Home Blog Page 4

ફરી યાદો તાજા થઈ ! એશિયા કપ જીત્યા પણ ટ્રોફી લેવાનો નન્નો ભણ્યો

0

મેદાન પર ભારતે શ્રીલંકાને હરાવી એશિયા કપની ટ્રોફી તો જીતી લીધી, પરંતુ મેચ પૂરો થયા બાદ જે થયું તેણે આખી ફાઈનલની ચર્ચા જ બદલી નાખી. ભારત આઠમી વખત ચેમ્પિયન બન્યું હોવા છતાં ટ્રોફી લેવા માટે ભારતીય ખેલાડીઓ પ્રેઝન્ટેશન મંચ પર પહોંચ્યા નહીં. એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના પ્રમુખ અને પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસિન નકવીની હાજરીમાં ભારતીય મહિલા ટીમ ટ્રોફી સ્વીકારવા મંચ પર પહોંચી નહીં.

ફાઈનલમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર ભારતે ૨૦ ઓવરમાં ૧૮૩/૫નો મજબૂત સ્કોર નોંધાવ્યો હતો. સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માએ શરૂઆતથી જ શ્રીલંકાના બોલરો પર દબાણ બનાવ્યું અને પ્રથમ વિકેટ માટે ૧૨૯ રનની શાનદાર ભાગીદારી કરી હતી. શેફાલીએ માત્ર ૨૪ બોલમાં અડધી સદી પૂર્ણ કરી અને ૬૮ રનની આક્રમક ઇનિંગ રમી, જ્યારે મંધાનાએ ૫૯ રન ફટકાર્યા હતા.

૧૮૪ રનના લક્ષ્યાંકનો પીછો કરતી શ્રીલંકાની ટીમ ભારતીય બોલિંગ સામે ટકી શકી નહીં અને ૨૦ ઓવરમાં ૧૧૧ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. શ્રી ચરણીએ ૪ વિકેટ લઈને ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી, જ્યારે ભારતીય બોલિંગ યુનિટે સમગ્ર ઇનિંગ દરમિયાન શ્રીલંકા પર નિયંત્રણ જાળવી રાખ્યું હતું. ભારતે ૭૨ રનની જીત સાથે ખિતાબ પોતાના નામે કર્યો હતો.

જોકે, મુદાની વાત મેચ બાદ શરૂ થાય હતી. ટ્રોફી સેરેમનીમાં મોહસિન નકવી મંચ પર હાજર હતા, પરંતુ ભારતીય ખેલાડીઓએ તેમની પાસેથી ટ્રોફી સ્વીકારી નહીં. અહેવાલો મુજબ BCCIએ આ નિર્ણય અંગે ACCને અગાઉથી જાણ કરી હતી. સેરેમનીમાં વિલંબ થયો અને ભારતીય ટીમે પરંપરાગત રીતે મંચ પર ટ્રોફી લેવાનું ટાળ્યું હતું.

આ ઘટના ૨૦૨૫ની પુરુષ એશિયા કપ ફાઈનલની યાદ અપાવે છે, જ્યારે પાકિસ્તાન સામે ખિતાબ જીત્યા બાદ ભારતીય પુરુષ ટીમે પણ નકવીના હાથેથી ટ્રોફી સ્વીકારવાનું ટાળ્યું હતું.

ભારતની જીત નિશ્ચિત રહી, પરંતુ એશિયા કપની આ ફાઈનલ ટ્રોફી સેરેમનીના વિવાદને કારણે પણ લાંબા સમય સુધી યાદ રહેશે.

લવ મેરેજના 6 મહિના બાદ પત્નીનું શંકાસ્પદ મોત, Scorpio-N અને ₹30 લાખની માંગનો આરોપ

0

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના મુરાદનગરમાં નવવિવાહિતાના શંકાસ્પદ મૃત્યુના કેસે ચકચાર મચાવી છે. મૃતક આકૃતિ સિંહના ભાઈ પ્રભાતે પોલીસમાં ફરિયાદ કરી આરોપ લગાવ્યો છે કે લગ્ન બાદથી જ સાસરિયાઓ દ્વારા દહેજની માંગને લઈને તેની બહેનને માનસિક અને શારીરિક રીતે હેરાન કરવામાં આવતી હતી. ખાસ કરીને રૂ.30 લાખ રોકડા અને સ્કોર્પિયો-N કારની માંગ કરવામાં આવતી હોવાનો આરોપ છે. આકૃતિના મૃત્યુ બાદ પોલીસે પતિ સહિત સાસરિયા પક્ષના લોકો સામે કેસ નોંધ્યો છે.

