Home Blog Page 2

આ સૂર્ય આકાશમાં નથી… ગુજરાતની લેબમાં છે! ભારતે શરૂ કર્યો મોટો પ્રયોગ

ચાંદ-તારા તોડવાની વાતો તો તમે ઘણી સાંભળી હશે, પરંતુ હવે ગુજરાતમાં વૈજ્ઞાનિકોએ જે ટારગેટ બનાવ્યું છે તે સાંભળીને તમે પણ ચોંકી જશો—સૂર્ય! ગાંધીનગરમાં બની રહેલા આ અદ્ભુત ફ્યુઝન પ્રયોગને ‘આર્ટિફિશિયલ સન’ સાથે સરખાવવામાં આવી રહ્યું છે. સવાલ એ છે કે ધરતી પર સૂર્ય જેવી ગરમી ઊભી કરીને આખરે ભારત મેળવવા શું માગે છે?

ગુજરાતના ગાંધીનગર સ્થિત ઈન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝ્મા રિસર્ચ (IPR)માં આ દિશામાં ભારતનું મહત્વનું સંશોધન ચાલી રહ્યું છે. અહીંના SST-1 ટોકામેક સાથે નવી 82.6 ગીગાહર્ટ્ઝ અને 400 કિલોવોટ ક્ષમતાની ECRH સિસ્ટમ જોડવામાં આવી છે. આ ટેક્નોલોજી પ્લાઝ્માને ગરમ કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

SST-1 એટલે Steady State Superconducting Tokamak-1. તે ભારતની ફ્યુઝન રિસર્ચ મશીન છે, જેનો આકાર ડોનટ જેવો છે. ટોકામેકની અંદર ગેસને અત્યંત ઊર્જાવાન સ્થિતિમાં લઈ જઈ પ્લાઝ્મા બનાવવામાં આવે છે. ત્યારબાદ શક્તિશાળી ચુંબકીય ક્ષેત્રોની મદદથી આ પ્લાઝ્માને નિયંત્રિત કરવામાં આવે છે.

ગાયરોટ્રોન શું છે?

આ સમગ્ર પ્રક્રિયામાં ગાયરોટ્રોન મહત્વનું સાધન છે. તે ખૂબ જ ઊંચી શક્તિ ધરાવતી માઇક્રોવેવ ઊર્જા ઉત્પન્ન કરે છે. IPRના જણાવ્યા મુજબ 82.6 GHz ECRH સિસ્ટમ SST-1ના પ્લાઝ્માને ગરમ કરવા માટે ઉપયોગમાં લેવાય છે અને તે 400 કિલોવોટ સુધીની RF પાવર આપી શકે છે.

સરળ ભાષામાં કહીએ તો, ગાયરોટ્રોન પ્લાઝ્માને જરૂરી ઊર્જા પહોંચાડવામાં મદદ કરે છે. ફ્યુઝન સંશોધનમાં આ પ્રક્રિયા ખૂબ મહત્વની છે, કારણ કે ઊંચા તાપમાન સુધી પહોંચાડેલા પ્લાઝ્માને સ્થિર રાખવું સૌથી મોટો પડકાર છે.

સૂર્ય કરતાં વધુ તાપમાનની વાત શા માટે થાય છે?

સૂર્યના કેન્દ્રનું તાપમાન આશરે 1.5 કરોડ ડિગ્રી સેલ્સિયસ માનવામાં આવે છે. પૃથ્વી પર ફ્યુઝન હાંસલ કરવા માટે સૂર્ય કરતાં પણ વધુ તાપમાનની જરૂર પડે છે, કારણ કે સૂર્યની જેમ વિશાળ ગુરુત્વાકર્ષણ શક્તિ અહીં ઉપલબ્ધ નથી. તેથી ટોકામેકમાં પ્લાઝ્માને ચુંબકીય ક્ષેત્રોથી કાબૂમાં રાખવામાં આવે છે.

અહીં “આર્ટિફિશિયલ સન”નો અર્થ ખરેખર સૂર્ય બનાવવો નથી. તેનો અર્થ એ છે કે સૂર્ય અને તારાઓમાં થતી ન્યૂક્લિયર ફ્યુઝન પ્રક્રિયાને ધરતી પર નિયંત્રિત પરિસ્થિતિમાં સમજવા અને વિકસાવવાનો પ્રયાસ.

ભવિષ્યમાં શું ફાયદો થઈ શકે?

ફ્યુઝન ટેક્નોલોજી સફળતાપૂર્વક વિકસે તો ભવિષ્યમાં મોટા પાયે ઊર્જા ઉત્પાદન માટે નવી સંભાવનાઓ ઊભી થઈ શકે છે. જોકે હાલમાં SST-1 વીજળી બનાવતો પાવર પ્લાન્ટ નથી. તે ફ્યુઝન સંશોધન માટેનું પ્લેટફોર્મ છે, જ્યાં વૈજ્ઞાનિકો અત્યંત ગરમ પ્લાઝ્માને ગરમ, નિયંત્રિત અને લાંબા સમય સુધી સ્થિર રાખવાની ટેક્નોલોજી પર કામ કરી રહ્યા છે.

ગુજરાતમાં ચાલી રહેલું આ સંશોધન ભારતને વૈશ્વિક ફ્યુઝન એનર્જી રિસર્ચમાં વધુ મજબૂત સ્થાન અપાવવાની દિશામાં મહત્વનું પગલું માનવામાં આવે છે.

