Home Blog Page 20

મુશ્કેલીમાં આસામને મળ્યો મોટો સહારો, ગૌતમ અદાણીએ આપ્યું આટલાં કરોડનું દાન

0

આસામમાં ભારે વરસાદ અને પૂરના કારણે સર્જાયેલી ગંભીર પરિસ્થિતિ વચ્ચે અદાણી ગ્રુપના અધ્યક્ષ ગૌતમ અદાણીએ રાહત અને પુનર્વસન કામગીરી માટે ₹11 કરોડનું દાન આપ્યું છે. આ રકમ આસામના પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કામગીરીને વધુ મજબૂત બનાવવા માટે આપવામાં આવી હોવાનું વિવિધ મીડિયા અહેવાલોમાં જણાવાયું છે.

મળતી માહિતી અનુસાર, આ સહાય માત્ર આર્થિક દાન પૂરતી મર્યાદિત નથી. અદાણી ગ્રુપ દ્વારા અસરગ્રસ્ત પરિવારો સુધી જરૂરી રાહત સામગ્રી, આવશ્યક ચીજવસ્તુઓ અને અન્ય સંસાધનો પહોંચાડવા માટે પણ પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. પૂરથી પ્રભાવિત હજારો પરિવારોને ઝડપથી મદદ મળી રહે તે માટે ગ્રુપ વિવિધ એજન્સીઓ સાથે સંકલન કરી રહ્યું હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.

આસામ છેલ્લા કેટલાક અઠવાડિયાથી ભારે વરસાદ અને નદીઓમાં આવેલા પૂરના કારણે ગંભીર સંકટનો સામનો કરી રહ્યું છે. અનેક જિલ્લાઓમાં ઘરો પાણીમાં ગરકાવ થયા છે, ખેતીને મોટું નુકસાન થયું છે અને લાખો લોકો અસરગ્રસ્ત બન્યા છે. રાહત શિબિરોમાં હજારો લોકોને આશ્રય આપવામાં આવ્યો છે, જ્યારે રાજ્ય સરકાર, એનડીઆરએફ, એસડીઆરએફ અને અન્ય બચાવ દળો સતત બચાવ અને રાહત કામગીરીમાં જોડાયેલા છે.

આ દરમિયાન દેશભરના ઉદ્યોગપતિઓ, સંસ્થાઓ અને જાણીતી હસ્તીઓ પણ આસામના પૂરગ્રસ્તોની મદદ માટે આગળ આવી રહ્યા છે.

CNG વાહનચાલકોને મોટો ફટકો : અદાણી ગેસ દ્વારા CNG ના ભાવમાં સીધો આટલા રૂપિયાનો વધારો

CNG પર ચાલતા લાખો વાહનચાલકો માટે ફરી એકવાર ખિસ્સા પર ભાર વધારતા સમાચાર આવ્યા છે. અદાણી CNG દ્વારા ગેસના ભાવમાં પ્રતિ કિલો ₹4નો વધારો જાહેર કરવામાં આવ્યો છે. નવા દર મુજબ હવે CNG માટે ₹94.02 પ્રતિ કિલો ચૂકવવા પડશે, જ્યારે અગાઉનો ભાવ ₹90.02 પ્રતિ કિલો હતો. આ વધારાની સીધી અસર રોજિંદા મુસાફરી કરતા લોકો, ઓટો-રિક્ષા ચાલકો અને નાના વ્યાવસાયિક વાહનચાલકોના માસિક ખર્ચ પર પડશે.

CNGને અત્યાર સુધી સસ્તું અને પર્યાવરણમિત્ર ઇંધણ માનવામાં આવતું હતું, પરંતુ વારંવારના ભાવવધારાથી તેનો આર્થિક લાભ ઘટતો જઈ રહ્યો છે.