પરિવારના જણાવ્યા અનુસાર, આકૃતિ અને ગૌરવના લગ્ન પહેલા પણ દહેજને લઈને બંને પરિવારો વચ્ચે વિવાદ થયો હતો. શરૂઆતમાં લગ્ન નક્કી થયા બાદ ગાડી અને અન્ય દહેજની માંગને લઈને મામલો બગડ્યો હતો. ત્યારબાદ બંને વચ્ચે સંપર્ક ચાલુ રહ્યો અને પરિવારની મરજી વિરુદ્ધ બંનેએ લગ્ન કર્યા હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. લગ્ન બાદ આકૃતિ ગૌરવ સાથે મુરાદનગરમાં રહેવા લાગી હતી.

ફરિયાદમાં આરોપ છે કે લગ્ન બાદ ફરી સ્કોર્પિયો-N અને રૂ.30 લાખની માંગ શરૂ થઈ હતી. માંગ પૂરી ન થવા પર આકૃતિને કથિત રીતે મારપીટ અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. પરિવારનો દાવો છે કે આકૃતિએ ગુપ્ત રીતે પોતાના ભાઈને ફોન કરીને સાસરિયામાં થતી હેરાનગતિ વિશે જાણ કરી હતી.

ઘટના પહેલાં 7 સપ્ટેમ્બરની રાત્રે લગભગ 9 વાગ્યે આકૃતિએ પોતાના ભાઈને ફોન કર્યો હતો. ફરિયાદ મુજબ તેણે પતિ ગૌરવ, સસરા રમેશ, સાસુ સરોજ અને નણંદો દ્વારા મારપીટ કરવામાં આવી રહી હોવાની વાત કહી હતી. થોડા સમય બાદ પરિવારને જાણ કરવામાં આવી કે આકૃતિ અગાસી પરથી નીચે પડી ગઈ છે. ગંભીર હાલતમાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.

આકૃતિના મોત બાદ તેના ભાઈ પ્રભાતની ફરિયાદના આધારે પોલીસે ગૌરવ, રમેશ, સરોજ તેમજ નેહા અને સોની સહિત સાસરિયા પક્ષના લોકો સામે કેસ નોંધ્યો હતો. અહેવાલો અનુસાર, પોલીસએ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની ધારા 80, 85, 115(2), 352 તથા દહેજ પ્રતિબંધક કાયદાની કલમ 3/4 હેઠળ કાર્યવાહી કરી છે.

12 સપ્ટેમ્બરે પોલીસે બાતમીના આધારે ગૌરવની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ પૂછપરછ દરમિયાન દહેજ ન મળવા અંગેની નારાજગી અને રૂ.30 લાખ તથા સ્કોર્પિયો-Nની માંગ અંગેની વિગતો સામે આવી છે. જોકે, આકૃતિ ખરેખર કેવી રીતે અગાસી પરથી નીચે પડી અને તેના મૃત્યુ પાછળની ચોક્કસ પરિસ્થિતિ શું હતી, તે અંગે પોલીસ તપાસ હજુ ચાલુ છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ, ઘટનાસ્થળના પુરાવા, CCTV તથા અન્ય તપાસના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી થવાની છે.

હાલમાં પતિ ગૌરવ પોલીસ કસ્ટડીમાં છે અને કેસમાં નામજોગ અન્ય આરોપીઓની ધરપકડ માટે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. આરોપોની અંતિમ સત્યતા તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.

પીએમ મોદી-પુતિન-શી જિનપિંગ પાછળ દેખાતા આ વ્યક્તિ કોણ? ચીન સાથે છે ખાસ કનેક્શન

BRICS સમિટની એક તસવીરમાં PM મોદી, પુતિન અને શી જિનપિંગ તો સૌની નજરે ચઢ્યા, પરંતુ આ ત્રણેય શક્તિશાળી નેતાઓની પાછળ ઊભેલી એક વ્યક્તિએ સોશિયલ મીડિયા પર અલગ જ ચર્ચા જગાવી છે. માત્ર 36 વર્ષના આ ભારતીય અધિકારીની હાજરી પાછળ એક ખાસ કારણ છે—ચીની ભાષા પર તેમની પકડ અને ભારત-ચીન કૂટનીતિનો ઊંડો અનુભવ. આખરે આ અધિકારી કોણ છે અને વિશ્વના મોટા નેતાઓ વચ્ચે તેમની શું ભૂમિકા હતી, તે જાણવું પણ એટલું જ રસપ્રદ છે.

