Friday, Jun 5, 2026

PM મોદીનો વિકાસ વિઝન: સુરતમાં ₹18,800 કરોડના પ્રોજેક્ટ્સથી બદલાશે ગુજરાતનું ભવિષ્ય

2 Min Read

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સુરતની મુલાકાત દરમિયાન શહેર અને સમગ્ર દક્ષિણ ગુજરાતને વિકાસનું મોટું તોહફું આપ્યું. વડાપ્રધાને સુરતમાં ₹18,800 કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ, શિલાન્યાસ અને રાષ્ટ્રને સમર્પણ કર્યું હતું.

સુરતમાં આયોજિત ભવ્ય કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાને માર્ગ અને પરિવહન, આરોગ્ય, વીજ પુરવઠો, ઔદ્યોગિક વિકાસ તેમજ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સંકળાયેલા અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સને લીલી ઝંડી આપી હતી. આ પ્રોજેક્ટ્સના અમલીકરણથી ગુજરાતના વિકાસને નવી ગતિ મળશે તેમજ રોજગારીની નવી તકોનું સર્જન થશે.

વડાપ્રધાને વડોદરા-મુંબઈ 8-લેન એક્સપ્રેસવેના મહત્વપૂર્ણ પેકેજોને રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા, જે ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે ઝડપી પરિવહન અને આર્થિક જોડાણને વધુ મજબૂત બનાવશે. ઉપરાંત, નેશનલ હાઈવે-56ના અપગ્રેડેશન સહિતના અનેક માર્ગ પ્રોજેક્ટ્સના ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યા હતા.

આરોગ્ય ક્ષેત્રે પણ મહત્વપૂર્ણ પગલું ભરતાં વડાપ્રધાને 200 બેડની આધુનિક ESIC હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. આ હોસ્પિટલથી કામદારો અને સામાન્ય નાગરિકોને વધુ સારી આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થશે. હોસ્પિટલમાં આધુનિક સારવાર, ઇમરજન્સી અને ટ્રોમા કેર જેવી સુવિધાઓ ઉપલબ્ધ રહેશે.

કાર્યક્રમ દરમિયાન દહેજ PCPIR, જંબુસર બલ્ક ડ્રગ પાર્ક, વીજ ટ્રાન્સમિશન નેટવર્કના વિસ્તરણ અને વીજ વિતરણ વ્યવસ્થાના સુધારા જેવા અનેક ઔદ્યોગિક અને ઉપયોગીતા આધારિત પ્રોજેક્ટ્સનું પણ લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.

વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ગુજરાત દેશના વિકાસનું ગ્રોથ એન્જિન છે અને કેન્દ્ર સરકાર રાજ્યના સર્વાંગી વિકાસ માટે સતત પ્રતિબદ્ધ છે. તેમણે પર્યાવરણ સંરક્ષણ, ગ્રીન એનર્જી અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો.

₹18,800 કરોડથી વધુના આ વિકાસ પ્રોજેક્ટ્સ સુરત, દક્ષિણ ગુજરાત અને સમગ્ર રાજ્યના વિકાસમાં મહત્વપૂર્ણ માઈલસ્ટોન સાબિત થશે.

Share This Article