Tuesday, Feb 17, 2026

નેપાળથી તૂર્કિયે જતી ફ્લાઈટનું કોલકાતામાં ઈમરજન્સી લેન્ડિંગ, એન્જિનમાં આગની આશંકા

1 Min Read

નેપાળના કાઠમંડુથી તૂર્કિયેના ઈસ્તંબુલ જઈ રહેલી ટર્કિશ એરલાઈન્સની ફ્લાઈટ નંબર-727નું બુધવારે (4 ફેબ્રુઆરી) કોલકાતાના નેતાજી સુભાષ ચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય (NSCBI) એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. વિમાનના એન્જિનમાં આગ લાગવાની આશંકા બાદ આ પગલું ભરવામાં આવ્યું છે.

કોલકાતા એરપોર્ટના ડાયરેક્ટર દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન મુજબ, વિમાનના કેપ્ટને કોલકાતા એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ને જમણી બાજુના એન્જિનમાં આગ લાગી હોવાની અથવા ધુમાડો નીકળવાની સંભાવના અંગે જાણ કરી હતી. આ માહિતી મળતા જ એરપોર્ટ પર સંપૂર્ણ ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી અને બપોરે આશરે 2:49 વાગ્યે વિમાનને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યું હતું.

236 મુસાફરો સુરક્ષિત
લેન્ડિંગ બાદ વિમાનમાં સવાર તમામ 236 મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતારી લેવામાં આવ્યા છે. હાલમાં વિમાનને એરપોર્ટના આઈસોલેશન બેમાં રાખવામાં આવ્યું છે, જ્યાં ટેકનિકલ નિષ્ણાતોની ટીમ તેની તપાસ કરી રહી છે. તપાસ બાદ જ સ્પષ્ટ થશે કે આગ લાગવાની માહિતી માત્ર ટેકનિકલ ખામી હતી કે, ખરેખર એન્જિનમાં કોઈ ગંભીર સમસ્યા હતી. તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી વિમાનની આગળની ઉડાન પર રોક લગાવી દેવામાં આવી છે.

Share This Article