સિદ્ધાર્થ બાબુ હાલમાં વિદેશ મંત્રાલયના ઈસ્ટ એશિયા વિભાગમાં ડેપ્યુટી સેક્રેટરી તરીકે કાર્યરત છે. વિદેશ મંત્રાલયની સત્તાવાર ડિરેક્ટરીમાં પણ તેમનું નામ DS (EA) તરીકે નોંધાયેલું છે. આ વિભાગમાં ચીન સહિત પૂર્વ એશિયાના દેશો સંબંધિત મહત્વના મુદ્દાઓ સંભાળવામાં આવે છે.

BRICS સમિટ દરમિયાન મોદી અને શી જિનપિંગ વચ્ચેની વાતચીત સમયે સિદ્ધાર્થ બાબુની હાજરીનું મુખ્ય કારણ તેમની ચીની ભાષા પરની પકડ અને રાજદ્વારી અર્થઘટનની કુશળતા હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. સંવેદનશીલ ઉચ્ચસ્તરીય વાતચીતમાં ભાષાનો અર્થ, સંદર્ભ અને કૂટનીતિક ભાવ યોગ્ય રીતે પહોંચાડવો મહત્વનો હોય છે. તેમની ચીનમાં રહેલી લાંબી પોસ્ટિંગ આ કામમાં ખાસ ઉપયોગી બની.

કોચી, કેરળના રહેવાસી સિદ્ધાર્થ બાબુએ 2012માં માર અથાનાસિયસ કોલેજ ઓફ એન્જિનિયરિંગમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું હતું. અભ્યાસ બાદ તેમણે ઈ-કોમર્સ ક્ષેત્રમાં કામ કર્યું, પરંતુ આંતરરાષ્ટ્રીય સંબંધોમાં રસ વધતાં સિવિલ સર્વિસ તરફ વળ્યા. પ્રથમ પ્રયાસમાં સફળતા ન મળ્યા બાદ બીજા પ્રયાસમાં તેમણે ઓલ ઇન્ડિયા રેન્ક 15 મેળવી IFS પસંદ કર્યું.

ડિસેમ્બર 2017માં રાજદ્વારી કારકિર્દીની શરૂઆત કર્યા બાદ તેમની પ્રથમ વિદેશી પોસ્ટિંગ બેઇજિંગમાં થઈ. 2018થી 2022 દરમિયાન તેમણે થર્ડ અને પછી સેકન્ડ સેક્રેટરી તરીકે સેવા આપી હતી. આ દરમિયાન ચીની ભાષા અને ચીન સંબંધિત બાબતોમાં તેમનો અનુભવ વધુ મજબૂત બન્યો હતો. બાદમાં તેઓ કેલિફોર્નિયામાં કાઉન્સલ રહ્યા અને મિડલબરી ઇન્સ્ટિટ્યૂટમાંથી ભાષા અર્થઘટન અને અનુવાદનો અભ્યાસ કર્યો હતો.

આ તેમની પહેલી હાઈ-પ્રોફાઇલ હાજરી નથી. જાન્યુઆરી 2026ના 77મા ગણતંત્ર દિવસ દરમિયાન પણ તેઓ વડાપ્રધાન મોદી અને યુરોપિયન કમિશનના અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયેન વચ્ચેની વાતચીતમાં ઇન્ટરપ્રિટર તરીકે જોવા મળ્યા હતા. BRICSની વાયરલ તસવીરે એકવાર ફરી બતાવ્યું છે કે વિશ્વના નેતાઓની નજર સામે ચાલતી કૂટનીતિ પાછળ આવા અધિકારીઓની ભૂમિકા કેટલી મહત્વપૂર્ણ હોય છે.

મેઘરાજાનો મોટો ખતરો! ગુજરાતના 16 જિલ્લા રેડ અલર્ટ પર, આગામી કલાકો ભારે

0

ગુજરાતમાં ફરી વરસાદી માહોલ સક્રિય થયો છે. આણંદના બોરસદમાં સ્થાનિક અહેવાલ મુજબ માત્ર બે કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. બીજી તરફ પંચમહાલ, નવસારી અને વડોદરામાં પણ મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી છે.

ભારતીય હવામાન વિભાગ (IMD)ની આગાહી મુજબ આજે ગુજરાત રિજિયનમાં અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે.આજે ગુજરાત રિજિયનમાં કેટલાક સ્થળોએ અતિભારે વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે. 13થી 15 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાત રિજિયનમાં વ્યાપક વરસાદની શક્યતા છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પણ પડી શકે છે.

