Home Blog Page 70

મોરબીમાં ભયાનક રોડ અકસ્માત: ડમ્પરમાં કાર ઘૂસી જતાં 5 લોકોના મોત, 2 ઈજાગ્રસ્ત

મોરબી-હળવદ હાઈવે પર શુક્રવારે મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં પાંચ લોકોના મોત નીપજ્યા હતા અને બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. રાતના સમયે ફૂલ સ્પીડમાં આવતી કાર રોડ ક્રોસ કરી રહેલા ડમ્પર સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેમાં કારમાં સવાર પાંચ લોકોના મોત નીપજ્યા છે. ત્રણ લોકોના ઘટના સ્થળે અને બે લોકોના સારવાર દરમિયાન મોત થયાની માહિતી મળી રહી છે. બે લોકો ગંભીર ઈજાગ્રસ્ત થયા સારવાર ચાલી રહી છે.

ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે શુક્રવારે રાત્રે આશરે 9.30 વાગ્યાના સમયે મોરબી-હળવદ હાઈવે પર ચરાડવા ગામ નજીક એક ડમ્પર રોડ ક્રોસ કરી રહ્યું હતું. ત્યારે હાઈવ પર ફૂલ સ્પીડમાં આવતી કાર ડમ્પરમાં ધડાકાભેર ઘૂસી ગઈ હતી. જેના કારના ભૂક્કા બોલાઈ જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

આ ગંભીર અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા હતા, જ્યારે બે વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની આ ઘટના CCTVમાં પણ કેદ થઈ છે. રણછોડગઢ ગામના રહેવાસીઓ કિયા કારમાં સવાર થઈને એક ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલે લઈ જઈ રહ્યા હતા. આ દરમિયાન ચરાડવા ગામ નજીક પેટ્રોલ પંપની સામેના ભાગમાં કારખાનામાંથી બહાર નીકળી રોડ ક્રોસ કરી રહેલા ડમ્પર સાથે તેમની કાર અથડાઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે, પૂરઝડપે આવી રહેલી કાર ડમ્પરમાં ઘૂસી ગઈ હતી.

કારનો ભૂક્કો બોલાતા જેસીબીની મદદ લેવાઈ
આ બનાવમાં કારમાં બેઠેલા વ્યક્તિઓ કારમાં ફસાઈ ગયા હતા. જેથી જેસીબીની મદદથી કારના પતરા ખેંચીને તે લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યાં હતા. આ બનાવ સંદર્ભે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ લેવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી ગયું છે.

પાંચ મૃતકોના માત

મૃતકોના નામઉંમર
સુરેશ વિશાભાઈ સિહોરાઉ.વ 47
વિરમ ભીમાભાઇ દઢેયાઉ.વ 28
પરેશ દિલીપભાઈ દઢેયાઉ.વ 24
પ્રેમજી દઢેયાઉ.વ 59
ભરત પ્રભુભાઈ દઢેયાઉ.વ 39
ઈજાગ્રસ્તના નામઉંમર
પ્રકાશ ભરતભાઈ દઢેયાઉ.વ 25
દિલીપ ભગવાનજીભાઈ દઢેયાઉ.વ 59

ઘટના અંગે મૃતકોના પરિવારજનોના જણાવ્યા અનુસાર તેઓ હળવદ તાલુકાના માનસર ગામ પાસે બાઈક સ્લીપ થવાથી ઇજાગ્રસ્ત થયેલા એક વ્યક્તિને હોસ્પિટલે લઈ જઈ રહ્યા હતા. અકસ્માતની જાણ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનને કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સુરતમાં વિપક્ષ પર મોદી વરસી પડ્યા, કોંગ્રેસે દેશને બીજા પર નિર્ભર રાખ્યો

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના પ્રવાસ દરમિયાન ‘આત્મનિર્ભર ભારત’ અભિયાન હેઠળ ચાલી રહેલા વિકાસ કાર્યોનો ઉલ્લેખ કર્યો હતો. સુરતના હજીરા ઉપરાંત આંતરરાજ્ય માર્ગ નેટવર્કનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે કેટલાક લોકો દેશમાં નિરાશાનું વાતાવરણ ઊભું કરવામાં લાગ્યા છે. પીએમ મોદીએ વિપક્ષી રાજકીય પક્ષો પર આકરા પ્રહાર કરતાં કોઈનું નામ લીધા વિના જણાવ્યું કે આ લોકો માત્ર નિરાશા ફેલાવવાનું કામ જ નથી કરતા, પરંતુ આત્મનિર્ભર ભારત અભિયાનની પણ મજાક ઉડાવે છે. કોંગ્રેસ અથવા રાહુલ ગાંધીનું નામ લીધા વગર તેમણે કહ્યું કે કેટલાક લોકો ભારતને નીચું દેખાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.

