Home Blog Page 4

સુરતના 10 શિક્ષકોની ‘શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક-2026’ માટે પસંદગી, રાજ્ય કક્ષાએ 3 નામનો સમાવેશ

વર્ગખંડમાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઘડતા ગુરુજનો માટે સન્માનનો દિવસ નજીક આવી રહ્યો છે. સુરત શહેર અને જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનારા કુલ 10 શિક્ષકોની ‘શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક-2026’ માટે પસંદગી કરવામાં આવી છે. આ પસંદગીમાં રાજ્ય, જિલ્લા અને તાલુકા કક્ષાના શિક્ષકોનો સમાવેશ થાય છે. બીજી તરફ, સમગ્ર ગુજરાતમાંથી રાજ્ય કક્ષાના પારિતોષિક માટે કુલ 40 શિક્ષકોની પસંદગી કરવામાં આવી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. તેમાં પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, આચાર્ય, HTAT અને CRC જેવી કેટેગરીનો સમાવેશ થાય છે.

રાજ્ય કક્ષાએ સુરતના 3 શિક્ષકો

પ્રાથમિક વિભાગમાં શ્રી પન્નાલાલ પટેલ પ્રા. શાળા ક્રમાંક-289ના આચાર્ય દર્શનાબેન લાભચંદ શાહ, ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં વિદ્યાભારતી હિન્દી વિદ્યાલયના લીનાબેન મહેશચંદ્ર દેસાઈ અને માધ્યમિક (આચાર્ય) વિભાગમાં ધી કે.વી.કો.ઓ. માધ્યમિક શાળા, કામરેજના શૈલેષકુમાર મગનલાલ દેસાઈની પસંદગી કરવામાં આવી છે.

જિલ્લા કક્ષાએ 3 શિક્ષકો

સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલના પરિમલ ભૈરવકુમાર પુરોહિત, ડૉ. સી.એમ. દેસાઈ પ્રા. શાળા ક્રમાંક-14ના ફેનિલ હેમંતભાઈ વશી અને URC ન.પ્રા.શિ.સ.ના જીજ્ઞેશકુમાર રમેશચંદ્ર ઠાકર જિલ્લા કક્ષાએ પસંદ થયા છે.

તાલુકા કક્ષાએ 4 શિક્ષકો

આરતીબેન શિવુભાઈ દવે, જિજ્ઞાશાબેન પ્રાણજીવન સોલંકી, મનિષાબેન નારાયણભાઈ કોષ્ટિ અને મિનાક્ષીબેન રવીન્દ્ર જગતાપની તાલુકા કક્ષાએ પસંદગી થઈ છે.

સુરત જિલ્લા શિક્ષણ કચેરીની સત્તાવાર વેબસાઇટ પર પણ તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક માટેની પ્રક્રિયા સંબંધિત પરિપત્રો ઉપલબ્ધ છે.

પસંદ થયેલા તમામ શિક્ષકોને શિક્ષણ ક્ષેત્રે તેમની નિષ્ઠા, સમર્પણ અને ઉત્કૃષ્ટ કામગીરી બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા છે. શિક્ષક દિન, 5 સપ્ટેમ્બર, નિમિત્તે આવા શિક્ષકોનું સન્માન કરવામાં આવે છે.

ખાંડ મોંઘી થઈ તો મીઠાઈની મજા કેમ બગાડો? લાડુ-મોદકથી બરફી સુધી આ વિકલ્પ અજમાવો

તહેવારો એટલે મીઠાઈ, અને મીઠાઈ એટલે ખાંડ—પણ આ વર્ષે આ સમીકરણ થોડું મોંઘું પડી શકે છે. ભારતમાં ખાંડના ભાવમાં છેલ્લા બે મહિનામાં લગભગ 40 ટકાનો ઉછાળો આવ્યો છે. ભાવને નિયંત્રણમાં લેવા માટે કેન્દ્ર સરકારે 20 ઓગસ્ટ, 2026ના રોજ 10 લાખ મેટ્રિક ટન કાચી ખાંડની ડ્યૂટી-ફ્રી આયાતને મંજૂરી આપી છે. આ આયાત 31 ઓક્ટોબર સુધી માન્ય રહેશે, એટલે ગણેશ ચતુર્થી, દશેરા અને દિવાળી જેવા તહેવારો પહેલાં પુરવઠો વધારવાનો પ્રયાસ છે.

