કોઈ ચોક્કસ સચોટ રસી કે દવા ઉપલબ્ધ નથી, જે તેને વધુ જીવલેણ બનાવે છે. આ પૂર્વે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, યુગાન્ડા અને દક્ષિણ સુદાન જેવા દેશોમાં ઇબોલાના કારણે 200 થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે અને 1,000 થી વધુ કેસ નોંધાયા છે.

ઇબોલાના સંભવિત ખતરાને જોતા ભારત સરકાર અને આરોગ્ય મંત્રાલય સંપૂર્ણપણે એલર્ટ થઈ ગયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ ગત સોમવારે જ આ સંદર્ભે એક સત્તાવાર ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને દેશની સજ્જતાની સમીક્ષા કરી હતી. નાગરિકોને આફ્રિકન દેશોની બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવી છે. આ સાથે જ ડીજીસીએ દ્વારા પણ એરપોર્ટ અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે કડક સ્ક્રિનિંગ ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે.

SIR પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણી બાદ રાજકીય ગરમાવો, કોંગ્રેસે ઉઠાવ્યા મતદાતાઓના અધિકારોના મુદ્દા

0

સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) પ્રક્રિયા સંપૂર્ણપણે નિયમો અને કાયદા મુજબ ચાલી રહી છે. બુધવારે સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવેલી આ ટિપ્પણી બાદ રાજકીય પક્ષોમાં ચર્ચા તેજ બની ગઈ છે. બિહાર કોંગ્રેસે પણ આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી છે અને મતદાતાઓના અધિકારોને લઈને ચિંતા વ્યક્ત કરી છે.

બિહાર કોંગ્રેસના પ્રવક્તા ડો. સ્નેહાશીષ વર્ધને કહ્યું કે SIR પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવાની ઉતાવળમાં મતદાતાઓને તેમના મતાધિકારથી વંચિત કરવામાં આવી રહ્યા છે. તેમણે જણાવ્યું કે ચૂંટણી પંચ દ્વારા યોગ્ય મતદાતાઓના હકોનું હનન ન થાય અને આ પ્રક્રિયા હેઠળ એકપણ માન્ય મતદાતાના અધિકારોનો ભંગ ન થાય, તે સુનિશ્ચિત કરવાની જવાબદારી સુપ્રીમ કોર્ટે પણ નિભાવવી જોઈએ.

નામ કાપવાની પ્રક્રિયાનો વિરોધ
તેમણે કહ્યું કે જનતાના અધિકારોની રક્ષા માટે સામાન્ય લોકો આશાભરી નજરે અદાલતો તરફ જુએ છે. આવી સ્થિતિમાં મતદાતાઓના અધિકારો સુરક્ષિત રહે તે અત્યંત મહત્વપૂર્ણ છે. ડો. સ્નેહાશીષ વર્ધને જણાવ્યું કે અમે સતત માન્ય મતદાતાઓના નામ કાપવાની પ્રક્રિયાનો વિરોધ કરી રહ્યા છીએ અને આગળ પણ કરતા રહીશું. લોકશાહીની મજબૂતી માટે દરેક મત મહત્વનો છે. તેમણે વધુમાં કહ્યું કે અમારા નેતા રાહુલ ગાંધી સતત મતદાતાઓના અધિકારો માટે લડ્યા છે. કોંગ્રેસ પાર્ટી દેશના દરેક માન્ય મતદાતાના અધિકારોનું હનન થવા દેશે નહીં.

દીપક પ્રકાશે SIRને નિયમિત પ્રક્રિયા ગણાવી
બીજી તરફ, બિહાર સરકારના પંચાયતી રાજ મંત્રી દીપક પ્રકાશે કોર્ટના નિર્ણય બાદ કહ્યું કે, “SIR કોઈ મુદ્દો નથી. SIR એક નિયમિત પ્રક્રિયા છે. જ્યારે જ્યારે ચૂંટણી પંચને મતદાર યાદીમાં સુધારો કરવાની જરૂર લાગી છે, ત્યારે ત્યારે SIR કરવામાં આવ્યું છે. અગાઉ પણ થયું છે અને આગળ પણ થતું રહેશે.”

તેમણે વધુમાં કહ્યું કે વિરોધ પક્ષ બિનજરૂરી રીતે તેને ચૂંટણી મુદ્દો બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. “બિહારમાં પણ તેને ચૂંટણી મુદ્દો બનાવવાનો પ્રયાસ થયો હતો અને પશ્ચિમ બંગાળમાં પણ આવું થયું હતું. પરિણામ સૌના સામે છે. આ માત્ર નિયમિત કામગીરી છે અને તેને લઈને બિનજરૂરી મુદ્દો ઉભો કરવાનો પ્રયાસ નિષ્ફળ ગયો છે.”