VIDEO:₹3,300 કરોડથી વધુની સંપત્તિ ધરાવતા ભાજપના ધારાસભ્ય કેમ બન્યા ભિખારી?

0

નાણા વગરનો નાથિયો નાણે નાથાલાલ કહેવત તો ઘણા લોકો એ સાંભળી હશે પણ પરાગ શાહે હક્કઈકટમાં તે વાત લોકોના નજરો સામે દર્શાવી. ₹3,300 કરોડથી વધુની સંપત્તિ ધરાવતા ભાજપના ધારાસભ્ય જો મુંબઈના રસ્તા પર ભિખારીના વેશમાં હાથ ફેલાવતા જોવા મળે તો વાત ચોંકાવનારી છે. પરંતુ ઘાટકોપર પૂર્વના ધારાસભ્ય પરાગ શાહે આ રૂપ કોઈ રાજકીય પ્રચાર માટે ધારણ કર્યું નહોતું. જૈન ધર્મગુરુ રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજની શિક્ષાઓથી પ્રેરાઈ તેમણે પોતાની ઓળખ છુપાવીને સામાન્ય જરૂરિયાતમંદ વ્યક્તિની સ્થિતિ અનુભવવાનો અનોખો પ્રયોગ કર્યો હતો.

મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં પરાગ શાહનો ભિખારીના વેશમાં ફરતો વીડિયો સામે આવ્યો છે. શાહે મેકઅપ અને વેશભૂષા બદલીને ઘાટકોપર રેલવે સ્ટેશનની આસપાસ સામાન્ય લોકો વચ્ચે સમય પસાર કર્યો હતો. આ દરમિયાન ઘણા લોકો તેમને ઓળખી શક્યા નહોતા.

ભિખારીના વેશમાં શાહ એક એવા ફૂડ ડિસ્ટ્રિબ્યુશન પોઇન્ટ પર પણ પહોંચ્યા, જ્યાં લોકોને મફતમાં ભોજન આપવામાં આવતું હતું. તેઓ ભોજન વિતરણ પૂરું થવાના સમયની આસપાસ ત્યાં પહોંચ્યા અને ખાવા માટે કંઈ બચ્યું છે કે કેમ તે પૂછ્યું. ત્યાંના એક કર્મચારીએ તેમને ઓળખ્યા વગર દાળ, ભાત અને પાણીની બોટલ આપી.

ત્યારબાદ શાહ એક સમોસાવાળા પાસે ગયા અને તેમની પાસે ખાવા માટે કંઈ જ નથી એવું કહ્યું. સમોસાવાળાએ તેમને પાંચ સમોસા આપી દીધા. આ અનુભવોને કારણે શાહે પૈસાની અછત વચ્ચે જીવતા લોકો અંગે પોતાની અગાઉની માન્યતા પર ફરી વિચાર કર્યો.

શાહે કહ્યું કે પહેલાં તેઓ માનતા હતા કે ગરીબ લોકો માત્ર બીજાઓ પાસે મદદ માગે છે. પરંતુ આ પ્રયોગ દરમિયાન તેમને સમજાયું કે જરૂરિયાતમંદ લોકો એકબીજાની મદદ પણ કરે છે. રસ્તા પરના આ અનુભવે તેમને ગરીબી સાથે જોડાયેલી માનવતા અને પરસ્પર સહકારને અલગ રીતે સમજવામાં મદદ કરી.

વીડિયોમાં શાહ રસ્તા કિનારે બેઠેલા અને લોકો પાસેથી મદદ લેતા પણ નજરે પડે છે. કેટલાક લોકોએ તેમની મદદ કરી, જ્યારે કેટલાક લોકોએ અવગણના કરી હતી. શાહે આ અનુભવ દ્વારા ગરીબી, ઉપેક્ષા અને જરૂરિયાતમંદ લોકો પ્રત્યે સમાજના વ્યવહારને નજીકથી સમજવાનો પ્રયાસ કર્યો હતો.

2024ની વિધાનસભા ચૂંટણીના સોગંદનામા મુજબ પરાગ શાહ પાસે ₹3,383 કરોડથી વધુની સંપત્તિ છે. તેઓ રિયલ એસ્ટેટના વેપારી છે.

Ambani Ganesh Chaturthi 2026: રાધિકા અંબાણીની ગણેશ વંદના બની ચર્ચામાં, સલમાન ખાન-આલિયા ભટ્ટ સહિત અનેક સેલેબ્સની ધમાકેદાર હાજરી

અંબાણી પરિવારના એન્ટિલિયામાં ગણેશોત્સવની ભવ્યતા વચ્ચે એક દૃશ્યએ સૌનું ખાસ ધ્યાન ખેંચ્યું હતું. કાલે યોજાયેલી ગણેશ ચતુર્થીની ઉજવણી દરમિયાન રાધિકા મર્ચન્ટ અંબાણીએ ભગવાન ગણેશને સમર્પિત ભરતનાટ્યમ રજૂ કરીને મહેમાનોના દિલ જીતી લીધા હતા. પરંપરાગત ભારતીય કળા અને ભવ્ય ફેશનના સંગમરૂપ આ પરફોર્મન્સની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર પણ ચર્ચામાં રહ્યા હતા.

રાધિકા મર્ચન્ટ પ્રશિક્ષિત ભરતનાટ્યમ નૃત્યાંગના છે. ગણેશોત્સવના ખાસ અવસરે તેમણે ‘એકદંતાય વક્રતુણ્ડાય’ ભક્તિગીત પર ગણેશ વંદના રજૂ કરી હતી. તેમની આ રજૂઆતમાં શાસ્ત્રીય નૃત્યની મુદ્રાઓ અને ભાવભંગિમા જોવા મળી હતી, જેને દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો.

