Home Blog Page 48

Ahmedabad: કાલુપુર રેલવે સ્ટેશન પરથી નકલી IPS ની ધરપકડ

અમદાવાદ રેલવે સ્ટેશન પર રોજના લાખો મુસાફરોની સુરક્ષા માટે તૈનાત રહેતી રેલવે પોલીસ ક્યારેક કાયદાનો ભંગ કરનારા સામાન્ય લોકોની સાથે-સાથે વગદારોના ટાર્ગેટ પર પણ આવતી હોય છે. આવો જ એક સનસનાટીભર્યો કિસ્સો અમદાવાદ રેલવે સ્ટેશન પરથી સામે આવ્યો હતો, જ્યાં એક માથાભારે શખ્સે કાયદાના રક્ષકો પર જ પોતાનો ખોટો પાવર બતાવવાનો લાઈવ પ્રયાસ કર્યો હતો. પ્લેટફોર્મ કે ડેપો વિસ્તારમાં સામાન્ય બાબતે ફરજ પરના પોલીસકર્મીઓ સાથે આ શખ્સે બબાલ શરૂ કરી હતી.

તપાસ દરમિયાન એવી માહિતી પણ સામે આવી છે કે આરોપી પોતાને IPS અધિકારી ગણાવી પોલીસ કર્મચારીઓને ટ્રાન્સફર કરાવી દેવાની ધમકીઓ આપતો હતો. તેની વાતચીત અને વર્તનથી શરૂઆતમાં કેટલાક લોકો ગેરમાર્ગે દોરાયા હતા, પરંતુ બાદમાં તેની ઓળખ અંગે શંકા જતાં સમગ્ર મામલો ખુલ્લો પડ્યો હતો.

ફરજમાં અવરોધ ઉભો કરતાં કાર્યવાહી
પોલીસે જણાવ્યું કે આરોપી દ્વારા અસલી પોલીસની કામગીરીમાં અવરોધ ઊભો કરવામાં આવી રહ્યો હતો. ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ સાથે દાદાગીરી અને સત્તાનો ખોટો દેખાવ કરતા તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પ્રહલાદનગરના જોન ડેનિયલની ધરપકડ
આ કેસમાં પ્રહલાદનગર વિસ્તારમાં રહેતા John Daniel ની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે તેની સામે ગુનો નોંધી વધુ પૂછપરછ શરૂ કરી છે. આરોપીએ અગાઉ ક્યાં-ક્યાં નકલી IPS તરીકે ઓળખ આપી હતી, કોઈને છેતર્યા છે કે નહીં અને તેની સાથે અન્ય કોઈ વ્યક્તિ સંકળાયેલી છે કે કેમ તે મુદ્દે પણ તપાસ ચાલી રહી છે.

વધુ તપાસ શરૂ
પોલીસ હવે આરોપીના મોબાઇલ ફોન, દસ્તાવેજો અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની પણ તપાસ કરી રહી છે. સાથે જ તેણે નકલી ઓળખના આધારે કોઈ લાભ મેળવ્યો હતો કે નહીં તે દિશામાં પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે વધુ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

કાન પર દેખાતા આ લક્ષણોને ન કરો નજરઅંદાજ, હોઈ શકે છે કેન્સરના સંકેત

0

સ્કિન કેન્સરમાં લોકો શરીરના બાકી હિસ્સા પર ધ્યાન આપે છે, પરંતુ કાનને ભૂલી જાય છે. કાનની અંદર થનાર કેન્સરથી અલગ આ કેન્સર કાનની બહારની ત્વચા કે અંદરની ત્વચા પર ઉદ્ભવી શકે છે, પરંતુ કાનની એકદમ અંદરના સ્ટ્રક્ચરથી શરૂ થતું નથી. આ કેન્સરને સ્કિનના કેન્સરની સાથે-સાથે કાનનું કેન્સર પણ કહેવામાં આવે છે. તો કાનના અંદરના ભાગમાં થનાર કેન્સર જ કાનનું કેન્સર હોય છે. તેવામાં જાણો સ્કિન કેન્સર કાન પર થવા અને કાનની અંદરમાં થનાર અસલ ઇયર કેન્સરના શું લક્ષણ હોય છે અને આ લક્ષણોને કઈ રીતે ઓળખી શકાય છે.