નિષ્ણાતોનું માનવું છે કે CNGના વધેલા દરની અસર માત્ર વ્યક્તિગત વાહનચાલકો પૂરતી સીમિત નહીં રહે. નાના કોમર્શિયલ વાહનો અને માલસામાનના પરિવહન ખર્ચમાં વધારો થવાથી દૈનિક ઉપયોગની કેટલીક ચીજવસ્તુઓના ભાવ પર પણ પરોક્ષ અસર થઈ શકે છે. છેલ્લા કેટલાક સમયથી વૈશ્વિક ઊર્જા બજારમાં આવેલા ફેરફારો અને કુદરતી ગેસના ખર્ચમાં વધારાની અસર ખાનગી સિટી ગેસ વિતરક કંપનીઓના દર પર જોવા મળી રહી છે.

મંત્રીની હાજરીમાં જ ભ્રષ્ટાચારનો થયો ખુલાસો, ‘₹50 હજાર આપો તો જ થશે કામ’નો આક્ષેપ

0

ભ્રષ્ટાચાર સામે સરકારના દાવાઓ વચ્ચે બિહારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. SC-ST કલ્યાણ વિભાગની અનુદાન યોજનાનો લાભ મેળવવા માટે અરજદાર પાસેથી ₹50 હજારની લાંચ માંગવામાં આવી હોવાનો આરોપ સીધો રાજ્યના મંત્રી સમક્ષ જ સામે આવ્યો. સૌથી ચોંકાવનારી ક્ષણ ત્યારે સર્જાઈ જ્યારે મંત્રીના કહેવા પર ફરિયાદીએ સ્થળ પર જ સંબંધિત ડેટા એન્ટ્રી ઓપરેટરને ફોન કર્યો અને ફોન પર કથિત રીતે ફરી લાંચની માંગણી થતાં સમગ્ર મામલો ચર્ચાનો વિષય બની ગયો.

મળતી માહિતી મુજબ, એક અરજદાર પોતાની ફરિયાદ લઈને રાજ્યના મંત્રી લખેન્દ્ર કુમાર રોશન પાસે પહોંચ્યો હતો. તેણે આરોપ લગાવ્યો કે SC-ST વિભાગની અનુદાન યોજનાનો લાભ અપાવવા માટે સંબંધિત ડેટા એન્ટ્રી ઓપરેટર તેની પાસેથી ₹50 હજારની માંગ કરી રહ્યો છે. ફરિયાદ સાંભળ્યા બાદ મંત્રીએ તરત જ હકીકત જાણવા ફરિયાદીને કર્મચારીને ફોન કરવા કહ્યું.

મંત્રીની હાજરીમાં થયેલી ફોન પરની વાતચીત દરમિયાન ડેટા એન્ટ્રી ઓપરેટરે કથિત રીતે ફરીથી રૂપિયા માંગ્યા હોવાનું ફરિયાદીએ જણાવ્યું. આ ઘટના બાદ ત્યાં હાજર અધિકારીઓ અને અન્ય લોકો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા. જોકે, આ આરોપોની સત્તાવાર પુષ્ટિ તપાસ પૂર્ણ થયા બાદ જ થશે.

મામલાની ગંભીરતા જોતા મંત્રીએ સંબંધિત અધિકારીઓને તાત્કાલિક નિષ્પક્ષ તપાસના આદેશ આપ્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે જો તપાસમાં લાંચ માંગવાનો આરોપ સાચો સાબિત થશે તો સંબંધિત કર્મચારી સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ ફરિયાદીને યોજનાનો લાભ નિયમો મુજબ મળે તેની પણ ખાતરી આપવામાં આવી છે.

હાલ વિભાગીય તપાસ શરૂ થઈ ચૂકી છે. બીજી તરફ, આરોપોનો સામનો કરી રહેલા ડેટા એન્ટ્રી ઓપરેટરની તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. તેથી સમગ્ર ઘટનાની વાસ્તવિક સ્થિતિ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે. ત્યાં સુધી આ મામલો બિહારમાં સરકારી યોજનાઓમાં પારદર્શિતા અને ભ્રષ્ટાચાર સામેની કાર્યવાહી અંગે ગંભીર પ્રશ્નો ઉભા કરી રહ્યો છે.

