Home Blog Page 238

60 કરોડની છેતરપિંડી કેસ વચ્ચે શિલ્પા શેટ્ટીની જાહેરાત સામે આવી, જુઓ વીડિયો

શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા પર 60 કરોડ રૂપિયાના છેતરપિંડીના આરોપો હોવા છતાં, તેઓ પોતાના રેસ્ટોરન્ટ સામ્રાજ્યનો વિસ્તાર કરી રહ્યા છે. ગુરુવારે બોલિવૂડ અભિનેત્રીએ તેના નવા દક્ષિણ ભારતીય રેસ્ટોરન્ટ, અમ્માકાઈના ઉદઘાટનની તારીખની જાહેરાત કરી છે, જે બાંદ્રાના તે જ સ્થાન પર શરૂ થવાનું છે જ્યાં તેની લોકપ્રિય રેસ્ટોરન્ટ ચેઇન બાસ્ટિયનએ તેનું પહેલું આઉટલેટ ખોલ્યું હતું.

શિલ્પા શેટ્ટી દ્વારા નવા રેસ્ટોરન્ટના ઉદઘાટનની જાહેરાત
જ્યારે અમ્માકાઈએ બાસ્તિયન બાંદ્રાનું સ્થાન લીધું છે, ત્યારે બાદમાં જુહુમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યું છે અને બાસ્તિયન બીચ ક્લબ તરીકે રી બ્રાન્ડ કરવામાં આવ્યું છે. ગુરુવારે, શિલ્પાએ 19 ડિસેમ્બર (શુક્રવાર) ના રોજ અમ્માકાઈના ભવ્ય ઉદઘાટનની જાહેરાત કરતો એક વિડિઓ શેર કર્યો અને ખુલાસો કર્યો કે રેસ્ટોરન્ટને આખરે તેના દરવાજા ખોલવા માટે એક વર્ષનું આયોજન કરવામાં આવ્યું હતું.

વીડિયોમાં તેણે કહ્યું “આ રાહ જોવાનું યોગ્ય રહેશે. તે મારા મૂળ અને આરામદાયક ખોરાક માટે એક ઉમંગ છે જે મને ઘરની યાદ અપાવે છે. રેસ્ટોરન્ટમાં બાસ્ટિયનના બધા મનપસંદ વાનગીઓ પણ હશે.” કેપ્શનમાં શિલ્પાએ લખ્યું, “દરવાજા ખુલવા માટે તૈયાર છે, રસોડું ગુંજી રહ્યું છે, અને અમ્માએ સત્તાવાર રીતે હા કહી દીધી છે. હા, અમે તૈયાર છીએ, શેટ્ટી, જાઓ!! અમે આખરે 19 ડિસેમ્બરે સવારે 11 થી 1 વાગ્યા સુધી ખુલી રહ્યા છીએ. સીધા અંદર આવો, કોઈ રિઝર્વેશન નહીં.”

શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા હાલમાં 60 કરોડ રૂપિયાના છેતરપિંડીના કેસમાં ફસાયેલા છે. અગાઉ લોટસ કેપિટલ ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડના ડિરેક્ટર અને ઉદ્યોગપતિ દીપક કોઠારીએ દંપતી વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેમણે 60 કરોડ રૂપિયાના લોન-કમ-ઇન્વેસ્ટમેન્ટ ડીલમાં તેમની સાથે છેતરપિંડી કરવાનો આરોપ મૂક્યો હતો. બુધવારે, મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા (EOW) એ દીપકની ફરિયાદના આધારે દંપતી વિરુદ્ધ FIR નોંધી હતી.

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-સુરત ખાતે મશરૂમ ઉછેરની વ્યાવસાયિક તાલીમ યોજાઈ

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-સુરત ખાતે મશરૂમ ઉછેરની પાંચ દિવસીય વ્યાવસાયિક તાલીમ યોજાઈ હતી. જેમાં નવસારી કૃષિ યુનિ.ના વિસ્તરણ શિક્ષણ નિયામક ડો. હેમંત આર. શર્માએ જણાવ્યું હતું કે, દેશમાં મશરૂમનું ખૂબ ઓછું ઉત્પાદન અને ઉપયોગ થાય છે, તેથી ખેડૂતો અને ઉદ્યોગ સાહસિકો માટે મશરૂમ ઉછેરના વ્યવસાયમાં ખૂબ મોટી તક છે.