કાનના કેન્સરના શું લક્ષણ હોય છે
કાનના કેન્સરના શરૂઆતના લક્ષણોમાં કાનની ત્વચા પર ગાંઠ, દાણા કે અસામાન્ય નિશાન દેખાવા, સાંભળવામાં તકલીફ પડવી, કાનમાંથી લોહી કે અન્ય પ્રવાહી નીકળવું અને ત્વચાના રંગમાં ફેરફાર થવો સામેલ છે. કેટલાક દર્દીઓને કાન કે તેની આસપાસ સતત દુખાવો રહેતો હોય છે. ઉપરાંત કાનમાં સતત અવાજ સંભળાવા, સંતુલન જાળવવામાં મુશ્કેલી થવી અને ચહેરાના ભાગમાં નબળાઈ અનુભવવી પણ કાનના કેન્સરના સંકેતો હોઈ શકે છે.

કાનનું કેન્સર કેટલા પ્રકારના હોય છે

કાનનું કેન્સર મુખ્યત્વે ત્રણ પ્રકારનું હોય છે – બેઝલ સેલ કાર્સિનોમા, સ્ક્વામસ સેલ કાર્સિનોમા અને મેલાનોમા.

બેઝલ સેલ કાર્સિનોમા:
આ પ્રકારનું કેન્સર ત્વચાના બેઝલ સેલ સ્તરમાં શરૂ થાય છે. શરૂઆતમાં તે ધીમે વધે છે, પરંતુ સારવાર ન મળે તો શરીરના અન્ય ભાગોમાં પણ ફેલાઈ શકે છે.

સ્ક્વામસ સેલ કાર્સિનોમા:
આ કેન્સર ત્વચાના ઉપરના સ્તર એટલે કે સ્ક્વામસ સેલ્સમાં વિકસે છે. તે કાનથી લસિકા ગ્રંથિઓ (લિમ્ફ નોડ્સ) સુધી ફેલાઈ શકે છે.

મેલાનોમા:
મેલાનોમા સૌથી ગંભીર પ્રકારનું સ્કિન કેન્સર માનવામાં આવે છે. તે ત્વચાને રંગ આપતા કોષોમાં વિકસે છે અને ઝડપથી શરીરના અન્ય ભાગોમાં ફેલાઈ શકે છે. કાનની ત્વચાના રંગમાં ફેરફાર અથવા તલના આકારમાં બદલાવ તેના મુખ્ય લક્ષણો છે.

આ ઉપરાંત મિડલ ઇયર, ઇનર ઇયર અને ટેમ્પોરલ બોનમાં પણ કેન્સર થઈ શકે છે, જોકે આવા કિસ્સાઓ ખૂબ જ દુર્લભ હોય છે.

ક્યા લોકો આ કેન્સરની ઝપેટમાં આવી શકે
જે લોકો લાંબા સમય સુધી સૂર્યપ્રકાશના સંપર્કમાં રહે છે, વારંવાર કાનમાં ચેપનો ભોગ બને છે અથવા જેમના પરિવારમાં સ્કિન કેન્સરનો ઇતિહાસ છે, તેઓમાં કાનના કેન્સરનું જોખમ વધુ હોઈ શકે છે. રેડિએશનના સંપર્કમાં આવનારા લોકોમાં પણ આ બીમારી થવાની શક્યતા વધી શકે છે.

ક્યારે કાનની તપાસ કરાવવી
જો કાનની ત્વચા પર કોઈ અસામાન્ય નિશાન, તલ, દાણા અથવા ગાંઠ દેખાય તો તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. કાનની ત્વચાના રંગ કે આકારમાં ફેરફાર જણાય અથવા લાંબા સમય સુધી કોઈ સમસ્યા રહે તો તેની તપાસ કરાવવી જરૂરી છે. ખાસ કરીને જે લોકો લાંબા સમય સુધી તડકામાં રહેતા હોય તેમણે નિયમિત સ્કિન અને કાનની સ્ક્રીનિંગ કરાવવી જોઈએ, જેથી કેન્સરની વહેલી તકે ઓળખ થઈ શકે.

