Home Blog Page 55

ગોડાદરામાં રોકાણના બહાને ₹4.71 લાખની છેતરપિંડી, માર્બલ વેપારી સામે ગુનો નોંધાયો

સુરતના ગોડાદરા પોલીસ સ્ટેશનમાં રોકાણ પર નફાની લાલચ આપી લાખો રૂપિયાની છેતરપિંડી કરવાના આરોપસર એક વ્યક્તિ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદી પાસેથી લીધેલી રકમ પરત ન આપતા પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS)-2023 હેઠળ કાર્યવાહી શરૂ કરી છે.

ફરિયાદી સુશીલકુમાર બંશીધર શર્મા (ઉ.વ. 41), દેવધ ગામ સ્થિત આનંદી હાઇટ્સમાં રહે છે અને પુજારી તરીકે કાર્ય કરે છે. તેમની ફરિયાદ મુજબ, આરોપી શેખર જુગલકિશોર શર્મા, જે એસ.એસ. ગ્રેનિટો સ્ટોનવર્લ્ડ પ્રા. લિ.ના ડાયરેક્ટર હોવાનું જણાવાય છે, તેણે માર્બલના વ્યવસાયમાં રોકાણ કરવાથી સારો નફો મળશે તેવી લોભામણી વાતો કરી હતી.

ફરિયાદ અનુસાર, 20 ઓક્ટોબર 2024થી 4 મે 2025 દરમિયાન આરોપીએ ફરિયાદી પાસેથી કુલ ₹6,16,000 રોકાણ તરીકે મેળવ્યા હતા. જોકે બાદમાં માત્ર ₹1,45,000 પરત આપ્યા હતા અને બાકીના ₹4,71,000 પરત આપ્યા નહોતા.

ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે રૂપિયા પરત માંગતા આરોપીએ ગાળો આપી હતી અને અંદાજે એક મહિના અગાઉ પોતાનું મકાન ખાલી કરીને અન્યત્ર ચાલ્યો ગયો હતો. જેના કારણે પોતાની સાથે નાણાકીય છેતરપિંડી થઈ હોવાની ફરિયાદી દ્વારા પોલીસમાં રજૂઆત કરવામાં આવી છે.

આ મામલે ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 318(4) અને 352 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. કેસની તપાસ એએસઆઈ ચેતનભાઈ બટુકભાઈ કરી રહ્યા છે. પોલીસે આરોપી અને તપાસ દરમિયાન સામે આવનારા અન્ય સંડોવાયેલા વ્યક્તિઓની ભૂમિકા અંગે તપાસ શરૂ કરી છે.

સુરતના અડાજણ વિસ્તારની એપોલો ફાર્મસીમાં ભીષણ આગ

સુરત શહેરના અડાજણ વિસ્તારમાં આજે સવારે મોટી આગ લાગવાની ઘટના સામે આવી છે. અડાજણ ચાર રસ્તા નજીક BAPS હોસ્પિટલ પાસે આવેલી એપોલો ફાર્મસીમાં અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી. જોતા જોતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને આસપાસની દુકાનો તેમજ શોરૂમ સુધી પ્રસરી ગઈ હતી.

મળતી માહિતી મુજબ, આગ એપોલો ફાર્મસીમાંથી શરૂ થઈ હતી અને બાદમાં નજીક આવેલા બાઈકના શોરુમ તેમજ રેસ્ટોરન્ટ સુધી પહોંચી ગઈ હતી. દુકાનોની બહાર પાર્ક કરાયેલા અનેક વાહનો પણ આગની ઝપેટમાં આવી જતા બળીને ખાખ થઈ ગયા હતા. ઘટનામાં 15થી વધુ બાઈક, મોપેડ અને અન્ય વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે.

આગની જાણ થતાં જ ફાયર વિભાગ તરત જ એક્શનમાં આવ્યો હતો. શહેરના પાંચથી વધુ ફાયર સ્ટેશનોમાંથી 10થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર કર્મચારીઓ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.

આગ વધુ ન પ્રસરે તે માટે આસપાસનો વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો હતો. ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળતા સ્થાનિક લોકોમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો. હાલ સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી, પરંતુ આગને કારણે મોટાપાયે આર્થિક નુકસાન થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

ફાયર વિભાગ દ્વારા સતત કૂલિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે અને આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે. શોર્ટ સર્કિટને પ્રાથમિક કારણ માનવામાં આવી રહ્યું છે, જોકે સત્તાવાર પુષ્ટિ હજુ બાકી છે.

ચંબામાં ખાઈમાં ખાબકી કાર, એક જ ગામના 7 લોકોના મોત; મુંડન સંસ્કારથી પરત ફરી રહ્યા હતા તમામ

0

હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં બુધવારે મોડી રાત્રે આશરે 2 વાગ્યે એક અત્યંત દુઃખદ માર્ગ અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર મસરુંડ-હમલ માર્ગ પર એક વાહન બેકાબૂ બની ઊંડી ખાઈમાં ખાબકી ગયું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે વાહનના કચ્ચરઘાણ નીકળી ગયા હતા અને તેમાં સવાર 7 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. મૃતકોમાં ત્રણ મહિલાઓ અને ત્રણ પુરુષોનો સમાવેશ થાય છે.