નવસારી કૃષિ યુનિ.ના કુલપતિ ડો.ટી.આર.અહલાવતના માર્ગદર્શન હેઠળ આયોજિત આ તાલીમમાં ક્રિભકોના તજજ્ઞ જતિન હિરપરાએ મશરૂમ ઉછેર વિષે તલસ્પર્શી સમજ આપી હતી. મશરૂમ ઉછેર સાથે સંકળાયેલા સફળ વ્યવસાયિકો ચેતન મિસ્ત્રી, રવિ સલીયા, અનિતાબેન મિસ્ત્રી અને સંદીપ પટેલે તાલીમાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

આ પ્રસંગે વરિષ્ઠ વૈજ્ઞાનિક અને KVK-સુરતના વડા ડો.જે. એચ. રાઠોડ, આત્મા-સુરતના પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી એન. જી. ગામીત, કૃષિ વૈજ્ઞાનિક ડો.રાકેશ પટેલ, બાગાયત અધિકારી પી.જી. માલવિયા તેમજ આત્માના કર્મચારીગણ, ખેડૂતો, લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
.
સંપૂર્ણ ખોરાક ગણાતા મશરૂમમાં ખૂબ ઉંચી ગુણવત્તા ધરાવતુ પ્રોટીન ઉપલબ્ધ
સંપૂર્ણ ખોરાક ગણાતા મશરૂમમાં ખૂબ ઉંચી ગુણવત્તા ધરાવતુ પ્રોટીન ઉપલબ્ધ છે. આ પ્રોટીનની પાચન શકિત ૭૦% જેટલી છે. તેમાં વિટામીન બી અને સી, થાયમીન, રીબોફલેવીન, નીઓસીન, બાયોટીન અને પેન્ટોથેનીક એસિડનો સમાવેશ થાય છે.

મશરૂમમાં વિટામીન બી-૧૨ અને ફોલિક એસિડ પણ હોય છે, જે સામાન્ય રીતે શાકભાજીમાં નથી હોતું. આ ઉપરાંત, તેમાં પોટેશીયમ અને ફોસ્ફરસ વધુ પ્રમાણમાં હોય છે, સોડિયમનું પ્રમાણ નહિવત હોય છે. આમ, મશરૂમ ખુબ જ ઓછી કેલરી ધરાવતું, વધુ પ્રમાણમાં પ્રોટીન, રેષા અને ઉંચો પોટેશીયમ–સોડિયમનો ગુણોત્તર ધરાવતું હોઈ ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશરના દર્દીઓ અને મેદસ્વી વ્યકિતઓ માટે ઉત્તમ ખોરાક છે. મશરૂમ ઉછેરમાં જમીન અને સૂર્યપ્રકાશની જરૂર નથી. તે કૃષિની ઉપપેદાશોમાંથી ઉગાડી શકાય છે. ભારતમાં મશરૂમની વિવિધ જાતો ઉગાડવામાં આવે છે. દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં ઓઇસ્ટર (ઢીંગરી) મશરૂમનું સફળતાપૂર્વક ઉત્પાદન લઈ શકાય છે.

કેનેડામાં બે મહિલાઓ સહિત પાંચ ગુજરાતીઓની ધરપકડ, જાણો શું છે મામલો

કેનેડામાં બે મહિલાઓ સહિત પાંચ ગુજરાતીઓની ધરપકડ કરવામાં આવી હતી. ડરહામ રિજનલ પોલીસ મુજબ, એજેક્સમાં આવેલા એમેઝોન વેરહાઉસમાંથી $2 મિલિયન ડોલર (આશરે 18.5 કરોડ રૂપિયા)થી વધુના સામાનની ચોરી થઈ છે. જેની તપાસ બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. ડરહામ રિજનલ પોલીસના જણાવ્યા અનુસાર, નવેમ્બર મહિનામાં તેમણે 789 સેલમ રોડ પર આવેલા ફુલફિલમેન્ટ સેન્ટરમાં કામ કરતા બે કર્મચારીઓ સામે તપાસ શરૂ કરી હતી.

એમેઝોનના લોસ પ્રિવેન્શન કર્મચારીઓ દ્વારા પોલીસને બાતમી આપીને આક્ષેપ કરવામાં આવ્યો હતો કે બે વર્ષના સમયગાળા દરમિયાન અંદાજે $2 મિલિયન ડોલરની કિંમતનો માલસામાન ચોરી થયો હતો. સોમવારે બે કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી હતી અને અન્ય ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.

અધિકારીઓએ સ્કારબરોમાં એક રહેણાંક મકાનમાં સર્ચ વોરંટ દરમિયાન અંદાજે 2,50,000 ડોલરની કિંમતના હાઈ-એન્ડ ઈલેક્ટ્રોનિક્સ અને 50,000 કેનેડિયન ડોલર જપ્ત કર્યા હતા. આ કેસમાં પાંચ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. આ તમામ ગુજરાતીઓ છે.