વેનેઝુએલામાં હાહાકાર: 40 સેકન્ડમાં બે ભૂકંપના ઝટકા, રાષ્ટ્રીય કટોકટી જાહેર

0

દક્ષિણ અમેરિકાના દેશ વેનેઝુએલામાં કુદરતે વિનાશક તાંડવ મચાવ્યું છે. દેશની ધરતી એક જ મિનિટની અંદર બે વખત પ્રચંડ ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠતા સર્વત્ર અફરાતફરીનો માહોલ સર્જાયો છે. અમેરિકાની ભૂસ્તર વૈજ્ઞાનિક સંસ્થા યુએસ જિયોલોજિકલ સર્વે (USGS) અનુસાર પ્રથમ ભૂકંપની તીવ્રતા 7.2 નોંધાઈ હતી, જ્યારે માત્ર 40 સેકન્ડ બાદ વધુ શક્તિશાળી 7.5 તીવ્રતાનો બીજો ભૂકંપ આવ્યો હતો. આ ભયંકર કુદરતી આપત્તિને પગલે સમગ્ર દેશમાં તાત્કાલિક રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવામાં આવી છે.

પ્રારંભિક અંદાજો મુજબ ભૂકંપના કારણે મોટા પાયે જાનહાનિ અને મિલકતોને નુકસાન થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ મોન્ટાલબાન અને મોરોન વિસ્તારની નજીક જમીનની અંદર લગભગ 10થી 22 કિલોમીટરની ઊંડાઈએ હોવાનું જણાવાયું છે. આ વિસ્તાર દેશની મહત્વપૂર્ણ ઓઇલ રિફાઇનરીઓ માટે પણ જાણીતો હોવાથી ચિંતામાં વધારો થયો છે.

રાષ્ટ્રીય રજાના દિવસે જ સર્જાયો મહાવિનાશ
આ વિનાશક ભૂકંપ એવા સમયે આવ્યો જ્યારે દેશમાં 1821ના ઐતિહાસિક સૈન્ય વિજયની યાદમાં રાષ્ટ્રીય રજા હતી. રજાના કારણે મોટા ભાગના લોકો પોતાના ઘરોમાં હાજર હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર આંચકા એટલા પ્રચંડ હતા કે અનેક બહુમાળી ઇમારતો પળવારમાં ધરાશાયી થઈ ગઈ હતી.

રાજધાની કરાકાસમાં આવેલી 22 માળની એક ગગનચુંબી ઇમારત સંપૂર્ણપણે તૂટી પડી હોવાનું જાણવા મળ્યું છે. તેના કાટમાળ નીચે અનેક લોકો ફસાયેલા હોવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉપરાંત, કરાકાસના પાલોસ ગ્રાન્ડેસ અને અલ્તામિરા જેવા વિસ્તારોમાંથી પણ ભારે નુકસાનના અહેવાલો સામે આવ્યા છે.

ચારેય તરફ આક્રંદ અને અંધારપટ્ટ
ભૂકંપના કારણે દેશના સાતથી વધુ રાજ્યોમાં વીજ પુરવઠો, ટેલિફોન સેવાઓ તેમજ પેટ્રોલ અને ગેસ સપ્લાય વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. રાજધાની કરાકાસની હોસ્પિટલોમાં મોટી સંખ્યામાં ઇજાગ્રસ્તોને ખસેડવામાં આવતા તબીબી તંત્ર પર ભારે દબાણ સર્જાયું છે.

ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અને પોલીસની ટીમો સતત બચાવ કામગીરીમાં વ્યસ્ત છે. કાટમાળ નીચે ફસાયેલા પોતાના સ્વજનોને શોધવા માટે લોકો આક્રંદ કરી રહ્યા છે. ભૂકંપની તીવ્રતા એટલી વધુ હતી કે તેની અસર પડોશી દેશ કોલંબિયામાં પણ અનુભવાઈ હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.

આંતરરાષ્ટ્રીય મદદની અપીલ
વેનેઝુએલાના ગૃહ પ્રધાન ડિયોસદાદો કેબેલો અને ઉપરાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝે સંયુક્ત નિવેદનમાં જણાવ્યું છે કે ફાયર વિભાગ, સિવિલ ડિફેન્સ, સેના અને અન્ય તમામ બચાવ એજન્સીઓને તાત્કાલિક કામગીરી માટે તૈનાત કરવામાં આવી છે. બચાવકર્મીઓ કાટમાળ હટાવીને જીવતા લોકોને બહાર કાઢવાના પ્રયાસો કરી રહ્યા છે.