કર્ણાટકમાં મુખ્યમંત્રી બદલાયા, પીએમ મોદીએ શું કહ્યું?
વડાપ્રધાન મોદીએ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં મળેલી સફળતાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે વિદેશ પ્રવાસ દરમિયાન પણ તેમને બંગાળના જનાદેશની ચર્ચા સાંભળવા મળી હતી. તાજેતરમાં કર્ણાટકમાં થયેલા મુખ્યમંત્રી પરિવર્તનનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે આ રાજ્યમાં પણ કોંગ્રેસ વિરુદ્ધ લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

જનતાએ કોંગ્રેસને હાંસિયા પર ધકેલી દીધી
પીએમ મોદીએ ભાજપને મળતી રાજકીય સફળતાઓનો ઉલ્લેખ કરતાં કહ્યું કે દેશ અરાજકતા, અનિશ્ચિતતા અને નિરાશાને પસંદ કરતો નથી. કોંગ્રેસ છેલ્લા 12 વર્ષથી અરાજકતા અને અનિશ્ચિતતા ફેલાવીને પોતાના માટે રાજકીય તક શોધી રહી છે, પરંતુ દેશની જનતા વારંવાર તેને કરારો જવાબ આપી રહી છે.

તેમણે કહ્યું કે ગુજરાતની જનતાએ તો કોંગ્રેસને હાંસિયા પર ધકેલી દીધી છે. જ્યાં જ્યાં કોંગ્રેસની સરકારો છે, ત્યાંની જનતા પણ કોંગ્રેસના કથિત કુશાસનથી કંટાળી ગઈ છે. પીએમ મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે ભારત હવે નકારાત્મકતા છોડીને વિકાસ, આત્મનિર્ભરતા અને પ્રગતિના માર્ગે ઝડપથી આગળ વધી રહ્યું છે.

સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએનું સંબોધન, જાણો ખાસ વાતો

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતની મુલાકાત દરમિયાન ₹18,800 કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરીને સુરતવાસીઓને વિકાસની મોટી ભેટ આપી હતી. ભવ્ય જનસભાને સંબોધતા તેમણે પોતાના પ્રવચનની શરૂઆત ગગનભેદી “ભારત માતા કી જય”ના નારા સાથે કરી હતી. કાર્યક્રમ દરમિયાન તેમણે તાજેતરમાં અવસાન પામેલા અગ્રણી ઉદ્યોગપતિ અને સમાજસેવક કનુભાઈ માવાણીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

સભા દરમિયાન જનમેદનીમાં એક અનોખું અને આકર્ષક પોસ્ટર જોઈને વડાપ્રધાને તે પોસ્ટર પોતાની પાસે મંગાવ્યું હતું. પોસ્ટર બનાવનાર વ્યક્તિના તેમણે ખુલ્લા દિલે વખાણ કર્યા હતા, જેના કારણે ઉપસ્થિત લોકોમાં ઉત્સાહનો માહોલ સર્જાયો હતો.

સ્વચ્છતા સુરતની સૌથી મોટી ભેટ: PM મોદી
પોતાના સંબોધનમાં વડાપ્રધાને સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે સ્વચ્છતા માત્ર અભિયાન નહીં પરંતુ આપણા જીવનના સંસ્કાર બનવા જોઈએ. સુરતના આશરે એક લાખ નાગરિકોએ સતત પાંચ દિવસ સુધી ચલાવેલા વિશેષ સફાઈ અભિયાનની પ્રશંસા કરતાં તેમણે કહ્યું કે આ તેમના માટે સૌથી મોટી અને અમૂલ્ય ભેટ સમાન છે. તેમણે તમામ સુરતવાસીઓનો આ અભિયાન માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

પ્રાકૃતિક ખેતી અને ગ્રીન એનર્જી પર ભાર
વડાપ્રધાને બદલાતા વૈશ્વિક વાતાવરણ અને પર્યાવરણ સંબંધિત પડકારોને ધ્યાનમાં રાખીને દેશના ખેડૂતોને વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી અપનાવવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે ગ્રીન એનર્જી અને પર્યાવરણમૈત્રી વિકાસ જ ભવિષ્યનો માર્ગ છે. ગુજરાતે વર્ષો પહેલાં ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં જે પહેલ કરી હતી, તે આજે સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ બની છે.

પંચાયત ચૂંટણીની જીત બદલ ગુજરાતનો આભાર
પીએમ મોદીએ ગુજરાત પંચાયત ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને મળેલા ભવ્ય જનસમર્થન બદલ ગુજરાતની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે આ જીતને જનતાના આશીર્વાદ ગણાવી હતી અને કહ્યું હતું કે વિકસિત ગુજરાત દ્વારા વિકસિત ભારતનું સ્વપ્ન હવે વધુ ઝડપથી સાકાર થશે.