પરફોર્મન્સ માટે રાધિકાએ ડિઝાઇનર મનીષ મલ્હોત્રાનું કસ્ટમ ક્રિએશન પહેર્યું હતું. આ આઉટફિટ હાથથી વણાયેલા કાંજીવરમ સિલ્કથી તૈયાર કરવામાં આવ્યું હતું. જ્વેલ-પિંક રંગના કાપડ પર ગોલ્ડ ઝરીનું કામ કરવામાં આવ્યું હતું, જ્યારે એન્ટિક ગોલ્ડ મરોડી એમ્બ્રોઇડરી અને જરદોઝી વર્કથી આ લુકને વધુ શાહી બનાવવામાં આવ્યો હતો. નૃત્ય દરમિયાન સરળ મૂવમેન્ટ રહે તે માટે આઉટફિટને પ્રી-સ્ટિચ્ડ સ્કર્ટ સિલુએટમાં તૈયાર કરવામાં આવ્યો હતો.

આ દરમિયાન એન્ટિલિયામાં ‘એન્ટિલિયા ચા રાજા’નું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. એન્ટિલિયાને ગલગોટાના ફૂલો, લાઇટિંગ અને ઉત્સવની સજાવટથી શણગારવામાં આવ્યું હતું. નીતા અંબાણી, મુકેશ અંબાણી, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ સહિત પરિવારના સભ્યો ગણપતિ બાપ્પાના સ્વાગતમાં જોડાયા હતા.

ગણેશોત્સવમાં બોલિવૂડની અનેક હસ્તીઓ પણ પહોંચી હતી. સલમાન ખાન, આલિયા ભટ્ટ-રણબીર કપૂર, કેટરિના કૈફ-વિકી કૌશલ, કિયારા અડવાણી-સિદ્ધાર્થ મલ્હોત્રા, કરીના કપૂર-સૈફ અલી ખાન, કાજોલ, જાહ્નવી કપૂર, માધુરી દીક્ષિત અને રેખા સહિત અનેક સેલેબ્સે બાપ્પાના દર્શન કર્યા હતા.

આ રીતે અંબાણી પરિવારની સપ્ટેમ્બર 2026ની ગણેશોત્સવ ઉજવણીમાં ભવ્ય સજાવટ અને સેલેબ્સની હાજરીની સાથે રાધિકાનું શાસ્ત્રીય નૃત્ય ખાસ આકર્ષણ બન્યું હતું.

₹20 હજારથી ઓછી કિંમતમાં 5 બેસ્ટ 5G સ્માર્ટફોન: 50MP કેમેરા, 7,000mAh બેટરી અને 144Hz ડિસ્પ્લે

₹20,000ના બજેટમાં નવો 5G સ્માર્ટફોન ખરીદવાનો વિચાર હોય તો વિકલ્પોની કમી નથી. ખાસ વાત એ છે કે આ રેન્જમાં હવે માત્ર 5G કનેક્ટિવિટી જ નહીં, પરંતુ AMOLED ડિસ્પ્લે, 120Hzથી 144Hz રિફ્રેશ રેટ, 50MP કેમેરા, મોટી બેટરી અને પાવરફુલ પ્રોસેસર જેવા ફીચર્સ પણ મળી રહ્યા છે. એટલે ફોન પસંદ કરતી વખતે માત્ર કિંમત નહીં, પરંતુ કેમેરા, બેટરી, પરફોર્મન્સ અને સોફ્ટવેરમાંથી તમારી જરૂરિયાત સાથે સૌથી વધુ શું મેળ ખાય છે તે જોવું મહત્વનું બની જાય છે. અહીં ₹20,000થી ઓછી કિંમતમાં મળતા પાંચ ચર્ચિત 5G સ્માર્ટફોનની ખાસિયતો જાણીએ.

CMF Phone 2 Pro
લગભગ ₹16,999ની કિંમત ધરાવતો CMF Phone 2 Pro 6.77 ઇંચના Full HD+ AMOLED ડિસ્પ્લે સાથે આવે છે. તેમાં 120Hz રિફ્રેશ રેટ મળે છે. MediaTek Dimensity 7300 Pro પ્રોસેસર, 8GB RAM અને 128GB સ્ટોરેજ સાથે ફોન રોજિંદા ઉપયોગ તથા મલ્ટિટાસ્કિંગ માટે સારો વિકલ્પ બની શકે છે. કેમેરા વિભાગમાં 50MP મુખ્ય કેમેરા, 50MP ટેલિફોટો અને 8MP અલ્ટ્રાવાઇડ કેમેરા આપવામાં આવ્યા છે. સેલ્ફી માટે 16MP કેમેરા મળે છે. ફોનમાં 5,000mAh બેટરી છે અને તેનું ક્લીન તથા સરળ સોફ્ટવેર અનુભવ તેની ખાસિયત છે.

Motorola Moto G96 5G
લગભગ ₹18,499ની કિંમત ધરાવતો Moto G96 6.67 ઇંચના Full HD+ કર્વ્ડ pOLED ડિસ્પ્લે સાથે આવે છે, જેમાં 144Hz રિફ્રેશ રેટ છે. Snapdragon 7s Gen 2 પ્રોસેસર સાથે 8GB RAM અને 128GB સ્ટોરેજ મળે છે. IP68 રેટિંગ ફોનને ધૂળ અને પાણી સામે સુરક્ષા આપે છે. ફોટોગ્રાફી માટે 50MP મુખ્ય અને 8MP અલ્ટ્રાવાઇડ કેમેરા છે, જ્યારે ફ્રન્ટમાં 32MP કેમેરા આપવામાં આવ્યો છે. 5,500mAh બેટરી અને ક્લીન Android અનુભવને કારણે ફોન ઓલરાઉન્ડર વિકલ્પ બની શકે છે.