મુંડન સંસ્કારમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા તમામ
અકસ્માતગ્રસ્ત બોલેરો ગ્રામ પંચાયત કુઠેડના મહલ ગામની હોવાનું જાણવા મળ્યું છે. મહલ ગામના લોકો પંચાયતના કાકડોથા ગામમાં આયોજિત મુંડન સંસ્કારના પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તમામ લોકો બોલેરોમાં સવાર થઈ પોતાના ગામ તરફ પરત ફરી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી.

ઘટનાની જાણ થતાં જ પોલીસ, વહીવટી તંત્ર અને સ્થાનિક લોકો રાહત અને બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ગામલોકોએ ખાઈમાં ઉતરી મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. અંધારું અને દુર્ગમ વિસ્તાર હોવાને કારણે બચાવ કામગીરીમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

રસ્તાની બાજુએ ક્રેશ બેરિયર નહોતા લગાવાયા
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર જ્યાં આ અકસ્માત થયો ત્યાં રસ્તાની બાજુએ ક્રેશ બેરિયર લગાવવામાં આવ્યા નહોતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે જો રસ્તા પર પૂરતી સુરક્ષા વ્યવસ્થા હોત તો આ મોટો અકસ્માત ટાળી શકાય તેમ હતો. અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. પોલીસે ગુનો નોંધી અકસ્માતના કારણોની તપાસ શરૂ કરી છે. બીજી તરફ વહીવટી તંત્ર દ્વારા મૃતકોની ઓળખ અને અન્ય જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

અન્ય એક અકસ્માતમાં 2 લોકોના મોત
આ ઘટનાના એક દિવસ અગાઉ પણ ચંબા જિલ્લામાં ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત NH-154A પર બનેલા બનીખેત-ચંબા માર્ગના ડેમ વ્યૂ પોઈન્ટ નજીક થયો હતો. અહીં એક કાર બેકાબૂ બની ઉપરના રસ્તેથી ઊંડી ખાઈમાં ખાબકી હતી અને ત્યારબાદ નીચે ચોહડા ડેમ માર્ગ સુધી પહોંચી ગઈ હતી.

કારમાં બે લોકો સવાર હતા. અકસ્માત બાદ સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસ અને વહીવટી તંત્રને જાણ કરી હતી. ભારે જહેમત બાદ બંને વ્યક્તિઓના મૃતદેહોને કારમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા, પરંતુ બંનેના ઘટનાસ્થળે જ મોત થઈ ચૂક્યા હતા.

પહાડી માર્ગો પર સુરક્ષાને લઈને ચિંતા
ચંબા જેવા પહાડી જિલ્લાઓમાં આવા માર્ગ અકસ્માતો કોઈ નવી બાબત નથી. સાંકડા અને વળાંકવાળા રસ્તાઓ, ઊંચી ઢોળાવો તેમજ ઘણી વખત રસ્તાઓની ખરાબ સ્થિતિને કારણે અકસ્માતનું જોખમ સતત રહે છે. આ ઘટનાએ ફરી એકવાર પહાડી વિસ્તારોમાં માર્ગ સુરક્ષાના મુદ્દે અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. લોકોની માંગ છે કે આવા અકસ્માતો અટકાવવા માટે વહીવટી તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવે અને રસ્તાઓની સુરક્ષા તથા સ્થિતિમાં સુધારો કરવામાં આવે.

OPD પાસે નમાઝનો વીડિયો વાયરલ થતા SSG હોસ્પિટલ તંત્ર હરકતમાં, તપાસ શરૂ

0

વડોદરાની સયાજી જનરલ હોસ્પિટલ (SSG) ફરી એકવાર ચર્ચામાં આવી છે. હોસ્પિટલની OPD નજીક ત્રણ લોકો નમાઝ અદા કરતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ મામલો ચર્ચાનો વિષય બન્યો છે. આ ઘટનાને લઈને હોસ્પિટલ પ્રશાસને તપાસ શરૂ કરી છે અને સમગ્ર મામલાની હકીકત જાણવા માટે સુપ્રિટેન્ડન્ટ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

OPD વિસ્તારમાં ત્રણ લોકો નમાઝ પઢતા જોવા મળ્યા
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં વડોદરાની SSG હોસ્પિટલના OPD વિસ્તાર પાસે ત્રણ લોકો નમાઝ અદા કરતા જોવા મળી રહ્યા છે. વીડિયો ક્યારેનો છે અને તેમાં દેખાતા લોકો કોણ છે તે અંગે હાલ તપાસ ચાલી રહી છે. પ્રાથમિક માહિતી મુજબ, વીડિયોમાં દેખાતા લોકો દર્દીના સગા-સંબંધીઓ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે આ ઘટના હોસ્પિટલના રજાના સમય દરમિયાન બની હોઈ શકે છે. જોકે, ઘટનાના સમયે સ્થળ પર કોઈ સુરક્ષા કર્મચારી દેખાતા ન હોવાનો મુદ્દો પણ સામે આવ્યો છે.