પરંતુ ખાંડના ભાવ વધ્યા એટલે ઘરની મીઠાઈની પ્લેટ નાની કરવાની જરૂર નથી. લાડુ, મોદક, બરફી, શીરો કે અન્ય ડેઝર્ટમાં મીઠાશ આપવા માટે કેટલાક વૈકલ્પિક ingredients અજમાવી શકાય છે. FSSAI પણ મર્યાદિત પ્રમાણમાં ખજૂર, ફળો, મધ અને ગોળ જેવા naturally sweet ingredientsનો ઉપયોગ કરવાની ભલામણ કરે છે.

ગોળ
સુખડી, ચીક્કી, લાડુ અને પાયસમ જેવી પરંપરાગત વાનગીઓ માટે સૌથી સરળ વિકલ્પ. તેનો ઊંડો સ્વાદ મીઠાઈને અલગ ટેસ્ટ આપે છે.

ખજૂરનો પેસ્ટ
પલાળેલા ખજૂરને બ્લેન્ડ કરીને મોદક, બરફી અને ડ્રાયફ્રૂટ લાડુમાં વાપરી શકાય. ખાસ કરીને no-cook sweets માટે ઉપયોગી.

3. કિસમિસનો પેસ્ટ
કિસમિસને પલાળી પેસ્ટ બનાવી નટ્સ સાથે મિક્સ કરી શકાય. ડ્રાયફ્રૂટ લાડુમાં તેનો સ્વાદ સારો આવે છે.

અંજીર
અંજીર અને બદામ-કાજુનું મિશ્રણ બનાવી લાડુ અથવા bite-size sweets તૈયાર કરી શકાય.

પાકેલું કેળું
શીરો, ઓટ્સ લાડુ અથવા હોમમેડ મીઠાઇ માં પાકેલું કેળું કુદરતી મીઠાશ અને નરમ ટેક્સચર આપી શકે છે.

મધ
કેટલીક desserts, sauces અથવા ઘરેલું રસોઈમાં મધનો ઉપયોગ કરી શકાય છે. જોકે તે પણ મીઠાશ ધરાવતું સ્વીટનરછે, તેથી પ્રમાણ મહત્વનું છે.

નાળિયેર ખાંડ
તેનો હળવો caramel-like flavour બેકિંગ, ફ્યુઝન મોદક અને કેટલીક બરફીમાં સારી રીતે બંધબેસે છે.

ફળોના પલ્પ
કેળા, સફરજન અથવા અન્ય મીઠાં ફળોના પલ્પથી કેટલીક હોમમેડ મીઠાઇમાં ખાંડનું પ્રમાણ ઘટાડીને સ્વાદ મેળવી શકાય છે.

સ્ટીવિયા
ઓછી કેલરીવાળા non-nutritive સ્વીટનર તરીકે સ્ટીવિયાનો ઉપયોગ થાય છે. તે ખાંડ કરતાં ઘણી વધારે મીઠી હોવાથી બહુ ઓછી માત્રા જરૂરી છે. ICMR અનુસાર આવા સ્વીટનરને સ્વીકાર્ય દૈનિક મર્યાદા (ADI)માં જ લેવાનું યોગ્ય છે.


‘ખાંડ વગરની’ અથવા ‘નેચરલ સ્વીટનરથી બનેલી’ મીઠાઈ એટલે આપમેળે હેલ્ધી મીઠાઈ નથી. ગોળ, મધ, ખજૂર અને ફળોમાં પણ કુદરતી અથવા મુક્ત શર્કરા હોય છે. એટલે માત્ર સ્વીટનર બદલવા કરતાં કુલ મીઠાશ અને portion size પર નિયંત્રણ રાખવું વધુ મહત્વનું છે. FSSAI પણ વધુ ખાંડવાળા ખોરાક અને મીઠાઈનું સેવન મર્યાદિત રાખવાની સલાહ આપે છે.