IMDના જિલ્લાવાર તાજી આગાહી પ્રમાણે અનેક જિલ્લાઓ ને ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે જેમાં ઓરેંજ એલર્ટ: વલસાડ,દાદર નગર હવેલી,તાપી, સુરત, નર્મદા, છોટા ઉદયપુર, દાહોદ, પંચમહલ, મહીસાગર, કરછ,પાટણ, બનાસકાંઠા રાજકોટ, પોરબંદર પર છે અને રેડ એલર્ટ: ભરૂચ, વડોદરા, આણંદ, અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, જામનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર પર હોવાથી આગામી કલાકોમાં કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર વધી શકે છે.

સ્થાનિક આગાહી મુજબ બપોરે 1 વાગ્યા સુધી પવન સાથે ભારે વરસાદની શક્યતા છે. ભારે વરસાદ દરમિયાન નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની અને સ્થાનિક સ્તરે જનજીવનને અસર થવાની શક્યતા રહે છે. વાહનચાલકો અને નાગરિકોએ પણ વરસાદ દરમિયાન સાવચેતી રાખવી જરૂરી છે.

બોરસદમાં ટૂંકા સમયમાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાતા આણંદ જિલ્લામાં વરસાદની તીવ્રતા સ્પષ્ટ થઈ છે. હવે આગામી કલાકોમાં ગુજરાતના અન્ય વિસ્તારોમાં વરસાદનું જોર કેટલું વધે છે તેના પર નજર રહેશે.

ગણેશ ચતુર્થીના દિવસે ગુજરાતમાં મેઘરાજાનો પ્રહાર, અનેક જિલ્લામાં પવન સાથે ભારે વરસાદની આગાહી

0

ગણેશ ચતુર્થીના દિવસે ગુજરાતમાં ફરી ચોમાસું જોરદાર બન્યું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં સવારથી જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરતાં રસ્તાઓ પર પાણી ભરાયા છે અને જનજીવન પ્રભાવિત થયું છે. ખાસ કરીને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદથી વાતાવરણ પલટાયું છે. હવામાન વિભાગે પણ આજે ભારે વરસાદ સાથે ગાજવીજ અને તેજ પવનની ચેતવણી આપી છે.

સવારે 6થી 10 વાગ્યા દરમિયાન રાજ્યના 172 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. આ દરમિયાન આણંદના બોરસદમાં સૌથી વધુ 4.52 ઇંચ અને પંચમહાલના ગોધરામાં 3.39 ઇંચ વરસાદ નોંધાયો હતો. આ સિવાય અનેક તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. વડોદરામાં ધોધમાર વરસાદને કારણે અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા, જ્યારે અમદાવાદમાં પણ અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો.

યલો એલર્ટ (ભારે) વરસાદ અને ઓરેન્જ એલર્ટ (અતિભારે) વરસાદ

સૌરાષ્ટ્રના જૂનાગઢ વિસ્તારમાં પણ વરસાદે જોર પકડ્યું છે. કાળવા નદીમાં સિઝનમાં પહેલીવાર પૂર જેવી સ્થિતિ સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. દામોદર કુંડમાં પાણીની આવક વધી છે અને ઉપલા દાતાર પર્વત પર ભારે વરસાદ બાદ સીડીઓ પરથી પાણી ધસમસતું વહેતું જોવા મળ્યું હતું. વિલિંગ્ડન ડેમમાં પણ પાણીની આવક વધતાં ઓવરફ્લોની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

યલો એલર્ટ (ભારે) વરસાદ

હવામાન વિભાગના તાજા અહેવાલો મુજબ ગુજરાતમાં વરસાદી પ્રવૃત્તિ આગામી દિવસોમાં પણ સક્રિય રહી શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો માટે ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

આ ઉપરાંત દરિયાકાંઠે તેજ પવન અને ઊંચા મોજાની સંભાવનાને ધ્યાનમાં રાખીને માછીમારોને 15 સપ્ટેમ્બર સુધી દરિયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે.

બહારની તરફ નહીં પરંતુ ભીંતર તરફ આક્રમણ કરવું તેનું નામ પ્રતિક્રમણ – શ્રેણિક વિદાણી

0

ભૂલ થયા પછી તેને સ્વીકારવામાં અને ફરી ભૂલ નહિ કરવા માટે જાતને તૈયાર કરવામાં મનુષ્યની મહાનતા છે. જૈન પરંપરાનું પ્રતિક્રમણ આ માટે ની સાધના છે.