હોસ્પિટલ પ્રશાસને તપાસ શરૂ કરી
આ સમગ્ર મામલે SSG હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો. રંજન ઐયરે જણાવ્યું છે કે વાયરલ વીડિયો હોસ્પિટલના ધ્યાનમાં આવ્યો છે અને તેની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ બાદ જ સમગ્ર ઘટનાની સાચી માહિતી સામે આવશે. હોસ્પિટલ પ્રશાસન દ્વારા એ પણ તપાસવામાં આવી રહ્યું છે કે નમાઝ અદા કરનાર લોકો કોણ હતા, તેઓ હોસ્પિટલમાં કયા કારણસર આવ્યા હતા અને ઘટના કયા સંજોગોમાં બની હતી.

વડોદરામાં આ પ્રકારની ઘટના પહેલીવાર સામે આવી નથી. થોડા વર્ષો અગાઉ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU)ના કેમ્પસમાં પણ નમાઝ પઢવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. એક વીડિયોમાં યુનિવર્સિટીના સંસ્કૃત મહાવિદ્યાલયના ગેટ નજીક એક યુવક અને યુવતી નમાઝ અદા કરતા જોવા મળ્યા હતા. આ મામલે તે સમયે ભારે ચર્ચા અને વિવાદ થયો હતો. આ ઉપરાંત સાયન્સ ફેકલ્ટીના બોટની વિભાગની એક વિદ્યાર્થિનીનો પણ કેમ્પસમાં નમાઝ અદા કરતો વીડિયો વાયરલ થયો હતો. તે સમયે પણ યુનિવર્સિટી પ્રશાસન અને વિદ્યાર્થીઓમાં આ મુદ્દો ચર્ચાનું કારણ બન્યો હતો.

ઇરાન-અમેરિકા વચ્ચે સમજૂતી કરાર, 14 મુદ્દાઓ પર સહમતિથી યુદ્ધનો અંત?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશિયાને બંને દેશો વચ્ચે ઘણા મહિનાઓથી ચાલી રહેલા સંઘર્ષનો અંત લાવવા માટે ઔપચારિક રીતે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે. અમેરિકા અને ઈરાનના અધિકારીઓના જણાવ્યા અનુસાર, બંને દેશોના રાષ્ટ્રપતિઓએ બુધવારે આ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરાર તાત્કાલિક અમલમાં આવ્યો છે.

એક અમેરિકન અધિકારીએ જણાવ્યું હતું કે ફ્રાન્સના વર્સેલ્સ પેલેસ ખાતે રાષ્ટ્રપતિ મેક્રોન સાથે રાત્રિભોજન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પે યુએસ-ઈરાન કરારની હાર્ડ કોપી પર પણ સત્તાવાર રીતે હસ્તાક્ષર કર્યા હતા. હસ્તાક્ષરિત કરારની નકલો ઈરાન અને મધ્યસ્થી કરનારા દેશોને મોકલવામાં આવી છે. આ અગાઉ, રવિવારે, અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સ અને ઈરાનના મુખ્ય વાટાઘાટકાર મોહમ્મદ બાઘર ગાલિબાફે ઈલેક્ટ્રોનિક રીતે MoU પર હસ્તાક્ષર કર્યા હતા.

અમેરિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે MoU પર હસ્તાક્ષર કરવાથી બંને દેશો વચ્ચે લગભગ ચાર મહિનાથી ચાલી રહેલા સંઘર્ષનો અંત આવ્યો છે.

જિનેવા વાટાઘાટો હજુ પણ પ્રસ્તાવિત
જોકે, શુક્રવારે જીનીવામાં બંને દેશોની વાટાઘાટ ટીમોની બેઠક શેડ્યૂલ પર જ છે. ઈરાની અધિકારીઓએ જણાવ્યું હતું કે સ્વિટ્ઝર્લૅન્ડમાં બેઠકનો હેતુ કરાર પર હસ્તાક્ષર કરવાનો નથી. સાથે જ, બેઠક ખરેખર થશે કે નહીં તે અંગે અંતિમ નિર્ણય આગામી થોડા કલાકોમાં લેવામાં આવશે છે, તેમ છતાં, આ સૂચવે છે કે દસ્તાવેજ પર ડિજિટલ રીતે હસ્તાક્ષર થઈ ગયા હોવાથી, સ્વિટ્ઝર્લૅન્ડમાં વ્યક્તિગત રીતે હસ્તાક્ષર સમારોહ યોજાશે નહી.