પેટ્રોલ ₹125 કેમ ન થયું? સરકારનો ખુલાસો : એથેનોલ બ્લેન્ડિંગથી આ રીતે મોટો ભાવ વધારો ટળ્યો ⛽

0

આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં ભારે ઉછાળો આવ્યા છતાં ભારતમાં પેટ્રોલના ભાવ પર નિયંત્રણ કેવી રીતે રહ્યું? પેટ્રોલિયમ મંત્રાલયના જવાબ અનુસાર , પેટ્રોલમાં 20 ટકા એથેનોલ મિશ્રણ (E20) કરવાના કારણે સામાન્ય ગ્રાહકોને મોટી રાહત મળી છે અને જો એથેનોલ બ્લેન્ડિંગ ન હોત તો પેટ્રોલના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હોત.

પેટ્રોલિયમ મંત્રાલયના દાવા અનુસાર, જો પેટ્રોલમાં એથેનોલ મિશ્રણ કરવામાં આવ્યું ન હોત અને કાચા તેલના ભાવ પ્રતિ બેરલ 135 ડોલર સુધી પહોંચી ગયા હોત, તો દિલ્હીમાં પેટ્રોલનો ભાવ લગભગ ₹125 પ્રતિ લીટર સુધી પહોંચી શક્યો હોત. એથેનોલ બ્લેન્ડિંગના કારણે ગ્રાહકોને પ્રતિ લીટર આશરે ₹30 સુધીની બચત થઈ હોવાનું મંત્રાલયે જણાવ્યું છે.

મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, સ્થાનિક સ્તરે નિર્ધારિત કિંમતે ખરીદવામાં આવેલા એથેનોલે પેટ્રોલના ભાવને સ્થિર રાખવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. દિલ્હીમાં E20 પેટ્રોલનો ભાવ ₹94.77 પ્રતિ લીટર રહ્યો હતો, જ્યારે આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિને જોતા એથેનોલ વગર આ ભાવ ઘણો વધારે હોઈ શક્યો હોત.

પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યા બાદ લગભગ 75 દિવસ સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. બાદમાં મે મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર ₹7.5નો વધારો કરવામાં આવ્યો હતો.

સરકારે એથેનોલ બ્લેન્ડિંગને લઈને ચાલી રહેલા વિવાદો પર સ્પષ્ટતા કરી છે. મંત્રાલયે કહ્યું કે ગરીબો માટેના અનાજ કે FCIના સબસિડીવાળા ચોખાનો ઉપયોગ એથેનોલ ઉત્પાદન માટે કરવામાં આવતો નથી. સરકારના જણાવ્યા મુજબ, આ કાર્યક્રમ માટે અલગ સ્ત્રોતોમાંથી કાચો માલ મેળવવામાં આવે છે.

ગુજરાતમાં પૂરનો ખતરો વધ્યો? 24 કલાકના વરસાદ બાદ આશરે આટલા ડેમ હાઇ એલર્ટ પર

0

રાજ્યમાં મેઘરાજાએ છેલ્લા 24 કલાક દરમિયાન એવો કહેર વરસાવ્યો છે કે અનેક શહેરો અને ગામોમાં જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદને કારણે રસ્તાઓ નદીમાં ફેરવાયા, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા અને નદીઓ-ડેમોમાં જળસ્તર ઝડપથી વધતાં વહીવટી તંત્ર સતત સતર્ક બન્યું છે. વરસાદની આ સ્થિતિ વચ્ચે રાજ્યના અનેક ડેમો ભરાવાની સપાટીએ પહોંચી ગયા હોવાથી પૂર જેવી પરિસ્થિતિ ઊભી થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ સુરત જિલ્લાના અંબિકા વિસ્તારમાં આશરે 24 ઇંચ નોંધાયો છે. ઉપરાંત ડોલવણમાં 16.23 ઇંચ, વસોમાં 16.38 ઇંચ, વાંસદામાં 16.26 ઇંચ અને ઉમરપાડામાં 14.69 ઇંચ વરસાદ વરસ્યો છે. નડિયાદ અને નેત્રંગમાં 13.43 ઇંચ, ધરમપુરમાં 11 ઇંચ તેમજ વઘઈમાં 10.94 ઇંચ વરસાદ નોંધાયો છે. પેટલાદ, સોજીત્રા અને બોરસદમાં 9 ઇંચથી વધુ જ્યારે ઓલપાડ, તારાપુર અને નવસારીમાં 8 ઇંચ જેટલો વરસાદ પડતાં અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. રાજ્યમાં સિઝનનો સરેરાશ વરસાદ હવે અંદાજે 61.50 ટકા સુધી પહોંચી ગયો છે.