Realme P4x 5G
લગભગ ₹18,999ની કિંમત ધરાવતા આ ફોનમાં 6.72 ઇંચનું ડિસ્પ્લે અને 144Hz રિફ્રેશ રેટ આપવામાં આવ્યો છે. MediaTek Dimensity 7400 Ultra પ્રોસેસર સાથે 6GB RAM અને 128GB સ્ટોરેજ મળે છે. રોજિંદા કામ, સોશિયલ મીડિયા, વીડિયો સ્ટ્રીમિંગ અને ગેમિંગ માટે આ કોમ્બિનેશન ઉપયોગી છે. તેની સૌથી મોટી ખાસિયત 7,000mAhની મોટી બેટરી છે, જે હળવા ઉપયોગમાં બે દિવસ સુધી ચાલી શકે છે. પાછળ 50MP મુખ્ય અને 2MP સેકન્ડરી કેમેરા છે, જ્યારે ફ્રન્ટમાં 8MP કેમેરા છે. વધુ બેટરી બેકઅપ ઇચ્છતા યુઝર્સ માટે આ વિકલ્પ ખાસ બની શકે છે.

iQOO Z10R 5G
લગભગ ₹18,729ની કિંમત ધરાવતા iQOO Z10Rમાં 6.77 ઇંચનું Full HD+ AMOLED ડિસ્પ્લે અને 120Hz રિફ્રેશ રેટ મળે છે. MediaTek Dimensity 7400 પ્રોસેસર, 8GB RAM અને 128GB સ્ટોરેજ આપવામાં આવ્યા છે. ફોનની ડિઝાઇન સ્લિમ છે અને IP69 રેટિંગ મળે છે. કેમેરા સેટઅપમાં 50MP મુખ્ય અને 2MP સેકન્ડરી કેમેરા છે, જ્યારે સેલ્ફી માટે 32MP કેમેરા મળે છે. 5,700mAh બેટરી તેને લાંબા ઉપયોગ માટે સારો વિકલ્પ બનાવે છે. જોકે ગેમિંગ દરમિયાન વધુ ગરમી થાય તો પરફોર્મન્સ પર અસર પડી શકે છે.

POCO X7 5G
લગભગ ₹17,999ની કિંમત ધરાવતા POCO X7માં 6.67 ઇંચ AMOLED ડિસ્પ્લે, હાઇ રિફ્રેશ રેટ અને સારી બ્રાઇટનેસ મળે છે. MediaTek Dimensity 7300 Ultra પ્રોસેસર સાથે 8GB RAM અને 128GB સ્ટોરેજનો વિકલ્પ છે. ફોનમાં IP68 રેટિંગ પણ મળે છે. ફોટોગ્રાફી માટે 50MP મુખ્ય અને 8MP અલ્ટ્રાવાઇડ કેમેરા છે, જ્યારે ફ્રન્ટમાં 20MP કેમેરા આપવામાં આવ્યો છે. 5,500mAh બેટરી રોજિંદા ઉપયોગ માટે પૂરતી છે. પરફોર્મન્સ અને ડિસ્પ્લે તેની મુખ્ય ખાસિયતો છે અને તેમાં અનેક AI ફીચર્સ પણ આપવામાં આવે છે.

આ પાંચેય ફોનમાં અલગ-અલગ મજબૂતી જોવા મળે છે. ક્લીન સોફ્ટવેર માટે CMF Phone 2 Pro, પ્રીમિયમ ડિઝાઇન અને 144Hz ડિસ્પ્લે માટે Moto G96, મોટી બેટરી માટે Realme P4x, AMOLED ડિસ્પ્લે અને બેટરી માટે iQOO Z10R અને પરફોર્મન્સ તથા ડિસ્પ્લે માટે POCO X7 પસંદ કરી શકાય છે.

15 દિવસ પહેલાં યુવકને બચાવ્યો, હવે પોતે જ હુમલાનો શિકાર! નવસારીમાં પોલીસકર્મી પર હુમલો

નવસારીમાં એક પોલીસકર્મી પર હુમલાની ઘટનાએ ચકચાર જગાવી છે. આશરે 15 દિવસ પહેલાં રસ્તા પર ચાલી રહેલી મારામારીમાં વચ્ચે પડી એક યુવકને બચાવનાર જવાનને જ અદાવતનો ભોગ બનવું પડ્યું હોવાનો આક્ષેપ છે. સુરત સિટી પોલીસમાં લોકરક્ષક તરીકે ફરજ બજાવતા વિશાલ ખાન પઠાણને રસ્તામાં અટકાવી તલવાર અને ડંડાથી હુમલો કરવામાં આવ્યો હતો. માથામાં ગંભીર ઈજા થતાં તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.

મળતી માહિતી પ્રમાણે, 31 ઓગસ્ટના રોજ કારમાં સવાર 6થી 7 શખ્સો એક યુવકને રસ્તા પર માર મારી રહ્યા હતા. એ સમયે ત્યાંથી પસાર થઈ રહેલા વિશાલે દરમિયાનગીરી કરીને યુવકને હુમલાખોરોથી છોડાવ્યો હતો. આ ઘટનાને લઈને આરોપીઓમાં મનદુઃખ ઊભું થયું હતું અને ત્યારબાદ પોલીસકર્મીને ધમકાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે.