આપણે આખા દિવસમાં જાણતા કે અજાણતા અનેક ભૂલો કરીએ છીએ આપણા વિચાર, વાણી અને વર્તનથી કોઈને દૂ:ખ પહોંચાડીએ છીએ. પ્રતિક્રમણ દ્વારા સમ્યક વિચાર, વાણી અને વર્તન તરફ પરત ફરીએ છીએ. પ્રતિક્રમણ એટલે કે જાણે કે, પાપોમાંથી મુક્તિ અપાવતું પવિત્ર ગંગાસ્નાન. સંવત્સરી પ્રતિક્રમણના માધ્યમથી પાપોની કબુલાત કરીને અને ફરીથી તે નહી કરવાની પ્રતિજ્ઞા કરીને પાપોમાંથી મુક્તિ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. બહારની તરફ નહી પણ ભીતર તરફ આક્રમણ કરવું તેનું નામ પ્રતિક્રમણે. બહારની દુનિયામાં આક્રમણ કરવામાં હિંસા કષાય અને ક્રોધનાં પાપો થાય છે. જ્યારે આપણી ભીતર આક્રમણ કરીને લાગેલા પાપોને દૂર કરવામાં શુદ્ધિ, શાંતિ અને સમતાનો અનુભવ થાય છે. કરેલા પાપોનો ભાર મન પર રહેતો હોય છે જેનાથી મનની પ્રસન્નતા ગુમાવવી પડે છે. પ્રતિક્રમણ કરવાથી પાપોને દુર કરવામાં આવે છે. મન હળવું થાય છે આ અર્થમાં પ્રતિક્રમણએ માનસિક આરોગ્ય માટે જડીબુટ્ટી સમાન છે. જેટલું મન શુદ્ધ અને પ્રસન્ન એટલું ફરી પાપ થવાની સંભાવના ઓછી થાય. આમ પ્રતિક્રમણ દ્વારા પાપોનું પુનરાવર્તન થતું અટકે છે. પ્રતિક્રમણ એ પસ્તાવાનું ઝરણું છે જેમાં સ્નાન કરીને સ્વચ્છ બની શકાય છે.

પર્યુષણના આઠ દિવસની આરાધનામાં પહેલા સાત દિવસ તો સંવત્સરી મહાપર્વની ઉજવણીની તૈયારી માટે છે. સંવત્સરી મહાપર્વના દિવસે ભાવિકો સંવત્સરી પ્રતિક્રમણ કરીને વર્ષભર લાગેલા નાનાં-મોટા પાપોની ગુરૂ અને ભગવાનની સાક્ષીએ માફી માંગે છે.

પ્રતિક્રમણ કરવાથી મન શુધ્ધ અને પ્રસન્ન થાય છેઃ માનસિક આરોગ્ય જાળવવા જડીબુટી સમાન છે

BRICS Summitમાં નેતાઓ બાદ તેમની કાર ચર્ચામાં, પુતિન-જિનપિંગની ગાડીઓમાં શું છે ખાસ?

નવી દિલ્હીમાં BRICS Summit 2026ને લઈને દુનિયાભરની નજર મોટા નેતાઓ પર છે, પરંતુ આ વખતે તેમની સાથે આવેલી ખાસ કારોએ પણ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની Aurus Senat અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની Hongqi N701 સામાન્ય લક્ઝરી કાર જેવી નથી. આ ખાસ વાહનો સુરક્ષા, ગોપનીયતા, આરામ અને રાષ્ટ્રપ્રમુખીય પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યા છે. તેથી જ આ પ્રકારની કારને ઘણીવાર ‘ચાલતો-ફિરતો કિલ્લો’ તરીકે વર્ણવવામાં આવે છે.

શી જિનપિંગની Hongqi N701 કેમ છે ખાસ?

શી જિનપિંગની સત્તાવાર કાર Hongqi N701 છે. Hongqiનો ચીની ભાષામાં અર્થ ‘લાલ ઝંડો’ થાય છે. આ બ્રાન્ડની શરૂઆત 1958માં થઈ હતી અને લાંબા સમયથી તેનો સંબંધ ચીનના ટોચના સરકારી અધિકારીઓ તથા સત્તાવાર કાર્યક્રમો સાથે રહ્યો છે.

N701 સામાન્ય ગ્રાહકો માટે બજારમાં ઉપલબ્ધ કાર નથી. આ એક વિશેષ પ્રેસિડેન્શિયલ લિમોઝિન છે, જેનો ઉપયોગ શી જિનપિંગની સત્તાવાર વિદેશ યાત્રાઓ દરમિયાન પણ જોવા મળ્યો છે.