સરકારે આપત્તિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને મિત્ર દેશો પાસેથી આર્થિક તેમજ તકનીકી સહાય મેળવવાની પ્રક્રિયા શરૂ કરી છે. શરૂઆતમાં સુનામીની સંભાવનાને લઈને ચેતવણી આપવામાં આવી હતી, પરંતુ બાદમાં તે પાછી ખેંચી લેવામાં આવી હતી. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર વર્ષ 1967 પછી દેશે અનુભવેલો આ સૌથી ભયાનક ભૂકંપ માનવામાં આવી રહ્યો છે.

શરીરથી જોડાયેલા ટ્વિન બાળકોનો જન્મ, સારવાર પહેલાં જ બંનેએ તોડ્યો દમ

0

ઉત્તર પ્રદેશના કૌશાંબી જિલ્લાના તિમાલપુર ગામમાં એક દુર્લભ અને કરુણ ઘટના સામે આવી છે. યશોદા દેવીએ એક ખાનગી હોસ્પિટલમાં શરીરથી જોડાયેલા ટ્વિન બાળકોને જન્મ આપ્યો હતો. બાળકોની સ્થિતિ જોઈને ડૉક્ટરો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

જન્મેલા બંને બાળકોના માથા અને હાથ અલગ હતા, પરંતુ તેઓ પેટના ભાગેથી એકબીજા સાથે જોડાયેલા હતા. તેમના આંતરિક અવયવો કેટલા અલગ અને કેટલા એકસાથે જોડાયેલા હતા તે શરૂઆતમાં સ્પષ્ટ થઈ શક્યું નહોતું. આ અનોખા બાળકોને જોવા માટે હોસ્પિટલમાં લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી.

ખાસ વાત એ હતી કે યશોદા દેવીએ સામાન્ય પ્રસૂતિ દ્વારા આ બાળકોને જન્મ આપ્યો હતો. જોકે જન્મ બાદ બંને બાળકોની તબિયત અત્યંત નાજુક હતી. તેઓ સ્વતંત્ર રીતે દૂધ પી શકતા નહોતા અને તેમને ઇન્ટેન્સિવ કેર યુનિટમાં રાખીને કૃત્રિમ શ્વાસોચ્છ્વાસ સહિતની સારવાર આપવામાં આવી હતી.

તમામ પ્રયાસો છતાં જન્મના થોડા કલાકોમાં એક બાળકનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ બીજા બાળકને બચાવવું પણ અત્યંત મુશ્કેલ બની ગયું હતું. નિષ્ણાતોના મતે બીજા બાળકને બચાવવા માટે તાત્કાલિક સર્જરી કરીને શરીરને અલગ કરવું જરૂરી હતું, પરંતુ તે ખૂબ જ જટિલ અને જોખમી પ્રક્રિયા હતી.

આ માટે બાળકને વધુ સારવાર માટે પ્રયાગરાજની એક મોટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે નિષ્ણાતો કોઈ નિર્ણય લઈ શકે તે પહેલાં જ બીજા બાળકનું પણ મૃત્યુ થઈ ગયું હતું. આ દુર્લભ ઘટનાએ પરિવાર સાથે તબીબી જગતને પણ શોકમાં મૂકી દીધું છે.

ડિજિટલ અરેસ્ટ કૌભાંડમાં CBIનો મેગા સ્ટ્રાઈક, 16 રાજ્યોમાં 80થી વધુ સ્થળોએ દરોડા

0

સીબીઆઈએ આજે દેશના 16 રાજ્યોમાં 80થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા છે. આ કાર્યવાહી ડિજિટલ અરેસ્ટ સ્કેમ સાથે જોડાયેલા કેસમાં કરવામાં આવી છે. સીબીઆઈએ ‘ઓપરેશન ચક્ર’ અંતર્ગત આ એક્શન હાથ ધર્યું છે. આ ઓપરેશન દ્વારા સાયબર ગુનાખોરીના માળખા સામે સંકલિત કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ઓપરેશન ચક્ર હેઠળ CBIની મોટી કાર્યવાહી
ઓપરેશન ચક્ર અંતર્ગત સીબીઆઈએ 60 વિશેષ ટીમોનું ગઠન કર્યું હતું. આ ટીમોએ પંજાબ, ગુજરાત, દિલ્હી, મહારાષ્ટ્ર, હરિયાણા, તમિલનાડુ, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, આસામ, પશ્ચિમ બંગાળ, મણિપુર, કર્ણાટક અને ઓડિશા સહિત 16 રાજ્યોમાં 80થી વધુ સ્થળોએ દરોડા અને તપાસ અભિયાન હાથ ધર્યું હતું.