પહેલા ફકરામાં જણાવાયું છે કે યુનાઇટેડ સ્ટેટ્સ, ઈરાન અને તેમના સાથીઓ જેમાં લેબનોનમાં રહેલા લોકોનો પણ સમાવેશ થાય છે. તાત્કાલિક અને કાયમી ધોરણે તમામ મોરચે લશ્કરી કાર્યવાહી બંધ કરશે. તેઓ વધુમાં સમત થાય છે કે, હવેથી, તેઓ એકબીજા સામે કોઈ યુદ્ધ કે લશ્કરી કાર્યવાહી શરૂ કરશે નહીં, ન તો તેઓ બળનો ઉપયોગ કરશે અથવા એકબીજા સામે બળનો ઉપયોગ કરવાની ધમકી આપશે. લેબનોનની પ્રાદેશિક અખંડિતતા અને સાર્વભૌમત્વનો આદર કરવામાં આવશે.

14-મુદ્દાના અમેરિકા-ઈરાન કરારમાં શું છે?

  • યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન એકબીજાની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનો આદર કરવા અને એકબીજાની આંતરિક બાબતોમાં દખલ કરવાથી દૂર રહેવાનું વચન આપે છે.
  • યુએસ અને ઈરાન મહત્તમ 60 દિવસની અંદર વાટાઘાટો કરવા અને અંતિમ કરાર પર પહોંચવા માટે પ્રતિબદ્ધ છે. આ સમયમર્યાદા પરસ્પર સંમતિથી લંબાવી શકાય છે.
  • આ MoU પર હસ્તાક્ષર થયા પછી, યુએસ તેની નૌકાદળ નાકાબંધી હટાવવાનું અને ઈરાન સામેના કોઈપણ અવરોધો અથવા અવરોધોને દૂર કરવાનું શરૂ કરશે, 30 દિવસની અંદર નૌકાદળ નાકાબંધીને સંપૂર્ણપણે સમાપ્ત કરશે. આ સમયગાળા દરમિયાન, જહાજોની અવરજવર ઈરાન દ્વારા પુનઃસ્થાપિત કરવામાં આવતા યુદ્ધ પહેલાના ટ્રાફિક સ્તરોને અનુરૂપ હશે. અમેરિકા 30 દિવસની અંદર ઈરાનની આસપાસના વિસ્તારમાંથી પોતાના દળો પાછા ખેંચી લેશે.
  • ઈરાન પર્સિયન ગલ્ફથી ઓમાનના સમુદ્ર સુધી અને તેનાથી વિપરીત વાણિજ્યિક જહાજોના સુરક્ષિત માર્ગને સરળ બનાવવા માટે તમામ પ્રયાસો કરશે. આ સેવા માટે કોઈ ફી લેવામાં આવશે નહી. આ વ્યવસ્થા 60 દિવસ સુધી અમલમાં રહેશે. વાણિજ્યિક જહાજોની અવરજવર તાત્કાલિક શરૂ થશે, અને ઈરાન 30 દિવસની અંદર આ સિસ્ટમનો સંપૂર્ણ અમલ કરશે, જેમાં ટેકનિકલ અને લશ્કરી અવરોધો દૂર કરવા અને દરિયાઈ ખાણો સાફ કરવાને ધ્યાનમાં લેવામાં આવશે. ઈરાન ઓમાન સાથે પરામર્શ દ્વારા હોર્મુઝ સ્ટ્રેટમાં ભાવિ વહીવટ અને દરિયાઈ સેવાઓ નક્કી કરશે. લાગુ આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને હોર્મુઝ સ્ટ્રેટના દરિયાકાંઠાના રાજ્યોના સાર્વભૌમ અધિકારોને ધ્યાનમાં રાખીને, પર્સિયન ગલ્ફની સરહદે આવેલા અન્ય રાષ્ટ્રો સાથે પણ ચર્ચા કરવામાં આવશે.
