મેદાન પર ભારતે શ્રીલંકાને હરાવી એશિયા કપની ટ્રોફી તો જીતી લીધી, પરંતુ મેચ પૂરો થયા બાદ જે થયું તેણે આખી ફાઈનલની ચર્ચા જ બદલી નાખી. ભારત આઠમી વખત ચેમ્પિયન બન્યું હોવા છતાં ટ્રોફી લેવા માટે ભારતીય ખેલાડીઓ પ્રેઝન્ટેશન મંચ પર પહોંચ્યા નહીં. એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના પ્રમુખ અને પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસિન નકવીની હાજરીમાં ભારતીય મહિલા ટીમ ટ્રોફી સ્વીકારવા મંચ પર પહોંચી નહીં.
ફાઈનલમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર ભારતે ૨૦ ઓવરમાં ૧૮૩/૫નો મજબૂત સ્કોર નોંધાવ્યો હતો. સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માએ શરૂઆતથી જ શ્રીલંકાના બોલરો પર દબાણ બનાવ્યું અને પ્રથમ વિકેટ માટે ૧૨૯ રનની શાનદાર ભાગીદારી કરી હતી. શેફાલીએ માત્ર ૨૪ બોલમાં અડધી સદી પૂર્ણ કરી અને ૬૮ રનની આક્રમક ઇનિંગ રમી, જ્યારે મંધાનાએ ૫૯ રન ફટકાર્યા હતા.
૧૮૪ રનના લક્ષ્યાંકનો પીછો કરતી શ્રીલંકાની ટીમ ભારતીય બોલિંગ સામે ટકી શકી નહીં અને ૨૦ ઓવરમાં ૧૧૧ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. શ્રી ચરણીએ ૪ વિકેટ લઈને ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી, જ્યારે ભારતીય બોલિંગ યુનિટે સમગ્ર ઇનિંગ દરમિયાન શ્રીલંકા પર નિયંત્રણ જાળવી રાખ્યું હતું. ભારતે ૭૨ રનની જીત સાથે ખિતાબ પોતાના નામે કર્યો હતો.
જોકે, મુદાની વાત મેચ બાદ શરૂ થાય હતી. ટ્રોફી સેરેમનીમાં મોહસિન નકવી મંચ પર હાજર હતા, પરંતુ ભારતીય ખેલાડીઓએ તેમની પાસેથી ટ્રોફી સ્વીકારી નહીં. અહેવાલો મુજબ BCCIએ આ નિર્ણય અંગે ACCને અગાઉથી જાણ કરી હતી. સેરેમનીમાં વિલંબ થયો અને ભારતીય ટીમે પરંપરાગત રીતે મંચ પર ટ્રોફી લેવાનું ટાળ્યું હતું.
આ ઘટના ૨૦૨૫ની પુરુષ એશિયા કપ ફાઈનલની યાદ અપાવે છે, જ્યારે પાકિસ્તાન સામે ખિતાબ જીત્યા બાદ ભારતીય પુરુષ ટીમે પણ નકવીના હાથેથી ટ્રોફી સ્વીકારવાનું ટાળ્યું હતું.
ભારતની જીત નિશ્ચિત રહી, પરંતુ એશિયા કપની આ ફાઈનલ ટ્રોફી સેરેમનીના વિવાદને કારણે પણ લાંબા સમય સુધી યાદ રહેશે.