સીબીઆઈની આ કાર્યવાહી ડિજિટલ અરેસ્ટ સ્કેમની તપાસનો એક ભાગ છે, જેનો હેતુ દેશભરમાં નોંધાયેલા 200થી વધુ ડિજિટલ અરેસ્ટ કૌભાંડના કેસોમાં સંડોવાયેલા ઓપરેશનલ નેટવર્કને નાબૂદ કરવાનો છે. આ કેસમાં શેલ કંપનીઓ બનાવવી અને ગેરકાયદેસર બેંક ખાતાઓ ખોલવાના આરોપસર સીબીઆઈએ બે શંકાસ્પદોની ધરપકડ કરી છે. આ ખાતાઓનો ઉપયોગ ડિજિટલ અરેસ્ટ દ્વારા મેળવાયેલી ઠગાઈની રકમને મની લોન્ડરિંગ કરવા માટે કરવામાં આવતો હોવાનું સામે આવ્યું છે.

ભારતીયો ઉપરાંત વિદેશી નાગરિકો પણ બન્યા શિકાર
સીબીઆઈએ તાજેતરમાં ડિજિટલ અરેસ્ટ કૌભાંડ સાથે જોડાયેલી એક નકલી વેબસાઇટનો પર્દાફાશ કર્યો હતો. આ વેબસાઇટનો URL સુપ્રીમ કોર્ટની સત્તાવાર વેબસાઇટ જેવો જ દેખાતો હતો અને તેના માધ્યમથી લોકોને ઠગવામાં આવતા હતા. સુપ્રીમ કોર્ટના રજિસ્ટ્રારે આ વેબસાઇટ અંગે ફરિયાદ નોંધાવ્યા બાદ સીબીઆઈએ એફઆઈઆર દાખલ કરી તપાસ શરૂ કરી હતી.

તપાસ દરમિયાન સીબીઆઈને એવા પુરાવા પણ મળ્યા છે કે આ સાયબર કૌભાંડમાં માત્ર ભારતીય નાગરિકો જ નહીં, પરંતુ વિદેશી નાગરિકોને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા. સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે.

અમૃતસર જતી ઍર ઇન્ડિયા ફ્લાઇટ પહોંચી પાકિસ્તાન, જાણો પછી શું થયું?

0

દિલ્હીથી અમૃતસર જતી ઍર ઇન્ડિયાની ફ્લાઇટ AI-479 સાથે એક ચોંકાવનારી ઘટના બની હતી. સોમવારે રાત્રે ઉડાન દરમિયાન વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાતા તે પોતાના નિર્ધારિત રૂટથી ભટકી ગયું અને થોડા સમય માટે પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાં પ્રવેશી ગયું હતું. પાકિસ્તાન દ્વારા ભારતીય વિમાનો માટે હવાઈ ક્ષેત્ર બંધ હોવા છતાં આ ઘટના બનતા એર ટ્રાફિક સત્તાવાળાઓમાં ચિંતા ફેલાઈ હતી.

માહિતી મુજબ, પાકિસ્તાન એર ટ્રાફિક કંટ્રોલ તરફથી ચેતવણી મળ્યા બાદ પાયલોટને વિમાન રૂટથી ભટક્યાની જાણ થઈ હતી. ત્યારબાદ તરત જ યુ-ટર્ન લઈને વિમાનને ભારતીય હવાઈ ક્ષેત્રમાં પરત લાવવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર વિમાન પાકિસ્તાનની સરહદમાં અંદાજે દોઢ માઇલ જેટલું અંદર પ્રવેશ્યું હતું.

રાત્રે 9:18 વાગ્યે દિલ્હીથી ઉડાન ભરનાર આ ફ્લાઇટનું અમૃતસરમાં 10:30 વાગ્યે લેન્ડિંગ થવાનું હતું, પરંતુ નેવિગેશન સિસ્ટમમાં ખામી આવતાં રૂટમાં અવરોધ સર્જાયો હતો. ભારતીય હવાઈ ક્ષેત્રમાં પરત ફર્યા બાદ પણ અમૃતસર એરપોર્ટ પર ટ્રાફિક વધારે હોવાથી વિમાનને તરત લેન્ડિંગની મંજૂરી મળી નહોતી.