  • ઈરાનના પુનર્નિર્માણ અને આર્થિક વિકાસ માટે ઓછામાં ઓછા $300 બિલિયનની કિંમતની નક્કર અને પરસ્પર સંમત યોજના બનાવવા માટે યુનાઇટેડ સ્ટેટ્સ તેના પ્રાદેશિક સાથીઓ સાથે કામ કરવાનું વચન આપે છે. અંતિમ કરારના ભાગ રૂપે આ યોજના માટે અમલીકરણ પદ્ધતિ 60 દિવસની અંદર અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.
  • અંતિમ કરાર હેઠળ, યુનાઈટેડ સ્ટેટ્સ ઈરાન પર લાદવામાં આવેલા તમામ પ્રતિબંધો હટાવશે. આમાં યુએન સુરક્ષા પરિષદના ઠરાવો અને IAEA બોર્ડ ઓફ ગવર્નર્સ ઠરાવોમાંથી ઉદ્ભવતા પગલાં તેમજ તમામ એકપક્ષીય યુએસ પ્રતિબંધોનો સમાવેશ થાય છે.
  • ઈરાને પરમાણુ શસ્ત્રો મેળવવા કે ઉત્પન્ન ન કરવાનું વચન આપ્યું છે. યુનાઈટેડ સ્ટેટ્સ અને ઈરાન ભંડારિત સમૃદ્ધ ચુરેનિયમના નિકાલ માટે પરસ્પર નિર્ધારિત પદ્ધતિ પર સંમત થયા છે; આમાં IAEA દેખરેખ હેઠળ સ્થળ પર સામગ્રીનું મિશ્રણ કરવાનો સમાવેશ થશે.
  • અંતિમ કરાર થાય ત્યાં સુધી, અમેરિકા અને ઈરાન યથાવત્ સ્થિતિ જાળવવા સંમત થયા છે. ઈરાન તેના પરમાણુ કાર્યક્રમની વર્તમાન સ્થિતિ જાળવી રાખશે, જ્યારે અમેરિકા નવા પ્રતિબંધો લાદશે નહી કે પ્રદેશમાં વધારાના સૈનિકો તૈનાત કરશે નહીં.
  • અમેરિકાએ વચન આપ્યું છે કે પ્રતિબંધો હટાવવા પર હસ્તાક્ષર કર્યા પછી અને તે પછી, અમેરિકાનો ટ્રેઝરી વિભાગ ઈરાની ક્રૂડ તેલ, પેટ્રોલિયમ ઉત્પાદનો અને બેકિંગ વ્યવહારો જેવી સંબંધિત સેવાઓના નિકાસ માટે છૂટછાટ આપશે.
  • અમેરિકા ઈરાનના સ્થિર ભડોળ અને સંપત્તિઓને ઉપયોગ માટે સંપૂર્ણપણે ઉપલબ્ધ કરાવશે. વાટાઘાટો દરમિયાન, અમેરિકા અને ઈરાન આ ભંડોળ મુક્ત કરવા માટેની પ્રક્રિયાઓ પર પરસ્પર કરાર પર પહોંચશે. આ ભંડોળ ઈરાનની સેન્ટ્રલ બેંક દ્વારા નિયુક્ત કોઈપણ અંતિમ લાભાર્થીને ચુકવણી માટે સંપૂર્ણપણે ઉપલબ્ધ કરાવવામાં આવશે.
  • અમેરિકા અને ઈરાન આ સમજૂતી કરારના સફળ અમલીકરણ અને અંતિમ કરારના ભવિષ્યના પાલન પર દેખરેખ રાખવા માટે એક એક્ઝિક્યુટિવ મિકેનિઝમ સ્થાપિત કરવા સંમત થયા છે.
  • MOU પર હસ્તાક્ષર થયા પછી અને ફકરા 1, 4, 5, 10 અને 11માં દર્શાવેલ પગલાંની શરૂઆત અને સતત અમલીકરણને આધીન, યુએસ અને ઈરાન બાકીના ફકરાઓ આવરી લેતા અંતિમ કરાર અંગે વાટાઘાટો શરૂ કરશે.
  • અંતિમ કરારને બંધનકર્તા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ના ઠરાવ દ્વારા સમર્થન આપવામાં આવશે.