કયા લોકોની ધરપકડ થઈ

  • મેહુલ બળદેવભાઈ પટેલ (36 વર્ષ, ન્યૂમાર્કેટ): તેમના પર 5000 ડોલરથી વધુની છેતરપિંડી અને 5000 ડોલરથી વધુની ચોરીનો આરોપ છે.
  • આશિષકુમાર સવાણી (31 વર્ષ, સ્કારબરો): તેમના પર પણ 5000 ડોલરથી વધુની છેતરપિંડી, 5000 ડોલરથી વધુની ચોરીનો આરોપ છે. તેમજ ગુના દ્વારા મેળવેલી મિલકતનું ટ્રાફિકિંગ કરવાનો પણ આરોપ છે.
  • બંસરી સવાણી (28 વર્ષ, સ્કારબરો): તેમના પર ટ્રાફિકિંગના હેતુથી ગુનાહિત મિલકત રાખવા અને ગુના દ્વારા મેળવેલી રોકડ રાખવાનો આરોપ છે.
  • યશ ધામેલિયા (29 વર્ષ, સ્કારબરો): તેમના પર ટ્રાફિકિંગના હેતુથી ગુના દ્વારા મેળવેલી મિલકત રાખવાનો આરોપ છે.
  • જાનવીબેન ધામેલિયા (28 વર્ષ, સ્કારબરો): તેમના પર પણ ટ્રાફિકિંગના હેતુથી ગુના દ્વારા મેળવેલી મિલકત રાખવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, હજુ સુધી આમાંથી કોઈ પણ આરોપ કોર્ટમાં સાબિત થયા નથી. જો કોર્ટમાં આરોપ સાબિત થશે તો પાંચેય ગુજરાતીઓને કડક સજા થઈ શકે છે. ઉપરાંત તેમનો દેશ નિકાલ પણ કરવામાં આવી શકે છે.

ગુજરાત: પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ 5 લાખથી વધુ ઘરો પર સોલાર પેનલ સાથે દેશમાં પ્રથમ

સોલાર ઊર્જામાં ગુજરાતનો દબદબો જોવા મળ્યો છે. પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ ગુજરાતે 5 લાખથી વધુ રૂફટોપ સોલાર સિસ્ટમ ઈન્સ્ટોલ કર્યા છે. 5 લાખથી વધુ રૂફટોપ સોલાર સિસ્ટમ સ્થાપન સાથે ગુજરાત દેશભરમાં પ્રથમ ક્રમે છે. આ રૂફટોપ સોલાર દ્વારા નાગરિકોએ કુલ રૂ. 3778 કરોડની સબસિડીનો લાભ મેળવ્યો છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તા. 13 ફેબ્રુઆરી 2024ના રોજ શરૂ કરવામાં આવેલી ’પીએમ સૂર્ય ઘર : મફત વીજળી યોજના’ હેઠળ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન તથા રાજ્યના પ્રધાન કૌશિક વેકરીયા અને ઊર્જા પ્રધાન ઋષિકેશ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતે ’પીએમ સૂર્ય ઘર: મફત વીજળી યોજના’ના સફળ અમલીકરણ થકી એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે.

ગુજરાતમાં હાલમાં ’પીએમ સૂર્ય ઘર: મફત વીજળી યોજના’ હેઠળ 5 લાખથી વધુ રૂફટોપ સોલાર સિસ્ટમ્સ સ્થાપિત કરવામાં આવી છે, જેના કારણે કુલ 1879 મેગાવોટ સોલાર ક્ષમતા પ્રાપ્ત થઈ છે. આ આંકડો રાજ્યના નિર્ધારિત લક્ષ્યના 50 ટકા કરતાં વધુ છે, જે એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે. ગુજરાતે માર્ચ 2027 સુધીમાં આ યોજનાના અંતર્ગત 10 લાખ રહેણાંક રૂફટોપ સોલાર સિસ્ટમ સ્થાપવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે.

રાજ્ય સરકારે પીએમ સૂર્ય ઘર: મફત વીજળી યોજના ને વધુ વેગવંતી બનાવવા અને રૂફટોપ સોલર ઇન્સ્ટોલેશન માટે ગ્રાહકોને પ્રોત્સાહિત કરવા, ૬ કિ.લો વોટ સુધીની સોલાર રૂફ્ટોપ સિસ્ટમ માટે રેગ્યુલેટરી ચાર્જીસ રૂ.૨૯૫૦ની સહાય તથા ૬ કિલો વોટ સુધીની સોલાર રૂફ્ટોપ સિસ્ટમ માટે નેટવર્ક સ્ટ્રેન્થનિંગ ચાર્જ માફ કરવામાં આવ્યો છે. તેમજ વધુ સુવિધા માટે નેટ મીટરીંગ એગ્રીમેન્ટ કરવાની જરૂરિયાતમાંથી પણ મુક્તિ આપવામાં આવી છે. જેના પરિણામ સ્વરૂપે ગુજરાતમાં વધુમાં વધુ નાગરિકો પીએમ સૂર્ય ઘર: મફત વીજળી યોજનાનો લાભ લઇ રહ્યા છે.