એટલે આ તહેવારે મીઠાઈ છોડવાની નહીં, પરંતુ ખાંડનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવાની જરૂર છે.

મિથેનોલયુક્ત દારૂનો ભયાનક અંજામ! ભાવનગર બાદ સુરતમાં યુવક બ્રેઇન ડેડ

ભાવનગરમાં ઝેરી દારૂએ સર્જેલા તાંડવની અસર હવે સુરત સુધી પહોંચી હોવાના અહેવાલથી ચકચાર મચી છે. ભાવનગરમાં દારૂ પીધા બાદ સુરત આવેલા સંજયસિંહ ડોડિયાની તબિયત અચાનક અત્યંત ગંભીર બની હતી. પરિવારના જણાવ્યા મુજબ, સુરત પહોંચ્યા બાદ તેમની આંખો બંધ થઈ ગઈ હતી અને થોડા જ સમયમાં હાર્ટ એટેક આવ્યો હતો. સારવાર દરમિયાન તેમની સ્થિતિ વધુ કથળી જતાં સુરતની INS હોસ્પિટલમાં તેમને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.

મળતી માહિતી પ્રમાણે સંજયસિંહે 16 ઑગસ્ટની રાત્રે ભાવનગરમાં દારૂ પીધો હતો અને 17 ઑગસ્ટે સવારે સુરત પહોંચ્યા હતા. અહીં તેમની તબિયત લથડતાં પહેલાં વરાછાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ દરમિયાન હાર્ટ એટેક આવતા તબીબોએ CPR આપી હૃદયની ધડકન પુનઃસ્થાપિત કરી હતી. ત્યારબાદ તેઓ સતત બેભાન રહ્યા હતા.

તબીબી તપાસમાં મિથેનોલની ઝેરી અસર સામે આવ્યાના અહેવાલ છે. ભાવનગર કેસમાં ફોરેન્સિક તપાસ દરમિયાન જપ્ત કરાયેલા નકલી દારૂના નમૂનામાં 38.59 ટકા મિથેનોલ મળ્યાનું અહેવાલોમાં જણાવાયું છે. મિથેનોલ શરીરમાં ફોર્મિક એસિડ જેવી ઝેરી અસર પેદા કરી આંખો, મગજ અને અન્ય મહત્વના અંગોને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે.

દરમિયાન ભાવનગર લઠ્ઠાકાંડમાં 21 આરોપીઓ સામે FIR નોંધાઈ છે અને 13 આરોપીઓની ધરપકડ થઈ હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. વરતેજ પોલીસ સ્ટેશનના PI સહિત પોલીસકર્મીઓ સામે પણ સસ્પેન્શનની કાર્યવાહી થઈ છે.

મૃત્યુઆંક અંગે પ્રાપ્ત માહિતી મુજબ, ભાવનગરના લઠ્ઠાકાંડમાં અત્યાર સુધી કુલ 46 લોકો અસરગ્રસ્ત થયા હતા. તેમાંથી 9 લોકોનાં મોત થયા છે, જ્યારે 37 અસરગ્રસ્તોની હાલ હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે.

ભેંસોના તબેલામાં સ્કૂલ હોવાનો દાવો, નિરીક્ષણ દરમિયાન બવાલ; આશુતોષ રાંકાએ ખોલ્યો આખો મામલો

0

જયપુરના બગરુમાં જર્જરિત સરકારી શાળાની હકીકત જાણવા પહોંચેલી કોકરોચ જનતા પાર્ટી (CJP)ની ટીમ સાથે કથિત મારામારીની ઘટના સામે આવી છે. CJPના કો-કન્વીનર આશુતોષ રાંકાએ આરોપ લગાવ્યો છે કે તેમની ટીમ પર હુમલો કરવામાં આવ્યો, તેમની શર્ટ ફાડી નાખવામાં આવી અને વાહનોના કાચ તોડી નાખવામાં આવ્યા હતા. ઘટનાને પગલે તેણે શિક્ષણ મંત્રી મદન દિલાવરને 48 કલાકનું અલ્ટીમેટમ આપતા કાર્યવાહી નહીં થાય તો સમગ્ર રાજસ્થાનમાં આંદોલનની ચેતવણી આપી હતી.