ભારે વરસાદના કારણે રાજ્યના જળાશયોમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં કુલ જળસંગ્રહ આશરે 74 ટકા સુધી પહોંચ્યો છે. રાજ્યના 14 ડેમ સંપૂર્ણ ક્ષમતાથી ભરાઈ ગયા છે, જ્યારે 22 ડેમ ‘હાઇ એલર્ટ’ અને 6 ડેમ ‘એલર્ટ’ પર રાખવામાં આવ્યા છે. સતત વરસાદને ધ્યાનમાં રાખીને કેટલાક ડેમોમાંથી નિયંત્રિત રીતે પાણી છોડવાની સ્થિતિ પણ સર્જાઈ શકે છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ખાસ સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે.

તાજેતરના હવામાન બુલેટિન મુજબ રાજ્યના અનેક જિલ્લાઓમાં આજે પણ ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તંત્રે લોકોને નદી-નાળા, કાંઠાવાળા વિસ્તારો અને પાણી ભરાયેલા રસ્તાઓથી દૂર રહેવા તેમજ સ્થાનિક વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે.

વડાપ્રધાન મોદીએ મોટુ મન રાખીને સોશ્યલ મીડિયામાં બીભત્સ ભાષાનો શબ્દ પ્રયોગ કરનાર યુવાઓને માફ કરી દીધા

0

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જંતર-મંતર ખાતે થયેલા વિરોધ પ્રદર્શન બાદ સોશિયલ મીડિયા પર એક ભાવુક વીડિયો સંદેશ શેર કરીને દેશભરમાં નવી ચર્ચા જગાવી છે. વિરોધ દરમિયાન તેમની અને તેમના સ્વર્ગસ્થ માતા વિશે અપમાનજનક ભાષાનો ઉપયોગ કરનાર યુવાનોને નિશાન બનાવવાના બદલે તેમણે તેમને માફ કરવાની વાત કહી. સાથે જ સમાજને અપીલ કરી કે આવા યુવાનોને સજા આપવાના બદલે યોગ્ય માર્ગદર્શન આપવું જોઈએ.

શુક્રવારે મોડી રાત્રે ઇન્સ્ટાગ્રામ પર શેર કરાયેલા વીડિયોમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું કે જંતર-મંતર પર જે બન્યું તે સમગ્ર દેશ અને દુનિયાએ જોયું. કેટલાક યુવાનોએ એવી ભાષાનો ઉપયોગ કર્યો જે કોઈ પણ સંસ્કારી સમાજને શોભે તેવી નથી. તેમણે કહ્યું કે તેમની વ્યક્તિગત રીતે ટીકા થઈ અને તેમના સ્વર્ગસ્થ માતાનું પણ અપમાન કરવામાં આવ્યું, છતાં તેઓ આ ઘટનાને બદલો લેવાની દૃષ્ટિએ નથી જોતા.

મોદીએ કહ્યું કે યુવાની એ શીખવાની અને પોતાની ભૂલો સુધારવાની વય છે. યુવાનો ભૂલ કરે તો સમાજે તેમને દૂર ધકેલવાના બદલે સાચા માર્ગે દોરવાની જવાબદારી નિભાવવી જોઈએ. તેમણે ભારપૂર્વક કહ્યું કે કોર્ટના કેસો, સજા અથવા સામાજિક બહિષ્કારથી સમસ્યાનો ઉકેલ આવતો નથી.