આ દરમિયાન અનમોલ શર્મા નામના શખ્સે વિશાલને માર મારવાની ધમકી આપી હતી. આ અંગે પૂછપરછ કરવા જતા વાત વધુ ઉગ્ર બની હતી. બાદમાં ગાળાગાળી કરીને પોલીસકર્મીને ઇટાળવા ચોકડી પાસે બોલાવવામાં આવ્યા હતા. ત્યાં બંને તરફથી ધક્કામુક્કી થતાં આસપાસના લોકોએ વચ્ચે પડી મામલો અટકાવ્યો હતો.

પરંતુ વિવાદ અહીં અટક્યો નહોતો. પોલીસકર્મી વિશાલ પોતાના મિત્રો સાથે ફરિયાદ માટે પોલીસ સ્ટેશન તરફ જઈ રહ્યો હતો ત્યારે કાળા રંગની સ્કોર્પિયો કારમાં આવેલા શખ્સોએ તેમનો પીછો કર્યો અને રસ્તા વચ્ચે કાર આડી મૂકી તેમનો માર્ગ રોક્યા બાદ અનમોલે તલવાર કાઢી હતી, જ્યારે વિજય ભરવાડે ડંડાથી હુમલો કર્યો હોવાની ફરિયાદમાં જણાવાયું છે.

હુમલા દરમિયાન વિશાલ નીચે પડી ગયો હતો. તે સમયે વિજય ભરવાડે તેના માથા પર ડંડો મારતાં તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો અને લોહીલુહાણ થઈ ગયો હતો. સ્થિતિ જોઈ તેના મિત્રો તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા.

હાલ ઇજાગ્રસ્ત પોલીસકર્મીનું નિવેદન લેવામાં આવી રહ્યું છે અને સમગ્ર મામલે ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે. હુમલાની ઘટના પાછળની અદાવત અને સંડોવાયેલા શખ્સોની ભૂમિકા અંગે વધુ વિગતો પોલીસ કાર્યવાહી બાદ સામે આવશે.

Apple iOS 27 Release : એક અપડેટ અને iPhoneમાં આટલા મોટા ફેરફાર

Appleનો નવો iOS 27 અપડેટ આવી ગયો છે અને આ વખતે કંપનીએ માત્ર લુક બદલ્યો નથી, પરંતુ iPhoneના સૌથી જૂના અને સામાન્ય રીતે વપરાતા સહાયક Siriને AIની નવી શક્તિ આપી છે. ખાસ વાત એ છે કે iOS 27 iPhone 11 અને ત્યારબાદના મોડલ્સમાં ઇન્સ્ટોલ થઈ શકે છે, પરંતુ Siri AI અને Apple Intelligenceના કેટલાક અદ્યતન ફીચર્સ માટે વધુ નવા અને શક્તિશાળી હાર્ડવેરની જરૂર પડશે. એટલે અપડેટ બાદ દરેક iPhoneનો અનુભવ એકસરખો નહીં હોય.

iOS 27નું સૌથી મોટું આકર્ષણ Siri AI છે. હવે Siriને વધુ કુદરતી રીતે વાત કરીને કામ સોંપી શકાય છે. તે સ્ક્રીન પર દેખાતી માહિતીના સંદર્ભને સમજવામાં, સવાલોના જવાબ આપવામાં અને કેટલીક એપ્સમાં કામ સરળ બનાવવામાં વધુ સક્ષમ બની છે. Apple મુજબ Siri AI હાલમાં અંગ્રેજીમાં બીટા તરીકે રોલઆઉટ થઈ રહી છે, જ્યારે ફ્રેન્ચ, જાપાનીઝ, કોરિયન, પોર્ટુગીઝ અને સ્પેનિશ ભાષાનો સપોર્ટ ઓક્ટોબરમાં આવવાનો છે.

Photos એપમાં પણ AI આધારિત નવા ટૂલ્સ ઉમેરાયા છે. Spatial Reframing અને અપગ્રેડેડ Clean Upની મદદથી ફોટોના ફ્રેમિંગમાં ફેરફાર કરી શકાય છે અને અનિચ્છનીય વસ્તુઓ દૂર કરવી વધુ સરળ બને છે. Cameraમાં Siri મોડ દ્વારા વિઝ્યુઅલ સર્ચ કરવાની સુવિધા પણ આપવામાં આવી છે.

ડિઝાઇનની વાત કરીએ તો Liquid Glass ઈન્ટરફેસને વધુ કસ્ટમાઇઝ કરી શકાય છે. Settingsમાં નવા સ્લાઇડરની મદદથી લુકને વધુ પારદર્શક અથવા ટિન્ટેડ બનાવી શકાય છે. એપ આઇકોન્સને પણ વધુ શાર્પ બનાવવામાં આવ્યા છે. સાથે જ મોટા વિજેટ્સ અને અલગ-અલગ સિસ્ટમ સાઉન્ડ માટે વોલ્યુમ કંટ્રોલ જેવી સુવિધાઓ ઉમેરાઈ છે.