રિપોર્ટ મુજબ, રાંકા સહિત CJPના કાર્યકરો જયપુરના બગરુ વિસ્તારના રામપુરા-કનવરપુરા ગામમાં આવેલી પ્રાથમિક શાળાનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. CJPનો દાવો છે કે શાળા લાંબા સમયથી જર્જરિત હાલતમાં છે અને તેના પરિસરનો ઉપયોગ યોગ્ય રીતે થતો નથી.

રાંકાના જણાવ્યા અનુસાર, સ્થળ પર પહેલેથી કેટલાક લોકો હાજર હતા અને તેમની ટીમનો વિરોધ શરૂ થયો હતો. તેમણે આરોપ મૂક્યો કે કાર્યકરો સાથે મારામારી કરવામાં આવી, એક સ્વયંસેવકને ઇજા થઈ અને મહિલાઓ સાથે પણ દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. રાંકાએ એવો પણ દાવો કર્યો કે તેમની ગાડીઓના કાચ તોડવામાં આવ્યા હતા.તેણે કહ્યું કે પોલીસને અગાઉથી જાણ કરવામાં આવી હોવા છતાં સ્થિતિ નિયંત્રિત કરવામાં પૂરતી કાર્યવાહી થઈ નહોતી.

રાંકાએ શિક્ષણ મંત્રી મદન દિલાવરને 48 કલાકમાં જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેનું કહેવું છે કે માંગ નહીં સ્વીકારાય તો CJP રાજસ્થાનભરમાં આંદોલન કરશે અને મંત્રીના રાજીનામાની માંગ પણ ઉઠાવશે.

પેલેટ ગન વિવાદમાં મોટો વળાંક! ઘાયલ વિદ્યાર્થીને લઈને રાહુલ ગાંધી થાણા બહાર ધરણા પર

0

દિલ્હીના જંતર-મંતર પર થયેલા CJP પ્રદર્શનનો પેલેટ ગન વિવાદ ફરી ગરમાયો છે. આજે, 21 ઓગસ્ટે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી 19 વર્ષીય ઘાયલ વિદ્યાર્થી સાહિલ લોચબને સાથે લઈને સંસદ માર્ગ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. અહીં તેમણે પેલેટથી થયેલી ઈજાના મામલે પોલીસ ફરિયાદ અને FIR નોંધવાની માંગ કરી હતી. અહેવાલો મુજબ, DCP કચેરી ખાતે ફરિયાદ બાદ રાહુલ ગાંધી ધરણા પર પણ બેઠા હતા.

સાહિલ લોચબ 20 જુલાઈના CJPના ‘સંસદ ચલો’ માર્ચ દરમિયાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. પરિવાર અને વિવિધ અહેવાલો અનુસાર, તેની જમણી આંખમાં પેલેટ વાગવાથી દ્રષ્ટિ પર ગંભીર અસર થઈ હતી અને તેને AIIMS ટ્રોમા સેન્ટરમાં સારવાર તથા સર્જરી કરાવવી પડી હતી. પરિવારનું કહેવું હતું કે આંખની દ્રષ્ટિ પાછી આવવાની શક્યતા અત્યંત ઓછી છે.

પેલેટ ગનના ઉપયોગને લઈને દિલ્હી પોલીસે શરૂઆતમાં ફાયરિંગનો ઇનકાર કર્યો હતો. જોકે બાદમાં મીડિયા દ્વારા સામે આવેલી પોલીસની જનરલ ડાયરીની એન્ટ્રીમાં 20 જુલાઈની કાર્યવાહી દરમિયાન પ્લાસ્ટિક પેલેટના બે રાઉન્ડ ચલાવવાનો ઉલ્લેખ મળ્યો હતો.