તેમણે એક ઉદાહરણ આપતાં કહ્યું કે જેમ જીભ દાંત વચ્ચે આવી જાય ત્યારે કોઈ પોતાના દાંત તોડી નાખતું નથી, કારણ કે બંને શરીરના જ અંગો છે. તેવી જ રીતે દેશના યુવાનો પણ આપણા પોતાના છે અને તેમને પ્રેમ, સમજણ અને માર્ગદર્શનની જરૂર છે.

અંતમાં પ્રધાનમંત્રીએ યુવાનોને દેશના વિકાસમાં ભાગીદાર બનવા, પોતાની ભૂલોમાંથી શીખવા અને પોતાના સપનાઓ સાકાર કરવા અપીલ કરી. તેમણે કહ્યું કે તેમનું સમગ્ર જીવન દેશના યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે સમર્પિત છે અને ગાળો કે દ્વેષથી નહીં, પરંતુ સંવાદ અને સકારાત્મક વિચારોથી જ દેશ આગળ વધી શકે છે.

ચીન-પાકિસ્તાનની મુશ્કેલી વધારશે ભારતનું આ ભારતની આ ઘાતક ટેક્નોલોજી, જાણો કેમ છે ખાસ

0

આવનારા યુદ્ધોમાં માત્ર લડાકુ વિમાનો કે મિસાઇલો જ નહીં, પરંતુ ડ્રોન ટેક્નોલોજી પણ નિર્ણાયક ભૂમિકા ભજવશે. આ બદલાતી યુદ્ધની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ભારતનું સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) હવે અદ્યતન ‘ડ્રોન સ્વોર્મ’ ટેક્નોલોજી વિકસાવવા તરફ આગળ વધી રહ્યું છે. આ પ્રોજેક્ટ સફળ રહ્યો તો ભારતીય સશસ્ત્ર દળોને એવી સ્વદેશી ક્ષમતા મળશે, જે દુશ્મનના ઇલેક્ટ્રોનિક જામિંગ વચ્ચે પણ અસરકારક રીતે કાર્ય કરી શકશે.

DRDOએ તેની ટેક્નોલોજી ડેવલપમેન્ટ ફંડ (TDF) યોજના હેઠળ સ્ટાર્ટઅપ્સ અને MSME કંપનીઓને ‘Development of Close Formation Flying of Multiple Drones’ પ્રોજેક્ટ માટે પ્રસ્તાવો આમંત્રિત કર્યા છે. આ યોજનાનો મુખ્ય હેતુ સ્વદેશી સંરક્ષણ ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવાનો અને ખાનગી ક્ષેત્રને અદ્યતન ડ્રોન વિકાસમાં જોડવાનો છે.

આ પ્રોજેક્ટ હેઠળ 50 ડ્રોનનું સ્વોર્મ તૈયાર કરવામાં આવશે. તેમાં એક ‘માસ્ટર ડ્રોન’ બાકીના 49 ડ્રોનનું સંચાલન કરશે. તમામ ડ્રોન માત્ર 50 સેન્ટીમીટર જેટલા અંતરે અત્યંત ચોકસાઈથી ઉડાન ભરશે અને પોતાની સ્થિતિમાં મહત્તમ 5 સેન્ટીમીટરની જ ભૂલ રહેશે. સાથે જ તેમાં એન્ટી-ઇલેક્ટ્રોનિક જામિંગ કમ્યુનિકેશન સિસ્ટમ હશે, જેથી દુશ્મન માટે તેને નિષ્ક્રિય બનાવવું મુશ્કેલ બનશે.