બાળકો iPhone અથવા iPad વાપરે છે તેવા માતા-પિતા માટે પણ મોટો ફેરફાર છે. Ask to Browse દ્વારા બાળક નવી વેબસાઇટ ખોલે ત્યારે માતા-પિતાની મંજૂરી જરૂરી બની શકે છે. નવા કોન્ટેક્ટ માટે મંજૂરી, હિંસક અથવા અયોગ્ય કન્ટેન્ટ સામે Communication Safety અને Games, Social Media તથા Entertainment માટે અલગ Screen Time મર્યાદા નક્કી કરવાની સુવિધા પણ આપવામાં આવી છે.

આથી iOS 27નો સૌથી મોટો લાભ નવા Apple Intelligence-સપોર્ટેડ iPhone વાપરતા યુઝર્સ અને બાળકોના ડિજિટલ ઉપયોગ પર નજર રાખતા માતા-પિતાને મળશે, જ્યારે iPhone 11 સહિતના જૂના સપોર્ટેડ મોડલ્સને મુખ્યત્વે ડિઝાઇન, પ્રદર્શન અને સિસ્ટમ લેવલના સુધારા મળશે.

ગુજરાતમાં આગામી કલાકો અગત્યના! જાણો કયા 6 જિલ્લામાં રેડ એલર્ટ

0

ગુજરાતમાં ચોમાસાની બીજી ઇનિંગે આજે ફરી જોર પકડ્યું છે અને કચ્છના માંડવીમાં મેઘરાજાએ એવી તોફાની બેટિંગ કરી કે થોડા જ કલાકોમાં શહેર પાણી-પાણી થઈ ગયું છે. માંડવીમાં છેલ્લા બે કલાકમાં લગભગ 5 ઇંચ વરસાદ ખાબકતાં બજારો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જ્યારે નદી-નાળાં બે કાંઠે વહેવા લાગ્યા છે. આ ભારે વરસાદ વચ્ચે હવામાન વિભાગે તાજા Nowcastમાં આગામી કલાકો માટે કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં ભારે વરસાદની ચેતવણી આપી છે અને રેડ એલર્ટ જાહેર કર્યું છે.

આજે સવારે 6થી 10 વાગ્યા સુધીમાં રાજ્યના 42 તાલુકામાં વરસાદ નોંધાયો છે. માંડવીમાં ટૂંકા ગાળામાં પડેલા ભારે વરસાદે સ્થાનિક જનજીવનને અસર કરી છે. કચ્છ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સક્રિય બન્યો છે અને ભારે વરસાદને કારણે રસ્તાઓ તથા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ ઊભી થવાની શક્યતા છે.

છેલ્લા 24 કલાકના વરસાદી આંકડાઓ પર નજર કરીએ તો ગુજરાતના 259 તાલુકામાં વરસાદ નોંધાયો છે. કચ્છના અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે ભાવનગરના વલ્લભીપુરમાં 6.10 ઇંચ વરસાદ પડ્યો હતો. રાજ્યના 14 તાલુકામાં 4 ઇંચથી વધુ અને 26 તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો.

સોમવારે પડેલા ભારે વરસાદની અસર અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં જોવા મળી હતી. અમદાવાદમાં રસ્તાઓ અને અંડરપાસમાં પાણી ભરાતા વાહનવ્યવહારને અસર થઈ હતી. IMDના 15 સપ્ટેમ્બરના આગાહી અપડેટ મુજબ શહેરમાં આજે સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે, જ્યારે વરસાદની તીવ્રતા બુધવારથી ઘટવાની શક્યતા દર્શાવવામાં આવી છે.

સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદી સિસ્ટમ સક્રિય રહેવાની શક્યતા વચ્ચે સ્થાનિક સ્તરે ભારે વરસાદના ઝાપટાં પડી શકે છે. IMD આધારિત આગાહીમાં 15 સપ્ટેમ્બરે જામનગર, પોરબંદર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા અને કચ્છ સહિતના વિસ્તારોમાં રેડ અલર્ટ દર્શાવવામાં આવી છે.બીજી તરફ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા યથાવત્ છે. IMD આધારિત આગાહીમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં યેલ્લો એલર્ટ સાથે ભારે વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે.

ભારે વરસાદ બાદ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા અને અચાનક પૂરની સ્થિતિનું જોખમ પણ રહે છે.હાલની સ્થિતિને જોતા કચ્છ અને સૌરાષ્ટ્રના અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોએ બિનજરૂરી મુસાફરી ટાળવી, નીચાણવાળા વિસ્તારોમાં સતર્ક રહેવું અને તંત્ર તથા હવામાન વિભાગની નવી સૂચનાઓ પર નજર રાખવી જરૂરી છે. આજે 15 સપ્ટેમ્બરે વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી આગામી કલાકો સ્થાનિક વિસ્તારો માટે મહત્વપૂર્ણ બની શકે છે.

ટ્રોફી ન સ્વીકાર્યા બાદ શું હતું મોહસિન નકવીનું રિએક્શન? BCCI અધિકારીએ કર્યો મોટો ખુલાસો

0

ભારતીય મહિલા ટીમે શ્રીલંકાને હરાવીને એશિયા કપનો ખિતાબ જીત્યો, પરંતુ મેચ બાદ ટ્રોફી સેરેમની કરતાં એક સવાલ વધુ ચર્ચામાં રહ્યો—મોહસિન નકવી પાસેથી ટ્રોફી લેવાનો ઇનકાર કર્યા બાદ તેમનું રિએક્શન શું હતું? હવે BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ આ સમગ્ર ઘટનાને લઈને મહત્વનો ખુલાસો કર્યો છે.