આ મુદ્દે રાહુલ ગાંધી સંસદમાં પણ ગૃહમંત્રી અમિત શાહ સામે સવાલ ઉઠાવી ચૂક્યા છે. સરકારે તેમના આરોપોને આધારહીન ગણાવ્યા હતા. હવે FIRની માંગને લઈને રાહુલ ગાંધી સીધા પોલીસ સ્ટેશન પહોંચતા મામલો ફરી રાજકીય રીતે ગરમાયો છે.

Video: આરક્ષણના વિરોધમાં પ્રદર્શન, જંતર-મંતરને લઈને પોલીસનો મોટો નિર્ણય

0

દિલ્હીના જંતર-મંતર પર ફરી એક વાર આંદોલનની ચર્ચા સામે આવી રહી છે. આજે ‘આરક્ષણ હટાવો’ના નારા સાથે એકઠા થયેલા પ્રદર્શનકારીઓ સામે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. દિલ્હી પોલીસે જંતર-મંતર પર આ પ્રદર્શન માટે મંજૂરી ન આપી હોવાનું સ્પષ્ટ કરતાં પ્રદર્શનકારીઓને રામલીલા મેદાનમાં જવા માટે કહ્યું છે. આ મુદ્દે સોશિયલ મીડિયા પર ચાલી રહેલા દાવાઓ વચ્ચે પોલીસની કાર્યવાહીથી સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે.

દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ, 21 ઓગસ્ટે એટલે કે આજે જંતર-મંતર પર કોઈ વિરોધ પ્રદર્શન, રેલી કે લોકોના એકઠા થવાની મંજૂરી આપવામાં આવી નથી. નવી દિલ્હી જિલ્લામાં લાગુ પ્રતિબંધાત્મક નિયમોને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા સુરક્ષા અને ભીડ નિયંત્રણના પગલાં લેવામાં આવ્યા છે.

આજે સવારે કેટલાક પ્રદર્શનકારીઓ જંતર-મંતર પહોંચ્યા હતા. નવી દિલ્હી જિલ્લાના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ સચિન શર્મા પણ સ્થળ પર પહોંચ્યા અને પ્રદર્શનકારીઓ સાથે વાતચીત કરી. પોલીસનું કહેવું છે કે તેઓ શાંતિપૂર્ણ રીતે પોતાની વાત રજૂ કરવા માંગતા હોય તો રામલીલા મેદાનમાં જઈ શકે છે.

જંતર-મંતર પર પ્રદર્શનો માટે અગાઉથી પણ સંખ્યાની મર્યાદા અને ભીડ નિયંત્રણ સંબંધિત નિયમો લાગુ છે. દિલ્હી પોલીસના સ્થાયી આદેશ મુજબ, જંતર-મંતર પર 1,000થી વધુ લોકોની ભીડ માટે રામલીલા મેદાન જેવા મોટા સ્થળનો ઉપયોગ કરી શકાય છે.

શું છે ‘આરક્ષણ હટાવો’ આંદોલનની માંગ?

આ આંદોલન સાથે જોડાયેલા જૂથો આરક્ષણ વ્યવસ્થાની સમીક્ષા, જાતિ આધારિત ઓળખના જાહેર ઉપયોગમાં ફેરફાર અને સરકારી તથા શૈક્ષણિક પ્રક્રિયાઓમાં જાતિનો ઉલ્લેખ ફરજિયાત ન રાખવાની માંગ કરી રહ્યા છે. આંદોલનનું મુખ્ય સૂત્ર ‘One Nation, One Identity, Indian’ હોવાનું તેના સત્તાવાર પ્લેટફોર્મ પર જણાવાયું છે.

હાલમાં દિલ્હી પોલીસની મંજૂરી વગર જંતર-મંતર પર ભીડ એકઠી ન થાય તે માટે સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે અને પ્રદર્શનકારીઓને વૈકલ્પિક સ્થળ તરીકે રામલીલા મેદાન સૂચવવામાં આવ્યું છે.