કોંગ્રેસ પર પ્રહાર
પોતાના સંબોધન દરમિયાન વડાપ્રધાને કોંગ્રેસ પર પણ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે દેશની જનતા અરાજકતા, અનિશ્ચિતતા અને નકારાત્મક રાજકારણને સ્વીકારતી નથી. ગુજરાતમાં કોંગ્રેસ લગભગ નામશેષ થઈ ગઈ છે, જ્યારે હિમાચલ પ્રદેશ, હરિયાણા અને પંજાબ જેવા રાજ્યોમાં પણ જનતાએ કોંગ્રેસને નકારી કાઢી છે. તેમણે દાવો કર્યો કે કર્ણાટકમાં પણ કોંગ્રેસ સરકાર સામે લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. ભારત હવે નકારાત્મકતાથી આગળ વધીને વિકાસ અને આત્મનિર્ભરતાના માર્ગે આગળ વધી રહ્યું છે.

ફાયરિંગ કેસમાં ફસાયા ખાન સર? ધરપકડની ચર્ચા વચ્ચે પટનામાં વિદ્યાર્થીઓનો વિરોધ પ્રદર્શન

0

શુક્રવારે પટના પોલીસે ‘ખાન ગ્લોબલ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ’ના સંચાલક ફૈઝલ ખાન વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ એફઆઈઆર નોંધી છે. ફૈઝલ ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે અને ‘ખાન સર’ તરીકે ઓળખાય છે.

ગુરુવારે પોલીસે ખાન સરની કોચિંગ ઇન્સ્ટિટ્યૂટના બે સુરક્ષા ગાર્ડને ગોળીબાર કરવાના આરોપમાં અટકાયતમાં લીધા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગાર્ડ્સની પૂછપરછમાં જાણવા મળ્યું કે તેમણે ફૈઝલ ખાનના કહેવાથી ગોળીબાર કર્યો હતો.

સિટી એસપી (સેન્ટ્રલ) ઓફિસ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં પુષ્ટિ મળી છે કે કદમકુઆન પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે અને તપાસ ચાલી રહી છે. એવો આરોપ છે કે મંગળવારે રાત્રે 15-20 લોકોના જૂથે ‘ખાન ગ્લોબલ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ’માં તોડફોડ કરી અને પરિસર પર પથ્થરમારો કર્યો હતો.

શાંતિ જાળવવાની અપીલ
પટના પોલીસે એક સત્તાવાર નિવેદન જારી કરીને તમામ વિદ્યાર્થીઓને શાંતિ અને ધીરજ જાળવવા વિનંતી કરી છે. પોલીસે જણાવ્યું હતું કે પુરાવાના આધારે કાર્યવાહી કરવામાં આવશે અને વિદ્યાર્થીઓને કોઈના દ્વારા ગેરમાર્ગે ન જવાની સલાહ આપવામાં આવી છે.

ફાયરિંગના વીડિયો સામે આવ્યા
ફાયરિંગની ઘટના દર્શાવતા બે વીડિયો સામે આવ્યા છે. એક વીડિયોમાં દાવો કરવામાં આવ્યો હતો કે ‘ખાન સર’ના ગાર્ડ્સે ગોળીબાર કર્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે આ વીડિયો 2 જૂનની રાતનો છે, જે રાત્રે ‘ખાન સર’ની કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ પર હુમલો થયો હતો.

ખાન સરે લગાવ્યો હતો ગોળીબારનો આરોપ
પોલીસે જણાવ્યું હતું કે ગોળીબારમાં ઉપયોગમાં લેવાયેલા શંકાસ્પદ હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે અને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે. ખાન સરનો આરોપ હતો કે હરીફ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ, જ્ઞાન બિંદુ એકેડેમી સાથે સંકળાયેલા વ્યક્તિઓ ગોળીબાર માટે જવાબદાર હતા. જોકે તેમણે પાછળથી ટિપ્પણી કરી હતી કે ફક્ત પોલીસ તપાસ જ નક્કી કરી શકે છે કે ગોળીબાર ખરેખર થયો હતો કે નહીં.

પોલીસે આ કેસના સંદર્ભમાં ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી હતી, જેમાં જ્ઞાન બિંદુ એકેડેમીના ડિરેક્ટર રોશન આનંદનો પણ સમાવેશ થાય છે. રોશન આનંદે દાવો કર્યો હતો કે ખાન સર પોતે જ આ ઘટનાનું આયોજન કર્યું હતું.

સુરતમાં PM મોદીનું ભવ્ય આગમન: હજીરાના L&T પ્લાન્ટમાં ‘મેક ઇન ઇન્ડિયા’ની તાકાતને નિહાળી

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સુરતની મુલાકાતે પહોંચ્યા હતા. સુરત એરપોર્ટ પર આગમન બાદ તેઓ સીધા હજીરા સ્થિત લાર્સન એન્ડ ટુબ્રો (L&T)ના અત્યાધુનિક ઉત્પાદન સંકુલ ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે સંરક્ષણ ક્ષેત્ર અને ગ્રીન એનર્જી સાથે જોડાયેલા વિવિધ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કર્યું હતું.