આસારામને બાળકના યૌન ઉત્પીડન મામલે નિર્દોષ, સગીરા સાથે દુષ્કર્મ મામલે આજીવન કેદની સજા યથાવત

0

સ્વયંઘોષિત ધર્મગુરુ આસારામ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. રાજસ્થાન હાઈકોર્ટે ગેંગરેપ અને બાળકના સામૂહિક યૌન ઉત્પીડનના કેટલાક આરોપોમાં તેમને રાહત આપી છે, જોકે સગીરા સાથે દુષ્કર્મના મુખ્ય કેસમાં તેમની આજીવન કેદની સજા યથાવત રાખવામાં આવી છે. આ નિર્ણય બાદ લોકોમાં ફરી પ્રશ્નો ઊભા થયા છે કે આખો કેસ શું હતો, આસારામ કોણ છે અને અત્યાર સુધી શું કાર્યવાહી થઈ છે.

હાઈકોર્ટે કયા આરોપોમાં રાહત આપી?
રાજસ્થાન હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે આસારામને IPCની કલમ 376(D) હેઠળના ગેંગરેપના આરોપ અને પોક્સો કાયદાની કલમ 5(G)/6 હેઠળના બાળકના સામૂહિક યૌન શોષણના આરોપોમાંથી મુક્ત કર્યા છે. આ ઉપરાંત કોર્ટે આપરાધિક ષડયંત્ર સાથે જોડાયેલી IPC કલમ 120(B) હેઠળ પણ તેમને દોષમુક્ત જાહેર કર્યા છે. જોકે, સગીરા સાથે દુષ્કર્મના મુખ્ય આરોપમાં તેમની સજા યથાવત રાખવામાં આવી છે. એટલે કે આસારામ સામેની આજીવન કેદની સજા ચાલુ જ રહેશે.

હાલ આસારામ ક્યાં છે?
હાલ આસારામ અસ્થાયી જામીન પર બહાર છે. સોમવારે અદાલતે તેમના આગોતરા જામીનની મુદત વધુ લંબાવી હતી. આરોગ્ય કારણોસર તેમને સમયાંતરે તાત્કાલિક રાહત આપવામાં આવતી રહી છે.

આખો કેસ શું હતો?
આ મામલો વર્ષ 2013માં સામે આવ્યો હતો. ઉત્તર પ્રદેશની એક સગીરાએ આસારામ પર જોધપુર સ્થિત આશ્રમમાં બોલાવી દુષ્કર્મ કરવાનો આરોપ લગાવ્યો હતો. પીડિતાના પરિવાર દ્વારા ફરિયાદ નોંધાતા દેશભરમાં ભારે ચર્ચા શરૂ થઈ હતી. પોલીસ તપાસ દરમિયાન આસારામની ધરપકડ કરવામાં આવી હતી અને લાંબી કાનૂની કાર્યવાહી બાદ 2018માં જોધપુરની વિશેષ પોક્સો અદાલતે તેમને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી.

કેસ દરમિયાન આસારામ અને તેમના આશ્રમ સાથે જોડાયેલા અનેક વિવાદો સામે આવ્યા હતા. સાક્ષીઓને ધમકાવવાના અને દબાણ લાવવાના આરોપો પણ લાગ્યા હતા.

કોણ છે આસારામ?
આસારામનું મૂળ નામ અસુમલ હરપલાની છે. તેમનો જન્મ એપ્રિલ 1942માં હાલના પાકિસ્તાનના સિંધ પ્રાંતના બેરાની ગામમાં થયો હતો. 1947ના ભાગલા બાદ તેમનો પરિવાર ભારતમાં આવી અમદાવાદમાં વસ્યો હતો. સાઠના દાયકામાં તેમણે લીલાશાહને પોતાના ગુરુ બનાવ્યા હતા. ત્યારબાદ તેમને “આસારામ” નામ આપવામાં આવ્યું હતું. વર્ષ 1972માં અમદાવાદ નજીક મોટેરા વિસ્તારમાં સાબરમતી નદી કિનારે તેમણે પોતાનો પહેલો આશ્રમ શરૂ કર્યો હતો. બાદમાં તેમનો આશ્રમ અને આધ્યાત્મિક પ્રભાવ ગુજરાતથી લઈને દેશના અનેક રાજ્યો સુધી ફેલાયો હતો.