SIM કાર્ડ લેવા જશો તો અટકી શકે અરજી! જાણો સરકારનો નવો નિયમ

0

તમારા નામે કેટલા મોબાઇલ નંબર ચાલી રહ્યા છે? કદાચ તમે ભૂલી ગયા હો, પરંતુ હવે આ માહિતી તમારી માટે મહત્વની બની શકે છે. 24 ઓગસ્ટ 2026થી ટેલિકોમ કંપનીઓ મંજૂર મર્યાદા પૂર્ણ કરી ચૂકેલા ગ્રાહકોને વધારાનું નવું SIM કનેક્શન નહીં આપે. એટલે દરેક વ્યક્તિ માટે SIM બંધ થવાના નથી, પરંતુ મર્યાદા પહોંચી ગયેલા ગ્રાહકો પર હવે કડક ચકાસણી થશે.

ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DoT)એ આ અંગે નિર્દેશમાં સામાન્ય વિસ્તારોમાં એક વ્યક્તિના નામે તમામ ટેલિકોમ કંપનીઓ મળીને વધુમાં વધુ 9 મોબાઇલ કનેક્શન રાખી શકાય છે. જ્યારે જમ્મુ-કાશ્મીર, આસામ અને ઉત્તર-પૂર્વના રાજ્યોમાં આ મર્યાદા 6 કનેક્શન છે.

નવા નિયમ હેઠળ 23 ઓગસ્ટથી મર્યાદા સુધી પહોંચી ગયેલા ગ્રાહકોની તસવીર આધારિત માહિતી Digital Intelligence Platform (DIP) પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. 24 ઓગસ્ટથી ટેલિકોમ કંપનીઓ નવી SIM અરજી વખતે આ માહિતી સાથે ચકાસણી કરશે. મર્યાદા પૂર્ણ થઈ હોય તો વધારાનું કનેક્શન આપવામાં નહીં આવે. શરૂઆતમાં ચકાસણી પછીના દિવસે થઈ શકે છે, જ્યારે 30 નવેમ્બર સુધીમાં રિયલ-ટાઇમ ચકાસણીની વ્યવસ્થા ઊભી કરવાની છે.

મર્યાદા કરતાં વધુ કનેક્શન પહેલેથી હોય તો પાછળથી લીધેલા વધારાના નંબરને બંધ કરવામાં આવી શકે છે. આ પગલાનો હેતુ ફર્જી SIM, સાયબર ફ્રોડ અને ખાસ કરીને ‘ડિજિટલ અરેસ્ટ’ જેવી છેતરપિંડીમાં મોબાઇલ કનેક્શનના દુરુપયોગને રોકવાનો છે.

તમારા નામે કેટલા SIM નોંધાયેલા છે તે સંચાર સાથી પોર્ટલ પરથી તપાસી શકાય છે અને અજાણ્યો નંબર હોય તો તેની જાણ પણ કરી શકાય છે.

Video: શ્રાવણમાં નીતિન નબીને નોન વેજ ખાધાના કોંગ્રેસના આક્ષેપથી ગરમાટો

0

શ્રાવણના પવિત્ર મહિનામાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નબીન નૉનવેજ ખાઈ રહ્યા છે? સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોને લઈને આ સવાલોએ રાજકીય ચર્ચા જગાવી દીધી હતી. કોંગ્રેસના નેતાઓએ પણ વીડિયો શેર કરીને ભાજપ પર સવાલો ઉઠાવ્યા હતા. જોકે, વીડિયાની હકીકત સામે આવતા સમગ્ર મામલો જ અલગ હોવાનું બહાર આવ્યું છે.

વાયરલ વીડિયોમાં નિતિન નબીન ભોજન કરતા જોવા મળે છે. આ વીડિયો આધારિત દાવો કરવામાં આવ્યો કે તેઓ શ્રાવણ દરમિયાન નૉનવેજ ભોજન લઈ રહ્યા હતા. ઉત્તર પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અજય રાયે પણ આ મુદ્દે ભાજપ પર નિશાન સાધ્યું અને કહ્યું હતું કે શ્રાવણ દરમિયાન નૉનવેજ ખાવાથી ભાજપના નેતાઓની કથિત બેવડી માનસિકતા સામે આવે છે.

પરંતુ ઉપલબ્ધ અહેવાલો અને ભાજપ તરફથી આપવામાં આવેલી સ્પષ્ટતા મુજબ વીડિયો આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટણમનો છે. નિતિન નબીન આંધ્ર પ્રદેશના પ્રવાસ દરમિયાન સ્થાનિક ભાજપ નેતાઓ સાથે પરંપરાગત ભોજન કરતા જોવા મળ્યા હતા.