હજીરા સ્થિત L&T પ્લાન્ટમાં વડાપ્રધાને ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ અભિયાન હેઠળ વિકસાવવામાં આવી રહેલા અદ્યતન સંરક્ષણ સાધનો અને ટેક્નોલોજીની માહિતી મેળવી હતી. તેમણે સ્થાનિક સ્તરે નિર્માણ પામી રહેલી આધુનિક ઉત્પાદન ક્ષમતાઓનું અવલોકન કરીને ભારતની વધતી ઔદ્યોગિક અને રક્ષણાત્મક શક્તિની પ્રશંસા કરી હતી.

પીએમ મોદીના સુરત પ્રવાસ દરમિયાન શહેરના ગ્રીન એનર્જી, સ્માર્ટ સિટી મિશન અને પર્યાવરણ સુરક્ષાને લગતા મહત્વકાંક્ષી પ્રોજેક્ટ્સ ખુલ્લા મૂક્યા. સુરત મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરાયેલા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, રિન્યુએબલ એનર્જી સોર્સ અને શહેરી સુખાકારીના વિવિધ કાર્યોનું વડાપ્રધાનના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ ઉપરાંત પીએમ મોદી સુરત વાસીઓને સંબોધિત કર્યા હતા.

PM મોદીએ સંબોધનમાં શું કહ્યું?
પરિયોજનાઓનું લોકાર્પણ કર્યા બાદ પીએમએ વિશાળ જનસભાને સંબોધી હતી. તેમણે કહ્યું કે, હું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ પહેલીવાર ગુજરાતમાં આવ્યો છું. સુરત તરફથી હું સમગ્ર ગુજરાતના લોકોને વંદન અને શુભેચ્છા પાઠવું છું. અઢી દાયકાથી વધુ સમય થઈ ગયો છે. તમે અમને અને ભાજપને સતત તમારા આશીર્વાદ આપી રહ્યા છો અને આ આશીર્વાદ સમયની સાથે વધતો જાય છે. તાજેતરમાં જિલ્લા પરિષદ, તાલુકા પરિષદ, નગરપાલિકા અને મહાનગર પાલિકાની ચૂંટણીઓ યોજાઈ હતી. જેમાં ગુજરાતની જનતાએ ભાજપને એટલો સાથ આપ્યો કે જૂના તમામ રેકોર્ડ તૂટી ગયા. આજે હું વધુ ખુશ છું કારણ કે તમે બધાએ મારો રેકોર્ડ પણ તોડ્યો છે.

સુરત જિલ્લાના હજીરા ખાતે ઔદ્યોગિક પ્રવૃત્તિઓ અને માળખાગત પ્રોજેક્ટ્સની સમીક્ષા કર્યા પછી પીએમ મોદીએ સુરતમાં આશરે ₹18,800 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનો પ્રારંભ કરાવ્યો. ગુજરાતમાં તેમણે વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેના પેકેજ 6 અને 7નું ઉદ્ઘાટન કર્યું. તેમણે 200 બેડની ESIC હોસ્પિટલનું પણ ઉદ્ઘાટન કર્યું.

પીએમ મોદીએ કહ્યું કે ખેતર બચાવોના અભિયાનમાં જોડાઇએ. પ્રાકૃત્તિક ખેતી અપનાવો. સુરતનો કચરો મને ભેટ આપ્યો છે. એક લાખ લોકોએ 5 દિવસ સફાઇ અભિયાન ચલાવ્યું. મારા માટે આ મોટામાં મોટી સોગાત છે. આ માટે હું આખા સુરતનો આભાર માનું છે.

સુરત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રશાસિત પ્રદેશ દમણની પણ મુલાકાત લેશે. દમણ અને દીવ પ્રશાસન દ્વારા પર્યાવરણ દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં પીએમ મોદી કોસ્ટલ ક્લીનલીનેસ ડ્રાઇવ, ટુરિઝમ સર્કિટ ડેવલપમેન્ટ અને સ્થાનિક માછીમારોના કલ્યાણ માટેની યોજનાઓનું ડિજિટલ માધ્યમથી લોકાર્પણ કરશે.

PM મોદીનો વિકાસ વિઝન: સુરતમાં ₹18,800 કરોડના પ્રોજેક્ટ્સથી બદલાશે ગુજરાતનું ભવિષ્ય

0

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સુરતની મુલાકાત દરમિયાન શહેર અને સમગ્ર દક્ષિણ ગુજરાતને વિકાસનું મોટું તોહફું આપ્યું. વડાપ્રધાને સુરતમાં ₹18,800 કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ, શિલાન્યાસ અને રાષ્ટ્રને સમર્પણ કર્યું હતું.