N701ની સૌથી મોટી ખાસિયત તેનું રહસ્ય

Hongqi N701ની સુરક્ષા વ્યવસ્થા અંગે સંપૂર્ણ વિગતો જાહેર કરવામાં આવી નથી. તેની આર્મર પ્લેટ, સુરક્ષિત કાચ અને અન્ય ખાસ સુરક્ષા સિસ્ટમ વિશે અનેક અહેવાલો સામે આવ્યા છે, પરંતુ તેની સંપૂર્ણ ટેક્નિકલ ક્ષમતા ગુપ્ત રાખવામાં આવે છે.

કારણ કે આ રાષ્ટ્રપ્રમુખની સુરક્ષા માટેનું વાહન છે, તેથી તેની તમામ ક્ષમતાઓ જાહેર કરવી સુરક્ષાની દૃષ્ટિએ યોગ્ય માનવામાં આવતી નથી. એટલે N701ને લઈને કરવામાં આવતા અતિશય દાવાઓને સાવચેતીપૂર્વક જોવાની જરૂર છે.

પુતિનની Aurus Senat પણ છે ખાસ

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સત્તાવાર કાર Aurus Senat છે. આ કાર રશિયાની Aurus કંપની દ્વારા સરકારી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિકસાવવામાં આવી છે.

મળતી માહિતી મુજબ તેમાં 4.4 લિટર ટ્વિન-ટર્બો V8 એન્જિન સાથે હાઇબ્રિડ સિસ્ટમ આપવામાં આવી છે. તેનું આઉટપુટ લગભગ 598 હોર્સપાવર અને ટોર્ક લગભગ 880 Nm હોવાનું જણાવાય છે.

સુરક્ષા સાથે VIP કન્ફર્ટ પણ

Aurus Senatના આર્મર્ડ વર્ઝનમાં ખાસ સુરક્ષા વ્યવસ્થા હોવાની માહિતી આપવામાં આવે છે. બુલેટપ્રૂફ ગ્લાસ, રન-ફ્લેટ ટાયર અને અન્ય ઇમરજન્સી સુરક્ષા સિસ્ટમનો ઉલ્લેખ થાય છે. સાથે જ કારના ઈન્ટિરિયરમાં પ્રીમિયમ સીટો, લાકડાની ફિનિશ, પ્રાઈવસી ડિવાઇડર અને મસાજ જેવી સુવિધાઓ પણ આપવામાં આવી હોવાનું જણાવાય છે.

બંને કારમાં શું છે સમાન?

Aurus Senat અને Hongqi N701 બંને સામાન્ય બજારની કાર નથી. બંનેને રાષ્ટ્રપ્રમુખની સુરક્ષા, સત્તાવાર પ્રોટોકોલ અને આરામને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. તેમની વાસ્તવિક સુરક્ષા ક્ષમતાની ઘણી વિગતો જાહેર નથી.

આથી આ કારો માત્ર વાહન નથી, પરંતુ સુરક્ષા, ગોપનીયતા અને રાષ્ટ્રીય પ્રતિષ્ઠાનું પ્રતીક પણ બની ગઈ છે. BRICS Summit દરમિયાન પુતિન અને જિનપિંગ સાથે આવેલી આ વિશેષ કારોએ પણ વૈશ્વિક સ્તરે ખાસ ચર્ચા જગાવી છે.

BRICS Summit 2026: PM મોદીએ મૂક્યો મોટો રોડમેપ, UNSC સુધારાથી Global South સુધી શું બદલાશે?

નવી દિલ્હીમાં ચાલી રહેલા 18મા BRICS શિખર સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માત્ર સંગઠનની આગામી દિશા જ નહીં, પરંતુ બદલાતી વૈશ્વિક વ્યવસ્થામાં BRICSની ભૂમિકા અંગે પણ મોટો સંદેશ આપ્યો છે. BRICSના 20 વર્ષ પૂર્ણ થવાના અવસરે મોદીએ કહ્યું કે હવે સંગઠનની એકતા અને સહમતિને વૈશ્વિક સ્તરે ઠોસ પરિણામોમાં ફેરવવાનો સમય આવી ગયો છે.

મોદીએ ભારતની 2026ની BRICS અધ્યક્ષતા દરમિયાન રેઝિલિયન્સ, ઇનોવેશન, કોઓપરેશન અને સસ્ટેનેબિલિટીને પ્રાથમિકતા આપ્યાનો ઉલ્લેખ કર્યો. ભારતે વર્ષ દરમિયાન 350થી વધુ બેઠકો અને ઉચ્ચસ્તરીય કાર્યક્રમો 25થી વધુ શહેરોમાં યોજીને BRICS સહકારને સરકારોથી આગળ લોકો, વેપાર અને અન્ય ક્ષેત્રો સાથે જોડવાનો પ્રયાસ કર્યો છે.