વિમાન થોડા સમય સુધી અમૃતસરની આસપાસ ચક્કર મારતું રહ્યું અને ત્યારબાદ એર ટ્રાફિક કંટ્રોલની સૂચના મુજબ તેને દિલ્હી પરત મોકલવામાં આવ્યું હતું. દિલ્હી એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ બાદ લગભગ બે કલાક પછી ફ્લાઇટને ફરી અમૃતસર માટે રવાના કરવામાં આવી હતી. આખરે મંગળવારની વહેલી સવારે લગભગ 2:20 વાગ્યે વિમાન અમૃતસર એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતર્યું હતું.

આ સમગ્ર ઘટનાને કારણે મુસાફરોને લગભગ ચાર કલાકના વિલંબનો સામનો કરવો પડ્યો હતો. હાલ એરલાઇન અને સંબંધિત એજન્સીઓ દ્વારા ટેકનિકલ ખામી અને નેવિગેશન સિસ્ટમમાં થયેલી સમસ્યાની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

વિશ્વમાં ભૂકંપની આફત: વેનેઝુએલા પછી જાપાનમાં 6.9ની તીવ્રતાનો જોરદાર ઝટકો

વેનેઝુએલામાં આવેલા શક્તિશાળી ભૂકંપ બાદ હવે જાપાનમાં પણ 6.9ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે. જોકે, સત્તાવાર માહિતી અનુસાર આ ભૂકંપ પછી સુનામીનો કોઈ ખતરો નથી અને અત્યાર સુધી કોઈ મોટા નુકસાન કે જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.

અમેરિકન ભૂસ્તર સર્વેક્ષણ સંસ્થા (USGS)ના જણાવ્યા મુજબ ભૂકંપનું કેન્દ્રબિંદુ કુજી શહેરથી આશરે 35 કિલોમીટર ઉત્તર-પૂર્વમાં હતું. ભૂકંપની ઊંડાઈ 51.7 કિલોમીટર નોંધાઈ હતી, જેના કારણે કેટલાક વિસ્તારોમાં જોરદાર આંચકા અનુભવાયા હતા.

ભૂકંપ બાદ વડાપ્રધાન સનાએ તાકાઈચીએ સંબંધિત અધિકારીઓને તાત્કાલિક સ્થિતિનું મૂલ્યાંકન કરવા તેમજ જરૂર પડે તો રાહત અને બચાવ કામગીરી શરૂ કરવા સૂચના આપી છે. સરકાર સમગ્ર સ્થિતિ પર સતત નજર રાખી રહી છે.

મુખ્ય કેબિનેટ સચિવ મિનોરુ કિહારાએ જણાવ્યું કે ભૂકંપ બાદ સુનામીની કોઈ શક્યતા નથી. તેમણે સ્પષ્ટ કર્યું કે અત્યાર સુધી કોઈ જાનહાનિ અથવા ગંભીર નુકસાનની માહિતી મળી નથી. ઉપરાંત દેશના પરમાણુ પ્લાન્ટોમાં પણ કોઈ પ્રકારની અસામાન્ય સ્થિતિ નોંધાઈ નથી.

સુનામીની ચેતવણી પાછી ખેંચાઈ

ભૂકંપ બાદ અમેરિકન સુનામી ચેતવણી કેન્દ્રે શરૂઆતમાં ભૂકંપના કેન્દ્રથી લગભગ 300 કિલોમીટરના દરિયાકાંઠાના વિસ્તારો માટે સુનામીની સંભાવનાને લઈને એલર્ટ જાહેર કર્યું હતું. સાથે જ પ્યુર્ટો રિકો અને વર્જિન આઇલેન્ડ્સ માટે પણ સાવચેતીરૂપ સૂચના આપવામાં આવી હતી.

જોકે, બાદમાં નવા ડેટાના વિશ્લેષણ અને પરિસ્થિતિની સમીક્ષા કર્યા પછી અમેરિકન સુનામી ચેતવણી કેન્દ્રે આ એલર્ટ પાછું ખેંચી લીધું હતું. એજન્સીએ જણાવ્યું કે હવે આ ભૂકંપના કારણે કોઈ પણ દરિયાકાંઠાના વિસ્તારમાં સુનામી આવવાની આશંકા નથી.