આ યોજનામાં સોલાર રૂફ્ટોપ સિસ્ટમ સ્થાપનમાં અગ્રેસર જીલ્લાઓ:

  • સુરત – 65,233
  • અમદાવાદ – 59,619
  • રાજકોટ – 56,084
  • વડોદરા – 43,656
  • જૂનાગઢ – 22,858

સિદ્ધિઓના મુખ્ય પરિબળો:
રાજ્ય સરકારની નવીનીકરણીય ઊર્જાને પ્રોત્સાહન આપવા માટેની મજબૂત પ્રતિબદ્ધતા અને સક્રિય સહયોગ, ગ્રાહક-પ્રથમ અભિગમ, નીતિ આધારિત આયોજન અને સરળ પ્રક્રિયાઓ ગુજરાતની સફળતાના મુખ્ય પરિબળો છે. રાજ્યમાં રહેણાંક સોલાર સ્થાપન માટે લોડની કોઈ મર્યાદા નથી અને વધારાની વીજળી વેચાણની સુવિધા પણ ઉપલબ્ધ છે. સોલાર સિસ્ટમ ધરાવતા રહેણાંક ગ્રાહકો માટે બેંકિંગ ચાર્જ લાગુ પડતા નથી, જેના કારણે નાગરિકોને કોઈપણ પ્રકારની અડચણ વગર સરળતાથી યોજનાનો લાભ મળી રહ્યો છે.

પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ રહેણાંક ક્ષેત્રમાં 2 kW સુધી રૂ. 30,000 પ્રતિ kW, ૨ kWથી વધુ ૩ kW સુધી રૂ. 18,000 પ્રતિ kW અને 3 kW થી વધુની ક્ષમતા માટે કુલ રૂ. 78,000 સુધીની સબસિડી આપવામાં આવે છે.

ચાંદીના ભાવ ઈતિહાસમાં પ્રથમ વખત 2 લાખને પાર, 2025માં 135 ટકાનો ઉછાળો

ચાંદીના ભાવ 2 લાખ રૂપિયાની સપાટી વટાવા ઐતિહાસિક ટોચે પહોંચ્યા છે. વર્ષ 2025 ચાંદી માટે 125 ટકાથી પણ વધુ તેજી સાથે સિમાચિહ્ન રહ્યું છે. સોનાની તુલનામાં ચાંદીએ બમણું વળતર આપ્યું છે. વૈશ્વિક બુલિયન બજારમાં પણ સોના ચાંદીના રેકોર્ડ હાઇ લેવલે પહોંચ્યા છે.

ચાંદીના ભાવ 2 લાખ પાર
ચાંદીના ભાવ ઇતિહાસમાં પહેલીવાર 2 લાખ રૂપિયાની સપાટી વટાવી ગયા છે. 17 ડિસેમ્બર, 2025ના રોજ એમસીએક્સ ચાંદી વાયદાનો ભાવો 2 લાખ રૂપિયાની સપાટી ક્રોસ કરી ગયા હતા. આજે 18 ડિસેમ્બર, 2025ના રોજ એમસીએક્સ સિલ્વર કોન્ટ્રાક્ટનો ભાવ 2.07 લાખ રૂપિયા ઉપર બોલાયો હતો. હાલ ચાંદી વાયદો 2.6 લાખ રૂપિયા બોલાઇ રહ્યો છે.

હાજર બુલિયન બજારની વાત કરીયે તો બુધવારે અમદાવાદના ઝવેરી બજારમાં ચાંદીના ભાવ 3000 રૂપિયા વધ્યા હતા અને 1 કિલો ચાંદી ચોરસાની કિંમત 1,93,000 રૂપિયા થઇ છે. તો ચાંદી રૂપુની કિંમત 1,92,800 રૂપિયા પ્રતિ 1 કિલો થઇ હતી.

ચાંદીમાં તેજી વચ્ચે સોનાના ભાવ પણ વધ્યા છે. બુધવારે અમદાવાદમાં 99.9 શુદ્ધ 24 કેરેટ સોનાનો ભાવ 800 રૂપિયા વધીને 1,36,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામની રેકોર્ડ ઉંચાઇએ પહોંચ્યા છે. 99.5 શુદ્ધ 23 કેરેટ સોનાનો ભાવ 800 રૂપિયા વધીને 1,36,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ દીઠ થયો છે. વાયદા બજારમાં એમસીએક્સ ગોલ્ડ ફ્યૂચર 1,34,650 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ટ્રેડ કરી રહ્યો છે.