સુરતમાં આયોજિત ભવ્ય કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાને માર્ગ અને પરિવહન, આરોગ્ય, વીજ પુરવઠો, ઔદ્યોગિક વિકાસ તેમજ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સંકળાયેલા અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સને લીલી ઝંડી આપી હતી. આ પ્રોજેક્ટ્સના અમલીકરણથી ગુજરાતના વિકાસને નવી ગતિ મળશે તેમજ રોજગારીની નવી તકોનું સર્જન થશે.

વડાપ્રધાને વડોદરા-મુંબઈ 8-લેન એક્સપ્રેસવેના મહત્વપૂર્ણ પેકેજોને રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા, જે ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે ઝડપી પરિવહન અને આર્થિક જોડાણને વધુ મજબૂત બનાવશે. ઉપરાંત, નેશનલ હાઈવે-56ના અપગ્રેડેશન સહિતના અનેક માર્ગ પ્રોજેક્ટ્સના ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યા હતા.

આરોગ્ય ક્ષેત્રે પણ મહત્વપૂર્ણ પગલું ભરતાં વડાપ્રધાને 200 બેડની આધુનિક ESIC હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. આ હોસ્પિટલથી કામદારો અને સામાન્ય નાગરિકોને વધુ સારી આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થશે. હોસ્પિટલમાં આધુનિક સારવાર, ઇમરજન્સી અને ટ્રોમા કેર જેવી સુવિધાઓ ઉપલબ્ધ રહેશે.

કાર્યક્રમ દરમિયાન દહેજ PCPIR, જંબુસર બલ્ક ડ્રગ પાર્ક, વીજ ટ્રાન્સમિશન નેટવર્કના વિસ્તરણ અને વીજ વિતરણ વ્યવસ્થાના સુધારા જેવા અનેક ઔદ્યોગિક અને ઉપયોગીતા આધારિત પ્રોજેક્ટ્સનું પણ લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.

વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ગુજરાત દેશના વિકાસનું ગ્રોથ એન્જિન છે અને કેન્દ્ર સરકાર રાજ્યના સર્વાંગી વિકાસ માટે સતત પ્રતિબદ્ધ છે. તેમણે પર્યાવરણ સંરક્ષણ, ગ્રીન એનર્જી અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો.

₹18,800 કરોડથી વધુના આ વિકાસ પ્રોજેક્ટ્સ સુરત, દક્ષિણ ગુજરાત અને સમગ્ર રાજ્યના વિકાસમાં મહત્વપૂર્ણ માઈલસ્ટોન સાબિત થશે.

કેમ છો સુરત કહી પીએમ મોદીએ સભાનું સંબોધન કર્યું, સુરતના પૂર્વ ધારાસભ્ય કનુભાઇ માવાણીને શ્રદ્ધાંજલી અર્પી

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતમાં વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યા બાદ સભા સંબોધી હતી. સભાનું સંબોધન તેમણે કેમ છો સુરતથી કર્યું હતું. આ તકે તેમણે સુરતના પૂર્વ મેયર અને ધારાસભ્ય કનુભાઈ માવાણીને યાદ કરી શ્રદ્ધાંજલી અર્પી હતી.

વડાપ્રધાન મોદીએ કેમ છો મજામાં કહીને સંબોધનની શરૂઆત કરી હતી. તેમણે સ્ટેડિયમમાં એક યુવક ચિત્ર લઈને આવ્યા હતાં તેમનું ચિત્ર સ્વીકાર્યું હતું. તેમણે કહ્યું હતું કે, આ સુરત શહેર નથી. સુરત એક સ્પીરીટ છે. પર્યાવરણને લઈને લોકોએ સરસ પોસ્ટરો બનાવ્યા છે. જે પરિવારના સાથીઓએ આ કામ કર્યું છે તેમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જ્યારે એમણે આ વિચાર કર્યો હશે ત્યારે તેમનું મન લાગ્યું હશે. આપણા કાઠિયાવાડના લોકો અહીં સુરતમાં રહે છે. મારો તેમને આગ્રહ છે કે ખેતર બચાવો અભિયાનમાં જોડાય. સુરતવાસીઓએ મને ખૂબ સરસ ભેટ આપી છે. એક લાખ લોકોએ પાંચ દિવસ સફાઈનું અભિયાન ચલાવ્યું મારા માટે આ મોટામાં મોટી સોગાત છે. સુરતના સૌ સાથીઓ અભિનંદનના અધિકારી છે.