છત્તીસગઢ ભાજપે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને વાયરલ દાવાને ખોટો ગણાવ્યો છે. પાર્ટીએ જણાવ્યું કે થાળીમાં દેખાતી વાનગી નૉનવેજ નહીં પરંતુ કાચા ફણસ એટલે કે કઠહલની મસાલેદાર શાકાહારી કરી હતી. આ વાનગી ઉત્તર આંધ્રના પરંપરાગત શાકાહારી ભોજનનો ભાગ હોવાનું ભાજપે જણાવ્યું હતું.

આ રીતે, નિતિન નબીન નૉનવેજ ખાઈ રહ્યા હોવાનો સોશિયલ મીડિયા દાવો ભ્રામક હોવાનું સામે આવ્યું છે.

સોનિયા ગાંધીની આત્મકથામાં કેટલાય રહસ્યો, રાજકીય વમળો સર્જશે

0

રાજીવ ગાંધીની જન્મજયંતિ પર રાહુલ ગાંધીનું એક નિવેદન માત્ર રાજકીય નહીં, પરંતુ અત્યંત વ્યક્તિગત લાગણીથી ભરેલું હતું. માતા સોનિયા ગાંધીની આવનારી આત્મકથાનો ઉલ્લેખ કરતાં રાહુલે કહ્યું કે પિતાના અવસાન બાદ તેમની માતાએ જે સંઘર્ષ કર્યો છે, તેની સાચી સાક્ષી તેઓ અને પ્રિયંકા જ છે. તેમણે કલ્પના વ્યક્ત કરી કે રાજીવ ગાંધી આજે ઉપરથી પોતાની ‘સુંદર સોનિયા’ને ગર્વથી જોઈ રહ્યા હશે.

સોનિયા ગાંધીની આત્મકથા ‘Belonging: A Journey of Love’ 10 નવેમ્બર, 2026ના રોજ અલ્ફ્રેડ એ. નોફ દ્વારા પ્રકાશિત થવાની છે. પુસ્તકમાં સોનિયા ગાંધી પોતાના ઇટાલીમાં વિતાવેલા બાળપણથી લઈને કેમ્બ્રિજમાં રાજીવ ગાંધી સાથેની મુલાકાત, લગ્ન બાદ નેહરુ-ગાંધી પરિવારનો હિસ્સો બનવા સુધીની સફર અને જીવનમાં આવેલા મોટા આઘાતોની વાત કરશે.

રાહુલ ગાંધીએ લખ્યું કે તેમણે માતા-પિતાને છેલ્લે 35 વર્ષથી વધુ સમય પહેલાં સાથે જોયા હતા. રાજીવ ગાંધીના નિધન બાદ સોનિયા ગાંધીએ દરેક મુશ્કેલીનો સામનો હિંમત અને ગૌરવ સાથે કર્યો હોવાનું તેમણે કહ્યું હતું. તેમણે ઉમેર્યું કે તેમની માતા જેવી અંગત જીવનને મહત્વ આપતી વ્યક્તિ માટે પોતાની જીવનકથા દુનિયા સામે મૂકવી સરળ ન રહી હશે.

આ આત્મકથામાં 1984માં ઇન્દિરા ગાંધીની હત્યા બાદ રાજીવ ગાંધીનું વડાપ્રધાન બનવું, 1991માં રાજીવ ગાંધીની હત્યા, ત્યારબાદ સોનિયા ગાંધીનું જાહેર જીવનમાં પ્રવેશવું અને 2004માં કોંગ્રેસની આગેવાની હેઠળ ગઠબંધનને જીત મળ્યા બાદ વડાપ્રધાન પદ સ્વીકારવાનો ઇનકાર જેવા મહત્વપૂર્ણ પ્રસંગોનો પણ સમાવેશ થશે.