વૈશ્વિક બજારમાં ચાંદીના ભાવ 65 ડોલર પ્રતિ ટ્રોય ઔંસની ટોચે પહોંચ્યા છે, જે વર્ષ 2025ની શરૂઆતમાં 28 ડોલર બોલાતા હતા. આમ વર્ષ 2025માં ચાંદીના ભાવ 135 ટકા જેટલા ઉછળ્યા છે. તો ગ્લોબલ માર્કેટમાં સોનાના ભાવ 65 ટકા વધ્યા છે.

‘વીબી રામજી બિલ’ લોકસભામાં પસાર, વિપક્ષે કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પર ફેંક્યા કાગળો

0

લોકસભામાં ‘વીબી રામજી બિલ’ પસાર થયું છે. વ્યાપક વિપક્ષી હોબાળા વચ્ચે સરકારે તેનો માર્ગ મોકળો કર્યો. વિપક્ષી સાંસદોએ કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પર કાગળો પણ ફેંક્યા. આ બિલ અંગે ઘણા દિવસોથી વિવાદ ચાલી રહ્યો હતો. વિપક્ષે આરોપ લગાવ્યો હતો કે સરકારે જાણી જોઈને યોજનામાંથી મહાત્મા ગાંધીનું નામ દૂર કર્યું છે. કેન્દ્ર સરકારે દલીલ કરી હતી કે વિકસિત ભારતને ધ્યાનમાં રાખીને યોજનામાં ફેરફારો કરવામાં આવ્યા છે.

આ પ્રસંગે, કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે વિપક્ષ બાપુના આદર્શોને તોડફોડ કરી રહ્યું છે. ગઈકાલે, મેં બપોરે 1:30 વાગ્યા સુધી ગૃહમાં માનનીય સભ્યોને સાંભળ્યા. “તમારા મનની વાત કરવી અને અમારી વાત ન સાંભળવી એ પણ હિંસા છે.

બાપુ અમારા આદર્શ છે, અમારી પ્રેરણા છે. અમે મહાત્મા ગાંધીના આદર્શોને અનુસરવા માટે પ્રતિબદ્ધ છીએ,” તેમણે કહ્યું. તેથી, ભારતીય જનતા પાર્ટીએ ગાંધીજીના સામાજિક અને આર્થિક દર્શનને તેના પંચનિષ્ઠામાં સમાવી લીધું છે.

શિવરાજ સિંહ ચૌહાણે વધુમાં જણાવ્યું હતું કે આ દેશ આપણા માટે જમીનનો ટુકડો નથી, પરંતુ એક જીવંત, શ્વાસ લેતો રાષ્ટ્રીય નાયક છે. આપણે તેના માટે જીવીશું, અને જો આપણે તેના માટે મરવું પડે, તો આપણે તેના માટે મરીશું.

બિલમાં પ્રસ્તાવિત યોજનાનો ઉદ્દેશ્ય જણાવે છે કે છેલ્લા 20 વર્ષોમાં, મનરેગાએ ગ્રામીણ પરિવારોને રોજગાર પૂરો પાડ્યો છે, પરંતુ ગામડાઓમાં સામાજિક-આર્થિક ફેરફારો થયા છે. આ ફેરફારોના આધારે, યોજનાને વધુ મજબૂત બનાવવાનો સમય આવી ગયો છે.

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાડવાની ધમકી

0

વડોદરા જિલ્લામાં કલેક્ટર કચેરીને બોંબથી ઉડાડવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો હતો. મળેલી માહિતી મુજબ ૧ વાગ્યા સુધીમાં કચેરી ખાલી નહીં કરાય તો બોંબથી ઉડાડવાની ધમકી આપવામાં આવી હતી. ઈ-મેઈલ મારફતે ધમકી મળતા જ તાત્કાલિક અસરથી કચેરીમાં ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી સ્થાનિક પોલીસ સહિત અન્ય સુરક્ષા એજન્સીઓ ઘટનાસ્થળે પહોંચી તપાસમાં જોડાઈ હતી અને કચેરી પરિસરમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.

1 વાગ્યા સુધી બ્લાસ્ટ સુધીમાં બ્લાસ્ટ થશે
શહેરની મધ્યમાં આવેલી કલેકટર કચેરીને વધુ એક વખત બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈમેલ મોકલવામાં આવ્યો છે. જે આજે સવારે કચેરી ખુલતાજ ધ્યાને આવ્યો હતો. જે અંગે સ્થનિક પોલીસ અને એજન્સીઓને જાણ કરતા બોમ્બ સ્કોડ, ડોગ સ્કોડ સાથે કલેકટર કચેરીમાં તપાસ કરવામાં આવી રહી છે.