દેશભરમાં ફેલાયેલું આશ્રમ નેટવર્ક
એક સમયે આસારામના દેશભરમાં સૈંકડો આશ્રમો, ગુરુકુલો અને અનુયાયીઓ હતા. લાખો લોકો તેમને આધ્યાત્મિક ગુરુ માનતા હતા. પરંતુ 2013 બાદ લાગેલા ગંભીર આરોપો અને કોર્ટ કેસોને કારણે તેમની છબી પર મોટો પ્રહાર થયો હતો. હાલ હાઈકોર્ટના તાજેતરના નિર્ણય બાદ ફરી એકવાર આસારામ અને તેમના કેસને લઈને ચર્ચા તેજ બની છે.

ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં સુપ્રીમ કોર્ટે તથ્ય પટેલના જામીન કર્યા મંજૂર

અમદાવાદના ચકચારી અને સમગ્ર ગુજરાતને હચમચાવી મૂકનારા ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના મુખ્ય આરોપી તથ્ય પટેલને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. દેશની સર્વોચ્ચ અદાલતે લાંબી કાનૂની દલીલો બાદ આરોપી તથ્ય પટેલના નિયમિત જામીન મંજૂર કર્યા હોવાની સત્તાવાર પુષ્ટિ તેના વકીલ દ્વારા કરવામાં આવી છે. જુલાઇ ૨૦૨૩માં બનેલી આ ભયાનક ઘટના બાદ લગભગ પોણા ત્રણ વર્ષ જેટલો સમય જેલના સળિયા પાછળ વિતાવ્યા પછી હવે આરોપી તથ્ય પટેલ જેલમાંથી બહાર આવશે. આ જામીન આ ચકચારી કેસની કાનૂની પ્રક્રિયામાં એક ખૂબ જ મોટો વળાંક માનવામાં આવી રહ્યો છે.

આ કેસની ટ્રાયલ કોર્ટમાં હાલમાં નિયમિતપણે કાનૂની કાર્યવાહી અને સુનાવણી ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ ફેબ્રુઆરી મહિનામાં સુપ્રીમ કોર્ટે આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ટ્રાયલ કોર્ટને મે મહિના સુધીમાં 25 જેટલા સાક્ષીઓ તપાસી લેવા માટે કડક સૂચના આપી હતી. ટ્રાયલ કોર્ટમાં ચાલી રહેલી આ પ્રક્રિયા વચ્ચે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા આ જામીન કેસમાં એક મોટો વળાંક છે.

સુપ્રીમ કોર્ટે શું નોંધ્યું?
મહત્વનું છે કે તથ્ય પટેલના વકીલ આઈ.એચ.સૈયદ અને ઝીલ શાહે સુપ્રીમ કોર્ટ સમક્ષ તથ્યની જામીન અરજી મૂકી હતી. 191 સાહેદ પૈકી લગભગ 29 જેટલા સાક્ષીઓની તપાસ પૂર્ણ થઈ હોવાની સુપ્રીમ સમક્ષ જામીનની રજૂઆત મૂકવામાં આવી હતી, બાકીના સાક્ષીઓ તપાસવાના બાકી છે. સુપ્રીમ કોર્ટે નોંધ્યું કે તથ્ય ઉપર IPC 304ની કલમ લાગેલી છે ,પરંતુ હજુ સુધી તે તેમાં દોષિત ઠર્યો નથી, મૃતકોના પરિવારને વળતર વિશે સુપ્રીમે કહ્યું અત્યારે ટ્રાયલ ચાલુ હોવાથી વળતર બાબતે નિર્ણય તેને અસર કરી શકે છે. અકસ્માત બાદ તથ્ય પટેલે લગભગ 02 વર્ષ અને 10 મહિના જેલમાં કાઢ્યા બાદ હવે જામીન પર બહાર આવશે.

શું હતી ઘટના?
19મી જુલાઈ, 2023ની રાત્રે આરોપી તથ્ય પટેલે જગુઆર કાર દ્વારા ઇસ્કોન બ્રિજ પર ભયંકર અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં 9 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય 13 લોકો ગંભીર રીતે ઈજા પામ્યા હતા. તથ્ય પટેલ તેમજ તેના પિતા પ્રજ્ઞેશ પટેલ સામે IPC 279, 337, 338, 304, 308 અને મોટર વ્હિકલ એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.