વેનેઝુએલામાં 7.2 અને 7.5ના શક્તિશાળી ભૂકંપથી તબાહી, રાજધાની કારાકાસમાં ઇમારતો ધરાશાયી

વેનેઝુએલામાં બુધવારે બપોરે બે શક્તિશાળી ભૂકંપ આવ્યા. પહેલો ભૂકંપ 7.2ની તીવ્રતાનો હતો. તેનું કેન્દ્ર કારાકાસથી લગભગ 160 કિમી પશ્ચિમમાં અને ઊંડાઈ 13 કિમી હતી. થોડી મિનિટો પછી 7.5ની તીવ્રતાનો બીજો ભૂકંપ આવ્યો. બીજા ભૂકંપનું કેન્દ્ર મોરોન શહેરના દક્ષિણ-પશ્ચિમમાં અને ઊંડાઈ 10 કિમી હતી.

રાજધાની કારાકાસ સહિત ઘણા વિસ્તારોમાં ઇમારતો અને મકાનોને નુકસાન થયું. સ્થાનિક મીડિયા અનુસાર, કારાકાસ એરપોર્ટની છતનો અમુક ભાગ તૂટી પડ્યો. કાટમાળ પડવાથી ધૂળનો મોટો ગુબાર ઉડતો દેખાયો.

યુએસ એજન્સીએ કહ્યું- 10,000 મૃત્યુની 44% સંભાવના

યુએસજીએસનું કહેવું છે કે મોટા પાયે જાનમાલનું નુકસાન થઈ શકે છે અને આફ્ટરશોકની પણ સંભાવના છે. યુએસ જિયોલોજિકલ સર્વે (યુએસજીએસ)નું કહેવું છે કે બુધવારે સાંજે વેનેઝુએલાની રાજધાની અને આસપાસના વિસ્તારોમાં સતત આવેલા ભૂકંપને કારણે મોટા પાયે જાનમાલનું નુકસાન થવાની આશંકા છે.

USGS નું કહેવું છે કે આ આફત મોટા પાયે થઈ શકે છે અને ત્યારબાદ તીવ્ર આંચકાવાળા આફ્ટરશોક પણ આવી શકે છે. એજન્સી અનુસાર, 10,000 થી વધુ લોકોના મૃત્યુની 44% સંભાવના છે અને 1,00,000 થી વધુ લોકોના મૃત્યુની 30% સંભાવના છે. સાથે જ, જમીન પર ભૂસ્ખલન અને લિક્વિફેક્શનનો પણ ઘણો ખતરો છે.

ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ટ્રાફિક સમસ્યાથી પોલીસ ઉપર અકળાયા

0

ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ગાંધીનગર જિલ્લાના કલોલ નજીક સર્જાયેલા ટ્રાફિક જામમાં ફસાતા પોલીસ તંત્રની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરતા જોવા મળ્યા હતા. ટ્રાફિકની સમસ્યા લાંબા સમય સુધી યથાવત રહેતા અને વાહનવ્યવહાર સામાન્ય કરવામાં વિલંબ થતાં તેઓ અકળાઈ ગયા હતા.

મળતી માહિતી મુજબ, નીતિન પટેલનો કાફલો કલોલ નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાસ્થળે ટ્રાફિક વ્યવસ્થાપનમાં પોલીસની કામગીરી સંતોષકારક ન હોવાનું જણાતા તેમણે પોતાની કારમાંથી ઉતરી સ્થિતિનો જાતે જ તાગ મેળવ્યો હતો.

આ દરમિયાન તેમણે ટ્રાફિક નિયંત્રણમાં રહેલી ખામીઓ અંગે પોલીસ અધિકારીઓ સામે અસંતોષ વ્યક્ત કર્યો હતો. બાદમાં તેઓ સીધા જ નજીકના પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ટ્રાફિક વ્યવસ્થાપન અંગે રજૂઆત કરી હતી.

આ સમગ્ર ઘટનાએ એક મહત્વનો પ્રશ્ન પણ ઉભો કર્યો છે કે જ્યારે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રીને ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડે છે, ત્યારે સામાન્ય નાગરિકોની મુશ્કેલીઓ કેટલી ગંભીર હોઈ શકે. શહેરો અને હાઈવે પર વધતા ટ્રાફિક દબાણ વચ્ચે અસરકારક ટ્રાફિક મેનેજમેન્ટ અને ઝડપી પ્રતિસાદની જરૂરિયાત ફરી એકવાર ચર્ચામાં આવી છે. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં પણ ચર્ચાનો વિષય બન્યો છે.