હું સુરતથી સમગ્ર ગુજરાતીઓનું વંદન કરુ છું
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બાદ હું પહેલીવાર ગુજરાત આવ્યો છું અને સુરતમાં આવ્યો છું. હું સુરતથી સમગ્ર ગુજરાતીઓનું વંદન કરુ છું અને અભિનંદન કરૂ છું. અઢી દશકથી વધુનો સમય થયો છે. તમે અમને સૌને ભાજપને નિરંતર પોતાના આશિર્વાદ આપી રહ્યાં છે. સમયની સાથે આ આશિર્વાદ વધતા રહ્યા ંછે. લોકોએ ભાજપને એટલા મત આપ્યા કે જૂના બધા રેકોર્ડ તૂટી ગયા. આજે મારા રેકોર્ડ પણ તમે બધાએ તોડી નાંખ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના સુરત ખાતે 18,800 કરોડ રૂપિયાથી વધુની કિંમતના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરીને રાષ્ટ્રને સમર્પિત કર્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય પ્રદેશના માળખાગત પાયાને મજબૂત કરવાનો અને આર્થિક ગતિવિધિઓને વેગ આપવાનો છે. આ વિસ્તૃત પ્રોજેક્ટ્સ શહેરી આધુનિકીકરણ અને જાહેર સુવિધાઓમાં નોંધપાત્ર વૃદ્ધિ સાધવા પર કેન્દ્રિત છે.

સુરતના લોકો વતી, હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરું છુંઃ હર્ષ સંઘવી
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, દક્ષિણ ગુજરાત અને સુરતના લોકો વતી, હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ખૂબ જ ઉત્સાહથી સ્વાગત કરું છું. આજે સુરત પહોંચ્યા પછી, તેમણે સૌપ્રથમ ‘મેક ઈન ઈન્ડિયા’ પહેલ હેઠળ ઉત્પાદિત સંરક્ષણ ઉપકરણોનું નિરીક્ષણ કરવા માટે L&T ની મુલાકાત લીધી, જે આપણા બધા માટે ગર્વની વાત છે. તેઓ ગુજરાતના લોકો માટે અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન પણ કરશે.

ગુજરાતભરમાં 568 ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ: હર્ષ સંઘવી

0

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત કરવા અને રાષ્ટ્રીય સુરક્ષાને પ્રાધાન્ય આપવાના ભાગરૂપે ગુજરાત પોલીસે એક મોટું ઓપરેશન હાથ ધર્યું છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના સીધા માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસ દ્વારા સમગ્ર રાજ્યમાં ચલાવવામાં આવી રહેલા આ ‘ઓપરેશન ડેલ્ટા હન્ટ’ અંતર્ગત રાજ્યના વિવિધ વિસ્તારોમાં સઘન તપાસ હાથ ધરીને આજે સવારે ૮:૦૦ વાગ્યા સુધીમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા કુલ ૫૬૮ બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા નાગરિકોમાં ૧૭૨ પુરુષો, ૨૮૨ સ્ત્રીઓ અને ૧૧૪ બાળકોનો સમાવેશ થાય છે.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્પષ્ટ કર્યું છે કે રાજ્યની સુરક્ષા અને શાંતિ સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં. ગેરકાયદેસર ઘૂસણખોરી અને વસવાટ કરનારા તત્વો સામે આ પ્રકારની કડક ઝુંબેશ આગામી સમયમાં પણ જારી રહેશે.

હાલમાં ગુજરાત પોલીસ દ્વારા તમામ જિલ્લાઓમાં જુદી જુદી ટીમો દ્વારા આ ઓપરેશન અંતર્ગત અન્ય શંકાસ્પદ વ્યક્તિઓ અને વિસ્તારોમાં સઘન સર્ચ ઓપરેશન અને તપાસની પ્રક્રિયા હજુ પણ કાર્યરત છે. પકડાયેલા તમામ વ્યક્તિઓ વિરૂદ્ધ કાયદાકીય જોગવાઈઓ હેઠળ આગળની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇન્ડોર સ્ટેડિયમ પહોંચ્યા, વિકાસકાર્યોનું લોકાર્પણ કરી સભા સંબોધશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 5 જૂન, 2026 ના રોજ ગુજરાતની મુલાકાતે છે. આજે બપોરે તેઓ સુરત આવી પહોંચ્યા છે. જ્યાં તેમણે હજીરા સ્થિત એલ એન્ડ ટીના પ્લાન્ટનું નિરીક્ષણ કર્યું હતું. પીએમ મોદીએ વિવિધ હથિયારોનું નિરીક્ષણ કરી માહિતી મેળવી હતી.

પીએમ મોદીએ એલ એન્ડ ટીના આર્મ્ડ કોમ્પ્લેક્સનું નિરીક્ષણ કર્યું
પોતાની સુરત મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એલ એન્ડ ટીના આર્મ્ડ કોમ્પ્લેક્સ મુલાકાત લીધી હતી. તેમણે વિવિધ હથિયારોનું નિરીક્ષણ કર્યું હતું અને માહિતી મેળવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સુરતમાં એક પેડ મા કે નામ અભિયાન હેઠળ વૃક્ષારોપણ કર્યું હતું.

સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાનાર વિશ્વ પર્યાવરણ દિવસનો કાર્યક્રમ ‘મિશન લાઈફ’ પહેલ હેઠળ 100 ટકા ટકાઉ અને પ્લાસ્ટિક મુક્ત અભિગમ સાથે આયોજિત કરવામાં આવ્યો છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસર કૃતિ પટેલ દ્વારા નિર્મિત વિશેષ ગ્રીન બેકડ્રોપ આ આયોજનનું મુખ્ય આકર્ષણ છે, જે ગુજરાતની પર્યાવરણીય સભાનતા અને ટકાઉ પદ્ધતિઓ પ્રત્યેની નિષ્ઠાને પ્રદર્શિત કરે છે. સમગ્ર કાર્યક્રમમાં ઇકો-ફ્રેન્ડલી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરીને રાજ્ય સરકાર દ્વારા પર્યાવરણ સંરક્ષણનો એક મજબૂત સંદેશ પાઠવવામાં આવ્યો છે.

વડાપ્રધાનના હસ્તે વડોદરા મુંબઈ એક્સપ્રેસવે પર 36 કિલોમીટર લાંબા કીમ-એના સેક્શન (પેકેજ VI) અને 27.50 કિલોમીટર લંબાઈના ગણદેવાથી એના સેક્શન (પેકેજ VII)નું લોકાર્પણ કરવામાં આવશે. રૂ. 7689 કરોડના ખર્ચે આ બન્ને પેકેજનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ બન્ને પેકેજમાં મેજર બ્રિજ, માઈનર બ્રિજ, રેલ રોડ બ્રિજ, ફ્લાયઓવર્સ અને વ્હિલકલ અંડરપાસ (VOP)નું વ્યાપક નેટવર્ક તૈયાર કરવામાં આવ્યું છે.

સ્થાનિકોની સગવડતા માટે બન્ને પેકેજમાં કુલ 70 અંડરપાસ અને બે ઈન્ટરચેન્જનું નિર્માણ કરવામાં આવ્યું છે. 8 લેનના માર્ગની શરૂઆત થવાથી આ વિસ્તારમાં કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે અને ઝડપી પરિવહન શક્ય બનશે. ડ્રાઈવરોની સુરક્ષા અને સગવડમાં વધારો કરવા માટે આ બન્ને પેકેજ પર કુલ સાત સુવિધાસભર રેસ્ટ એરિયા બનાવવામાં આવશે.

રાજકોટના ગોંડલમાં તળાવમાં ડૂબી જતાં એક જ પરિવારના 3 માસૂમ લોકોના મોત

0

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના શેમળા ગામમાં શુક્રવારે એક એવી હૃદયદ્રાવક ઘટના બની કે સમગ્ર વિસ્તાર શોકમાં ગરકાવ થઈ ગયો. ગામના ઓરિયા તળાવમાં રમતા રમતા ચાર નાના બાળકો પાણીમાં ડૂબી ગયા હતા. આ દુર્ઘટનામાં એક જ પરિવારના ત્રણ માસૂમ બાળકોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે એક બાળક ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. આ ઘટનાએ માત્ર પરિવારજનો જ નહીં, પરંતુ સમગ્ર ગામ અને આસપાસના પંથકને પણ આઘાતમાં મૂકી દીધા છે.

મળતી માહિતી મુજબ, શેમળા ગામમાં આવેલી એક વાડીમાં શ્રમજીવી પરિવાર મજૂરી કામ કરી રહ્યો હતો. પરિવારના સભ્યો રોજગારી માટે કામમાં વ્યસ્ત હતા ત્યારે બાળકો નજીકમાં રમવા નીકળ્યા હતા. વાડીથી થોડે અંતરે આવેલા ઓરિયા તળાવની આસપાસ તેઓ રમતા હતા. રમતમાં મગ્ન બાળકોને કદાચ તળાવની ઊંડાઈ અને જોખમનો અંદાજ ન આવ્યો અને એક પછી એક ચારેય બાળકો પાણીમાં ગરકાવ થઈ ગયા.

ઘટનાસ્થળે કોઈને શરૂઆતમાં જાણ ન થતાં કિંમતી સમય પસાર થઈ ગયો. બાદમાં બાળકો નજરે ન પડતાં પરિવારજનો અને આસપાસના લોકોએ શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન તળાવ પાસે પહોંચતા બાળકો પાણીમાં ડૂબી ગયાની આશંકા ઉભી થઈ હતી.

સ્થાનિકોએ બચાવ કામગીરી હાથ ધરી
બાળકો તળાવમાં ડૂબી ગયા હોવાની માહિતી મળતાં જ વાડી માલિક અને ગામના લોકો તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. સ્થાનિક લોકો દ્વારા ભારે જહેમત બાદ ચારેય બાળકોને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. બાળકોની સ્થિતિ ગંભીર જણાતા તેમને વિલંબ કર્યા વિના ખાનગી વાહન મારફતે ગોંડલની હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલ પહોંચ્યા બાદ તબીબોએ ત્રણ બાળકોને મૃત જાહેર કર્યા હતા, જ્યારે એક બાળકની સ્થિતિ અત્યંત નાજુક હોવાનું જણાતાં તેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.