આ ડ્રોન 5,000 મીટરની ઊંચાઈ સુધીના પર્વતીય વિસ્તારોમાં કાર્ય કરી શકશે અને 20 મીટર પ્રતિ સેકન્ડની તેજ હવામાં પણ સ્થિર રહેશે. દરેક ડ્રોન લગભગ 2 કિલોગ્રામ સુધીનો પેલોડ લઈ શકશે, જેમાં કેમેરા, સેન્સર અથવા ઇલેક્ટ્રોનિક વોરફેર સાધનો સામેલ થઈ શકે છે. સિસ્ટમને માત્ર પાંચ મિનિટમાં કાર્યરત કરી શકાય તેવી અને બેટરીને આશરે 30 મિનિટની ફ્લાઇટ તથા ઝડપી રિચાર્જિંગ ક્ષમતા ધરાવતી બનાવવાનો લક્ષ્ય છે.

DRDOએ સ્પષ્ટ કર્યું છે કે સમગ્ર સિસ્ટમમાં ઓછામાં ઓછા 70 ટકા સ્વદેશી ઘટકોનો ઉપયોગ કરવો ફરજિયાત રહેશે. પસંદ થયેલી કંપનીએ 12 મહિનામાં પ્રોટોટાઇપ તૈયાર કરવાનો રહેશે, ત્યારબાદ તેના પરીક્ષણો હાથ ધરાશે. આ પહેલ માત્ર ભારતીય સેનાની આગામી પેઢીની ડ્રોન ક્ષમતા મજબૂત બનાવશે એટલું જ નહીં, પરંતુ ‘મેક ઇન ઇન્ડિયા’ અને આત્મનિર્ભર સંરક્ષણ ઉદ્યોગને પણ નવી ગતિ આપશે.

દિલ્હી રમખાણ કેસમાં પૂર્વ AAP કાઉન્સિલર તાહિર હુસૈન સહિત 5ને આજીવન કેદ, IB અધિકારી હત્યા કેસમાં દોષિત

0

દિલ્હીમાં 2020 દરમિયાન થયેલા રમખાણો દરમિયાન ઇન્ટેલિજન્સ બ્યુરો (IB)ના અધિકારી અંકિત શર્માની હત્યા કેસમાં કોર્ટે પૂર્વ AAP કાઉન્સિલર તાહિર હુસૈન સહિત પાંચ દોષિતોને આજીવન કેદની સજા ફટકારી છે. તમામ આરોપીઓને અગાઉ હત્યા, ગુનાહિત ષડયંત્ર અને રમખાણો સંબંધિત વિવિધ કલમો હેઠળ દોષિત જાહેર કરવામાં આવ્યા હતા.

અંકિત શર્માનો મૃતદેહ ઉત્તર-પૂર્વ દિલ્હીના ચાંદ બાગ વિસ્તારમાંથી મળ્યો હતો. આ કેસ દિલ્હી રમખાણોના સૌથી ચર્ચિત કેસોમાંનો એક માનવામાં આવે છે. કોર્ટના આ ચુકાદાને રમખાણ કેસમાં મહત્વપૂર્ણ નિર્ણય તરીકે જોવામાં આવી રહ્યો છે.

એમ્બ્યુલન્સ નહીં… આ વખતે વંદે ભારત બની જીવનદાતા, જાણો શું હતો આ ખાસ મિશન

દેશના આરોગ્ય અને રેલવે ઇતિહાસમાં એક નવો અધ્યાય ઉમેરાયો છે. પ્રથમ વખત ભારતીય રેલવેએ વંદે ભારત એક્સપ્રેસ મારફતે સુરતથી અમદાવાદ સુધી જીવંત હૃદય (લાઈવ હાર્ટ) સફળતાપૂર્વક પહોંચાડીને એક દર્દીને નવજીવન આપવાના અભિયાનમાં મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. સામાન્ય રીતે આવા અંગોના પરિવહન માટે એર એમ્બ્યુલન્સનો ઉપયોગ થતો હોય છે, પરંતુ આ વખતે સુપરફાસ્ટ ટ્રેન અને ગ્રીન કોરિડોરના સંકલનથી સમય સામેની આ જંગ જીતવામાં આવી હતી.