સોનિયા ગાંધીએ પુસ્તક વિશે કહ્યું છે કે આ માત્ર રાજકીય સફર નહીં, પરંતુ પ્રેમ, વફાદારી, પરિવાર અને છ દાયકામાં તેમણે જોયેલા ભારતના સામાજિક-રાજકીય પરિવર્તનોની વ્યક્તિગત કહાની છે.

સુરત મેડિકલ કોલેજ રેગિંગ પ્રકરણ: પ્રોફેસર ડૉ. સુમૈયા મુલ્લા ૯૦ દિવસ માટે સસ્પેન્ડ

સુરતની સરકારી મેડિકલ કોલેજ ખાતે માઇક્રોબાયોલોજી વિભાગના પ્રથમ વર્ષના રેસિડેન્ટ ડૉક્ટર સ્વ. ડૉ. હર્ષ પડ્યાએ રેગિંગનો ભોગ બની આત્મહત્યા કરી લીધા બાદ આ ગંભીર ઘટનાને રોકવામાં તેમજ પોતાની શિસ્તબદ્ધ ક્ષમતા અને ફરજ બજાવવામાં ગંભીર નિષ્કાળજી દાખવવા બદલ, આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની સૂચનાથી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા માઇક્રોબાયોલોજી વિભાગના વર્ગ-૧ ના પ્રાધ્યાપક ડૉ. સુમૈયા મુલ્લાને તત્કાલ અસરથી 90 દિવસ માટે સેવામાંથી ફરજમોકૂફ (સસ્પેન્ડ) કરી દીધા છે.

આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, ગુજરાતની કોઈપણ શૈક્ષણિક કે તબીબી સંસ્થામાં રેગિંગ અથવા માનસિક ઉત્પીડન સાંખી લેવામાં આવશે નહીં. રેગિંગ સામે રાજ્ય સરકારની ‘ઝીરો ટોલરન્સ’ નીતિ રહી છે અને આગામી સમયમાં પણ રહેશે. વિદ્યાર્થીઓની સુરક્ષા સાથે રમત કરનાર કે પોતાની ફરજમાં ગંભીર નિષ્કાળજી દાખવનાર વ્યક્તિ ગમે તેટલા ઉચ્ચ હોદ્દા પર હશે, તેમની સામે કડકમાં કડક કાયદાકીય અને શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં રાજ્ય સરકાર સહેજ પણ બાંધછોડ કરશે નહીં.

આ ઉપરાંત આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, “ફરજમોકૂફી (સસ્પેન્શન)ના સમયગાળા દરમિયાન ડૉ. સુમૈયા મુલ્લાનું મુખ્ય મથક સરકારી મેડિકલ કોલેજ, વડોદરા રહેશે. આ સમય દરમિયાન સક્ષમ નિયંત્રક અધિકારીની લેખિત મંજૂરી વિના તેઓ વડોદરા સ્થિત મુખ્ય મથક છોડી શકશે નહીં. તદુપરાંત, ફરજમોકૂફી હેઠળ હોય ત્યાં સુધી તેઓ કોઈપણ પ્રકારની ખાનગી નોકરી કે વ્યાપાર-ધંધો કરી શકશે નહીં. જો આ શરતોનો અનાદર કે ભંગ કરવામાં આવશે, તો તેમને મળવાપાત્ર નિર્વાહ ભથ્થું અટકાવી દેવાશે અને તેમની સામે વધારાની કડક શિસ્તવિષયક કાર્યવાહી હાથ ધરાશે.

આ ઘટના બાદ આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ રાજ્યની તમામ સરકારી મેડિકલ કોલેજોને ‘એન્ટિ-રેગિંગ સમિતિ’ અને ‘એન્ટિ-રેગિંગ સ્ક્વોડ’ને તુરંત વધુ સક્રિય અને સુદ્રઢ કરવાના કડક આદેશ આપ્યા છે. તેમણે વધુમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, તમામ મેડિકલ કોલેજોએ પોતાના પરિસરમાં તબીબી વિદ્યાર્થીઓને સંપૂર્ણપણે સુરક્ષિત, શિસ્તબદ્ધ અને ભયમુક્ત વાતાવરણ પૂરું પાડવાનું રહેશે.