કલેકટર કચેરીને વધુ એક વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
પ્રાથમિક માહિતી પ્રમાણે શહેરના દિવાળીપુરા વિસ્તારમાં આવેલી કલેકટર કચેરીને વધુ એક વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે. ઇમેલમાં ઉલ્લેખ કરાયો છે કે, ” કલેકટર ઓફિસમાં RDK મુકવામાં આવ્યા છે, 1 વાગ્યા સુધી બ્લાસ્ટ સુધીમાં બ્લાસ્ટ થશે, જેથી ઓફિસ ખાલી કરવી દો”.

રશિયા ભણવા ગયેલા ભારતીય વિદ્યાર્થીનું યુદ્ધમાં મોત, વિદેશ મંત્રાલય પાસે માગી હતી સુરક્ષા

સ્ટડી વિઝા પર રશિયા ગયેલા ઉત્તરાખંડના એક વિદ્યાર્થીનું રહસ્યમય સંજોગોમાં મોત થતા તેનો મૃતદેહ વતન પરત લાવવામાં આવ્યો છે. મૃતક યુવાન ઉધમસિંહ નગર જિલ્લાના શક્તિફાર્મ વિસ્તારનો રહેવાસી હતો. યુવાનના મોતના સમાચારથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે, જોકે મૃત્યુના કારણોને લઈને રહસ્ય અકબંધ છે.

શું છે સમગ્ર મામલો?
મૃતક યુવાન રાકેશ કુમાર(30 વર્ષ) ગત ઑગસ્ટ મહિનામાં જ ઉચ્ચ અભ્યાસ માટે રશિયા ગયો હતો. રાકેશના ભાઈ દીપુ મૌર્યના જણાવ્યા અનુસાર, રશિયા પહોંચ્યા બાદ રાકેશે ફોન પર જણાવ્યું હતું કે તે ત્યાં ખૂબ જ કપરી પરિસ્થિતિમાં છે.

પરિવારનો આરોપ છે કે રાકેશને રશિયામાં જબરદસ્તીથી સેનામાં ભરતી કરી લેવામાં આવ્યો હતો. 30 ઑગસ્ટે રાકેશ સાથે છેલ્લી વાર વાત થઈ હતી, જેમાં તેણે ડર વ્યક્ત કર્યો હતો કે તેને ટ્રેનિંગ આપીને યુક્રેન સામેના યુદ્ધમાં મોકલવામાં આવી રહ્યો છે. રાકેશે રશિયન સેનાના યુનિફોર્મમાં પોતાના ફોટોઝ પણ પરિવારને મોકલ્યા હતા. આ મામલે પરિવારે અગાઉ ભારત સરકાર અને વિદેશ મંત્રાલયને પત્ર લખીને તેને બચાવવા આજીજી કરી હતી.

રાકેશનું મોત યુક્રેન યુદ્ધ દરમિયાન થયું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે, પરંતુ વહીવટી તંત્ર કે પોલીસ અધિકારીઓ આ અંગે સત્તાવાર રીતે કંઈ પણ બોલવાનું ટાળી રહ્યા છે. મૃતદેહ જ્યારે ઘરે પહોંચ્યો ત્યારે પરિવારે મીડિયા અને સ્થાનિક લોકપ્રતિનિધિઓ સાથે વાત કરવાની ના પાડી દીધી હતી અને ભારે આક્રોશ પણ જોવા મળ્યો હતો.

સ્ટેચ્યુ ઓફ યુનિટીના શિલ્પકાર રામ સુતારનું 100 વર્ષની વયે નિધન

0

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના શિલ્પકાર પદ્મ ભૂષણ રામ સુતારનું 100 વર્ષની વયે નોઈડામાં નિધન થયું છે. તેમણે અનેક જાણીતી મૂર્તિઓ બનાવી હતી. રામ સુતાર જે પત્થરને સ્પર્શ કરતા હતા તે શાનદાર મૂર્તિનું રૂપ લેતો હતો. 67 વર્ષ પહેલા તેઓ મહારાષ્ટ્રથી દિલ્હી આવીને સ્થાયી થયા હતા. તેમના પુત્રએ અનિલ સુતારે પિતાના નિધનની જાણકારી આપી હતી.અનિલ સુતારે કહ્યું, મારા પિતા રામ વનજી સુતારનું 17 ડિસેમ્બરે મધરાતે અમારા નિવાસ સ્થાને નિધન થયું છે. અંતિમ સંસ્કાર અને અન્ય વિધિ 18 ડિસેમ્બરના રોજ કરાશે.