Morning Headache: પૂરી ઊંઘ પછી પણ માથું દુખે છે? જાણો તેના પાછળના કારણો

0

સવારે ઊંઘ કરીને જાગો ત્યારે માથામાં થોડીવાર દુખાવાનો અનુભવ થતો હોય તો તેની પાછળ કેટલાક કારણો જવાબદાર હોય છે. મોટાભાગના લોકોને આ સમસ્યા સામાન્ય લાગે છે. પરંતુ ઘણી વખત શરીરમાં વધતી ગંભીર સમસ્યાનું લક્ષણ પણ આ દુખાવો હોઈ શકે છે. જ્યારે શરીરમાં અમુક ફેરફારો થતા હોય ત્યારે ઊંઘ કર્યા પછી સવારે જાગો ત્યારે માથું ભારે લાગે છે. સવારે માથું કયા કારણોસર ભારે લાગે ચાલો તમને જણાવીએ.

સવારે માથામાં દુખાવો થવાના કારણો

બ્રુક્સિઝ્મ
બ્રુક્સિઝ્મ એવી સમસ્યા છે જેમાં વ્યક્તિ સુતી વખતે અજાણતા પોતાના દાંત કચકચાવે છે. ઘણા લોકો દાંત એટલી જોરથી ઘસે છે તેના કારણે દાંત ઘસાવા લાગે છે અને સાથે જ અને માથામાં દુખાવાનો અનુભવ થાય છે. રાત્રે ઊંઘમાં દાંત ઘસ્યા પછી સવારે માથું ભારે લાગે છે.

ડિહાઇડ્રેશન
શરીરને રાત્રે પાણી મળતું નથી અને દિવસ દરમિયાન પણ ઓછું પાણી પીધું હોય તો ડિહાઇડ્રેશનના કારણે સવારે માથામાં દુખાવો રહે છે. ડિહાઇડ્રેશનના કારણે મગજ સુધી રક્ત ઓછી માત્રામાં પહોંચે છે જેના કારણે માથું ભારે થઈ જાય છે.

લો બ્લડ સુગર
જો રાત્રે જમવાનો સમય અને સવારના નાસ્તાના સમય વચ્ચે લાંબો ગેપ રહેતો હોય તો તેના કારણે ડાયાબિટીસના દર્દીનું બ્લડ સુગર લેવલ અચાનક ઘટી જાય છે. બ્લડ સુગર લેવલ ઘટી જવાના કારણે પણ માથામાં દુખાવો કે માઈગ્રેન ટ્રિગર થઈ જાય છે.

શરીરની વધતી બીમારી
કેટલાક કેસમાં સવારે માથામાં દુખાવો થવા પાછળ શરીરમાં વધતી ગંભીર બીમારી પણ જવાબદાર હોય છે. જેમકે હાઈ બ્લડ પ્રેશર, સાઈનસાઈટિસ, અથવા તો મગજની અંદર થતાં ફેરફારો. કેટલીક ન્યુરોલોજિકલ સમસ્યામાં પણ સવારના સમયે માથામાં દુખાવો રહે છે.

દવાઓની આડઅસર
જો તમે નિયમિત રીતે કેટલીક પેનકિલર ખાતા હોય તો તેના પ્રભાવના કારણે પણ માથાનો દુખાવો રહી શકે છે. ઘણી વખત વધારે માત્રામાં કેફીનના કારણે પણ માથું સવારે થોડીવાર સખત દુખે છે.

સ્લીપ એપનિયા
સ્લીપ એપનિયા એટલે કે એવી સ્થિતિ જેમાં વ્યક્તિની ઊંઘ રાત્રે અચાનક વારંવાર તૂટે છે. ગાઢ ઊંઘમાંથી અચાનક જાગી જવાથી અને પછી સુવાથી ઊંઘ પૂરી થતી નથી જેના કારણે મગજને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળતું નથી. વારંવાર ઊંઘ તૂટવાની સમસ્યા રહેતી હોય તેમને પણ સવારે માથામાં દુખાવો રહે છે.