એક જ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો
આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા બાળકો નજીકના સગા સંબંધીઓ હોવાનું જાણવા મળ્યું છે. મૃતકોમાં બે બાળકો કરશનભાઈ ડામોરના સંતાનો હતા, જ્યારે એક બાળક તેમના સાળાના પરિવારનો હતો. એક સાથે ત્રણ બાળકોના મોતથી સમગ્ર પરિવાર પર જાણે દુઃખનો પહાડ તૂટી પડ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

મૃત્યુ પામનાર બાળકોમાં 6 વર્ષીય અર્જુન ભુરાભાઈ બબેરીયા, 6 વર્ષીય લખત કરશનભાઈ ડામોર અને 3 વર્ષીય લક્ષ્મી કરશનભાઈ ડામોરનો સમાવેશ થાય છે. જ્યારે 3 વર્ષીય સાહિલ ભુરાભાઈ બબેરીયા હાલ ગંભીર હાલતમાં સારવાર લઈ રહ્યો છે.

હોસ્પિટલમાં કરુણ દૃશ્યો સર્જાયા
દુર્ઘટનાની જાણ થતાં જ ગોંડલ સિવિલ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. પોતાના સંતાનોને ગુમાવનારા માતા-પિતાનો આક્રંદ જોઈને હોસ્પિટલમાં હાજર દરેક વ્યક્તિની આંખો ભીની થઈ ગઈ હતી. પરિવારના સભ્યોને સાંત્વના આપવી પણ મુશ્કેલ બની ગઈ હતી. નાના બાળકોના મૃતદેહો હોસ્પિટલ પહોંચતાં જ વાતાવરણ ગમગીન બની ગયું હતું. પરિવારના સભ્યો અને સંબંધીઓની રડવાની ચીસોથી સમગ્ર હોસ્પિટલ પરિસર શોકમય બની ગયું હતું.

સામાજિક અને રાજકીય આગેવાનો પહોંચ્યા
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અનેક સામાજિક કાર્યકરો અને રાજકીય આગેવાનો હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા આગેવાનોએ શોકગ્રસ્ત પરિવારને શક્ય તમામ મદદની ખાતરી આપી હતી. સ્થાનિક જનપ્રતિનિધિઓ અને સામાજિક આગેવાનોએ પણ હોસ્પિટલ ખાતે હાજરી આપી પરિવારને સાંત્વના પાઠવી હતી. આ ઉપરાંત જરૂરી સારવાર અને અન્ય સહાય માટે તંત્ર સાથે સંકલન કરવાની પણ ખાતરી આપવામાં આવી હતી.

તળાવો અને જળાશયો પાસે સુરક્ષાની જરૂરિયાત ફરી ચર્ચામાં
આ દુઃખદ ઘટના બાદ ગામડાઓમાં આવેલા ખુલ્લા તળાવો અને જળાશયોની સુરક્ષાને લઈને ફરી પ્રશ્નો ઊભા થયા છે. ઉનાળાની રજાઓ દરમિયાન અથવા પરિવારજનો કામમાં વ્યસ્ત હોય ત્યારે બાળકો ઘણીવાર તળાવો, ચેકડેમ અને જળાશયો પાસે રમવા પહોંચી જતા હોય છે. આવા સ્થળોએ પૂરતી સુરક્ષા વ્યવસ્થા અને ચેતવણીના બોર્ડ ન હોવાને કારણે અકસ્માતો સર્જાતા રહે છે. સ્થાનિક લોકોનું માનવું છે કે તળાવો આસપાસ સુરક્ષા વાડ, ચેતવણીના બોર્ડ અને નિયમિત દેખરેખની વ્યવસ્થા કરવામાં આવે તો આવી દુર્ઘટનાઓને ઘણી હદ સુધી અટકાવી શકાય છે.

સમગ્ર પંથકમાં શોકની લાગણી
શેમળા ગામમાં બનેલી આ કરુણ ઘટનાએ સમગ્ર પંથકને હચમચાવી દીધો છે. એક જ પરિવારના ત્રણ માસૂમ બાળકોના મોત અને એક બાળકના જીવન-મરણ વચ્ચેના સંઘર્ષે દરેકની આંખો ભીની કરી દીધી છે. ગામમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે અને લોકો પીડિત પરિવારને સાંત્વના પાઠવી રહ્યા છે. આ ઘટના માત્ર એક પરિવાર માટે નહીં, પરંતુ સમગ્ર સમાજ માટે ચેતવણીરૂપ બની છે કે નાના બાળકોની સુરક્ષા માટે સતત સાવધાની અને જાગૃતિ કેટલી જરૂરી છે.