મુંબઈ સેન્ટ્રલ–ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસ (ટ્રેન નં. 20901) દ્વારા સુરતથી લાઈવ હાર્ટ અમદાવાદ લાવવામાં આવ્યું હતું. આ હૃદયનું પ્રત્યારોપણ અમદાવાદ સ્થિત યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં દાખલ દર્દીમાં કરવામાં આવવાનું હતું. હૃદય જેવા મહત્વપૂર્ણ અંગને નિર્ધારિત સમયમર્યાદામાં પહોંચાડવું અત્યંત જરૂરી હોવાથી સમગ્ર કામગીરી મિનિટે-મિનિટના આયોજન સાથે હાથ ધરવામાં આવી હતી.

ટ્રેન અમદાવાદ રેલવે સ્ટેશન પર પહોંચતા જ પ્લેટફોર્મ નંબર 1થી હોસ્પિટલ સુધી રેલવે સુરક્ષા બળ (RPF) અને ગુજરાત પોલીસ દ્વારા વિશેષ ગ્રીન કોરિડોર તૈયાર કરવામાં આવ્યો હતો. પરિણામે ટ્રાફિકમાં કોઈ વિલંબ વિના લાઈવ હાર્ટને સીધું હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવ્યું.
આ સમગ્ર મિશનની સફળતા પાછળ ભારતીય રેલવે, તબીબોની ટીમ, અંગ પ્રત્યારોપણ કો-ઓર્ડિનેટર્સ, RPF અને ગુજરાત પોલીસ વચ્ચેનું ઉત્તમ સંકલન મુખ્ય કારણ બન્યું. આ ઘટના એ સાબિત કરે છે કે ભારતીય રેલવે હવે માત્ર મુસાફરોની સફર પૂરતી મર્યાદિત નથી, પરંતુ કટોકટીની તબીબી સેવાઓમાં પણ જીવન બચાવવાની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.

રાજ્યમાં મેઘરાજાનો પ્રચંડ પ્રહાર : ઉમરપાડામાં 10 ઇંચ વરસાદ, સુરતમાં આર્મીની ટીમો સ્ટેન્ડબાય પર

રાજ્યના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. સુરત જિલ્લાના ઉમરપાડામાં સૌથી વધુ 10 ઇંચ વરસાદ નોંધાતા નદી-નાળા છલકાયા છે, જ્યારે અનેક શહેરોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને TAT અને GPSC સહિત કેટલીક સરકારી પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે. સુરતમાં બચાવ અને રાહત કામગીરી માટે આર્મીની બે ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે, જ્યારે દરિયાકાંઠે 3 નંબરનું ચેતવણી સિગ્નલ ફરકાવવામાં આવ્યું છે.

હવામાન વિભાગના નાઉકાસ્ટ અનુસાર સાંજે 4થી 7 વાગ્યા સુધી સુરત, નવસારી, વલસાડ, અમદાવાદ, વડોદરા, ભરૂચ સહિત કુલ 17 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉપરાંત અનેક જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ પણ અમલમાં છે. ભારે વરસાદ અને તેજ પવનની શક્યતાને પગલે લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

સુરતમાં ભેદવાડ ખાડી ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. નવસારીમાં વરસાદ દરમિયાન કરંટ લાગવાથી ત્રણ લોકોના મોત થયાના અહેવાલો છે, જ્યારે છોટાઉદેપુર જિલ્લામાં અશ્વિન નદી અને પૂરગ્રસ્ત વિસ્તારમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. અમદાવાદ, વડોદરા અને ભરૂચમાં પણ ભારે વરસાદને કારણે અનેક માર્ગો પર પાણી ભરાઈ જતા વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે.

હવામાન વિભાગે 2 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી યથાવત રાખી છે. સુરત જિલ્લામાં 1 ઓગસ્ટે તમામ શાળા-કોલેજો અને આંગણવાડીઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને નાગરિકોને સતર્ક રહેવાની અપીલ કરવામાં આવી છે.