રામ સુતારનો જન્મ 19 ફેબ્રુઆરી 1925 ના રોજ મહારાષ્ટ્રના ધુલે જિલ્લાના ગોંડુર ગામમાં એક સામાન્ય સુથાર પરિવારમાં થયો હતો. બાળપણથી જ કલા પ્રત્યે તેમનો ઊંડો ઝુકાવ હતો. તેમની પ્રતિભાને તેમના ગુરુ રામકૃષ્ણ જોશીએ ઓળખી અને તેમને મુંબઈની પ્રતિષ્ઠિત જે.જે. સ્કૂલ ઓફ આર્ટસમાં પ્રવેશ લેવા માટે પ્રેરિત કર્યા હતા. અહીંથી જ તેમની મૂર્તિકળાની યાત્રા શરૂ થઈ, જે આગળ જતાં તેમને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ સુધી લઈ ગઈ હતી.

સરકારી નોકરી છોડીને મૂર્તિઓ બનાવવા લાગ્યા
1959માં રામ સુતાર દિલ્હી આવ્યા અને માહિતી અને પ્રસારણ મંત્રાલયમાં નોકરી શરૂ કરી, પરંતુ કલા પ્રત્યેનું તેમનું સમર્પણ એટલું ઊંડું હતું કે થોડા સમય પછી તેમણે સરકારી નોકરી છોડી દીધી અને સંપૂર્ણ રીતે મૂર્તિકળાને જ પોતાનું જીવન બનાવી લીધું. 1961માં ગાંધીસાગર ડેમ પર દેવી ચંબલની 45 ફૂટ ઊંચી પ્રતિમાએ તેમને રાષ્ટ્રીય ઓળખ અપાવી. ત્યારબાદ સંસદ ભવન પરિસરમાં ગોવિંદ વલ્લભ પંતની આદમકદ પ્રતિમા સહિત અનેક મહત્વપૂર્ણ કૃતિઓ તેમણે તૈયાર કરી.

રામ સુતારે બનાવેલી કેટલીક જાણીતી મૂર્તિઓ

  • સ્ટેચ્યુ ઓફ યુનિટીઃ ગુજરાતના કેવડિયા કોલોની ખાતે આવેલી આ વિશ્વની સૌથી ઊંચી મૂર્તિ છે. જે સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત છે. તેની ઊંચાઈ 182 મીટર છે.
  • મહાત્મા ગાંધીની મૂર્તિઃ રામ સુતારે મહાત્મા ગાંધીને 350થી વધુ મૂર્તિઓ બનાવી છે. જે વિશ્વભરમાં સ્થાપિત છે.
  • ડૉ. બાબાસાહેબ આંબેડકરની મૂર્તિઃ તેમણે ડો. બાબાસાહેબ આંબેડકરની અનેક મૂર્તિઓ બનાવી છે. જેમાંથી એક મુંબઈના ચૈત્યભૂમિમાં સ્થાપિત છે.
  • ભગવાન શિવની મૂર્તિઃ બેંગલુરુ સ્થિત ભગવાન શિવની 153 ફૂટ ઊંચી પ્રતિમા પણ તેમણે બનાવેલી મુખ્ય મૂર્તિઓ પૈકીની એક છે.
  • છત્રપતિ સંભાજી મહારાજની મૂર્તિઃ પુણેમાં છત્રપતિ સંભાજી મહારાજની 100 ફૂટ ઊંચી પ્રતિમા પણ તેમણે બનાવી હતી.

મળી ચુક્યા છે અનેક પુરસ્કાર
રામ સુતારને તેમના કામ માટે અનેક પુરસ્કાર પણ મળ્યા છે. જેમાં પદ્મશ્રી, પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણ સામેલ છે. તેમને 2019માં ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી સન્માનિત કરાયા હતા. તાજેતરમાં મહારાષ્ટ્ર સરકારે તેમને મહારાષ્ટ્ર ભૂષણથી નવાજ્યા હતા.

સુરતમાં 133 પિતાવિહોણી ‘કોયલડી’ દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડશે, પી.પી. સવાણી પરિવાર દ્વારા આયોજન

0

સુરતના પી.પી.સવાણી પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પિતાની છત્રછાયા ગુમાવેલી દીકરીઓના સમૂહલગ્ન યોજાશે. આગામી તા.૨૧-૨૨ ડિસેમ્બરે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સહિત મંત્રીઓ, મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં પી.પી.સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલ, અબ્રામા ખાતે કોયલડી’ થીમ સાથે પિતાવિહોણી ૧૩૩ દીકરીઓના સમૂહલગ્ન યોજાશે.