’15 કરોડ રૂપિયા લીધા છે, હવે હિસાબ આપવો પડશે’: બાગી સાંસદોને ઉદ્ધવ સેનાની કડક ચેતવણી

0

મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી ગરમાવો આવી ગયો છે. ઉદ્ધવ ઠાકરે (UBT)ની શિવસેનામાં મોટું ભંગાણ થવા જઇ રહ્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. ઉદ્ધવના 9 માંથી 6 સાંસદ બળવાખોર બનવાના મૂડમાં છે. UBT સાંસદ સંજય રાઉતે મોટો દાવો કર્યો છે. રાઉતે દેવેન્દ્ર ફડણવીસને ટેગ કરીને દાવો કર્યો છે કે ઉદ્ધવ જૂથના સાંસદોને 15-15 કરોડની ઓફર આપવામાં આવી રહી છે. UBTના ઘણાં સાંસદોના ફોન સ્વીચ ઓફ આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 6 થી 7 સાંસદો એકનાથ શિદે જૂથમાં સામેલ થઈ શકે છે.

અગાઉ શિવસેના (શિંદે) નેતા પ્રતાપ સરનાઇકે સંકેત આપ્યો હતો કે અમારી પાર્ટીમાં બળવાખોર સાંસદો(UBT)નું સ્વાગત કરવામાં આવશે. સરનાઇકના સંકેતોથી ઉદ્ધવ જૂથમાં વિદ્રોહની સંભાવનાને બળ મળ્યું હતું. સંજય રાઉત દિલ્હી પહોંચ્યા ત્યારે જ ઉદ્ધવ જૂથના સાંસદોના પક્ષ પલટાની ચર્ચાઓ શરુ થઇ ગઇ હતી. એવું માનવામાં આવતું હતું કે રાઉત શિવસેનાના બાગી ૯ સાંસદો દ્વારા અલગ સમૂહ બનાવવાની સંભાવનાને રોકવા માટે લોકસભા અધ્યક્ષ બિરલા સાથે મુલાકાત કરી શકે છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર મોડી રાત્રે કરેલી એક પોસ્ટમાં સંજય રાઉતે કહ્યું, ‘અપના સપના મની… મની! એવા સમાચાર છે કે મહારાષ્ટ્રના સાંસદોને ખરીદવા માટે આજે રાત્રે ૧૫ કરોડ રૂપિયાની એડવાન્સ રકમ આપવામાં આવશે. આ ચોકાવનારું અને શરમજનક છે!’ આ પહેલા સંજય રાઉત અને તેમની પાર્ટી શિવસેના (UBT) ના સાથી અને લોકસભા સાંસદ અનિલ દેસાઈએ કેટલાક સાંસદો અલગ જૂથ બનાવી શકે છે એ વાતને નકારી કાઢી હતી.

સાંસદો વચ્ચે બળવાની ચર્ચાઓ વચ્ચે શિવસેના નેતા અને રાજ્યના પરિવહન મંત્રી સરનાઇકે સંકેતમાં બળવાખોર સાંસદોને એક પ્રકારે આમંત્રણ આપ્યું. તેમણે કહ્યું, ‘જો સાંસદ અને ધારાસભ્ય જેવા જનપ્રતિનિધિઓને તેમના નેતૃત્વ પર ભરોસો નથી. જો તેઓ શિવસેનાના સ્થાપક બાળ ઠાકરેના આદર્શોમાં વિશ્વાસ રાખે છે અને એકનાથ શિદેના નેતૃત્વ પર ભરોસો કરવા તૈયાર છે, તો શિવસેનાના દરવાજા તેમના માટે ખુલ્લા છે. તેમણે વધુમાં કહ્યું, જો તેઓ ભવિષ્યમાં ક્યારેય એવું વિચારશે, તો અમે તેમને પ્રાધાન્ય આપીશું. તેમની આ ટિપ્પણી શિવસેના (UBT) ના સાંસદ સંજય દેશમુખે દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી અને શિવસેના નેતા પ્રતાપરાવ જાધવ સાથે મુલાકાત કર્યાના એક દિવસ પછી આવી છે.

રવિવારે ઉદ્ધવ ઠાકરેના નિવાસ્થાને શિવસેના (UBT)ના ૯માંથી માત્ર ચાર સાંસદો જ બેઠકમાં વ્યક્તિગત રીતે હાજર રહ્યા બાદ પક્ષ પલટાની શક્યતાઓને વધુ બળ મળ્યું. સંજય રાઉતે દાવો કર્યો હતો કે બાકીના પાંચ સાંસદો ડિજિટલ માધ્યમથી અને ફોન દ્વારા બેઠકમાં જોડાયા હતા. મંગળવારે સંજય રાઉતે કહ્યું કે ખોટું ચિત્ર રજૂ કરવામાં આવી રહ્યું છે અને ભારપૂર્વક જણાવ્યું કે તમામ સાંસદો મજબૂતાઈથી પાર્ટી અને ઉદ્ધવ ઠાકરેની સાથે છે

ગુજરાતની 4 મહાનગરપાલિકાઓને બોમ્બની ધમકી, પોલીસ-બોમ્બ સ્કવોડ એક્શનમાં

0

ગુજરાતની ચાર મહાનગરપાલિકાઓ જામનગર, ભાવનગર, વડોદરા અને સુરતની કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈ-મેઈલ મળતા બુધવારે તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી. ધમકી મળતાં જ પોલીસ, બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી. જોકે, સઘન તપાસ બાદ કોઈ પણ સ્થળેથી શંકાસ્પદ વસ્તુ મળી આવી નહોતી, જેના કારણે તંત્ર અને નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીને મળેલા ધમકીભર્યા મેઈલ બાદ સમગ્ર કચેરી તાત્કાલિક ખાલી કરાવવામાં આવી હતી. પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ બિલ્ડિંગ, પાર્કિંગ વિસ્તાર તેમજ આસપાસના પરિસરની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. તપાસ પૂર્ણ થયા બાદ કોઈ જોખમી વસ્તુ ન મળતાં કામગીરી ફરી શરૂ કરવામાં આવી હતી.

જામનગર મહાનગરપાલિકામાં પણ બોમ્બ મુકાયાની શંકા દર્શાવતો ઈ-મેઈલ મળતાં જ સાવચેતીના ભાગરૂપે સમગ્ર કેમ્પસ ખાલી કરાવવામાં આવ્યો હતો. કર્મચારીઓ, અધિકારીઓ અને કામકાજ માટે આવેલા નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ પોલીસ અને બોમ્બ ડિટેક્શન ટીમે સમગ્ર પરિસરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન આવતાં સ્થિતિ સામાન્ય બની હતી.