વડાપ્રધાને આગામી 20 વર્ષ માટે વધુ મહત્વાકાંક્ષી એજન્ડાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમનું કહેવું હતું કે અધ્યક્ષપદ દર વર્ષે બદલાતું હોવા છતાં BRICSની સંસ્થાકીય પ્રગતિ અને પહેલોમાં સતતતા જળવાઈ રહે તે માટે મજબૂત વ્યવસ્થા જરૂરી છે.

મોદીએ વૈશ્વિક ગવર્નન્સમાં સુધારાનો મુદ્દો પણ ઉઠાવ્યો અને પ્રતિનિધિત્વ, જવાબદારી તથા નિયમ બનાવવાની પ્રક્રિયાને વધુ સમાવેશી બનાવવાની જરૂરિયાત દર્શાવી હતી. ખાસ કરીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં સુધારા અને વૈશ્વિક નાણાકીય સંસ્થાઓમાં ઉભરતી અર્થવ્યવસ્થાઓને વધુ યોગ્ય પ્રતિનિધિત્વ આપવાની જરૂરિયાત પર તેમણે ભાર મૂક્યો હતો. BRICSના નાણાં મંત્રીઓ અને કેન્દ્રીય બેંક ગવર્નરોએ પણ IMF અને વર્લ્ડ બેંક જેવી સંસ્થાઓમાં વધુ પ્રતિનિધિત્વ, પારદર્શિતા અને જવાબદારીની તરફેણ કરી છે.

મોદીએ સમુદ્રી સુરક્ષાનો મુદ્દો પણ મહત્વનો ગણાવ્યો હતો. વૈશ્વિક વેપાર માટે સુરક્ષિત સમુદ્રી માર્ગો અને સીફેરર્સની સલામતી જરૂરી હોવાનું તેમણે રેખાંકિત કર્યું હતું. ઇરાનના રાષ્ટ્રપતિ સાથેની વાતચીતમાં પણ તેમણે નેવિગેશનની સ્વતંત્રતા, દરિયાઈ વેપારની સુરક્ષા અને સીફેરર્સના કલ્યાણ પર ભાર મૂક્યો હતો.

આ સાથે વડાપ્રધાને Global Southને માત્ર નિયમોનું પાલન કરનાર નહીં, પરંતુ ભવિષ્યના નિયમો ઘડનાર બનાવવાનો સંદેશ આપ્યો. ખાસ કરીને AI અને ક્રિટિકલ ટેક્નોલોજીના ક્ષેત્રમાં વિકાસશીલ દેશોની ભાગીદારી વધારવાની જરૂરિયાત દર્શાવવામાં આવી હતી. 12 સપ્ટેમ્બર United Nations Day for South-South Cooperation પણ છે, જેને મોદીના સંદેશ સાથે મહત્વપૂર્ણ સંયોગ તરીકે જોવામાં આવી રહ્યો છે.

છ વર્ષ બાદ ભારત અને ચીન દ્વારા લેવાયો આ મુદ્દા પર નિર્ણય!

છ વર્ષથી અટવાયેલી ભારત અને ચીન વચ્ચેની સીધી હવાઈ કનેક્ટિવિટી હવે ફરી આકાશમાં જોવા મળશે. ચાઇના સધર્ન એરલાઇન્સે જાહેરાત કરી છે કે 21 સપ્ટેમ્બર 2026થી નવી દિલ્હી અને ગ્વાંગઝૂ વચ્ચે નિયમિત દૈનિક સીધી પેસેન્જર ફ્લાઇટ સેવા ફરી શરૂ કરવામાં આવશે. આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે બંને દેશો વચ્ચેના સંબંધોમાં ધીમે ધીમે સુધારો જોવા મળી રહ્યો છે.

ચાઇના સધર્ન એરલાઇન્સની સત્તાવાર સમયસૂચિ મુજબ ગ્વાંગઝૂથી દિલ્હી આવતી ફ્લાઇટ CZ359 સ્થાનિક સમય મુજબ બપોરે 3:35 કલાકે ઉડાન ભરશે અને સાંજે 7 વાગ્યે દિલ્હીમાં પહોંચશે. જ્યારે દિલ્હીથી ગ્વાંગઝૂ જતી CZ360 ફ્લાઇટ રાત્રે 8:20 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 4:15 કલાકે ગ્વાંગઝૂ પહોંચશે. આ સેવા દરરોજ ચાલશે.

