મંચ પર મજાકમાં બોલાયેલું એક વાક્ય હવે મહારાષ્ટ્રના રાજકારણમાં ચર્ચાનો વિષય બની ગયું છે. બોલિવૂડ અભિનેતા સંજય દત્તે મરાઠીમાં બોલવાની વિનંતીનો જવાબ આપતાં યેરવડા જેલમાં વિતાવેલા છ વર્ષનો ઉલ્લેખ કર્યો હતો. તેમના આ નિવેદન બાદ ભાજપ ધારાસભ્ય નરેન્દ્ર મહેતાએ પરિવહન મંત્રી પ્રતિાપ સરનાઈકને જ સવાલોના ઘેરામાં લઈ લીધા છે.
મુંબઈમાં યોજાયેલા દહી-હાંડી કાર્યક્રમ દરમિયાન મહારાષ્ટ્રના પરિવહન મંત્રી પ્રતિાપ સરનાઈકે સંજય દત્તને મરાઠીમાં બોલવા કહ્યું હતું. તેના જવાબમાં સંજય દત્તે હળવા અંદાજમાં કહ્યું કે તેઓ છ વર્ષ યેરવડા જેલમાં રહ્યા હતા, છતાં મરાઠી શીખી શક્યા નહોતા. તેમણે થોડું મરાઠી શીખ્યા હોવાનું પણ જણાવ્યું. આ દરમિયાન મંચ પર બંને વચ્ચે હાસ્ય-મજાકનો માહોલ જોવા મળ્યો હતો.
આ વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી હતી. કેટલાક લોકોએ તેને માત્ર સંજય દત્તની રમૂજી ટિપ્પણી ગણાવી, જ્યારે કેટલાકે મહારાષ્ટ્રમાં મરાઠી ભાષાને લઈને ચાલી રહેલી નીતિઓના સંદર્ભમાં સવાલો ઉઠાવ્યા હતા.
ભાજપ ધારાસભ્ય નરેન્દ્ર મહેતાએ આ જ મુદ્દે પ્રતિાપ સરનાઈક પર નિશાન સાધ્યું હતું. તેમનો સવાલ હતો કે જો કોઈ કલાકાર મરાઠી આવડતી ન હોવાનું કહે ત્યારે હસવામાં આવે છે, તો સામાન્ય રિક્ષાચાલકોને મરાઠી મુદ્દે દબાણ કેમ કરવામાં આવે છે? મહેતાએ તેને ‘કયો ન્યાય?’ એવો સવાલ ગણાવ્યો અને સરનાઈકની કથની-કરણીમાં તફાવત હોવાનો આરોપ લગાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર સરકારે ઓટો અને ટેક્સી ડ્રાઈવરો માટે મરાઠીની કાર્યકારી જાણકારી ફરજિયાત બનાવવાના નિયમોમાં ફેરફાર કર્યો છે. ઓગસ્ટમાં સરકારે ડ્રાઈવરોને મરાઠી શીખવા માટે એક વર્ષનો સમય આપ્યો હતો.
આ સમગ્ર ઘટનાએ ભાષા, રોજગાર અને રાજકારણ—ત્રણે મુદ્દાને ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધા છે.