રાજીવ શુક્લાએ જણાવ્યું કે BCCIમાં આ મુદ્દે ચર્ચા કર્યા બાદ સામૂહિક રીતે નિર્ણય લેવામાં આવ્યો હતો કે ભારતીય ટીમ નકવીના હાથેથી ટ્રોફી સ્વીકારશે નહીં. ખાસ વાત એ છે કે શુક્લાના જણાવ્યા મુજબ, નકવીએ આ નિર્ણય સામે કોઈ વાંધો વ્યક્ત કર્યો નહોતો. તેમણે કહ્યું કે ભારતીય ટીમને પણ અગાઉથી આ નિર્ણયની જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ નકવી જરૂરી ઔપચારિકતા પૂર્ણ કરીને ત્યાંથી નીકળી ગયા હતા.

આ પહેલાં BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાએ પણ સ્પષ્ટ કર્યું હતું કે ટ્રોફી સેરેમની અંગે ભારતીય બોર્ડનું વલણ ACCને પહેલેથી જ જણાવી દેવામાં આવ્યું હતું. એટલે આ નિર્ણય અચાનક લેવાયો નહોતો, પરંતુ અગાઉથી નક્કી કરવામાં આવ્યો હતો.

ફાઇનલ દરમિયાન સૈકિયા અને નકવી વચ્ચે વાતચીતના ફોટા સામે આવ્યા બાદ પણ સવાલો ઉઠ્યા હતા. તેના પર રાજીવ શુક્લાએ કહ્યું કે બંને વચ્ચેની વાતચીત સામાન્ય અને વ્યાવસાયિક હતી. મેચ દરમિયાન હાજર અધિકારીઓ એકબીજા સાથે વાત કરે તે સ્વાભાવિક છે અને તેને લઈને અનાવશ્યક ટીકા કરવાની જરૂર નથી.

ટ્રોફી વિવાદ વચ્ચે એક વાત સ્પષ્ટ છે કે ભારતીય ટીમે નકવી પાસેથી ટ્રોફી સ્વીકારી નહોતી, પરંતુ નકવી તરફથી આ નિર્ણય સામે કોઈ વિરોધ નોંધાયો નહોતો.

“મિચ્છામી દુક્કડમ” ક્ષમા માંગવા માટે નમ્રતા જોઇએ અને ક્ષમા આપવા વિશાળ હૃદય જોઇએ-શ્રેણિક વિદાણી

0

આજે સંવત્સરી એટલે મૈત્રીનું પર્વ. પર્યુષણ એ મૈત્રીનું પર્વ છે. જગતના સઘળા જીવો મારા મિત્રો છે અને તેઓએ મન, વચન, કાયાથી જરાપણ દુભાવ્યા હોય તો તેમની ક્ષમા માંગવાની વિરલ અને અજોડ પરંપરા જૈનોમાં છે. જે ક્ષમા માંગે છે અને જે ક્ષમા આપે છે તે જ આરાધક છે.

“મિચ્છામી દુક્કડમ” આ શબ્દો જૈન સંસ્કૃતિની અદભૂત આધ્યાત્મિક સંપત્તિ છે. તેનો ભાવ છે કે જાણતા કે અજાણતા, મન-વચન-કાયા થી કોઈને દુ:ખ પહોંચાડયું હોય તો ક્ષમા માંગુ છુ. અને મારા પ્રત્યે કોઈએ ભૂલ કરી હોય તો હું પણ તેને ક્ષમા કરું છું. ક્ષમા માંગવા માટે નમ્રતા જોઈએ અને ક્ષમા કરવા માટે વિશાળ હૃદય જોઈએ.

ક્ષમા વીરસ્ય ભૂષણમ. ક્ષમાં માંગવી કે ક્ષમા આપવી તેમાં બહુ વીરતા બતાવવી પડે છે. કોઈને મારપીટ કરી દેવી કે ગાળો આપવી કે ગુસ્સો કરવામાં જેટલી બહાદુરીની જરૂર છે તેના કરતાં કઈ ગણી બહાદુરી શાંત રહેવામાં, ક્ષમા આપવામાં કે સમતા રાખવામાં જોઈએ છે. પર્યુષણ પર્વનું એક જ એલાન છે. સંઘર્ષ નહીં પણ સમાધાન. આજે સમગ્ર વિશ્વમાં મિત્રતાનો ભાવ ઘટીને શત્રુતાનો ભાવ વધી રહ્યો છે. હરીફાઈ, અસંતોષ અને ઈર્ષ્યા, મહત્વકાંક્ષાના સંયોજનથી નાનકડું નિમિત્ત પણ વેરનું વાવાઝોડું ઉત્પન્ન કરી દે છે. વ્યક્તિ-વ્યક્તિ, કુટુંબ-કુટુંબ કે જ્ઞાતિ-જ્ઞાતિ વચ્ચે વર્ષોના વર્ષો સુધી વેરની આગ સળગ્યા કરે છે, તેને કોઈ શાંત કરી શકતું નથી. સિવાય કે પ્રેમના પાણીનો છંટકાવ થાય.

દુનિયા આજે યુદ્ધના ઉંબરે ઊભી છે. પરસ્પરનો વેર ભાવ ઓગાળી મૈત્રી ભાવ કેળવવાથી જ યુદ્ધની આગમાંથી ઉગરી શકાશે.