ભાવનગર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરના સત્તાવાર ઈ-મેઈલ પર પણ ધમકીભર્યો સંદેશ મળ્યો હતો. આ ઈ-મેઈલમાં મેયર કચેરીને નિશાન બનાવવાની વાત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કમિશનર દ્વારા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ, ડોગ સ્કવોડ અને પોલીસની ટીમોએ કચેરીમાં સઘન તપાસ હાથ ધરી હતી.

વડોદરા મહાનગરપાલિકાને પણ સમાન પ્રકારનો ધમકીભર્યો ઈ-મેઈલ મળ્યો હતો, જેના પગલે સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી હતી. તમામ સ્થળોએ તપાસ પૂર્ણ થયા બાદ કોઈ વિસ્ફોટક સામગ્રી કે શંકાસ્પદ વસ્તુ મળી આવી નહોતી.

હાલમાં સાયબર ક્રાઈમ અને અન્ય તપાસ એજન્સીઓ ધમકીભર્યા ઈ-મેઈલોના સ્ત્રોત સુધી પહોંચવા માટે તપાસ ચલાવી રહી છે. ઈ-મેઈલ કોણે મોકલ્યા અને તેનો હેતુ શું હતો તે અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં કોઈ નુકસાન કે જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી.

કચ્છમાં 3.2 તીવ્રતા ભયાનક ભૂકંપનો આંચકો, કોઈ નુકસાન નહીં

0

કચ્છ જિલ્લામાં બુધવારે બપોરે ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો. ભૂકંપશાસ્ત્રીય સંશોધન સંસ્થા, ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ 17 જૂન, 2026ના રોજ બપોરે 12:39:35 કલાકે ભચાઉથી આશરે 11 કિલોમીટર ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં ભૂકંપ નોંધાયો હતો.

રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 3.2 મેગ્નિટ્યુડ નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્ર અક્ષાંશ 23.396 અને રેખાંશ 70.337 પર સ્થિત હોવાનું જણાવાયું છે. તીવ્રતા ઓછી હોવાથી ભૂકંપની અસર મર્યાદિત રહી હતી અને કોઈ મોટા નુકસાનના અહેવાલ પ્રાપ્ત થયા નથી. કેટલાક વિસ્તારોમાં લોકોએ થોડા સમય માટે ધરતી ધ્રુજવાનો અનુભવ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે કચ્છ જિલ્લો ભૂકંપની દૃષ્ટિએ અતિસંવેદનશીલ ઝોન-5માં સમાવિષ્ટ છે. વર્ષ 2001ના વિનાશકારી ભૂકંપ બાદ આ વિસ્તારમાં સમયાંતરે નાના અને મધ્યમ તીવ્રતાના આંચકા નોંધાતા રહ્યા છે. હાલ સુધી તંત્રને કોઈ જાનહાનિ કે મિલકતને નુકસાન અંગેની માહિતી મળી નથી.

ભૂકંપ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર 3.0થી 4.0 મેગ્નિટ્યુડ વચ્ચેના ભૂકંપ સામાન્ય રીતે ગંભીર નુકસાન પહોંચાડતા નથી. તેમ છતાં, ભૂકંપપ્રવણ વિસ્તારોમાં રહેતા લોકોએ સાવચેતી રાખવી અને જરૂરી સુરક્ષા માર્ગદર્શિકાઓનું પાલન કરવું જરૂરી છે.

ગોપાલ ઇટાલીયાની અનોખી પહેલ: પગારમાંથી દોઢ લાખ આપી ગામના કૂવાનું પુનઃનિર્માણ

વિસાવદર-ભેંસાણના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ પોતાના મતવિસ્તારમાં એક અનોખી પહેલ કરીને ફરી એકવાર લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે. ભેંસાણ તાલુકાના નવા ખાખરા હડમતીયા ગામમાં ગ્રામજનોની લાંબા સમયથી રહેલી જરૂરિયાતને ધ્યાનમાં રાખી તેમણે પોતાના ધારાસભ્યના પગારમાંથી દોઢ લાખ રૂપિયાનું યોગદાન આપીને જર્જરિત કૂવાના પુનઃનિર્માણમાં સહયોગ આપ્યો છે.

તાજેતરમાં ગોપાલ ઇટાલીયા ગામની મુલાકાતે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે ગામના આગેવાન શૈલેષભાઈ કથીરિયાના નિવાસસ્થાને ગ્રામજનો સાથે મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન ગામલોકોએ તેમને નવનિર્મિત કૂવો બતાવ્યો અને તેમના આર્થિક સહયોગ બદલ જાહેરમાં આભાર વ્યક્ત કર્યો હતો.