છેલ્લા ૧૮ વર્ષથી પિતાવિહોણી દીકરીઓના લગ્ન કરીને નહીં, પણ પિતા તરીકેની તમામ જવાબદારી નિભાવતા મહેશભાઈ સવાણી કુલ ૫૫૩૯ દીકરીના પિતા બની ગયા છે. છેલ્લા ૧૮ વર્ષથી અવિરત પ્રજ્વલિત થયેલા પી.પી.સવાણીના સેવાયજ્ઞ થકી અનેકને પ્રેરણા મળી છે, ત્યારે ૨૦ અને ૨૧ ડિસે. એમ બે દિવસમાં ૧૩૩ દીકરીઓ ‘કોયલડી’ બનીને શ્વસુરગૃહે જશે.

મુખ્યમંત્રીશ્રી સહિત કેન્દ્રીય જલશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલ, કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયા, કેન્દ્રીય ગ્રાહક, ખાદ્ય બાબતોના રાજ્ય મંત્રીશ્રી નીમુબેન બાંભણિયા, પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા, આરોગ્ય રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયા, મેયર દક્ષેશભાઈ માવાણી સહિત રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, વહીવટી અને પોલીસ અધિકારીઓ સહિત અનેક મહાનુભાવો હાજર રહી કન્યાદાન કરશે. ૧૬ પદ્મશ્રી વિજેતા મહાનુભાવો, સંતોમહંતો પણ પધારશે અને નવદંપતિને આશીર્વાદ આપશે. .

૨૦મીએ પ્રથમ દિવસે શ્રેષ્ઠ સાસુઓના હસ્તે દીપપ્રાગટ્ય સાથે બે દિવસીય લગ્નોત્સવનો શુભારંભ થશે. ૨૧ ડિસેમ્બરે જીવનદીપ ઓર્ગન ડોનેશન સંસ્થાને પોતાના સ્વજનના અંગદાનની મંજૂરી આપનાર અંગદાતા પરિવારની મા, દીકરી, બહેન, પત્નીના હસ્તે દીપપ્રાગટ્ય થશે. સર્વ ધર્મ, સર્વ જ્ઞાતિની દીકરીઓનું કન્યાદાન એક મંડપમાં થશે.

૨૦ અને ૨૧મીએ સાંજે ૫.૦૦ વાગ્યે અબ્રામા ખાતે ‘પિયરીયું’ના નામે યોજાનાર લગ્નોત્સવ સંદર્ભે પી.પી.સવાણી ગ્રુપના મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ નાતજાતના ભેદ વિના માત્ર લગ્ન નહીં, પણ સમાજસેવાની ભાવના સાથે અંગદાન મહાદાનના સંદેશ સાથે સમાજને પ્રેરિત કરાશે. ‘વિવાહ પાંચ ફેરાના’થી શરૂ કરીને આ વર્ષ “કોયલડી” નામે યોજાઈ રહેલા લગ્ન સમારોહમાં મુસ્લિમ ધર્મની દીકરી નિકાહવિધિથી તેમજ ખ્રિસ્તી અને હિન્દુ ધર્મની તમામજ્ઞા તિની દીકરીઓ પોત-પોતાના રીત-રસમો સાથે લગ્નજીવનના પવિત્ર બંધનથી જોડાશે. સવાણી પરિવારના મિતુલ, મોહિત, સ્નેહ, કુંજ, મોનાર્ક જે દીકરીઓના ભાઈઓ નથી તેમને પોતાની સગી બહેનથી વિશેષ સમજી જવતલ હોમશે.

પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરીઓ, તેમના હજારો બાળકોના શિક્ષણ, આરોગ્ય અને લગ્નની સંપૂર્ણ જવાબદારી નિભાવતા મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે, કોયલડી લગ્ન ૧૩૩ કન્યા પૈકી ૯૦% કન્યા એવી છે કે એમના પિતા તો નથી જ સાથે જ એમના ભાઈ પણ નથી. આ વર્ષે પણ મુસ્લિમ, ખ્રિસ્તી, દિવ્યાંગ સહિત વિવિધ ૩૭ જ્ઞાતિની ૪ રાજ્ય અને ૧૭ જિલ્લાની ૧૩૩ દીકરીને સાસરે વળાવીશું. દીકરીઓની પસંદગીના અનેક ધોરણ નક્કી થયા છે એમાં દીકરીના પિતા ન હોય એ પ્રાથમિકતા છે એ પછી જે દીકરીનો ભાઈ ન હોય એવી દીકરીને પ્રાધાન્ય આપીએ છીએ.