આજે આખું વિશ્વ યુધ્ધના ઊંબરે આવીને ઉભું છે પરસ્પરનો વેર ભાવ ઓગાળી મૈત્રીભાવ જ વિશ્વને યુધ્ધની આર્ગમાંથી ઉગારી શકશે

આજે નિર્ણય લેતા પહેલાં જાણી લો તમારી રાશિનું સંકેત, 15 સપ્ટેમ્બરનું રાશિફળ

🌟 15 સપ્ટેમ્બર 2026 — દૈનિક રાશિફળ

♈ મેષ: આજે કાર્યક્ષેત્રમાં નવી જવાબદારી મળી શકે છે. મહેનતનું યોગ્ય પરિણામ મળવાની શક્યતા છે. નાણાકીય બાબતોમાં સમજદારીથી નિર્ણય લેવો. પરિવાર અને જીવનસાથી સાથે વાતચીતમાં મધુરતા રાખશો તો સંબંધો વધુ મજબૂત બનશે.


♉ વૃષભ: આજે અટકેલા કામોમાં પ્રગતિ જોવા મળશે. વ્યવસાયમાં નવા સંપર્કો લાભદાયી સાબિત થઈ શકે છે. આવક વધારવાની તક મળી શકે, પરંતુ બિનજરૂરી ખર્ચ ટાળવો. પરિવાર તરફથી સહયોગ અને ખુશી મળશે.


♊ મિથુન: તમારી વાતચીત અને બુદ્ધિ આજે તમારી શક્તિ બનશે. કામકાજમાં નવી તક અથવા મહત્વપૂર્ણ સંપર્ક મળી શકે છે. નાની બાબતોમાં ઉતાવળથી નિર્ણય ન લેવો. પ્રેમજીવનમાં ખુલ્લી અને સ્પષ્ટ વાતચીતથી ગેરસમજ દૂર થશે.


♋ કર્ક: આજે આત્મવિશ્વાસમાં વધારો થશે અને મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકશો. નોકરી અથવા વ્યવસાયમાં આગળ વધવાની તક મળી શકે છે. નાણાકીય સ્થિતિમાં સુધારો થવાની સંભાવના છે. પરિવારની કોઈ શુભ વાત મનને પ્રસન્ન કરશે.


♌ સિંહ: કાર્યક્ષેત્રમાં તમારી પ્રતિભા અને નેતૃત્વની પ્રશંસા થશે. નવી યોજના શરૂ કરવા માટે દિવસ અનુકૂળ છે. માન-સન્માનમાં વધારો થઈ શકે છે. સંબંધોમાં અહંકાર ટાળીને લાગણીઓને મહત્વ આપશો તો દિવસ વધુ સારો રહેશે.


♍ કન્યા: આજે આયોજન અને બુદ્ધિપૂર્વક કામ કરવાથી સારા પરિણામ મળશે. નોકરી-વ્યવસાયમાં કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકો છો. નાણાકીય લાભની શક્યતા છે, પરંતુ બચત પર પણ ધ્યાન આપવું. અભ્યાસ અને નવી કુશળતા શીખવા માટે દિવસ સારો છે.


♎ તુલા: આજે ચંદ્ર અને શુક્રની અસરથી મન પ્રસન્ન અને સર્જનાત્મક રહેશે. પ્રેમ અને સંબંધોમાં મધુરતા વધશે. સામાજિક ક્ષેત્રે તમારી પ્રતિષ્ઠા વધવાની શક્યતા છે. નવી મુલાકાત અથવા સંપર્ક ભવિષ્યમાં લાભદાયી બની શકે છે.


♏ વૃશ્ચિક: આજે કામમાં જવાબદારી અને વ્યસ્તતા બંને વધશે. ધીરજ રાખશો તો મુશ્કેલ પરિસ્થિતિ પણ તમારા પક્ષમાં આવી શકે છે. નાણાંની લેવડદેવડમાં સાવચેતી રાખવી. કોઈ અંગત બાબત દરેક વ્યક્તિ સાથે શેર કરવાનું ટાળવું.


♐ ધન: આજે ભાગ્યનો સાથ મળવાથી અટકેલા કામ આગળ વધશે. કારકિર્દીમાં નવી દિશા અથવા તક મળી શકે છે. પ્રવાસ અથવા દૂરના સંપર્કથી લાભ થવાની શક્યતા છે. પ્રેમજીવનમાં સકારાત્મક વાતચીતથી સંબંધ વધુ મજબૂત બનશે.


♑ મકર: કાર્યક્ષેત્રમાં તમારી મહેનતનું પરિણામ ધીમે-ધીમે મળતું જશે. વડીલ અથવા અનુભવી વ્યક્તિની સલાહ ઉપયોગી સાબિત થશે. નાણાકીય બાબતમાં લાંબા ગાળાનું આયોજન કરવું. પરિવાર સાથે થોડો સમય વિતાવવાથી માનસિક શાંતિ મળશે.


♒ કુંભ: નવી યોજના અને વિચારોને અમલમાં મૂકવા માટે દિવસ અનુકૂળ છે. મિત્રો અથવા ઓળખીતાઓ દ્વારા કોઈ સારી તક મળી શકે છે. ખર્ચ વધવાની શક્યતા હોવાથી બજેટનું ધ્યાન રાખવું. મનની મૂંઝવણ દૂર કરવા શાંતિથી વિચાર કરવો.


♓ મીન: આજે જવાબદારીઓ વધારે લાગશે, પરંતુ ધીરજથી કામ કરશો તો સફળતા મળશે. જૂના અધૂરા કાર્યો પૂર્ણ કરવાની તક મળશે. સંબંધોમાં ગેરસમજ ટાળવા માટે સ્પષ્ટ વાતચીત કરવી. આરામ, ઊંઘ અને માનસિક શાંતિને પ્રાથમિકતા આપવી.