આ રૂટ લગભગ છ વર્ષ સુધી બંધ રહ્યો હતો. કોરોના મહામારી અને ત્યારબાદ ભારત-ચીન વચ્ચે સર્જાયેલા તણાવના કારણે બંને દેશો વચ્ચેની સીધી હવાઈ કનેક્ટિવિટી લાંબા સમય સુધી પ્રભાવિત રહી હતી. હવે સીધી ફ્લાઇટ ફરી શરૂ થતાં બંને દેશો વચ્ચે મુસાફરી વધુ સરળ બનવાની શક્યતા છે.

નવી સેવાનો લાભ વેપારીઓ, વિદ્યાર્થીઓ, પ્રવાસીઓ અને બંને દેશો વચ્ચે નિયમિત અવરજવર કરતા લોકો સહિત અનેક મુસાફરોને થઈ શકે છે. ચીન-ભારત સંબંધોમાં રાજદ્વારી સ્તરે સુધારાની વચ્ચે આ હવાઈ સેવા કનેક્ટિવિટી વધારવાના મહત્વપૂર્ણ પગલા તરીકે જોવામાં આવી રહી છે.

14 સપ્ટેમ્બરે હરતાલિકા ત્રીજ અને ગણેશ ચતુર્થીનો દુર્લભ ધાર્મિક સંયોગ! જાણો મુહૂર્ત અને મહત્વ

14 સપ્ટેમ્બર 2026નો દિવસ ગુજરાતી પંચાંગ મુજબ ધાર્મિક રીતે ખાસ રહેવાનો છે. આ દિવસે ભાદરવા સુદ ત્રીજનું હરતાલિકા ત્રીજ વ્રત અને ભાદરવા સુદ ચોથની ગણેશ ચતુર્થી એક જ દિવસે આવી રહી છે. એક પર્વ ભગવાન શિવ અને માતા પાર્વતીની આરાધનાને સમર્પિત છે, તો બીજો ભગવાન ગણેશની ઉપાસનાનો મુખ્ય તહેવાર છે. તેથી ભક્તો માટે આ દિવસ પૂજા, વ્રત અને ધાર્મિક ભક્તિની દૃષ્ટિએ મહત્વનો રહેશે.

હરતાલિકા ત્રીજનું મહત્વ
હરતાલિકા ત્રીજ ભગવાન શિવને પતિરૂપે પ્રાપ્ત કરવા માટે માતા પાર્વતીએ કરેલી તપસ્યા સાથે જોડાયેલું પર્વ માનવામાં આવે છે. પરંપરા મુજબ સુહાગિન મહિલાઓ દાંપત્ય જીવનના સુખ અને પતિના દીર્ઘ આયુષ્ય માટે વ્રત રાખે છે, જ્યારે કેટલીક અવિવાહિત યુવતીઓ સારા જીવનસાથીની કામના સાથે આ વ્રત કરે છે. આ દિવસે શિવ-પાર્વતીની પૂજા અને કથા શ્રવણ કરવાની પરંપરા છે.

ગણેશ ચતુર્થીનું મહત્વ
ગણેશ ચતુર્થી ભગવાન ગણેશના જન્મોત્સવ તરીકે ઉજવાય છે. હિંદુ પરંપરામાં ગણેશજીને શુભતા, બુદ્ધિ અને વિઘ્નહર્તા તરીકે પૂજવામાં આવે છે. આ દિવસે ગણેશજીની પ્રતિમા સ્થાપિત કરીને પૂજા, આરતી, મંત્રજાપ તથા મોદક અને અન્ય નૈવેદ્ય અર્પણ કરવાની પરંપરા છે.

ગુજરાતી પંચાંગ મુજબ 14 સપ્ટેમ્બરે બંને પર્વ હોવાથી ભક્તો પોતાના કુટુંબની પરંપરા અને સ્થાનિક પંચાંગ અનુસાર વ્રત-પૂજા કરી શકે છે. પંચાંગ પ્રમાણે હરતાલિકા પૂજાનો સમય સવારે 6:25થી 7:06 અને ગણેશ ચતુર્થીનો મધ્યાહ્ન પૂજા મુહૂર્ત સવારે 11:20થી બપોરે 1:48 સુધી છે. સ્થાનિક સૂર્યોદય-સૂર્યાસ્ત અનુસાર સમયમાં થોડો ફેરફાર થઈ શકે છે.