ગોપાલ ઇટાલીયાના જણાવ્યા મુજબ, અગાઉ ગામની મુલાકાત દરમિયાન ગ્રામજનોએ જૂના અને જર્જરિત કૂવાના પુનઃનિર્માણ માટે સરકારી ગ્રાન્ટ ફાળવવાની રજૂઆત કરી હતી. પરંતુ આવા કામ માટે કોઈ સરકારી જોગવાઈ ઉપલબ્ધ ન હોવાથી તેમણે વ્યક્તિગત સ્તરે મદદ કરવાનો નિર્ણય લીધો હતો. તેમણે ગ્રામજનોને કૂવાનું કામ શરૂ કરવા પ્રોત્સાહિત કર્યા અને પોતાના પગારમાંથી કુલ દોઢ લાખ રૂપિયાનું યોગદાન આપવાની જાહેરાત કરી હતી. જેમાંથી એક લાખ રૂપિયા અગાઉ આપવામાં આવ્યા હતા, જ્યારે બાકીના પચાસ હજાર રૂપિયા પણ ટૂંક સમયમાં આપવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું.

ગોપાલ ઇટાલીયા છેલ્લા કેટલાક સમયથી પોતાના મતવિસ્તારના વિવિધ પ્રશ્નોને લઈને સક્રિય રહ્યા છે. ખેડૂતોના વીજપોલ સંબંધિત મુદ્દે તેમણે ખેડૂતોને ખુલ્લું સમર્થન આપીને તેમની સમસ્યાઓને વાચા આપી હતી. ઉપરાંત, મતવિસ્તારમાં મંજૂર થયેલા વિવિધ વિકાસકાર્યોની માહિતી જાહેર કરીને પારદર્શક વહીવટનો સંદેશ આપવાનો પ્રયાસ પણ કર્યો હતો.

તેમની આ કામગીરીને સ્થાનિક લોકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. અનેક લોકોએ વિકાસકાર્યો અંગે ખુલ્લી માહિતી આપવાની અને વ્યક્તિગત સ્તરે લોકોની જરૂરિયાતમાં સહયોગ કરવાની તેમની કાર્યશૈલીની પ્રશંસા કરી છે. નવા ખાખરા હડમતીયા ગામમાં કૂવાના નિર્માણ માટે કરાયેલા આ યોગદાન બાદ ગોપાલ ઇટાલીયાની આ પહેલની સમગ્ર વિસ્તારમાં ચર્ચા થઈ રહી છે.

ચોમાસા પહેલા જ સુરતમહાનગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીની ખૂલી પોલ

સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરીના મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે, પરંતુ ડીંડોલી વિસ્તારમાં બનેલી એક ઘટનાએ આ દાવાઓ પર ગંભીર પ્રશ્નચિહ્ન ઊભું કર્યું છે. શહેરના ન્યુ ડીંડોલી વિસ્તાર તરફ જતો કરોડો રૂપિયાના ખર્ચે તાજેતરમાં તૈયાર કરાયેલો રોડ ચોમાસાની શરૂઆત પહેલાં જ ધસી પડતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે.

માહિતી અનુસાર, ડીંડોલી વિસ્તારના મુખ્ય માર્ગ પર વહેલી સવારે એક ભારે માલસામાન ભરેલું ડમ્પર પસાર થઈ રહ્યું હતું. તે દરમિયાન અચાનક રોડનો મોટો ભાગ બેસી ગયો અને ડમ્પરનો પાછળનો ભાગ જમીનમાં ફસાઈ ગયો. ઘટનાના કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ઘટનાની જાણ થતાં જ મનપા તંત્ર અને સંબંધિત વિભાગોના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. હાલ JCB મશીનની મદદથી ડમ્પરને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને સમગ્ર વિસ્તારને સુરક્ષિત બનાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે.

સ્થાનિક લોકોમાં આ ઘટનાને પગલે ભારે રોષ જોવા મળી રહ્યો છે. હજુ માંડ થોડા દિવસો પહેલાં જ બનેલો ચકચકિત રોડ સામાન્ય દિવસોમાં જ બેસી જાય, તો ભારે વરસાદમાં આ રસ્તાની શું હાલત થશે તે વિચારવું જ રહ્યું. આ ઘટનાએ સુરત મનપાના પ્રિ-મોન્સૂન એક્શન પ્લાન અને રોડ કોન્ટ્રાક્ટરની કામગીરીની ગુણવત્તા પર મોટા સવાલો ઉભા કર્યા છે. લોકો પૂછી રહ્યા છે કે જનતાના ટેક્સના પૈસાનો આવો વેડફાટ કેમ?

આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ આ એક મોટી દુર્ઘટનાની ચેતવણી છે. વહીવટી તંત્ર દ્વારા આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે અને જવાબદાર કોન્ટ્રાક્ટર તેમજ અધિકારીઓ સામે કડક પગલાં લેવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે. જો વરસાદ પહેલા જ આવી સ્થિતિ હોય, તો આગામી ચોમાસામાં સુરતવાસીઓની સુરક્ષાનું શું?